પર્યુષણ એટલે માત્ર ધાર્મિક આરાધનાના આઠ દિવસ નહીં, પરંતુ પોતાની જાત સુધી પહોંચવાની એક પવિત્ર યાત્રા છે. આખું વર્ષ માણસ બહારની દુનિયામાં દોડતો રહે છે. ધન, વ્યવસાય, પ્રતિષ્ઠા, સબંધો અને સુખ, સગવડની પાછળ… પર્યુષણ તેને થોડા સમય માટે થોભવાનું અને પોતાના અંતરમાં જોવાનું આમંત્રણ આપે છે.
પર્યુષણ આત્મશુદ્ધિ, સંયમ, સ્વાધ્યાય, તપ અને પ્રતિક્રમણનું પર્વ છે. આ બધી આરાધનાનો અંતિમ હેતુ પોતાની જાતને વધુ શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે. આપણે ઘરની ધૂળ સાફ કરીએ છીએ, શરીરની સ્વચ્છતા રાખીએ છીએ, પરંતુ મનમાં વર્ષોથી જમા થયેલા ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને દ્વેષના જાળા સાફ કરીએ છીએ ખરા.. ? પર્યુષણ ભીતરની આ સફાઈ માટેનું પર્વ છે. આ દિવસોમાં જો આપણે પોતાની જાતને પૂછીએ કે મારા વિચાર, વાણી અને વર્તણૂંકથી કોણ દુભાયું છે..? કોને અન્યાય થયો છે..? તો પર્યુષણનું ચિંતન જીવંત બને.
આજના ઝડપી જીવનમાં માણસ પાસે દુનિયા માટે ઘણો સમય છે. પરંતુ પોતાની સાથે બેસવાનો સમય ઓછો છે. પર્યુષણ એ ખાલી જગ્યા પૂરી કરે છે.
આઠ દિવસની આરાધનાના અંતે જો આપણો ક્રોધ થોડો ઓછો, કરૂણા થોડી વધારે અને અહંકાર થોડો નાનો થયો હોય તો સમજવું કે આરાધના સાર્થક થઈ છે.
પર્યુષણ એટલે ઉત્સવ નહીં, પરંતુ આત્માને મળવાનો સોનેરી અવસર છે. આ મહાપર્વના પ્રથમ ત્રણ દિવસ શ્રાવકોના આચાર ઉપરના પ્રવચનો અને પછીના પાંચ દિવસ પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથ ઉપરના પ્રવચનોની અવિરત ધારા મુનિ ભગવંતોના શ્રીમુખેથી ચાતુર્વિધ શ્રીસંઘ સાંભળશે.





