Home Blog Page 195

સાણંદના નિર્માણ ગ્રીન બંગલોઝમાં દારૂની મહેફિલ પકડાઈ, 80થી વધુ લોકોની અટકાયત

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ’ નામના વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કાની પાર્ટી પર પોલીસે ગત રાત્રે દરોડો પાડ્યો હતો.

યુવક-યુવતીઓની અટકાયત
બાતમીના આધારે કરવામાં આવેલા આ ઓપરેશનમાં પોલીસે 80થી વધુ યુવક-યુવતીઓની અટકાયત કરી હતી અને મોટા પ્રમાણમાં દારૂ તથા હુક્કાનો સામાન જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ વિકેન્ડ હોમમાં ‘AV’ નામની 25મી એનિવર્સરી નિમિત્તે ખાનગી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી માટે વિશેષ ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા અને અંદાજે 11 ટેબલ પર કેક, હુક્કા તેમજ વિદેશી દારૂ પીરસવામાં આવી રહ્યો હતો.

પોલીસ પહોંચતા જ પાર્ટીના રંગમાં ભંગ પડ્યો
પોલીસની ટીમ સ્થળ પર પહોંચતા જ પાર્ટીમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે કુલ 38 યુવતીઓ અને 43 યુવકોને અટકાયત કરી હતી. નોંધનીય છે કે, આ પાર્ટીમાં હાજર મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તેમાં કેટલાક માલેતુજાર પરિવારના સભ્યો અને જાણીતી હસ્તીઓ પણ સામેલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસે દારુની બોટલો સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો
અટકાયત બાદ તમામને સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓનું મેડિકલ પરીક્ષણ વહેલી સવારે પૂર્ણ કરી તેમને નોટિસ ફટકારીને મુક્ત કરવામાં આવી હતી, જ્યારે પુરુષોને મેડિકલ તપાસ બાદ આગળની કાર્યવાહી માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી 10થી વધુ હુક્કા, અનેક દારૂની બોટલો અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પાર્ટીના આયોજકો તેમજ સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.

ગુજરાતમાં વધુ એક ભીષણ અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે, અવારનવાર અકસ્માતના સમાચાર પ્રકાશિત થાય છે, ત્યારે વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની હતી, જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે.

અકસ્માતમાં ટ્રકનો કુચડો બોલી ગયો
ગત મોડી રાત્રે ધોળકા-બગોદરા હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. અકસ્માતમાં પતિ, પત્ની અને તેમના નાનકડા પુત્રનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો કુચડો બોલી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમને ભારે મહેનત કરવી પડી.

અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી
આ અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ, બગોદરા તરફ જતા ટ્રકને ખાનપુર ફાટક નજીક એક અજાણ્યા વાહનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકનો આગળનો ભાગ તૂટી ગયો હતો. અકસ્માત સર્જનારા અજાણ્યા વાહન ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. મોડી રાતે થયેલા અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

એક જ પરિવારના ત્રણ જીવ ગુમાવ્યા
આ દુર્ઘટનામાં પતિ, પત્ની અને તેમના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને કોઈ બચાવવાનો સમય મળ્યો ન હતો. સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે 108 ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ ત્રણેયનું મોત થયું હતું. જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજા થવાને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી
ધોળકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્ર ખસેડ્યા છે. અજાણ્યા વાહન ચાલકની શોધ માટે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. અકસ્માતના કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ ક્રેનની મદદથી વાહન દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. પોલીસ હાલ તપાસ ચાલુ રાખી છે અને ભાગી ગયેલા વાહન ચાલકને ઝડપી પાડવા માટે કડક પગલાં લઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ રોડ પર અનેક અકસ્માતની ઘટનાઓ બની છે તેમ છતાં લોકો બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અકસ્માત સર્જે છે, જેમાં નિર્દોષ લોકોના જીવ હોમાય જાય છે. અકસ્માતને કારણે સમગ્ર વિસ્તાર ભય અને શોકમાં ડૂબી ગયો હતો.

બિહારના દરભંગામાં મજૂરીના વિવાદમાં 200 બ્રાહ્મણો સામે એટ્રોસિટી કેસ દાખલ

0

બિહારના દરભંગામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મજૂરીના મુદ્દે બોલાચાલીમાં 200 બ્રાહ્મણો સામે એટ્રોસિટીનો કેસ ઠોકી દેવાયો છે. કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારના હરિનગર ગામમાં જૂના પૈસાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે ગામના 70 લોકો સામે નામજોગ FIR નોંધવામાં આવી છે, જેઓ તમામ બ્રાહ્મણ જ્ઞાતિના હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, 100 થી 150 અજ્ઞાત લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં 12 લોકોની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ છે.

