Home Blog Page 190

સુરતમાં નવનિર્મિત બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં

સુરતમાં ફરી એકવાર ભીષણ આગ લાગી હતી. આ વખતે સિટી લાઈટ એરિયામાં નવનિર્મિત રુંગટા ઓસ્ટ્રિયા નામની બિલ્ડિંગના પાછળના ભાગમાં આગ લાગી હોવાની જાણકારી સામે આવી હતી. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂરથી ધૂમાડાના ગોટેગોટા ઉડતા દેખાઈ રહ્યા હતા. જેના પગલે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળે ધસી આવી આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા.

નવનિર્મિત બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી
આ આગની ઘટના અંગે મળતા અહેવાલ મુજબ, શહેરના સિટી લાઈટ એરિયામાં રુંગટા ઓસ્ટ્રિયા નામની નવનિર્મિત બિલ્ડિંગના પાછળના ભાગમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી ભયાનક છે કે તેના ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાઈ રહ્યા છે. હાલ આગના બનાવને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી
આગ લાગવાની જાણ થતાં જ બિલ્ડિંગના આસપાસના વિસ્તારને ખાલી કરવામાં આવ્યો હતો, લોકોનું રેસક્યૂ કરવામાં આવી રહ્યું છે. ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

આગ પહેલા નીચેના માળે લાગી હતી પરંતુ થોડી ક્ષણોમાં જ આગે વિકરાળ રુપ ધારણ કરીને આખી ઈમારતને ચપેટમાં લઈ લીધી હતી. બિલ્ડિંગના અનેક માળ આગની ચપેટમાં આવી ચૂક્યા છે, આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી રહી છે.

Mahashivrarti 2026: મહાશિવરાત્રી પર શિવલિંગ પર બોર કેમ ચઢાવવામાં આવે છે? અહીં જાણો

0

મહાશિવરાત્રી ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ દિવસ છે. આ વર્ષે મહાશિવરાત્રી 15 ફેબ્રુઆરીએ આવે છે. તેથી, આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરતા જોવા મળશે. ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બેલપત્ર, ધતુરા, ભાંગ અને દૂધ જેવી ઘણી પ્રિય વસ્તુઓ ચઢાવે છે. જોકે, આમાં બોરનું વિશેષ મહત્વ છે.

શિવલિંગ પર બોર શા માટે ચઢાવવામાં આવે છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બોરને દીર્ધાયુષ્ય અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર શિવલિંગ પર બોર ચઢાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને વ્યક્તિના પાપોમાંથી મુક્તિ મળે છે. તેથી, ઘણા લોકો મહાશિવરાત્રી પર પ્રસાદ તરીકે બોર ચઢાવે છે, જેનાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

મહાશિવરાત્રી પર શિવલિંગ પર બોર ચઢાવવાનું મહત્વ
જો તમે લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, અથવા જો કોઈ પ્રસ્તાવ સતત આવતો રહે છે પરંતુ સફળ થતો નથી, તો તમારે મહાશિવરાત્રી પર મંદિરમાં જઈને બોર ચઢાવવું જોઈએ. એવું કહેવાય છે કે આ દિવસે બોર ચઢાવનાર અપરિણીત છોકરીઓને તેમના ઇચ્છિત પતિ મળે છે.

મહાશિવરાત્રી પૂજા દરમિયાન બોર કેવી રીતે ચઢાવવું?
મહાશિવરાત્રી પર, મંદિરમાં જતા પહેલા સ્નાન કરો અને સારા કપડાં પહેરો. ત્યારબાદ, શિવલિંગ પર પાણી અને દૂધ અર્પણ કરો અને પછી ઓછામાં ઓછા 5 કે 11 બોર ચઢાવો. ખાતરી કરો કે બોર સ્વચ્છ છે અને કોઈપણ તૂટેલા કે ક્ષતિગ્રસ્ત ડાઘથી મુક્ત છે. ત્યારબાદ, ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. ત્યારબાદ તેમને પ્રસાદ તરીકે ઘરે લાવો. આ તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે.

