Home Blog Page 2

વડોદરામાં PM મોદીએ હજારો યુવાનો સાથે કર્યો સંવાદ, ₹35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ

0

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજારો યુવાનો સાથે સંવાદ કરી તેમને નવી ઊર્જા અને વિકાસની દિશાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ₹35,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. યુવાનોની આશાઓ, જનભાગીદારી અને વિકાસની ગતિને કેન્દ્રમાં રાખીને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ તરફની યાત્રાને વધુ વેગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિકાસકાર્યોને ગુજરાતના સર્વાંગી વિકાસ અને યુવાનો માટે નવી તકો ઊભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું હતું.

આશા ભોસલેનું છેલ્લું ફિલ્મી ગીત તેમની 93મી જન્મ તિથીએ રિલીઝ થયું

આશા ભોસલે હવે દુનિયામાં રહ્યા નથી છતાં પણ તેમના ગીતો આજે પણ લોકોના હૃદય પર એટલા જ રાજ કરે છે અને એમનું આ ગીત ફિલ્મો માટે નું છેલ્લું ગીત હોય ખૂબ મહત્વ ધરાવે છે. તેમની 93મી જન્મજયંતિ નિમિત્તે ‘એ મેરી ઝિંદગી, તૂ છુપી હૈ કહાં’ નામનું તેમનું છેલ્લું ફીચર ફિલ્મ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ‘ઓમ કા હરિ’ ફિલ્મના મ્યુઝિક આલ્બમનો ભાગ છે. મુંબઈમાં યોજાયેલા મ્યુઝિક લોન્ચ દરમિયાન ગીત સાથે આશા ભોસલેના રેકોર્ડિંગ સમયના BTS દૃશ્યો પણ રજૂ કરાયા હતા.

ખાસ વાત એ છે કે આશા ભોસલેએ આ ગીતનું રેકોર્ડિંગ 2023ના અંતમાં કર્યું હતું, જ્યારે તેઓ 90 વર્ષની વયે હતાં. ગીતના વીડિયો અને BTS ફૂટેજમાં તેઓ સ્ટુડિયોમાં ગીત રેકોર્ડ કરતા જોવા મળે છે. અહેવાલો અનુસાર, ગીત પસંદ કરતાં જ આશા ભોસલેએ તેને ગાવા માટે સંમતિ આપી હતી અને તેમને તેની ધૂન ખાસ પસંદ આવી હતી.

‘ઓમ કા હરિ’નું દિગ્દર્શન હરીશ વ્યાસે કર્યું છે. ફિલ્મમાં રઘુબીર યાદવ, સોની રાઝદાન, અંશુમન ઝા અને આયેશા કપૂર મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા પિતા-પુત્રના સંબંધની આસપાસ વણાયેલી છે. સંગીત આલ્બમમાં આશા ભોસલે ઉપરાંત અમિત કુમાર અને પારેશ પાહુજાના ગીતો પણ છે, જ્યારે રઘુબીર યાદવે પણ બે ગીતો ગાયા છે.

‘ઓમ કા હરિ’ 18 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આશા ભોસલેનું આ અંતિમ ફિલ્મી ગીત તેમના ચાહકો માટે તેમની અવિસ્મરણીય સંગીત વારસાની ખાસ ભેટ બની રહ્યું છે.

‘આપકા ઓરા હી અલગ હૈ…’ વડોદરામાં PM મોદીને જોઈ Gen-Zનો જુસ્સો છલકાયો

0

વડોદરામાં આજે PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વિકાસની સાથે યુવાનોનો ઉત્સાહ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ₹35,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રને સમર્પણ માટે વડોદરા પહોંચેલા મોદીએ ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમમાં Gen-Z યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો.

