Home Blog Page 2

આનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે ? ગણતરીના વર્ષોમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ દેશમાં અને વિશ્વમાં હિંદુ સનાતન ધર્મ સાથે જોડાયેલાં મંદિરો સહિત ૧૩૦૦ સંસ્થાઓ સાકાર કરી!!

સુરતની મુલાકાતે આવેલા જ્ઞાનવત્સલ સ્વામીએ કરેલી વાતોએ લોકોને દિગ્મૂઢ કરી દીધા

BAPSના સૌપ્રથમ અટલાદરા ખાતેના મંદિરનું નિર્માણ કરવા જરૂર પડી ત્યારે ખુદ પ્રમુખસ્વામી ચક્કીમાં ચૂનો પીસવા બળદની જગ્યાએ જોડાઈને ચૂનો પીસતા હતા…

અમેરિકા, પેરિસ, આફ્રિકા સહિત અન્ય દેશોમાં હિંદુ સનાતન મંદિરોનાં નિર્માણ બાદ ઈસ્લામિક દેશ અબુધાબીમાં મંદિરનું નિર્માણ કરીને ઇતિહાસ રચ્યો હતો, વળી, અબુધાબીના રાજા શેખે મંદિરનિર્માણ માટે ૨૭ એકર જમીન ફાળવવા સાથે વીજળી, પાણી આજીવન વંશપરંપરાગત માફ કરી દીધા

અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટમાં ૨૮૬ એકરમાં પથરાયેલા હિંદુ સનાતન મંદિરમાં હિંદુઓ ઉપરાંત ચાઈનીઝ, મેક્સિકન, સ્પેનિશ નાગરિકો પણ હવે રોજબરોજના મુલાકાતી હોવા ઉપરાંત ભારતીય હિંદુ સંસ્કૃતિથી પ્રભાવિત થઈ જોડાઈ રહ્યા છે

અને હવે સુરતમાં ૧૫૦ એકરમાં સાકાર થઈ રહેલા ભારતના સૌથી વિશાળ BAPSના હિંદુ સનાતન મંદિરની આગામી છ માસમાં મહંત સ્વામીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશેઃ જ્ઞાનવત્સલ સ્વામી

થોડા દિવસ પહેલા BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત જ્ઞાનવત્સલ સ્વામી સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્ઞાનવત્સલ સ્વામી એક સન્યાસી સંત હોવા છતાં ઉચ્ચકોટિના આ સંતના પ્રત્યેક શબ્દમાં સમાજ અને વ્યક્તિગત સુધાર, કલ્યાણની વાત હોય છે. તેઓ માત્ર BAPS સંસ્થાનો પ્રચાર કરતા નથી, પરંતુ તેમની દરેક વાત અને શબ્દમાં સામાજિક ચારિત્ર્ય ઘડવાનો બોધ આપતા આવ્યા છે. જ્ઞાનવત્સલ સ્વામીને વારંવાર સાંભળવાનું મન થઈ આવે છે. તેમના વક્તવ્યને સાંભળ્યા પછી સમજવા માટે વારંવાર મનન કરવાથી સરવાળે સમાજકલ્યાણ અને આત્મકલ્યાણની શીખ તરી આવે છે.
પ્રમુખસ્વામીએ તેમના સદેહે અને ત્યાર પછી કરેલા સમાજનિર્માણ અને સમાજ કલ્યાણનાં કાર્યોને પાછું ફરીને જોવામાં આવે તો સમજાશે કે તેમણે સાધુવેશે સામાજિક ક્રાંતિની મિસાલ પ્રગટાવી હતી અને પ્રમુખસ્વામીના પ્રત્યેક અનુયાયી સંતોમાં તેમની દૃઢતા અને સનાતન ધર્મ મારફતે સમાજકલ્યાણની ભાવના ધબકતી આવી છે. પ્રમુખસ્વામી એક એવા સંત હતા કે જેમણે ગણતરીનાં વર્ષોમાં વિશ્વ આખામાં સનાતનની ધજા ફરકાવવા સાથે સદ્ગુણો અને સદાચારનો પ્રચાર-પ્રસાર કર્યો છે. પ્રમુખસ્વામીએ માત્ર અમેરિકા જ નહીં, વિશ્વના ઇસ્લામિક દેશોમાં પણ સ્વામિનારાયણ મંદિરોની સ્થાપના કરીને સમગ્ર વિશ્વ સમક્ષ નવાં ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. આરબ અમીરાત એટલે કે અબુધાબીમાં મુસ્લિમ રાજાઓના સહયોગથી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવાનું અશક્ય લાગતું કામ પ્રમુખસ્વામીએ જરા પણ વિચલિત થયા વગર નિઃસંકોચ પાર પાડ્યું હતું.

જરૂરિયાતમંદો માટે કામ કરતા સુરતના યુવાશક્તિ ગ્રુપ આયોજિત ‘‘ઉત્કર્ષ’’ કાર્યક્રમમાં પધારેલા જ્ઞાનવત્સલ સ્વામીજીએ કરેલી પ્રત્યેક વાત, ટકોર શરીરના રૂંવાડા ઊભી કરી દેતી હતી. આમ તો જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળવાની અનેક તકો મળી છે અને સોશિયલ મીડિયા ઉપર તો કરોડો લોકો જ્ઞાનવત્સલ સ્વામીને ફોલો કરી રહ્યા છે, પરંતુ ‘યુવાશક્તિ ગ્રુપ’ના કાર્યક્રમમાં તેમનો ‌‌િમજાજ સાવ જુદા પ્રકારનો હતો, તેમણે સતત અસ્ખલિત પ્રવાહમાં આપેલા વકતવ્યમાં લોકો લીન થઈ ગયા હતા. સમગ્ર વકતવ્ય દરમિયાન તેમણે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામીના અનેક પ્રસંગો વર્ણવ્યા હતા, પરંતુ ક્યાંય પણ વાતની કડી તૂટતી નહોતી. શ્રોતાઓ આંખનું મટકું માર્યા વગર જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળી રહ્યા હતા અને એટલા બધા તરબોળ થઈ ગયા કે ઇચ્છતા હોય કે જ્ઞાનવત્સલ સ્વામી સતત વાણીનો પ્રવાહ વહેડાવતા રહે!

જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રમુખ સ્વામીની વાત કરતા કહ્યું હતું કે, લોકો જ્યારે નિવૃત્તિનું વિચારતા હોય તેવા સમયે પ્રમુખ સ્વામીએ જીવનના ૫૧મા વર્ષે કારકિર્દીની શરૂઆત કરી હતી. કારણ કે, પ્રમુખસ્વામી ૫૧મા વર્ષે ગુરૂપદે આવ્યા હતા. પ્રમુખસ્વામીએ કરેલા એક પણ નિર્ણયમાં તેમને પીછેહઠ કરવી પડી હોય એવી એક પણ ઘટના બનવા પામી નથી. પ્રમુખસ્વામીએ તેમની કારકિર્દી દરમિયાન ભારત અને વિશ્વના દેશોમાં ૧૩૦૦ સંસ્થાઓનું નિર્માણ કર્યું હતું, જેમાં મંદિરો, શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંસ્થાઓ માત્ર ભારતમાં જ નહી,ં વિશ્વના અનેક દેશોમાં સ્વામિનારાયણના સનાતન હિંદુ મંદિર ‘અક્ષરધામ’ના નામે નિર્માણ કર્યા છે. અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના રોબિનવિલ્સમાં ૨૮૬ એકરમાં સાકાર કરવામાં આવેલું ‘અક્ષરધામ’ આજે અમેરિકામાં સનાતન ધર્મના મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરી રહ્યું છે. અહીંયા સાકાર કરવામાં હિંદુ મ્યુઝિયમની રોજના સેંકડો લોકો મુલાકાત લઈ રહ્યાં છે. આ મુલાકાતીઓ પૈકીના મોટાભાગના મુલાકાતી ચાઈનીઝ, મેક્સિકન અને સ્પે‌‌િનશ લોકો હોય છે!

જ્ઞાનવત્સલ સ્વામીએ અબુધાબીમાં સાકાર કરવામાં આવેલા ‘અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરનાં નિર્માણને ચમત્કાર ગણાવતા કહ્યું હતું કે, જે દેશમાં મૂર્તિ તો ઠીક, કોઈ ધર્મના દેવી-દેવતાઓનો ફોટો લઈ જવાનું શક્ય જ નથી એવા ઈસ્લામિક દેશમાં પ્રમુખસ્વામીએ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવાની વાત કરી ત્યારે સંતો સહિત સૌ કોઈ દંગ રહી ગયા હતા. બધાએ પ્રમુખ સ્વામી સમક્ષ અબુધાબીમાં મંદિર નિર્માણની વાત અશક્ય હોવાનું કહ્યું ત્યારે પણ પ્રમુખસ્વામી તેમના નિર્ણયમાં મક્કમ હતા.

પ્રમુખસ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર-પ્રસાર અને મંદિરોના નિર્માણ માટે કરેલી મહેનત અને પરિશ્રમની વાત કરતા જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું હતું કે, અટલાદરા ખાતે જ્યારે સૌપ્રથમ ‘અક્ષરધામ’ મંદિરનું નિર્માણ કર્યું ત્યારે એ જમાનામાં સિમેન્ટનું અસ્તિત્વ જ નહોતું. મંદિરો-મકાનો પથ્થરો અને માટીથી નિર્માણ કરાતા હતા. અટલાદરામાં મંદિરનું બાંધકામ કરતી વખતે બાંધકામમાં સિમેન્ટની જગ્યાએ વપરાતો ચૂનો ચક્કીમાં પીસવો પડતો હતો અને ચક્કી ફેરવવા માટે એક બળદને જોડવો પડતો હતો. પરંતુ ખેડૂતો પાસેથી માંગીને લાવવામાં આવતો બળદ ખેતીના કામમાં રોકાયેલો હોય ત્યારે ખુદ પ્રમુખસ્વામી બળદની જગ્યાએ પોતાની જાતને દોરડાથી જોડીને ચક્કીમાં ચૂનો પીસતા હતા!!

જ્ઞાનવત્સલ સ્વામીની આ વાત સાંભળીને લોકો દંગ રહી ગયા હતા. પરંતુ જૂની પેઢીના લોકોના કહેવા મુજબ જ્ઞાનવત્સલ સ્વામીએ કરેલી વાતમાં જરા પણ અતિશયો‌‌િક્ત નહોતી. અલબત્ત, જ્ઞાનવત્સલ સ્વામીની એક એક વાતમાં હંમેશાં સનાતન સત્ય ટપકતું હોય છે.

લંડનમાં અક્ષરધામના નિર્માણ બાદ પ્રમુખસ્વામીએ શારજાંહના રણમાં બેસીને અબુધાબીમાં મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો. પ્રમુખસ્વામીના ચારિત્ર્યમાં ગજબની તાકાત હતી. દરમિયાન ૨૦૧૫ના વર્ષમાં અબુધાબીના રાજાએ નિર્ણય કર્યો કે, અબુધાબીમાં એક હિંદુ મંદિર હોવું જોઈએ. લાંબી તપાસના અંતે અબુધાબીના રાજાએ BAPSની પસંદગી કરી અને પ્રારંભે માત્ર સાત એકર જમીનની ફાળવણી કરી. પરંતુ સાત એકર જમીનમાં મંદિર સાકાર કરવું શક્ય નહોતું. સંતોની વાત સાંભળીને અબુધાબીના શેખે આખરે ૨૭ એકર જમીન દાનમાં આપી હતી! અને વર્ષ ૨૦૨૪માં મહંત સ્વામીએ ૧૦ હજાર મૂર્તિઓ સાથેના અક્ષરધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી!