Google પ્રેમના રંગે રંગાયું: ‘હેન્ડમેડ લવ’થી જીત્યા યુઝર્સના દિલ

0

ફેબ્રુઆરીની ગુલાબી ઠંડીમાં જ્યારે હવામાં સ્નેહની સુગંધ ભળે છે, ત્યારે કેલેન્ડરનું 14મું પાનું માત્ર તારીખ નથી રહેતું, પણ એક અહેસાસ બની જાય છે. વેલેન્ટાઈન ડે એટલે માત્ર ગિફ્ટ્સની આપ-લે નહીં, પરંતુ બે દિલોના અતૂટ બંધનનો પુનરોચ્ચાર.

આ વર્ષે ગૂગલે પણ તેના હોમપેજને રોમેન્ટિક રંગોથી સજાવ્યું છે, જે દુનિયાભરના પ્રેમીઓને સંદેશ આપે છે કે સાચો પ્રેમ કિંમતી વસ્તુઓમાં નહીં, પણ નાના પ્રયાસમાં છુપાયેલો હોય છે. ગૂગલે આ વખતે “ગિફ્ટિંગ” એટલે કે ભેટ આપવાની કળાને કેન્દ્રમાં રાખીને ખૂબ જ સુંદર આર્ટવર્ક રજૂ કર્યું છે, જેમાં હાથથી બનાવેલી વસ્તુઓ અને હૃદયસ્પર્શી સંદેશાઓ દ્વારા પ્રેમ વ્યક્ત કરવાની ભાવના દર્શાવવામાં આવી છે.

ગૂગલ ડૂડલ આ વખતે માત્ર એક ગ્રાફિક નથી, પરંતુ એક લાગણી છે. આ વર્ષની થીમ હેન્ડમેડ ગિફ્ટ્સ, પર્સનલ નોટ્સ અને સ્વાદિષ્ટ વાનગીઓ પર આધારિત છે. ગૂગલે જણાવ્યું હતું કે, “આજનું ડૂડલ હાથથી બનાવેલી ભેટોની વિચારશીલતાને સેલિબ્રેટ કરે છે. ભલે તમે પ્રેમથી પત્ર લખતા હોવ કે કોઈના માટે ખાસ જમવાનું બનાવતા હોવ, આ દિવસ આપણે જેની કેર કરીએ છીએ તેને માન આપવાની અદભૂત તક છે.” આ ડૂડલ ભારત સહિત યુકે, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, જાપાન અને તાઈવાન જેવા અનેક દેશોમાં લાઈવ કરવામાં આવ્યું છે.

ગૂગલ દ્વારા વિશેષ પ્રસંગો કે મહાન વિભૂતિઓને સન્માન આપવા માટે હોમપેજ પર ‘ડૂડલ’ મૂકવાની પરંપરા વર્ષો જૂની છે. તેની શરૂઆત 1998માં થઈ હતી, જ્યારે સ્થાપક લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને ‘બર્નિંગ મેન’ ફેસ્ટિવલમાં પોતાની હાજરીની જાણકારી આપવા માટે પ્રથમ ડૂડલ બનાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2000માં ફ્રાન્સના બાસ્ટિલ ડે પર પ્રથમ આંતરરાષ્ટ્રીય ડૂડલ રજૂ કરાયું અને 2010માં ‘પેક-મેન’ની વર્ષગાંઠ નિમિત્તે પ્રથમ ઇન્ટરેક્ટિવ ગેમ ડૂડલ લોન્ચ કરવામાં આવ્યું હતું.

નડિયાદમાં LC આપવાના બહાને મહિલાને હોટલ બોલાવનાર આચાર્ય રંગેહાથ ઝડપાયો

શહેરમાં શિક્ષણ જગતને નીચાજોણું થાય તેવી ઘટના આવી છે. નડિયાદની એક શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાની શર્મજનક હરકત સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. નડિયાદ વિસ્તારમાં રહેતી એક ૩૭ વર્ષીય મહિલાએ પોતાના બે બાળકોની શાળા બદલવા માટે લિવિંગ સર્ટિફિકેટ (LC) ની અરજી કરી હતી. આ કામ માટે લંપટ આચાર્યએ સત્તાનો દુરુપયોગ કરી મહિલાને મદદ કરવાને બદલે તેને અમદાવાદમાં આવેલી હોટલમાં મળવા માટે બોલાવી હતી. આચાર્યએ મહિલાને લાલચ આપી હતી કે જો તે હોટલમાં આવશે તો જ તેને બાળકોના LC આપવામાં આવશે.