મોદીના આગમન સમયે મોટી સંખ્યામાં લોકોએ મોબાઈલ કાઢી તેમની તસવીરો અને વીડિયો કેદ કર્યા હતા. ‘બડે સાહબ’ના નારા, હાર્ટ ઇમોજી અને PM મોદીના સ્માઇલિંગ પોઝે વડોદરાના કાર્યક્રમમાં અનોખો માહોલ સર્જ્યો હતો. વડોદરાના આ કાર્યક્રમમાં 6,000થી વધુ વિદ્યાર્થીઓ અને યુવા સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ જોડાયા હોવાનું અગાઉ જાહેર થયું હતું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમને સામાન્ય રાજકીય સભાથી અલગ અંદાજમાં તૈયાર કરવામાં આવ્યો હતો. મોદીને પ્રેક્ષકોની વધુ નજીક પહોંચાડવા માટે ખાસ Y-આકારનો રેમ્પ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ માટે 6,000 જેટલી બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ ભારે પ્રતિસાદ મળ્યો હતો.

મોદીના સ્વાગત માટે યુવાનો અને યુવતીઓ વિવિધ ક્રિએટિવ પોસ્ટર્સ સાથે પહોંચ્યા હતા. ‘મોદીજી સ્માઈલ પ્લીઝ… મોટિવેશનલ મિલ જાયેગા…’ અને ‘આપકા ઓરા હી અલગ હૈ…’ જેવા મેસેજથી ભરેલા પોસ્ટર્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક યુવાનોએ મોબાઈલની સ્ક્રીન પર હાર્ટ સિમ્બોલ સાથે ‘MODI’ લખીને પોતાના ઉત્સાહનો અંદાજ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં મોદીને જોવા અને સાંભળવા માટે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો અને અન્ય ઉપસ્થિતોએ મોબાઈલથી પળોને કેદ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં ટેક્નોલોજી, લાઇટિંગ અને લાઇવ-પ્રોડક્શનનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન વડોદરાને ₹35,000 કરોડથી વધુના વિવિધ રેલ, રોડ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સની ભેટ મળી છે.

પર્યુષણ એટલે માત્ર ધાર્મિક આરાધના નહીં, પરંતુ પોતાની જાત સુધી પહોંચવાની પવિત્ર યાત્રા : શ્રેણિક વિદાણી

0

પર્યુષણ એટલે માત્ર ધાર્મિક આરાધનાના આઠ દિવસ નહીં, પરંતુ પોતાની જાત સુધી પહોંચવાની એક પવિત્ર યાત્રા છે. આખું વર્ષ માણસ બહારની દુનિયામાં દોડતો રહે છે. ધન, વ્યવસાય, પ્રતિષ્ઠા, સબંધો અને સુખ, સગવડની પાછળ… પર્યુષણ તેને થોડા સમય માટે થોભવાનું અને પોતાના અંતરમાં જોવાનું આમંત્રણ આપે છે.

પર્યુષણ આત્મશુદ્ધિ, સંયમ, સ્વાધ્યાય, તપ અને પ્રતિક્રમણનું પર્વ છે. આ બધી આરાધનાનો અંતિમ હેતુ પોતાની જાતને વધુ શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે. આપણે ઘરની ધૂળ સાફ કરીએ છીએ, શરીરની સ્વચ્છતા રાખીએ છીએ, પરંતુ મનમાં વર્ષોથી જમા થયેલા ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને દ્વેષના જાળા સાફ કરીએ છીએ ખરા.. ? પર્યુષણ ભીતરની આ સફાઈ માટેનું પર્વ છે. આ દિવસોમાં જો આપણે પોતાની જાતને પૂછીએ કે મારા વિચાર, વાણી અને વર્તણૂંકથી કોણ દુભાયું છે..? કોને અન્યાય થયો છે..? તો પર્યુષણનું ચિંતન જીવંત બને.

આજના ઝડપી જીવનમાં માણસ પાસે દુનિયા માટે ઘણો સમય છે. પરંતુ પોતાની સાથે બેસવાનો સમય ઓછો છે. પર્યુષણ એ ખાલી જગ્યા પૂરી કરે છે.

આઠ દિવસની આરાધનાના અંતે જો આપણો ક્રોધ થોડો ઓછો, કરૂણા થોડી વધારે અને અહંકાર થોડો નાનો થયો હોય તો સમજવું કે આરાધના સાર્થક થઈ છે.