BAPS સ્વામિનારાયણ સંપ્રદાયથી પ્રભાવિત થઈને અબુધાબીના શેખે તેમના વંશને પરંપરાગત મંદિરના વીજળી, પાણી વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી. આ ઉપરાંત મંદિરની સિક્યોરિટીની ફરજ પણ અબુધાબીની પોલીસ સંભાળી રહી છે! જ્ઞાનવત્સલ સ્વામીએ BAPSના ભવ્ય ઇતિહાસને વર્ણવતા કહ્યું હતું કે, પેરિસમાં અક્ષરધામનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે પ્રમુખસ્વામી ભારતીય પથ્થરોમાંથી મંદિરનું નિર્માણ કરવા માંગતા હતા. પરંતુ ત્યાંની સરકાર માટે આ શક્ય નહોતું. કારણ કે, ત્યાંની સરકારને ભારતીય પથ્થરોની મજબૂતાઈ સામે શંકા હતી. પરંતુ પ્રમુખસ્વામી મક્કમ હતા અને આખરે લાંબા પરીક્ષણો બાદ ફ્રાંસ સરકારે પ્રમુખસ્વામીના સંકલ્પને મંજૂરી આપીને ભારતીય પથ્થરોમાંથી ભવ્ય મંદિર ‘અક્ષરધામ’નું નિર્માણ થયું. આ ઘટના પણ એક ચમત્કાર ગણી શકાય. આગામી સપ્ટેમ્બર માસની ૬ઠ્ઠી તારીખે મહંત સ્વામી ૯૪ વર્ષની વયે આ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરશે. મંદિરમાં શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, હનુમાનજી સહિત સનાતન ધર્મના દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

જ્ઞાનવત્સલ સ્વામીએ અસ્ખલિત કરેલી વાતો વચ્ચે તેમણે સુરતના કણાંદ વિસ્તારમાં સાકાર થઈ રહેલા દેશના સૌથી વિશાળ ‘અક્ષરધામ’નો પણ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આવનારા છ મહિનાઓમાં મહંત સ્વામી સુરતના કણાંદ ખાતે ૧૫૦ એકરમાં સાકાર થઈ રહેલા ભારતના સૌથી વિશાળ સનાતન હિંદુ મંદિર ‘અક્ષરધામ’ને ખૂલ્લું મૂકશે. જ્ઞાનવત્સલ સ્વામીએ મોડી રાત સુધી લોકોને જકડી રાખ્યા હતા અને કાર્યક્રમ પૂરો થયો ત્યારે લોકો એક નવા આત્મવિશ્વાસ સાથે બહાર નીકળ્યા હતા. સંવેદના, સહકાર, સમભાવ અને સહભાિગતાના વિચાર સાથે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે કાર્ય કરતા ‘યુવાશક્તિ ગ્રુપ’ દ્વારા વલથાણ આઉટર રિંગરોડ સ્થિત સંપદા ફેસ્ટિિવટી ફાર્મમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ ચાર હજાર કરતા વધુ લોકોએ હાજરી આપી હતી.

એશિયન ગેમ્સ પહેલાં જ ‘ગોલ્ડન બોય’ બહાર! નીરજ ચોપરાના આ નિર્ણય પાછળનું કારણ શું?

0

ભારતને એશિયન ગેમ્સ 2026 પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ભાલાફેંક એથ્લીટ અને બે વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપરા હવે 2026ની બાકીની સમગ્ર સિઝનમાં ભાગ નહીં લે. ટખામાં થયેલા લિગામેન્ટ ટિયર બાદ નીરજે 29 ઓગસ્ટે સોશિયલ મીડિયા મારફતે આ જાહેરાત કરી હતી. આ નિર્ણયના કારણે તેઓ આગામી ડાયમંડ લીગ ફાઇનલ અને એશિયન ગેમ્સ 2026માંથી પણ બહાર થઈ ગયા છે.

નીરજના જણાવ્યા પ્રમાણે, લોઝાન ડાયમંડ લીગ બાદ ટ્રેનિંગ દરમિયાન તેમના ટખામાં લિગામેન્ટમાં ઈજા થઈ હતી. ત્યારબાદ ડૉક્ટર અને પોતાની ટીમ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે બાકીની સમગ્ર સિઝનમાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો. નીરજે આ નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો હતો, ખાસ કરીને કારણ કે તેમને લાગતું હતું કે તેઓ ફરી પોતાની શ્રેષ્ઠ લય તરફ આગળ વધી રહ્યા હતા. હવે તેમનું સંપૂર્ણ ધ્યાન યોગ્ય રીતે રિકવરી કરીને વધુ મજબૂત વાપસી કરવા પર રહેશે.

આ ઈજા એવા સમયે થઈ છે જ્યારે નીરજની ફોર્મમાં સુધારો જોવા મળી રહ્યો હતો. 21 ઓગસ્ટે લોઝાન ડાયમંડ લીગમાં તેમણે 88.05 મીટરનો સીઝન-બેસ્ટ થ્રો કરીને બીજું સ્થાન મેળવ્યું હતું. આ પ્રદર્શન સાથે તેઓ ડાયમંડ લીગ ફાઇનલ માટે પણ ક્વોલિફાય થયા હતા. હવે 4 અને 5 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યોજાનારી ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ જોવા નહીં મળે.

2026ની સિઝનમાં નીરજે લાંબા ઈજા વિરામ બાદ વાપસી કરી હતી. જૂનમાં દોહા ડાયમંડ લીગમાં 85.69 મીટરનો થ્રો કરીને તેઓ ચોથા સ્થાને રહ્યા હતા. ત્યારબાદ ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે 85.83 મીટરના પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. લોઝાનમાં 88.05 મીટર સુધી પહોંચતા તેમની ફોર્મમાં સ્પષ્ટ સુધારો જોવા મળ્યો હતો.

નીરજની ગેરહાજરી ભારત માટે ખાસ કરીને એશિયન ગેમ્સમાં મોટો ફટકો છે. Aichi-Nagoya Asian Games 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 સુધી જાપાનમાં યોજાશે. નીરજની ગેરહાજરીમાં ભારતની ભાલાફેંકની મેડલની આશાઓ પર અસર પડી શકે છે.

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાલાફેંકનું ગોલ્ડ અને પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે 2026ની બાકીની સિઝનમાંથી બહાર થયા બાદ તેમની સામે સૌથી મોટો પડકાર સંપૂર્ણ ફિટનેસ સાથે ટ્રેક પર પરત ફરવાનો રહેશે.