આચાર્યની મેલી મુરાદને પારખી ગયેલી મહિલા હેબતાઈ ગઈ હતી, પરંતુ આ લંપટને પાઠ ભણાવવા માટે તે હોટલ પહોંચી હતી. જોકે, મહિલા એકલી નહીં પણ પોતાના પરિવાર અને બજરંગ દળના કાર્યકરોને સાથે લઈને પહોંચી હતી. હોટલના રૂમ નંબર ૩૦૪ માં આચાર્ય કિરીટસિંહ ઝાલા પહેલાથી જ હાજર હતો. મહિલા રૂમમાં પ્રવેશી તેની ગણતરીની મિનિટોમાં જ તેના પરિવારે ત્રાટકીને હોબાળો મચાવ્યો હતો.

આ સમયે આચાર્ય ગભરાઈ ગયો હતો અને વિડિયોમાં પોતાનું મોઢું છુપાવતો જોવા મળ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, આચાર્ય પાસેથી હોટલના રૂમમાંથી જ શાળાની સત્તાવાર ‘LC રજિસ્ટર બુક’ પણ મળી આવી હતી, જે તે ગેરકાયદેસર રીતે પોતાની સાથે લાવ્યો હતો.

આ સમગ્ર હાઇવોલ્ટેજ ડ્રામા બાદ મહિલાએ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં આચાર્ય વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં પોલીસે આરોપી આચાર્ય કિરીટસિંહ ઝાલાને નોટિસ ફટકારી છે અને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હાજર થવા આદેશ કર્યો છે. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો આ લંપટ આચાર્ય પર ફિટકાર વરસી રહ્યા છે.

સુરત: ડભોલી-જહાંગીરપુરા બ્રિજ મરામતને કારણે 78 દિવસ ટ્રાફિક ડાયવર્ટ, BRTS રૂટમાં ફેરફાર

સુરત શહેરમાં તાપી નદી પર આવેલ ડભોલી-જહાંગીરપુરા રિવર બ્રિજ પર મરામતનું કામ હાથ ધરવામાં આવનાર છે. બ્રિજના બંને છેડાઓ પર વેરિંગ કોટ રિપેરિંગ કરવાની કામગીરી લાંબા સમય સુધી ચાલવાની હોવાથી સુરક્ષાના હેતુસર વાહનવ્યવહાર ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના જાહેરનામા મુજબ આ કામગીરી દરમિયાન બ્રિજ પર સીધો ટ્રાફિક ચાલુ રાખવો જોખમી ગણાયો છે.

સુરત શહેરમાં તાપી નદી પર આવેલ ડભોલી-જહાંગીરપુરા રિવર બ્રિજ પર મરામતનું કામ હાથ ધરવામાં આવનાર છે. બ્રિજના બંને છેડાઓ પર વેરિંગ કોટ રિપેરિંગ કરવાની કામગીરી લાંબા સમય સુધી ચાલવાની હોવાથી સુરક્ષાના હેતુસર વાહનવ્યવહાર ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના જાહેરનામા મુજબ આ કામગીરી દરમિયાન બ્રિજ પર સીધો ટ્રાફિક ચાલુ રાખવો જોખમી ગણાયો છે.

આ મુજબ 15 ફેબ્રુઆરી 2026 થી 30 એપ્રિલ 2026 સુધી જહાંગીરપુરાથી ડભોલી તરફ જતો ટ્રેક તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. આ પગલાથી મરામતનું કામ ઝડપથી અને સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકાય તેવો તંત્રનો ઉદ્દેશ છે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

બ્રિજ બંધ થવાના કારણે BRTS સેવાઓ પર પણ અસર પડી છે. BRTS રૂટ નં. 13, જે જહાંગીરપુરાથી કડોદરા સુધી ચાલે છે, તેને હવે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ મારફતે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મુસાફરોને સતત સેવા મળી રહે તે માટે આ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે.