શું હતી ઘટના?
હરિનગર ગામમાં જૂના પૈસાની લેવડ-દેવડને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો અને મારામારી થઈ હતી. આ અથડામણમાં મહિલાઓ અને એક બાળકી સહિત કુલ 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવારને દરભંગા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાતીય રંગ અપાયાની ચર્ચા
આ સમગ્ર હિંસાનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેના કારણે વિસ્તારમાં ભારે તણાવનો માહોલ છે. આ વિવાદ 30 જાન્યુઆરીથી શરૂ થયો હતો જે હવે ગંભીર બની ગયો છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ ઘટનાને જાતીય રંગ આપવામાં આવી રહ્યો હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

વિવાદનું મૂળ પૈસાની લેવડ દેવડ છે. ગામના એક યુવકે મકાનનું બાંધકામ કર્યું હતું. જેના આશરે 2.47 લાખ બાકી હતી. આ અંગે તેણે યુવકના માતા-બહેનને રસ્તામાં રોકીને પૈસાની માંગ કરી હતી. જે બાદ મામલો બિચક્યો હતો. પંચાયત સ્તરે પણ મામલો ઉકેલવાની કોશિશ થઈ હતી પરંતુ વિવાદ વધી ગયો હતો અને બંને પક્ષોમાં બબાલ થઈ હતી.

પોલીસે જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં પૈસાની લેવડ દવેડ લાગી રહી છે. જેને જાતિયા રંગ આપવાની કોશિશ થઈ રહી છે. હાલ આવો કોઈ પુરાવો મળ્યો નથી. અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એફઆઈઆર નોંધીને આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે. આ બનાવના પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવાઈ છે. પોલીસ મુજબ કોઈને પણ છોડવામાં નહીં આવે અને કડક કામગીરી કરવામાં આવશે.

કાપડ ઉદ્યોગને આધુનિકીકરણના માર્ગે લઇ જનાર ભરત ગાંધી ઇ‌િ‌ત‌હાસમાં હંમેશાં યાદ રહેશે

  • ભરત ગાંધી ઇચ્છતા હતા કે ઘરમાં હાથશાળ ચલાવતા વણાટ ઉદ્યોગના આધુનિકીકરણ સાથે ઓળખ પણ બદલાવી જોઇએ અને દાયકાઓનાે પરિશ્રમ આખરે લેખે લાગ્યો હતો
  • ભરત ગાંધી અને સાથે મિત્રો કાપડ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય હરોળમાં લઇ જવા માંગતા હતા, આજે સમગ્ર ચિત્ર બદલાઇ ચૂક્યું છે. કાપડનો કારખાનેદાર હવે પોતાની બ્રાન્ડ સાથે કાપડ વેચે છે, આનાથી મોટી સફળતા કઇ હોઇ શકે?
  • વેપાર માટે ટ્રેડ સેન્ટર અને વિદેશ વેપાર માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ આ બન્ને સુવિધા સાકાર કરવામાં ભરત ગાંધીની નિર્ણાયક ભૂમિકા હતી
  • ચેમ્બર ઓફ કોમર્સના બિ‌િલ્ડંગ વૈશ્વિક કક્ષાની બનશે એવું કોઇએ વિચાર્યું પણ નહીં હોય, પરંતુ ભરત ગાંધી અને મિત્રોએ આ કલ્પના કરી હતી અને કલ્પના મૂર્તિમંત પણ કરી
  • સુરતમાં વિશાળ અને પિલરલેસ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર બનાવી શકાય એવી કોઇએ કલ્પના પણ કરી નહીં. આ વિચારના મૂળમાં પણ ભરત ગાંધી હતા
  • ભરત ગાંધીના અનુગામી તરીકે રાજેન્દ્ર ચોખાવાળાને જવાબદારી સોંપવામાં આવી છે, ભરત ગાંધીની સમાન વિચારધારા ધરાવતા રાજેન્દ્ર ચોખાવાળા સો ટકા સફળ સુકાની પુરવાર થશે