પેટ્રોલના ખર્ચથી કંટાળ્યા છો? Atherનું નવું બજેટ ફ્રેંડલી સ્કૂટર બની શકે છે એક માત્ર પસંદ

ઈલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં હવે માત્ર રેન્જ અને લુક નહીં, પરંતુ મજબૂતી પણ મોટો મુદ્દો બની રહ્યો છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને Ather Energyએ પોતાનું નવું Konarc ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. ખાસ વાત એ છે કે કંપનીએ તેને મેટલ બોડી સાથે તૈયાર કર્યું છે અને સામાન્ય ઉપયોગથી લઈને ભારે પરિસ્થિતિઓ સુધી તેની કસોટી કરવામાં આવી છે. Konarcની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત બેંગલુરુમાં ₹1 લાખ રાખવામાં આવી છે.

Ather Konarcને કંપનીના નવા EL પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. હાલમાં તેને S 100, S 125 અને S 161 એમ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. નામમાં આપેલા આંકડા તેની IDC રેન્જ દર્શાવે છે. એટલે કે ટોચના S 161 વેરિઅન્ટમાં 161 કિલોમીટર સુધીની દાવો કરાયેલી રેન્જ મળે છે. કંપની ભવિષ્યમાં 200 કિમી IDC રેન્જવાળું વર્ઝન પણ લાવવાની તૈયારીમાં છે.

મજબૂતીની વાત કરીએ તો Atherએ Konarc પર 2,000થી વધુ ટેસ્ટ કર્યા હોવાનું જણાવ્યું છે. તેમાં ડ્રોપ ટેસ્ટ, લોડ ટેસ્ટ, વાઇબ્રેશન ટેસ્ટ ઉપરાંત ભારે વરસાદ, ઊંડા પાણી અને પૂર જેવી પરિસ્થિતિઓના સિમ્યુલેશનનો પણ સમાવેશ થાય છે. 1 લાખ કિલોમીટરના રાઇડિંગ સાયકલને કન્ડેન્સ્ડ ટેસ્ટમાં પણ અજમાવવામાં આવ્યું છે.

સ્કૂટરમાં 31 લિટરનું બૂટ સ્પેસ, લાંબો વ્હીલબેઝ અને આગળ 14-ઇંચનું વ્હીલ આપવામાં આવ્યું છે. ડિલિવરી સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.

VIDEO: એક ઝટકામાં બદલાઈ આ વિસ્તારની તસવીર! મંદાકિનીના ભયંકર પ્રકોપે તૂટ્યો ડેમ

0

સતત ભારે વરસાદના કારણે મંદાકિની નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા ગોરગી ડેમ તૂટવાની ઘટનાએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી છે, જ્યારે પૂરનાં તેજ પ્રવાહથી આશરે 300 મીટર લામ્બો પુલોને પણ તૂટીને વહી ગયો હતો. તે દરમિયાન રામઘાટ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લોકોમાં ભયનો માહોલ છે અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.

મંદાકિની નદીનું જળસ્તર ખતરાના નિશાન 126 મીટરથી આશરે 9 મીટર ઉપર, એટલે કે 135 મીટરથી વધુ પહોંચ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. રામઘાટ, ભારત ઘાટ અને આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસતાં અનેક દુકાનો, મકાનો અને ધાર્મિક સ્થળો અસરગ્રસ્ત થયા છે. કેટલાક સ્થળોએ લોકોને નાવની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.

પૂરની વચ્ચે ગોરગી ડેમ તૂટી ગયો હોવાની માહિતી સામે આવી છે. સાથે જ નયાગાંવ અને હનુમાનધારા વિસ્તારને જોડતા પુલને પણ ભારે નુકસાન થયું છે અને તેની રેલિંગ પાણીના પ્રવાહમાં વહી ગઈ હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે.300 મીટર લાંબો પુલ પણ તેજ પ્રવાહની ચપેટમાં આવી વહી જવાની માહિતી આપવામાં આવી છે.

પૂરની અસર સતના સુધી પહોંચી છે. મઝગવાં નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો અને આનંદ વિહાર-રીવા ટ્રેનને આગળ વધવામાં મુશ્કેલી પડી હતી. રસ્તાઓ પર પાણી ભરાતા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચેનો સંપર્ક પણ અનેક સ્થળોએ ખોરવાયો છે.

હાલ પ્રશાસન અને SDRF સહિતની બચાવ ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં સક્રિય છે. નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. લોકોને પૂરનાં પાણી અને તેજ વહેણ ધરાવતા પુલો-રસ્તાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

ખાલી ભૌગોલિક નહિ પરંતુ આર્થિક બાબતે પણ ભારત પર નેપાળના પૂરની અસર! જાણો સંપૂર્ણ ખબર

નેપાળમાં આવેલા વિનાશક પૂરની અસર હવે સરહદ પાર વેપાર સુધી પહોંચી છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજ સ્થિત સોનૌલી બોર્ડર પર નેપાળમાં જવા માટે માલવાહક ટ્રકોની આશરે 16 કિમી લાંબી કતાર લાગી છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી અનેક રસ્તાઓને નુકસાન થતાં કાઠમંડુ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં માલની અવરજવર ભારે પ્રભાવિત થઈ છે.

મળતી માહિતી મુજબ, સોનૌલી બોર્ડર પર ટ્રકોની કતાર નૌતનવા સુધી પહોંચી ગઈ છે, જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહારને લઈને પણ ચિંતા વધી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ બોર્ડર વિસ્તારમાં નજર રાખી રહી છે અને વાહનોની અવરજવર નિયંત્રિત કરી રહી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે નેપાળમાં માર્ગ કનેક્ટિવિટી ઝડપથી પુનઃસ્થાપિત નહીં થાય તો માલની સપ્લાયમાં વધુ વિલંબ થઈ શકે છે.