પર્યુષણ એટલે ઉત્સવ નહીં, પરંતુ આત્માને મળવાનો સોનેરી અવસર છે. આ મહાપર્વના પ્રથમ ત્રણ દિવસ શ્રાવકોના આચાર ઉપરના પ્રવચનો અને પછીના પાંચ દિવસ પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથ ઉપરના પ્રવચનોની અવિરત ધારા મુનિ ભગવંતોના શ્રીમુખેથી ચાતુર્વિધ શ્રીસંઘ સાંભળશે.

BAPSના સંતોની મુલાકાત દરમિયાન એફિલ ટાવરના મહિલા સ્ટાફને લઈને કેમ થયો વિરોધ?

દુનિયાના સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંના એક એફિલ ટાવર પર એવો વિવાદ ઊભો થયો કે સ્ટાફના વિરોધ વચ્ચે તેના કામકાજને અસર પહોંચી હતી. BAPS સાથે જોડાયેલા આશરે 100 લોકોની ખાનગી મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમની કામગીરીની જગ્યાથી દૂર રાખવામાં આવ્યા હોવાના આરોપ બાદ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. મામલો હવે પેરિસના અધિકારીઓની તપાસ સુધી પહોંચી ગયો છે.

એફિલ ટાવરના યુનિયન પ્રતિનિધિઓના કહેવા પ્રમાણે, BAPSનું પ્રતિનિધિમંડળ પસાર થતું હતું ત્યારે કેટલીક મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન પરથી હટાવી દેવામાં આવી અને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને મૂકવામાં આવ્યા હતા. આ બાબતે સ્ટાફમાં ભારે નારાજગી ફેલાઈ અને 7 સપ્ટેમ્બરે કર્મચારીઓએ બેઠક તથા વિરોધ કર્યો, જેના કારણે સહલાણીઓ માટે એફિલ ટાવર ચાલુ રાખવામાં મુશ્કેલીઓ પડી હતી.

એફિલ ટાવરનું સંચાલન કરતી SETE (Société d’Exploitation de la Tour Eiffel) એ જણાવ્યું કે મુલાકાત દરમિયાન મહિલાઓ સાથેની “ઇન્ટરેક્શન” મર્યાદિત રાખવાની વિનંતી કરવામાં આવી હતી અને આવી શરતો સ્વીકારવી ન જોઈએ. કંપનીએ સમગ્ર મામલે તપાસ કરવાની વાત કહી છે.

બીજી તરફ, BAPSએ મહિલા કર્મચારીઓને ઈરાદાપૂર્વક હટાવવાનો દાવો સ્વીકાર્યો નથી. સંસ્થાએ કહ્યું કે પ્રતિનિધિમંડળ મોટું હોવાથી એફિલ ટાવર મેનેજમેન્ટ સાથે સંકલન કરીને મુલાકાત સામાન્ય સમયની શરૂઆતમાં રાખવામાં આવી હતી, જેથી અન્ય મુલાકાતીઓને ઓછું વિક્ષેપ થાય. BAPSએ કોઈને ટાવરમાં પ્રવેશથી રોકવામાં આવ્યા હોવાની વાત પણ નકારી અને ઘટનાથી કોઈને દુઃખ કે અસુવિધા થઈ હોય તો ખેદ વ્યક્ત કર્યો હતો.

પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોયરે કર્મચારીઓની ફરિયાદને ગંભીર ગણાવી અને તાત્કાલિક તપાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીની અધ્યક્ષા યેલ બ્રોન-પિવેએ પણ મહિલાઓને તેમના લિંગના આધારે પાછળ હટાવવાની કોઈપણ વ્યવસ્થાની ટીકા કરી હતી.

દરમિયાન, કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચેની બેઠક બાદ આયફેલ ટાવર ફરી ખોલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે, મહિલા સ્ટાફ સાથે ખરેખર શું થયું અને જવાબદારી કોની હતી તે અંગે તપાસ હજુ ચાલુ છે.

સુરતની દ્વિતીની અદ્ભુત સ્મરણશક્તિ અને જિજ્ઞાસાએ બનાવ્યો રેકોર્ડ!