સુરત સહિત ગુજરાતના વણાટ ઉદ્યોગને ‘‘ટેક્સટાઇલ’’ની ઓળખ અપાવનાર અને ઉદ્યોગને આધુનિક મશીનરીઓથી અદ્યતન બનાવવા તથા કાપડ ઉદ્યોગનું સરકારને મહત્ત્વ સમજાવવા વર્ષો સુધી સતત ઝઝૂમતા રહેતા હોનહાર વ્યક્તિત્વ ભરત ગાંધીના નિધનની ઘટનાએ સમગ્ર કાપડ ઉદ્યોગને ભારે આઘાત સાથે આંચકો આપ્યો હતો. ભરત ગાંધી કાપડ ઉદ્યોગની ગઇકાલ, આજ અને આવતીકાલના સાક્ષી હતા. ભરત ગાંધીએ સુરતનાં વર્ષો પુરાણા અને ઘરમાં જ વણાટનાં કારખાના પણ જોયા હતા અને હાથશાળ પણ.હાથશાળથી શરૂ કરીને કાપડ ઉદ્યોગને વૈશ્વિક હરોળમાં આધુનિક બનાવવામાં ભરત ગાંધીએ લોહીપાણી એક કર્યાં હતાં. એક સમયે સરકાર માટે પણ કાપડ ઉદ્યોગનું કોઇ જ મહતત્ત્વ નહોતું. સેંકડો લોકોને રોજગારી આપતો કાપડ ઉદ્યોગ સંગઠીત નહીં હોવાથી સરકાર પણ કાપડ ઉદ્યોગ માટે ઉદાસીન હતી. રાજ્ય કે કેન્દ્ર સરકારના બજેટમાં પણ કાપડ ઉદ્યોગ માટે કોઇ વિશેષ જોગવાઇ કરવામાં આવતી નહોતી. આવા સમયે ભરત ગાંધી કાપડ ઉદ્યોગના આધુનિકીકરણ માટે મથી રહ્યા હતા. કાપડ ઉદ્યોગના આધુનિકીકરણ અને સુરતમાં બનતા કાપડની નિકાસ થાય એ ભરત ગાંધીનું સપનું હતું.

અને લાંબી મથામણ વચ્ચે ભરત ગાંધીએ જબરજસ્ત હિંમત કરીને ઉધના વિસ્તારમાં પોતાની પાવરલૂમ્સમાં શુદ્ધ સિલ્ક કાપડનું ઉત્પાદન કરવાની પહેલ કરી હતી, મુંબઇની યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ભરત ગાંધીએ પ્રારંભે મુંબઇની જે.જે. સન્સ પેઢીમાં ભાગીદારી પણ કરી હતી.એક તરફ મેનમેઇડ ફાઇબર યાર્નના ઠેકાણા નહોતા એવા સંજોગોમાં પ્યોર સિલ્ક કાપડનું ઉત્પાદન કરવાનું સપનું આસાન નહોતું. પરંતુ કંઇક નવું કરવાનું મિશન લઇને ઉદ્યોગમાં ઝંપલાવ્યું હોવાથી ભરત ગાંધીએ પોતાની ‘‘બેટ સન્સ ટેક્ષટાઇલ’’ નામની મિલનું આધુનિકીકરણ કરીને કાપડ ઉદ્યોગને એક નવી જ દિશા આપી હતી.

ભરત ગાંધી માત્ર પોતાના પૂરતા સીમિત નહોતા. તેઓ સમગ્ર કાપડ ઉદ્યોગ માટે ક્રાંતિની મિસાલ હતા અને સુરતના કાપડ ઉદ્યોગને દુનિયાની હરોળમાં મૂકવાનું એક માત્ર લક્ષ્ય હતું. તેઓ કહેતા હતા કે દુનિયાના દેશો ઉચ્ચ કક્ષાનું કાપડ બનાવી શકતા હોય તો આપણે કેમ નહીં?