ભારત નેપાળનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. ભારતના સત્તાવાર આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2025-26માં બંને દેશો વચ્ચેનો કુલ માલવસ્તુ વેપાર US$9.39 બિલિયન રહ્યો હતો, જે નેપાળના કુલ બાહ્ય માલ વેપારના 60 ટકાથી વધુ છે. ભારતમાંથી નેપાળમાં પેટ્રોલિયમ, લોખંડ-સ્ટીલ, વાહનો, મશીનરી અને અનાજ સહિતની મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની નિકાસ થાય છે.

આ પરિસ્થિતિ લાંબી ચાલે તો સરહદી વેપાર, પરિવહન ખર્ચ અને નેપાળમાં જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર વધુ દબાણ આવી શકે છે. હાલ બંને દેશોની સત્તાવાળાઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

VIDEO: તૈયારીઓ તેજ! કેમ આવી રહ્યા છે 8મી સપ્ટેમ્બરે નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી?

0

આઠમી સપ્ટેમ્બરે નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરશે અને આ કાર્યક્રમને માટે નવસારીમાં વહીવટી તંત્રથી લઈને ભાજપ સંગઠન સુધી તૈયારીઓ તેજ બની છે.

વડાપ્રધાનના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ તથા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા હતા. સ્થાનિક અહેવાલ મુજબ બંને નેતાઓએ સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ અને સંબંધિત પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓ, સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ ‘નમો કમલમ’ સંકુલની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનો પણ તાગ મેળવવામાં આવ્યો હતો.

નવસારીના કબિલપોર નજીક નેશનલ હાઇવે પાસે બનેલું આ નવું ભાજપ કાર્યાલય અંદાજે 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં 10 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. કાર્યાલયમાં વિશાળ ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, અલગ કેબિન, હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સહિતની આધુનિક સુવિધાઓ હોવાનો અહેવાલ છે.

સી.આર. પાટીલના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત કોઈ જિલ્લા સ્તરના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. જેને કારણે 8 સપ્ટેમ્બરના કાર્યક્રમને ખાસ મહત્વ મળી રહ્યું છે.

ભારત માટે ગર્વની ક્ષણ! વેલાવન સેંથિલકુમારે બૂડાપેસ્ટ ઓપનમાં રચ્યો વિજયનો ઇતિહાસ

0

ભારતના સ્ટાર સ્ક્વોશ ખેલાડી વેલાવન સેંથિલકુમારે ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. હંગેરીમાં રમાયેલી બૂડાપેસ્ટ ઓપન સ્ક્વોશ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સેંથિલકુમારે યજમાન દેશના બાલાઝ ફરકાસને સીધી ત્રણ ગેમમાં હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ફાઇનલ મુકાબલામાં સેંથિલકુમારે ફરકાસ સામે શાનદાર નિયંત્રણ અને આક્રમક રમત દર્શાવી હતી. ભારતીય ખેલાડીએ મેચ 11-4, 11-2 અને 11-3થી જીતી હતી. શરૂઆતથી જ સેંથિલકુમારે દબદબો જાળવી રાખ્યો હતો અને ફરકાસને પુનરાગમન કરવાની કોઈ તક આપી નહોતી.

ખિતાબ સુધીની સફરમાં પણ સેંથિલકુમારનો દેખાવ દમદાર રહ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં તેણે મલેશિયાના ઈન યો એનજીને હરાવ્યો હતો. ત્યારબાદ સેમિફાઇનલમાં ભારતના જ વીર ચોટરાણી સામે પાંચ ગેમ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 11-9, 8-11, 11-7, 1-11 અને 12-10થી જીત મેળવી હતી.

ફરકાસ સામે આ સેંથિલકુમારની ત્રીજી ટક્કર હતી. અગાઉ બંને ખેલાડીઓ એક-એક વખત જીત્યા હતા. જોકે બૂડાપેસ્ટ ઓપનની નિર્ણાયક મેચમાં સેંથિલકુમારે સ્પષ્ટ વર્ચસ્વ જમાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો.

હવે iPhoneમાં સેકન્ડોમાં તૈયાર થશે Reel! Instagramનું આ નવું ફીચર કેવી રીતે કરશે કામ?

Instagram પર Reel બનાવવી હોય તો વીડિયો ક્લિપ્સ પસંદ કર્યા પછી તેના બિનજરૂરી ભાગ કાપવા, pauses દૂર કરવા અને ક્લિપ્સને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં ઘણો સમય લાગે છે. હવે iPhone યુઝર્સ માટે Instagramએ ‘First Draft’ નામનું નવું ફીચર રજૂ કર્યું છે, જે આ શરૂઆતની એડિટિંગ પ્રક્રિયાને સરળ બનાવશે. ખાસ વાત એ છે કે પસંદ કરેલી ક્લિપ્સમાંથી થોડી જ સેકન્ડોમાં Reelનો પ્રથમ ડ્રાફ્ટ તૈયાર થઈ જશે.

શું છે Instagramનું First Draft ફીચર?

First Draft યુઝર દ્વારા પસંદ કરાયેલી એકથી વધુ વીડિયો ક્લિપ્સને આપમેળે કાપીને એક પ્રાથમિક Reel તૈયાર કરે છે. આ દરમિયાન લાંબા pauses અને ઓછા ઉપયોગી ભાગોને દૂર કરવામાં આવે છે અને ક્લિપ્સમાંથી મહત્વપૂર્ણ ભાગોને જોડીને એક શરૂઆતનો વીડિયો તૈયાર કરવામાં આવે છે. Instagram મુજબ આ પ્રક્રિયા 10 સેકન્ડથી પણ ઓછા સમયમાં થઈ શકે છે.

iPhoneમાં કેવી રીતે ઉપયોગ કરશો?

Instagramમાં Reels બનાવવાના વિકલ્પમાં જઈને ગેલેરીમાંથી એક અથવા વધુ વીડિયો ક્લિપ્સ પસંદ કરવી પડશે. ત્યારબાદ નીચે દેખાતા First Draft બટન પર ટેપ કરવાથી એપ એક પ્રારંભિક એડિટ તૈયાર કરશે. આ ઉપરાંત Instagram કેમેરાથી વીડિયો રેકોર્ડ કર્યા પછી પણ First Draftનો ઉપયોગ કરી શકાય છે. તૈયાર થયેલા ડ્રાફ્ટમાં યુઝર ફરીથી કટ, ક્રમ, મ્યુઝિક અને અન્ય ફેરફાર કરી શકે છે.