જ્યારે બાળકને મોબાઈ આપવાના બદલે તેને અન્ય પ્રવુતિમાં ભાગ લેવા માતા પિતા સહાય કરે છે ત્યારે તે બાળક અણધારી સફળતા મેળવે એ ઉદાહરણ સુરતની માત્ર 5 વર્ષ અને 11 મહિનાની દ્વિતી નીરવ કતારિયાએ પૂરું પાડ્યું છે.

નંબર પ્લેટ પર લખાયેલા બે અક્ષર અને બે આંકડા જોઈને એક નાની બાળકીના મનમાં સવાલ ઉઠ્યો—“ગાડીમાં GJ-05 છે તો રસ્તા પર આગળ દોડતી ગાડી પર MH કેમ લખ્યું છે ?” આ જિજ્ઞાસાએ સુરતની દ્વિતી નીરવ કતારિયાની સ્મરણશક્તિની ચર્ચાને હવે રેકોર્ડ બુકમાં નોંધ્યું છે.

દ્વિતીએ ગુજરાતના તમામ RTO લોકેશનના કોડ્સ માત્ર 1 મિનિટ અને 31 સેકન્ડમાં યાદ કરીને ‘India Book of Records’માં નામ નોંધાવ્યું છે. સત્તાવાર રેકોર્ડ મુજબ તેણે GJ-01થી GJ-40 સુધીના કુલ 40 RTO કોડ્સ સાંભળીને ક્રમશઃ ઓળખાવ્યા હતા.

દ્વિતીની આ સિદ્ધિ પાછળ તેની સતત સવાલ પૂછવાની ટેવ અને નવી વસ્તુ જાણવાની ઉત્સુકતા મહત્વની રહી હોવાનું પરિવારનું કહેવું છે. પ્રવાસ દરમિયાન વાહનોની નંબર પ્લેટ જોઈને શરૂ થયેલી તેની જિજ્ઞાસાએ ધીમે ધીમે RTO કોડ્સ યાદ કરવાની રસપ્રદ પ્રક્રિયાને જન્મ આપ્યો હતો.

પરિવારના જણાવ્યા મુજબ, રમત-રમતમાં શરૂ થયેલું આ શીખવાનું કામ આશરે 20 દિવસથી એક મહિનામાં પૂર્ણ થયું હતું. ત્યારબાદ દ્વિતીની ક્ષમતાને વધુ પ્રોત્સાહન મળે તે માટે રેકોર્ડ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નાની ઉંમરે 40 RTO કોડ્સનું ઝડપી સ્મરણ કરીને દ્વિતીએ માત્ર પરિવાર જ નહીં, પરંતુ સુરત અને ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે.

Apple Foldable iPhoneથી બદલાઈ શકે છે Foldable માર્કેટની ગેમ, Samsung માટે કેમ વધી શકે છે પડકાર?

સ્માર્ટફોન માર્કેટમાં Appleની એન્ટ્રી ઘણી વાર માત્ર એક નવા ફોનનું લોન્ચિંગ નથી હોતી, પરંતુ આખા સેગમેન્ટનું ગણિત બદલતી સાબિત થાય છે. હવે Foldable iPhoneની અપેક્ષિત એન્ટ્રીને લઈને પણ આવું જ દૃશ્ય જોવા મળી શકે છે. Counterpoint Researchના તાજા અનુમાન મુજબ Appleના પ્રવેશ અને Samsung-Huaweiના વધુ પહોળી સ્ક્રીનવાળા ફોલ્ડેબલ ફોનની માંગને કારણે 2027માં વૈશ્વિક ફોલ્ડેબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં 37%નો ઉછાળો આવી શકે છે.

2019માં પ્રથમ કોમર્શિયલ ફોલ્ડેબલ ફોન આવ્યા બાદ આ કેટેગરી હવે આઠમા વર્ષમાં છે. Counterpointનું માનવું છે કે 2026ના અંત સુધી ફોલ્ડેબલ ફોનની કુલ સંચિત વૈશ્વિક શિપમેન્ટ 10 કરોડ યુનિટ પાર કરી શકે છે. જોકે હાલમાં તેનો હિસ્સો સમગ્ર સ્માર્ટફોન માર્કેટમાં માત્ર આશરે 2% છે, એટલે ભવિષ્યમાં વૃદ્ધિ માટે હજુ મોટું સ્થાન છે.