ભરત ગાંધી અને સાથી મિત્રોની લાંબી લડાઇ સતત મંત્રાલયના આટા ફેરા અને રાજકીય આગેવાનોને રોજગારી આપતા સુરતના કાપડ ઉદ્યોગની મહત્તા સમજાવવામાં સફળ રહેતા. આખરે ક્રમશઃ રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ અમદાવાદની કોટન મિલો બાદ સુરતના કાપડ ઉદ્યોગની મહત્તા સમજાઇ હતી અને કાપડ ઉદ્યોગના આધુનિકીકરણ માટે ‘‘ટેકસટાઇલ અપગ્રેડેશન ફંડ’’ની જોગવાઇ કરવામાં આવી હતી. આ ફંડ મળવાથી સુરતના કાપડ ઉદ્યોગના આધુનિકીકરણનો માર્ગ મોકળો થવા સાથે નવાં-નવાં સંશોધનો થવા માંડ્યા અને સુરતના કાપડ ઉદ્યોગની વૈશ્વિક હરોળમાં ગણના થવા માંડી. અલબત્ત, આ બદલાવ રાતોરાત આવ્યા નહોતા. દાયકાઓની મહેનતના અંતે આજે આકાશને આંબતા અને કરોડોનું ટ્રાન્ઝેકશન કરતા સુરતના કાપડ ઉદ્યોગના વિકાસ પાછળ સ્વ. ભરત ગાંધી જેવા અનેક લોકોએ પરસેવો વહેડાવ્યો હતો. કદાચ કાપડ ઉદ્યોગમાં કરોડોનો વેપાર કરતી વર્તમાન પેઢીને ભરત ગાંધી સહિતના આ ઉદ્યોગના પાયામાં ધરબાયેલા લોકોની ઓળખ પણ નહીં હોય. ભરત ગાંધીએ દુનિયાના કાપડ ઉદ્યોગને સમજવા યુરોપ, જર્મની, ઇટાલી, કોરિયા, જાપાન, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર, હોંગકોંગ, ચીન જેવા અનેક દેશોની મુલાકાત લઇને દુનિયામાં પેદા થતા કાપડ ઉદ્યોગનો અભ્યાસ કર્યો હતો અને તેમના સતત પ્રયાસને કારણે જ સુરતના કાપડ ઉદ્યોગમાં નવીનીકરણનો દોર શરૂ થયો હતો. એક સમયે માત્ર કાપડ વણીને સંતોષ મેળવતા તળ સુરતીઓ આજે માત્ર ગ્રે-કાપડ બનાવતા નથી, બલ્કે કાપડને પ્રિન્ટ કરાવીને પોતાની ઓળખ સાથે વેપાર કરે છે. મતલબ સુરતી હવે માત્ર ‘‘વણા‌િટયો’’ રહ્યો નથી.

ભૂતકાળમાં સુરતીઓનું કાપડ ઉદ્યોગમાં ભારે શોષણ થતું હતું. ડાઇંગ મિલોવાળા કાપડનું પુરેપુરું વળતર તો ઠીક બલ્કે ‘‘તમારું કાપડ બરાબર નથી’’ એવા બહાના કાઢીને મોટી રકમ કાપી લેતા હતા. પરંતુ હવે એ દિવસો ભૂતકાળ બની ગયા છે.

ખેર, ભરત ગાંધી માત્ર કાપડ ઉદ્યેગના આધુનિકીકરણ પુરતા જ સીમિત રહ્યા નહોતા. તેમણે વેપારના સરળીકરણ માટે સુરત એરપોર્ટને ધમધમતું કરવા માટે પણ સરકારમાં સતત રજૂઆતો કરી હતી. આજે સુરત એરપોર્ટ ઉપરથી પ્રવાસ કરતા લોકોને એ વાતનો ખ્યાલ પણ નહીં હોય કે સુરત હવાઇપટ્ટીને એરપોર્ટનું સ્થાન અપાવનારા અનેક લોકોની મહેનત હતી. સુરત આજે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો ભોગવી રહ્યું છે. ભૂતકાળમાં અહીંયા હેલિકોપ્ટર ઉતારવાની પણ પૂરતી ક્ષમતા નહોતી.

ભરત ગાંધીએ કાપડ ઉદ્યોગના આધુનિકીરણ ઉપરાંત ઉદ્યોગને કાયદાકીય રક્ષણ અને ઉદ્યોગના વિકાસ માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની સમગ્ર વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવા સાથે ટ્રેડ સેન્ટર અને દુનિયાની હરોળનું એ‌િક્ઝબિશન સેન્ટર પણ ઊભું કર્યું, તેની પાછળ પણ તેમની દીર્ધ દૃષ્ટિ હતી. સરથાણા ખાતેનું કન્વેન્શન સેન્ટર સુરતનુ નજરાણું બની ગયું છે. વિશાળ એરિયા અને પિલરલેસ વળી સંપૂર્ણ એરકન્ડીશન્ડ સેન્ટર માત્ર પ્રદર્શનો જ નહીં. પરંતુ વિવિધ પ્રવૃત્તિઓથી સતત ધમધમી રહ્યું છે.ભરત ગાંધી કન્વેશન સેન્ટરનું સંચાલન કરતી કમિ‌ટીના ચેરમેન હતા અને અંતિમ પળ સુધી કન્વેન્શન સેન્ટરને વધુ ને વધુ સુવિધાયુક્ત બનાવવા મથામણ કરતા હતા.