સુરતે વધુ એક સમાજશ્રેષ્ઠી ગુમાવ્યા, નખ‌શિખ સજજન અને સેવાભાવી સંસ્થાઓના કર્ણધાર મહેન્દ્ર કતારગામવાળાનું નિધન

તબીબી, સામાજિક, ઔદ્યોગિક, બેં‌‌િકંગ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા મહેન્દ્ર કતારગામવાળાના નિધનથી અનેક સેવાભાવી સંસ્થાઓ અને સુરતના સમાજજીવને આઘાતની લાગણી અનુભવી

સુરતના પવિત્ર ભારતીમૈયા ટ્રસ્ટ અને ટ્રસ્ટ સાથે સંકળાયેલી હોસ્પિટલો, ગૌશાળા, ધાર્મિક સહિત અનેક કાર્યોના મહેન્દ્રભાઈ કર્ણધાર હતા. સુરતના રંગ અવધૂત આશ્રમથી શરૂ કરી નર્મદા કિનારાના આશ્રમો અને છેક ઋષિકેશ અને કેદારનાથ સુધી તેઓ પ્રવૃત્ત હતા

સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ કોર્પોરેટર, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ ચેરમેન, મહાજન અનાથાશ્રમના કારોબારી સભ્ય, સર્વોદય બેંકના ડિરેક્ટર સહિત અનેક સંસ્થાઓનો તેઓ પડછાયો હતા

રાજકારણ છોડીને સમાજસેવામાં પ્રવૃત્ત થયેલા મહેન્દ્રભાઈનો સનદી અધિકારીઓ સાથે ગજબ નાતો હતો, સુરતથી શરૂ કરીને વાયા ગાંધીનગર છેક દિલ્હી સુધી તેમના મીઠા અને વિશ્વાસથી ભરેલા સંબંધો પથરાયેલા હતા

થોડા દિવસ પહેલા નિધન પામેલા સુરતના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર, પૂર્વ કુલપતિ અને રાજકીય સામાજિક આગેવાન ડૉ. કનુભાઈ માવાણી તેમના પડોશી હતા

સુરતમાં હવે ક્રમશઃ સંસ્કારો અને સમાજસેવાથી ભરેલી પેઢીના લોકો વિદાય લઈ રહ્યા છે સામે પક્ષે જૂની પેઢીની ખાલી જગ્યા ભરી શકે એવા લોકોની ખોટ વર્તાઈ રહી છે. સુરતની વસ્તી વધી અને વિસ્તાર વધ્યો પરંતુ સમાજજીવનને એક તાંતણે બાંધી શકે એવા આગેવાનો હવે બહુ ઓછા રહ્યા છે. સુરત માટે પોતાની મિલકતો અર્પણ કરી દેનાર ગોરધનદાસ પોપાવાળા જેવા અનેક મહાજનોની જગ્યાઓ હજુ પુરાઈ નથી