Appleના સંભવિત Foldable iPhoneને લઈને સૌથી મોટું ધ્યાન તેના માર્કેટ ઇમ્પેક્ટ પર છે. Counterpointના અંદાજ પ્રમાણે 2026માં Appleના ફોલ્ડેબલ iPhoneની શિપમેન્ટ 60 લાખ યુનિટ સુધી પહોંચી શકે છે. મર્યાદિત વેચાણ સમય હોવા છતાં કંપની 25% માર્કેટ શેર સાથે સીધી બીજા ક્રમે પહોંચી શકે છે, જ્યારે Samsung 38% સાથે આગળ અને Huawei 22% સાથે પાછળ રહેવાનો અંદાજ છે.

વધુ મહત્વનું એ છે કે 2027 Apple માટે સંપૂર્ણ વર્ષના વેચાણનો પહેલો મોટો તબક્કો રહેશે. તેના ફોલ્ડેબલ ફોનની શિપમેન્ટ બમણાથી વધુ વધી શકે છે અને માર્કેટ શેર લગભગ 40% સુધી પહોંચવાનો અંદાજ છે. આ સ્થિતિ પ્રીમિયમ Foldable સેગમેન્ટમાં Samsung માટે સ્પર્ધા વધુ કઠિન બનાવી શકે છે.

પરંતુ શરૂઆત Apple માટે સરળ નહીં હોય. પ્રારંભિક ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હોવાથી માંગ કરતાં સપ્લાય મોટો પડકાર બની શકે છે. બીજી તરફ, ફોલ્ડેબલ ફોનની કિંમત સામાન્ય સ્માર્ટફોન કરતાં લગભગ ત્રણ ગણી રહેતી હોવાથી તેનું માસ માર્કેટમાં આગમન હજુ સમય લઈ શકે છે. તેમ છતાં Appleની એન્ટ્રી નવા પ્રીમિયમ ગ્રાહકોને આ કેટેગરી તરફ ખેંચે તો સમગ્ર ફોલ્ડેબલ માર્કેટની વૃદ્ધિ વધુ ઝડપી બની શકે છે.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ? જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

0

ગુજરાતમાં વરસાદના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રીની શક્યતા છે. સપ્ટેમ્બરનો મધ્યભાગ રાજ્યના હવામાન માટે મહત્વનો બની શકે છે અને 15 સપ્ટેમ્બર આસપાસ વરસાદી માહોલ ફરી સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, ભારે વરસાદ અંગેની ચોક્કસ આગાહી માટે આગામી દિવસોના હવામાન અપડેટ્સ મહત્વના રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 15 સપ્ટેમ્બર આસપાસ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બનવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ પશ્ચિમ બંગાળ તરફથી આવતી હવામાન સિસ્ટમની અસર ગુજરાત સુધી પહોંચી શકે છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

આગામી દિવસોમાં સિસ્ટમની સ્થિતિ અને તેની દિશા વધુ સ્પષ્ટ થતાં ગુજરાતમાં વરસાદનું વાસ્તવિક ચિત્ર જાણી શકાશે. ખાસ કરીને ખેડૂતો માટે સપ્ટેમ્બરના મધ્યભાગના હવામાન પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.

હાલની સ્થિતિને જોતા રાજ્યમાં વરસાદની નવી શક્યતા તો દેખાઈ રહી છે, પરંતુ ‘મેઘરાજા ભરપૂર વરસશે’ એવું નિશ્ચિત કહેવા માટે હજુ સત્તાવાર આગાહીની રાહ જોવી જરૂરી છે.