ભરત ગાંધીના નિધન બાદ તેમના ખાલી પડેલા સ્થાને ચેરમેન તરીકે ભરત ગાંધીના વિચારધારાના સમકક્ષ કહી શકાય એવા રાજેન્દ્ર ચોખાવાળાની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાજેન્દ્ર ચોખાવાળાએ પણ ભરત ગાંધીના અધૂરા સપનાં પૂરાં કરવાની જવાબદારી સ્વીકારી લીધી હતી. રાજેન્દ્ર ચોખાવાળા માત્ર કાપડ ઉદ્યોગ પૂરતા સીમિત નહીં રહેતા ટેકનીકલ અને અેન્જિનિયરીંગ ક્ષેત્રમાં પણ નિપૂંણ હોવાથી ભરત ગાંધીના આદર્શો સાથે ઉદ્યોગને સતત દિશા ચોક્કસ આપતા રહેશે. રાજેન્દ્ર ચોખાવાળાએ માત્ર ૩૮ વર્ષની ઉમરે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની જવાબદારી સંભાળી હતી. બી.કોમ. અને માર્કેટિંગ મેનેજમેન્ટના ઉચ્ચ અભ્યાસ સાથે ડી.બી.આઇ.એમ. થયેલા રાજેન્દ્ર ચોખાવાળાની વેપાર ઉદ્યોગ અને સામાજિક આગેવાની ‘કુનેહ’થી સુરતના લોકો સુપેરે પરિચિત છે. એક હકીકત છે કે કાયદાના નિષ્ણાત રાજેન્દ્ર ચોખાવાળા મુશ્કેલીના સમયે પણ રસ્તો કાઢવામાં પારંગત પુરવાર થશે.

Surat: ડિંડોલીના રિજન્ટ પ્લાઝમા ફ્લેટમાંથી રાજસ્થાનના ‘ડ્રગ્સ નેક્સસ’નો પર્દાફાશ, ત્રણ તસ્કરો ઝડપાયા

ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા સુરત શહેરમાં ડ્રગ્સના સોદાગરો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 3 અને 4 ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ડિંડોલી વિસ્તારમાં આવેલા ફ્લાવર ગાર્ડન પાસેના રીજન્ટ પ્લાઝામાં એસએમસીની ટીમે ઓચિતો દરોડો પાડીને 1 કિલોથી વધુ પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે રાજસ્થાન મૂળના ત્રણ શખ્સોની ધરપકડ કરી ડ્રગ્સના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

દરોડાની વિગત અને જપ્ત મુદ્દામાલ
એસએમસીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડિંડોલીના રીજન્ટ પ્લાઝામાં આવેલા ફ્લેટ નંબર F-304 માં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ફ્લેટમાંથી 1053.65 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 31,60,950 રૂપિયા થાય છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે 8 લાખની કિંમતના ૨ વાહનો, 95 હજારની કિંમતના ૪ મોબાઈલ ફોન અને 61,100 રૂપિયા રોકડા મળીને કુલ 41,17,050 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ

  • ઓમ પ્રકાશ રુમારામ જાટ: (રહે. બોરનાડા ગામ, લૂણી, જોધપુર, રાજસ્થાન) – આ શખ્સ એમડી ડ્રગ્સનો મુખ્ય
  • સપ્લાયર હોવાનું સામે આવ્યું છે.
  • મહેન્દ્ર સોહનલાલ જોશી: (હાલ રહે. રીજન્ટ પ્લાઝા, ડિડોલી, સુરત; મૂળ રહે. કલવાણા ગામ, ઉદયપુર, રાજસ્થાન).
  • ચૈલસિહ હાથીસિંહ પુરોહિત: (હાલ રહે. રીજન્ટ પ્લાઝા, ડિંડોલી, સુરત; મૂળ રહે. સિરાણા ગામ, જાલોર, રાજસ્થાન).

ત્રણ મુખ્ય સપ્લાયરો વોન્ટેડ
આ ડ્રગ્સ નેટવર્કમાં સામેલ અન્ય ત્રણ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા અમિત કાબા (મૂળ રહે. ભીનમાલ, રાજસ્થાન) તેમજ રાજસ્થાનના ઝાલાવાડના મુખ્ય સપ્લાયરો રાજેશ પાટીદાર અને કંવર પાલ સિંહનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

એસએમસીના પીઆઈ સી.એચ. પાનારા અને પીએસઆઈ આર.જી. વસાવા સહિતની ટીમે એનડીપીએસ એક્ટ1985 ની કલમ 8(સી), 22(સી) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દરોડાથી સુરતના ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

નેપાળથી તૂર્કિયે જતી ફ્લાઈટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ, એન્જિનમાં આગની આશંકા

0

નેપાળના કાઠમંડુથી તૂર્કિયેના ઈસ્તંબુલ જઈ રહેલી ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ નંબર-727નું બુધવારે (4 ફેબ્રુઆરી) કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય (NSCBI) એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનના એન્જિનમાં આગ લાગવાની આશંકા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

કોલકાતા એરપોર્ટના ડાયરેક્ટર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, વિમાનના કેપ્ટને કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જમણી બાજુના એન્જિનમાં આગ લાગી હોવાની અથવા ધુમાડો નીકળવાની સંભાવના અંગે જાણ કરી હતી. આ માહિતી મળતા જ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને બપોરે આશરે 2:49 વાગ્યે વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું હતું.