‘મહેન્દ્ર કતારગામવાળા’ સુરતનું આ એક એવું વ્યક્તિત્વ હતું કે જેની કોઇ જ ઓળખાણ આપવાની જરૂર રહેતી નહોતી ખૂબ જ શાંત અને મૃદુ સ્વભાવ છતાં કોઇપણ મુદ્દે ચર્ચા કરો તો એવું લાગે કે આ માણસ પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર ભરેલો છે. સુરત શહેર ઉપરાંત અન્ય પ્રદેશની જાહેર સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાવાનો અને કામ કરવાનો મહેન્દ્રભાઇને ગજબનો નશો હતો. ખાસ કરીને તબીબી ક્ષેત્રે તેમની જબરદસ્ત હથોટી હતી. જાણે બીમારી અને સારવાર અંગે તેમણે પીએચડી કર્યું હતું. વળી દાયકાઓથી શરીરની એક સરખી કાઠી ધરાવતા ૭૬ વર્ષના મહેન્દ્રભાઇ માટે જાણે સમય થંભી ગયો હતો. જેમણે તેમને એક દાયકા પહેલા જોયેલા મહેન્દ્રભાઇને ફરી મળવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો એની એ જ કાઠી અને એનો એ જ સ્મિત લહેરાવતો ચહેરો જોવા મળે. કોઇએ ભાગ્યે જ મહેન્દ્રભાઇને ગંભીર જોયા હશે.
આઇએએસ, આઇપીએસ અધિકારીઓ સાથે તેમનો નાતો ગજબનો હતો. સુરતથી શરૂ કરીને વાયા ગાંધીનગર થઇને દિલ્હી સુધી સનદી અધિકારીઓમાં મહેન્દ્રભાઇ જબરદસ્ત પ્રભાવ ધરાવતા હતા. કોઇના પણ ગૂંચવાયેલાં કામોનો ઉકેલ લાવવાનો તેમને નિઃસ્વાર્થ શોખ હતો. તેમના માટે સમયની કોઇ પાબંધી કે ‘આરામ’ જેવો શબ્દ તેમના શબ્દકોષમાં નહોતા. સુરતનું પવિત્ર તીર્થધામ અઠવા સ્થિત અંબિકા નિકેતનના ટ્રસ્ટી મંડળના તેઓ દાયકાઓથી ટ્રસ્ટી હતા. ટ્રસ્ટ સંચાલિત ભારતીમૈયા હોસ્પિટલ, ભરત કેન્સર હોસ્પિટલ, ગૌશાળા, સ્કુલ, અશક્તાશ્રમ હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલો સાથે મહેન્દ્રભાઇનું નામ માત્ર જોડાયેલુ નહોતું તેઓ વિવિધ સંસ્થાઓના અવિભાજ્ય અંગ જેવા હતા.
મહેન્દ્રભાઇને લોકોએ અનેક ભૂમિકામાં જોયા હશે. તેઓ સુરત શહેરના ભૂતપૂર્વ કોર્પોરેટર ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ પણ હતા. બિલ્ડીંગના નિર્માણ, ટેક્સટાઇલ, ખેતીવાડી, સહિત અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા હોવા છતાં ભાગ્યે જ તેઓ પાસે સમયનો અભાવ હતો.
થોડા દિવસ પહેલા મહેન્દ્રભાઇને કોઇ ગંભીર બીમારી નહોતી પરંતુ તબીબો સારવારમાં કોઇ કસર છોડવા માંગતા નહોતા અને એટલે જ તેમને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઇની જાણીતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ગણતરીના દિવસોમાં તેઓ ફરી હરતાફરતા થઇ ગયા હતા કે જાણે તેમને કોઇ જ બીમારી નહોતી. તેમની વાત કરવાની પધ્ધતિ પણ એની એ જ હતી. વાત કરનારને અણસાર પણ આવતો નહોતો કે મહેન્દ્રભાઇ બીમાર પડ્યા હશે.
પરંતુ ચહેરા ઉપર નહીં દેખાતી બીમારીએ ધીમે-ધીમે મહેન્દ્રભાઇને શિકાર બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ હરતાફરતા હતા. લોકોને, મિત્રોને મળતા હતા પરંતુ એક નિઃશબ્દ પડછાયો તેમને ઘેરી રહ્યાે હતો. પાછલા કેટલાક દિવસોથી મહેન્દ્રભાઇના ચહેરા ઉપર થાક અને કોઇક અમંગળ ઘટના બનવાના જાણકારોને નિર્દેશ મળી રહ્યા હતા અને ગત શુક્રવાર તા.૨૮/૦૮/૨૦૨૬ની વહેલી સવારે મહેન્દ્રભાઇ પટેલે અચાનક અનંતની યાત્રાની વાટ પકડી લીધી હતી. કોઇને પણ અણસાર આવવા દીધો નહોતો! કોઇને હેરાન કર્યા નહોતા કે કોઇ તબીબને દોડધામ કરાવી નહોતી. તેમના સ્વાભાવગત ઊંડા શ્વાસ લઇને સમાધીમાં લીન થઇ ગયા હતા.
મહેન્દ્રભાઇ કતારગામવાળાનાં નિધન સાથે સુરતના આકાશમાં કાળા વાદળો છવાઇ ગયા હતા. વહેલી સવારનો સૂર્ય પણ ઝાંખો ઝાંખો પ્રકાશ રેલાવી રહ્યો હતો. આકાશમાં ઉડતા પંખીઓનો કલરવ શાંત થઇ ગયો હતો. સુરતે એક મહાન સમાજ સેવક, એક શ્રેષ્ઠી મહાજન, ઉદ્યોગપતિ, અને યોગી જેવું જીવન જીવતો ‘ઓ‌‌િલયો’ ગુમાવ્યો હતો. મહેન્દ્રભાઇ સુરતના રંગ અવધૂત આશ્રમથી શરૂ કરીને નર્મદા કિનારાના અનેક આશ્રમો અને સંતો સાથે જોડાયેલા હતા. તેમના નિવાસે બાવા, સાધુ અને સંતોની કાયમી અવરજવર રહેતી હતી. ઘણી વખત તો તેઓ આગ્રહ કરીને મિત્રો, પરિચિતોને સંતોના આશ્રમમાં લઇ જતા હતા. વળી કોઇક દિવસ તેમના ઘરે કોઇ મહેમાન, મુલાકાતી કે સાધુ સંતો આવ્યા ન હોય એ દિવસ મહેન્દ્રભાઇ માટે અધુરો રહેતો હતો.
મહેન્દ્રભાઇ મોટા ગજાના બિલ્ડર અને ઉદ્યોગપતિ હોવા છતાં સામેના માણસને ભાગ્યે જ અંદાજ આવવા દેતા હતા. તેમને અનાયાસે મળવાનું થાય તો વાતો કરતા કરતા કલાકો ક્યારે નીકળી જાય તેનો અંદાજ રહેતો નહોતો. તેઓ અજાતશત્રુ હતા. જાહેર જીવનમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઇ ત્રીજો પક્ષ હોય મહેન્દ્રભાઇની હાજરી બધા જ પક્ષો માટે સ્વીકૃત હતી. બધાને એમ લાગતું હતું કે મહેન્દ્રભાઇ અમારા છે. વળી ક્યારેક આપણા ખભા ઉપર હાથ મૂકીને વાત કરતા હોય ત્યારે એટલા ભાવુક બની જતા હતા કે તેમની આંખોમાંથી વેદના, ચિંતા કે આનંદના ભાવ તરી આવતા હતા અને જ્યારે કોઇના કામમાં મધ્યસ્થી બનવાનું હોય ત્યારે તેઓ બધા જ કામ પડતા મૂકીને પરોપકાર માટે કલાકો ખર્ચી નાંખતા હતા. અલબત તેમને લોકોની ‘કડી’ બનવાનો ગજબનો નશો હતો.
ખેર, સુરતે એક નખશીખ સજ્જન સેવાભાવી સમાજશ્રેષ્ઠી ગુમાવ્યા છે. થોડા દિવસ પહેલા જ પૂર્વ ધારાસભ્ય સુરતના ભૂતપૂર્વ મેયર, સૌરાષ્ટ્ર યુનિ.ના ભૂતપૂર્વ કુલપતિ, શિક્ષણશાસ્ત્રી અને સેંકડો સંસ્થાઓ સાથે સંકળાયેલા ડૉ. કનુભાઇ માવાણીને સુરતે ગુમાવ્યા હતા. ડૉ. કનુભાઇ માવાણી પણ મહેન્દ્રભાઇના પડોશી હતા. સુરત ધીમેધીમે પ્રમાણિક, ખાનદાન અને જૂની પેઢીના આગેવાનોથી ખાલી થઇ રહ્યું છે. વર્તમાન સ્થિતિમાં ઉદાહરણ આપી શકાય એવા એકાદ બે ચહેરા સિવાય કોઇ રહ્યું નથી. કારણ ખબર નથી પરંતુ નવી પેઢીમાં કોઇક ઉણપ લાગી રહી છે. સમાજનું નેતૃત્વ કરી શકે એવા પ્રભાવશાળી કોઇ ચહેરા રહ્યા નથી અને થોડાઘણાં જે જીવી રહ્યા છે તેઓ પડદાની પાછળ ધકેલાઇને મૌન બનીને જમાનાની બદલાતી તાસીરને જોઇ રહ્યા છે.
કારણ રાજકીય, સામાજિક સ્તરે ઉભરી રહેલી નવી પેઢીને હવે આવા ‘વૃધ્ધ’ થઇ ગયેલા આગેવાનો, સમાજશ્રેષ્ઠીની પરવા નથી. આ તબક્કે આપણે સુરતના સમાજશ્રેષ્ઠી, દાનવીર, ગોરધનદાસ પોપાવાળાનું ચોક્કસ ઉદાહરણ આપી શકાય. ‘આ મારું સુરત’ કહીને પોતાની મિલકતો સમાજસેવા માટે દાનમાં ધરી દેનારાઓને આજે કોઇ યાદ કરતું નથી કે નવી પેઢીને કોઇ ઇતિહાસની યાદ અપાવતું નથી અને એટલે જ નવી પેઢીમાં જવલ્લે જ કોઇ સમાજશ્રેષ્ઠી પેદા થાય છે. નવી પેઢીના યુવાનો આધુનિક અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા હશે પરંતુ સમાજ માટે, પોતાના શહેર માટે, પડોશી માટે કંઇક કરી છૂટવાની ભાવના ધરાવતા લોકો ખૂબ ઓછા હશે.
મહેન્દ્રભાઇ કતારગામવાળા કડવા પાટીદાર સમાજમાંથી આવતા હતા. તેઓ જન્મે અને કર્મે પણ પાટીદાર જેવી ખુમારી ધરાવતા હતા. પરંતુ તેઓને પાટીદાર આગેવાન તરીકે ભાગ્યે જ કોઇ ઓળખતું હતું. વળી તેઓ પાટીદાર કરતા ‘કતારગામવાળા’ તરીકે વધુ જાણીતા હોવાથી તેમની મૂળભૂત ‘કડવા પાટીદાર’ તરીકે ઓળખ ભૂલાઇ ગઇ હતી.
તેમણે જાહેરજીવનની શરૂઆત વરાછા રોડનાં સાધના વિદ્યાલયના સેક્રેટરી તરીકે કરી હતી. ત્યાર પહેલા ૧૯૭૬માં સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ સક્રિય રાજકારણ છોડીને અંબિકા નિકેતન ટ્રસ્ટ, મહાજન અનાથાશ્રમ, ચાઇલ્ડ વેલ્ફેર સોસાયટી, ભારતીમૈયા મેમોરિયલ ટ્રસ્ટ, ભારત કેન્સર હોસ્પિટલ, ચેમ્બર ઓફ કોમર્સ, સર્વોદય સહકારી બેંક, ઉપરાંત અનેક નામી અનામી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા હતા.
રક્ષાબંધન અને શુક્રવાર તા.૨૮મી ઓગષ્ટ ૨૦૨૬નો દિવસ સમગ્ર સુરત શહેર ઉપરાંત અનેક નામી-અનામી સંસ્થાઓ માટે આઘાતજનક નીવડ્યો હતો. સદ્ગતની અંતિમ યાત્રામાં જાણે આખું સુરત ઉમટી પડ્યું હતું અને અશ્વનીકુમાર સ્મશાનઘાટમાંથી નીકળતી અગ્નિની જવાળાઓનાં માધ્યમથી સદ્ગત મહેન્દ્રભાઇ કતારગામ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા હતા. સ્મશાન ઘાટમા નિરવ શાંતિ હતી સેંકડો લોકો હતા પરંતુ જાણે શબ્દો થીજી ગયા હતા લોકો નિઃશબ્દ થઇને સદ્ગતને અંતિમ વિદાય આપી રહ્યા હતા.