ઇન્ડોનેશિયામાં ‘નર્કનું દ્વાર’ ખૂલ્યું ! અનાક ક્રાકાતોઆ જ્વાળામુખી ફાટ્યો, 1,500થી વધુ ફ્લાઇટ્સ રદ

0

ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાતોઆ જ્વાળામુખી ફરી એકવાર ફાટતા ભયનો માહોલ સર્જાયો છે. જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ અને કાળા ધુમાડાના ગોટેગોટા અનેક કિલોમીટર સુધી આકાશમાં ફેલાયા છે. રાખનો ગોટો રાજધાની જકાર્તા તરફ આગળ વધતાં તંત્ર એલર્ટ પર છે.

4 મોટા એરપોર્ટ પર ફ્લાઇટ્સ બંધ

જ્વાળામુખીની રાખને કારણે જકાર્તાના સુકર્ણો-હટ્ટા અને હલીમ પેરદાનાકુસુમા, લામ્પુંગના રાડિન ઇન્ટેન-II અને બાંડુંગના હુસૈન સાસ્ત્રાનેગારા સહિત 4 એરપોર્ટ પર ફ્લાઇટ્સનું સંચાલન રોકવામાં આવ્યું છે. હવામાં રાખનું જોખમ દૂર ન થાય ત્યાં સુધી વિમાનોને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

1,500થી વધુ ફ્લાઇટ્સ અસરગ્રસ્ત

જ્વાળામુખી વિસ્ફોટ બાદ 1,500થી વધુ ફ્લાઇટ્સ રદ અથવા પ્રભાવિત થઈ હોવાનું જણાવાયું છે. આશરે 1.7 લાખ મુસાફરો અલગ-અલગ એરપોર્ટ પર અટવાયા છે. એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે.

જકાર્તા તરફ વધી રહ્યો છે રાખનો ગોટો

સેટેલાઇટ તસવીરોમાં જ્વાળામુખીની રાખના બે મોટા ગોટા જકાર્તા તરફ આગળ વધતા દેખાયા છે. જ્વાળામુખીની રાખ સ્વાસ્થ્ય માટે જોખમી હોવા ઉપરાંત વિમાનના એન્જિન માટે પણ ગંભીર ખતરો બની શકે છે.

અનાક ક્રાકાતોઆનો ખતરનાક ઈતિહાસ

અનાક ક્રાકાતોઆ જાવા અને સુમાત્રા વચ્ચેના સુન્ડા સ્ટ્રેટમાં આવેલો સક્રિય જ્વાળામુખી છે. વર્ષ 2018માં તેના વિસ્ફોટ બાદ જ્વાળામુખીનો એક ભાગ સમુદ્રમાં ધસી પડ્યો હતો, જેના કારણે વિનાશક સુનામી આવી હતી. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત થયા હતા.

‘રિંગ ઓફ ફાયર’ને કારણે વારંવાર વિસ્ફોટ

ઇન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવેલું છે. અહીં ટેક્ટોનિક પ્લેટ્સની હિલચાલને કારણે ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટની ઘટનાઓ સામાન્ય છે. ઇન્ડોનેશિયામાં 120થી વધુ સક્રિય જ્વાળામુખી હોવાનું માનવામાં આવે છે.

હાલ તંત્ર હાઈ એલર્ટ પર છે અને લોકોને જ્વાળામુખીના ક્રેટરથી દૂર રહેવા તથા રાખવાળા વિસ્તારમાં બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

8 સપ્ટેમ્બર 2026 રાશિફળ: આ રાશિઓ માટે દિવસ રહેશે જબરદસ્ત, જાણો તમારી રાશિનું ભવિષ્ય

૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ કરેલ છે:

​મેષ (Aries):
મંગળવારના દિવસે હનુમાનજીની કૃપાથી તમારા સાહસ અને કાર્યક્ષમતામાં મોટો વધારો થશે. કાર્યક્ષેત્રે પડકારો સામે વિજય મળશે અને અટકેલા મહત્વના કાર્યો ઝડપથી પૂર્ણ થશે. આર્થિક રીતે લાભદાયી સ્થિતિ રહેશે, પરંતુ ક્રોધ અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે. પરિવાર સાથે સાંજનો સમય આનંદપૂર્વક વિતશે.