236 મુસાફરો સુરક્ષિત
લેન્ડિંગ બાદ વિમાનમાં સવાર તમામ 236 મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. હાલમાં વિમાનને એરપોર્ટના આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યું છે, જ્યાં ટેકનિકલ નિષ્ણાતોની ટીમ તેની તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આગ લાગવાની માહિતી માત્ર ટેકનિકલ ખામી હતી કે, ખરેખર એન્જિનમાં કોઈ ગંભીર સમસ્યા હતી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિમાનની આગળની ઉડાન પર રોક લગાવી દેવામાં આવી છે.

મુંબઈ ઇવેન્ટમાં સની લિયોનીનો સ્ટાઇલિશ લુક ચર્ચામાં, ડેનિયલ વેબર સાથે ફોટા વાયરલ

0

બોલિવૂડ દિવા સની લિયોની હાલમાં સ્પ્લિટ્સવિલા 16 હોસ્ટ કરી રહી છે. તે 1 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી. સનીએ આ કાર્યક્રમમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ આ વખતે કારણ થોડું અલગ હતું. તેના પતિ ડેનિયલ વેબર સાથે આવેલી સનીએ પાપારાઝી માટે સ્ટાઈલિશ પોઝ આપ્યો. તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સનીની Oops મોમેન્ટ
અભિનેત્રીને ઈવેન્ટમાં ઉફ્ફ મોમેન્ટનો Oops moment સામનો કરવો પડ્યો હતો. સનીએ ડીપ બ્રાઉન રંગનો ફ્લોર-લેન્થ ગાઉન પહેર્યો હતો જે ડ્રામેટિક અને સોફેસ્ટિકેશનથી ભરપૂર હતો. ગાઉનમાં એક પ્લંજિંગ વી-નેકલાઇન હતી. તેણે ન્યૂનતમ પરંતુ આકર્ષક એક્સેસરીઝ પસંદ કરી હતી. નેકલાઈનને હાઈલાઈટ કરનાર લેયર્ડ નેકલેસ, સ્ટેટમેન્ટ ડ્રોપ ઇયરિંગ્સ અને રિંગ્સ જે ગ્લેમર ઉમેરે છે. તેના હેરને ચિક અપડૂમાં સ્ટાઇલ કરવામાં આવ્યા હતા. સની આત્મવિશ્વાસથી હસતી હતી અને ફોટોગ્રાફર્સ સાથે વાતો કરી રહી હતી, પરંતુ ફોટોશૂટ દરમિયાન તેને અચાનક વોર્ડરોબ માલફંક્શનનો સામનો કરવો પડ્યો હતો. વાયરલ વીડિયોમાં સનીના નિપલ પેચ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા અને કદાચ તેણે શરૂઆતમાં તે ધ્યાનમાં લીધું ન હતું.

ડેનિયલે ઈશારો કર્યો
ઈન્ટરનેટ યુઝર્સ ડેનિયલની પ્રતિક્રિયાથી સૌથી વધુ પ્રભાવિત થયા હોય તેવું લાગે છે. તેમણે સનીની ઉપ્સ મુમેન્ટ જોઈ અને સનીને એક ઈશારો કરીને એલર્ટ કરી. ત્યારબાદ સનીએ પોતાના આઉટફિટ એડજ્ટ કર્યા અને ખૂબ જ ગ્રેસપૂર્વક પરિસ્થિતિને સંભાળી

સનીએ અનેક ઈન્ટરવ્યુમાં તેના પતિ વિશે વાત કરી ચૂકી છે. સની કહે છે કે તેણે તેના જીવનમાં ઘણા મુશ્કેલ સમયનો સામનો કર્યો છે. તેના પતિ ડેનિયલ આ મુશ્કેલ સમયમાં ઢાલની જેમ તેની સાથે ઉભા રહ્યા. મુંબઈના કાર્યક્રમમાં જે બન્યું અને ડેનિયલે જે રીતે તેને સંભાળ્યું તે ખરેખર પ્રશંસનીય છે. ડેનિયલનો તેની પત્ની પ્રત્યેનો આ જેસ્ચર જોઈને અંદાજ લગાવી શકાય છે કે સનીના તેના પતિ વિશેના શબ્દો એકદમ સાચા હતા. સની લિયોન ફિલ્મો, રિયાલિટી ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય છે. તે ઘણીવાર તેની ફેશન પસંદગીઓ અને જાહેર દેખાવને કારણે હેડલાઇન્સમાં રહે છે.

જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી: ઉધમપુરમાં બે આતંકી ઠાર, ઓપરેશન હજુ ચાલુ

0

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય સેનાએ ઉધમપુરમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની વિગતો મળી છે. આ બંને આતંકવાદી જૈશ-એના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલથી અથડામણ થઈ રહી છે, તેમાં આજે બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યાં છે. હજી પણ સેના દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ મામલે જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે વિગતો આપતા જણાવ્યં કે, જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફે સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં ઉધમપુરના બંસંતગઢ વિસ્તારમાં થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યાં છે, અને હજી પણ ઓપરેશન યથાવત છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ગઈ કાલે રામનગરના જાફડ જંગલોમાં આવેલી એક ગુફામાં આતંકવાદીઓ દેખાયા હોવાની વિગતો ભારતીય સેનાને મળી હતી.

ભારતીય સેનાને આતંકીઓ હોવાની જાણકારી મળ્યાં બાદ સેનાએ આ વિસ્તારની ઘેરી લીધો હતો. આ દરમિયાન થયેલી ફાયરિંગમાં એક આતંકી ઘાયલ પણ થયો હતો, પરંતુ પછી તે તેના સાથી સાથે ગુફામાં ભાગી ગયો હતો. આ પછી રાત્રે અંધારાનો લાભ લઈને આતંકીઓ ગુફા છોડીને ફરાર થઈ ગયાં હતા. આ દરમિયાન આ વિસ્તારમાં ભારે ફાયરિંગ થયું હતું. અત્યારે આ વિસ્તારને ભારતીય સેના સંપૂર્ણ રીતે ધેરી લીધો છે. રાત્રે કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું ન હતું.

માહિતી એવી મળી છે કે, આતંકવાદીઓએ આત્મસમર્પણ કરવાની ના પાડી દીધી હોવાથી સેના દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આખા વિસ્તારની મજબૂત રીતે ઘેરાબંધી કરી દીધી છે. આ દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 132મી બટાલિયન સાથેના સંયુક્ત ઓપરેશનથી અબી ગુજર વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં શોધખોળ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

‘માફ કરજો મમ્મી-પપ્પા…’ ત્રણ બહેનોએ નવમા માળેથી કૂદી પહેલાં છોડી સુસાઇડ નોટ

0

વર્તમાન સમયમાં સ્માર્ટફોન અને ઓનલાઇન ગેમ્સ બાળકોના માનસપટ પર કેવી ગંભીર અસર કરી શકે છે, તેનો એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી સામે આવ્યો છે. જે ઉંમરે બાળકોનું ભવિષ્ય ઘડાતું હોય છે, તે ઉંમરે ત્રણ સગી બહેનોએ એક ઓનલાઇન ગેમના રવાડે ચડીને મધ્યરાત્રિએ મરણિયું પગલું ભરી લીધું. આ ઘટનાએ વાલીઓ અને સમાજ માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે.

ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારમાં આવેલી ભારત સિટી સોસાયટીમાં મંગળવારે રાત્રે આશરે 2 વાગ્યે કંપારી છૂટી જાય તેવી ઘટના બની. અહીં રહેતી ત્રણ સગી બહેનો—નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ)—એ બી-1 ટાવરના 9મા માળે આવેલા પોતાના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. આ ત્રણેય બહેનો એટલી હદે એકબીજા સાથે જોડાયેલી હતી કે તેઓ જમવાનું, સૂવાનું અને શાળાએ જવાનું પણ સાથે જ કરતી હતી, અને કમનસીબે મોતનો માર્ગ પણ તેમણે સાથે જ પસંદ કર્યો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેય બહેનોને ઓનલાઇન ગેમ્સની ગંભીર લત હતી. તેઓ ‘કોરિયન લવ ગેમ’ જેવી ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. કોરોનાકાળ દરમિયાન લાગેલા મોબાઈલના વળગણને કારણે તેઓ અભ્યાસમાં પણ અનિયમિત થઈ ગઈ હતી. પરિવાર દ્વારા મોબાઈલ ગેમ રમવાની મનાઈ કરવામાં આવતા તેઓ માનસિક રીતે વિચલિત થઈ હતી અને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાય છે.