VIDEO: દર્દીઓ સાવધાન! સુરતના આ વિસ્તારમાં ડિગ્રી વગર સારવાર કરતા 4 બોગસ ડૉક્ટર ઝડપાયા

ખાદ્ય પદાર્થો, રેસ્ટોરન્ટના પરદા ફાસ્ટ કાર્ય પછી હવે ડોક્ટરોનો વારો પડ્યો છે. સુરતમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પુણા-ઉમરવાડા વિસ્તારમાં પોલીસના દરોડામાં ચાર બોગસ ડૉક્ટરો ઝડપાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ શખ્સો પાસે માન્ય મેડિકલ ડિગ્રી કે જરૂરી લાઇસન્સ ન હોવા છતાં તેઓ વર્ષોથી એલોપેથિક સારવાર કરી રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે દવાઓ અને મેડિકલ સામાન સહિત રૂ.4.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મળતી માહિતી મુજબ, ઝોન-1 એલસીબી અને પુણા પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજીવનગર, આશાનગર અને આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. તપાસમાં આરોપીઓ ધોરણ 10, 11 અને 12 સુધી ભણેલા હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તેમની પાસે MBBS સહિત કોઈ માન્ય તબીબી ડિગ્રી ન હોવા છતાં તેઓ દર્દીઓની સારવાર કરતા અને એલોપેથિક દવાઓનો ઉપયોગ કરતા હોવાનો પોલીસનો આક્ષેપ છે.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ ભિંગુ પાલ, તેજબહાદુર મીર્જારામભાઈ નિશાદ, પ્રશાંતભાઈ પ્રોમથનભાઈ માલાકર અને સુબલ સુનિલ ગાચ્છી તરીકે થઈ છે. પોલીસ તપાસ મુજબ, આરોપીઓ પૈકી એક છેલ્લા 26 વર્ષથી, જ્યારે અન્ય આરોપીઓ 8થી 10 વર્ષથી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસના જણાવ્યા મુજબ, બે આરોપીઓ સામે 2025માં પણ સમાન પ્રકારનો કેસ નોંધાયો હતો.