​વૃષભ (Taurus):
આજે નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવી અને બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ રાખવો. વ્યવસાયમાં નવા રોકાણ કે યોજનાઓ શરૂ કરતા પહેલાં વડીલો કે નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે. કૌટુંબિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. સંતુલિત આહાર અને પૂરતો આરામ લેવો.


​મિથુન (Gemini):
તમારી ઉત્તમ બુદ્ધિપ્રતિભા અને વાતચીતની શૈલીથી અટકેલા મહત્વના કાર્યો સરળતાથી પાર પાડી શકશો. વેપાર-ધંધામાં નવી ઉત્સાહજનક તકો સામે આવશે અને આવકના સ્ત્રોત વધશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુકૂળ સમય છે. મિત્રો સાથે મુલાકાત મનને નવી તાજગી આપશે.


​કર્ક (Cancer):
માનસિક શાંતિ જાળવી રાખવા માટે નકારાત્મક ચર્ચાઓથી દૂર રહેવું અને આધ્યાત્મિક વિચારોમાં મન પરોવવું. નોકરીમાં તમારી મહેનત અને પ્રમાણિકતાની યોગ્ય કદર થશે. પારિવારિક સંબંધોમાં સ્નેહ અને મધુરતા જળવાઈ રહેશે અને જીવનસાથીનો પૂરો સાથ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યક્ષેત્રે ધાર્યા પરિણામો પ્રાપ્ત થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને મહત્વપૂર્ણ લોકો સાથેના સંબંધો મજબૂત બનશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જૂના રોકાણોમાંથી ઉત્તમ લાભ મળશે. દાંપત્યજીવન સુખમય રહેશે.


​કન્યા (Virgo):
કામકાજનો બોજ વધુ હોવા છતાં યોગ્ય આયોજનથી તમે તમામ કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો. નાણાકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી અને ઉતાવળા નિર્ણયો લેવાથી બચવું. પરિવારના સભ્યો તરફથી જરૂરી સહયોગ અને માર્ગદર્શન મળશે. નિયમિત યોગ અને કસરતથી તાજગી જળવાશે.


​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક લાભ અપાવનારો સાબિત થશે. વેપાર-ધંધામાં સારો નફો મળવાના અને નવા સંપર્કો બનવાના શુભ યોગ છે. કૌટુંબિક વાતાવરણ આનંદમય અને ઉત્સાહવર્ધક રહેશે. જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મળતાં મન દિવસભર પ્રફુલ્લિત રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
રાશિ સ્વામી મંગળના પ્રભાવથી કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધશે અને વિરોધીઓ શાંત રહેશે. કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થશે જે ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને ઉત્તમ રહેશે.


​ધન (Sagittarius):
ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે રુચિ વધશે અને દાન-પુણ્યમાં મન વિશેષ લાગશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવા લાગશે. નાની અને લાભદાયી યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાનો તરફથી કોઈ ઉત્સાહજનક સમાચાર મળશે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ જાળવવો, વાદ-વિવાદ કે ઉગ્રતાથી દૂર રહેવું હિતાવહ છે. કાર્યક્ષેત્રે મહેનત વધારે કરવી પડશે પરંતુ તેનું ફળ લાંબા ગાળે સકારાત્મક આવશે. નાણાકીય બાબતોમાં આયોજનપૂર્વક આગળ વધવું. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.


​કુંભ (Aquarius):
ભાગીદારીના વ્યવસાયમાં સારો આર્થિક લાભ થશે અને નવી યોજનાઓ શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને પરસ્પર વિશ્વાસ વધુ દ્રઢ બનશે. તમારી નવીન વિચારસરણી અને સર્જનાત્મકતાની પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન વધશે.


​મીન (Pisces):
કાર્યસ્થળે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને મહેનતનું ધાર્યું પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળવાના ઉત્તમ યોગ છે. નાણાકીય બચતમાં વધારો થશે અને બિનજરૂરી ખર્ચ પર સારો અંકુશ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આત્મસંતોષ મળશે.