આ આત્મહત્યા પાછળનું કારણ પોલીસને ઘટનાસ્થળેથી મળેલી 8 થી 10 પાનાની ડાયરીમાં છુપાયેલું હતું. આ સુસાઈડ નોટમાં ત્રણેય બહેનોએ પોતાની વેદના ઠાલવતા લખ્યું હતું કે, “મમ્મી-પપ્પા સોરી, અમે આ ગેમ છોડી શકતા નથી. આ કોરિયન ગેમ જ અમારી જિંદગી અને અમારો જીવ છે.” મૃતક બાળકિઓના પિતાએ મીડિયાને જણાવ્યું કે, તેમની ત્રણેય દીકરીઓ છેલ્લા 3 વર્ષથી આ ગેમની લતે ચઢી હતી અને તેઓ કોરિયા જવાની વાતો કરતી હતી. વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, મોટી બહેન અન્ય બે બહેનોને ટાસ્ક આપતી હતી અને તેઓ એટલી હદે માનસિક ગુલામ બની ગઈ હતી કે ખાવા-પીવાથી લઈને નહાવા સુધીના તમામ કામો સાથે જ કરતી હતી. પિતાએ અન્ય વાલીઓને આજીજી કરતા કહ્યું છે કે, જે તેમના બાળકો સાથે થયું તે કોઈની સાથે ન થાય, મહેરબાની કરીને બાળકોને મોબાઈલ ગેમથી દૂર રાખજો.

આ દુર્ઘટના બાદ પિતા ચેતન કુમાર સહિત આખો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. ઘરમાં એકસાથે ત્રણ દીકરીઓના મોતથી આખી સોસાયટીમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલો નોંધ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને કોઈ ચોક્કસ ‘ડેથ ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ, જેના કારણે તેમણે 9મા માળેથી મોતની છલાંગ લગાવી.

ચાલો જાણીએ મેદસ્વિતા નિવારવા માટે ઉપયોગી પીણાં વિશે

0

રાજ્ય સરકાર દ્વારા હાલમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન ચાલી રહ્યું છે. રોજીંદા ઉપયોગમાં લેવાતા દેશી પીણાંઓ ચરબી ઓછી કરવા માટે ફાયદાકારક છે. સ્થૂળતા ઘટાડવા માટે સવારમાં દેશી અને આયુર્વેદિક પીણાં પીવા જોઈએ.

ગ્રીન ટી : ગ્રીન ટી ચરબી ઓછી કરવા માટે ઉપયોગી છે, તેમાં ઉચ્ચ એન્ટીઓક્સિડન્ટ હોય છે. ભોજન પછી અને સવારે તેનું સેવન કરવાથી ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. તેનાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ ચયાપચયમાં સુધારો કરે છે.

‘તજ’ની ચા : તજની ચા પીવી, એ શરીરની ચરબી ઓછી કરવાની સરસ રીત છે. સાંજે તજની ચા પીવાથી ચયાપચયને વધારવામાં મદદ કરે છે. તેના એન્ટીબેકટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોને કારણે શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને લીવર સ્વસ્થ રહે છે.

છાશ : જો વજન ઘટાડવા માટે કેટલાક સ્વાદિષ્ટ અને સ્વસ્થ વિકલ્પોની શોધમાં છો, તો છાશ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. છાશને એક શ્રેષ્ઠ પીણાં તરીકે માનવામાં આવે છે, જે પેટની ચરબી ઘટાડે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે, વિટામિન બી-૧૨ અને પોષક તત્વોમાં વધારો કરે છે

જીરાનું પાણી : જીરામાં થાઈમોસિનોન નામનું તત્વ હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત, જીરામાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ છે, જે પાચન અને ચયાપચયમાં વધારો કરે છે. સારી બાબત એ છે કે, તે બનાવવું પણ સરળ છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું અથવા જીરા પાઉડર ઉમેરી તેને હલાવીને પીવાનું હોય છે.

મધ અને લીંબુનું ગરમ પાણી : જ્યારે પેટની ચરબી ઘટાડવાની વાત આવે ત્યારે લીંબુને ગરમ પાણી સાથે પીવું, એ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. લીંબુ શરીરને સાફ કરે છે, ચયાપચયમાં વધારો કરે છે અને ચરબીને ઓગાળવામાં મદદરૂપ થાય છે. તેનો સ્વાદ વધારવા માટે, તેમાં થોડું મધ ઉમેરી શકાય છે. મધ વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. એક કપ ગરમ પાણીમાં અર્ધી ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને તેને સવારે પીવાથી વજન નિયંત્રિત રહે છે.