તે ઉપરાંત BRTS રૂટ નં. 14 (ONGC થી કોસાડ)ને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક બસ ONGC થી જહાંગીરપુરા સુધી ચાલશે, જ્યારે બીજી બસ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજથી કોસાડ સુધી સેવા આપશે. આ નવી વ્યવસ્થા 13 ફેબ્રુઆરી 2026 થી અમલમાં મુકાઈ ગઈ છે.

જહાંગીરપુરા વિસ્તારના રહીશો માટે ખાસ શટલ બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે, જે ચંદ્રશેખર આઝાદ બ્રિજ, કતારગામ બ્રિજ અને ગજેરા-ડભોલી વિસ્તારને આવરી લે છે. સુરત મહાનગરપાલિકા મુજબ દરરોજ લાખો મુસાફરો બસ સેવાઓનો ઉપયોગ કરે છે, તેથી મરામત પૂર્ણ થયા બાદ તમામ રૂટ ફરીથી નિયમિત કરવામાં આવશે.

સુરત: બિલ્ડર તુષાર ઘેલાણીએ એક મહિલાના બ્લેકમેલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ખુલાસો

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત મામલે તેમના પરિવારજનોએ પોલીસમાં એક મહિલા વિરુદ્ધ અરજી આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે આ મહિલા તુષાર ઘેલાણીને ત્રાસ આપતી હતી. હાલ તો પોલીસ અરજીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. તુષાર ઘેલાણીને એક મહિલા બ્લેક મેલિંગ કરતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. તેવી તુષાર ઘેલાણીના પરિવારે પોલીસને અરજી આપી છે. મહિલા વિરુદ્ધ થયેલી અરજીની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. 4 ફેબ્રુઆરીએ આ જ મહિલાએ હોસ્પિટલમાં આવી હોબાળો પણ મચાવ્યો હોવાનો અરજીમાં જણાવાયુ છે.

મળતી માહિતી મુજબ, સુરતના જાણીતા ઘેલાણી ગ્રુપના માલિક અને 55 વર્ષીય તુષાર ઘેલાણીએ ગત 1 ફેબ્રુઆરીના રોજ પોતાના નિવાસસ્થાને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી માથામાં ગોળી મારી હતી. 9 એમએમની ગોળી મગજને ભેદીને આરપાર નીકળી ગઈ હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 5 ફેબ્રુઆરીના રોજ તેમનું મોત થયું હતું. નોંધનીય છે કે એ જ દિવસે તેમની દીકરીના લગ્ન નક્કી કરાયેલા હતા અને લગ્નની કંકોત્રી બાબતે પરિવાર સાથે થયેલી તકરાર બાદ આત્મહત્યાની વાતો પણ સામે આવી હતી.

હવે, તુષાર ઘેલાણીની બારમીની વિધિ પણ પૂર્ણ થઈ નથી ત્યાં વેસુ વિસ્તારમાં રહેતી મહિલાએ દાવો કર્યો છે કે આ ઘટના આત્મહત્યા નહીં પરંતુ મર્ડર છે. મહિલાએ સુરત શહેર પોલીસ કમિશનરને લેખિત અરજી આપીને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે.

આ મામલે સુરત ડીસીપી નિધિ ઠાકુરએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તુષાર ઘેલાણીના પરિવારજનો તરફથી મહિલાની હેરાનગતિ અને બ્લેકમેઈલિંગના કારણે આપઘાત થયો હોવાનો આક્ષેપ કરતી અરજી મળી છે. આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જો પુરાવા સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહિલાએ પોતાની અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે તુષારભાઈ હરજીભાઈ ઘેલાણી છેલ્લા 15થી 16 વર્ષથી તેમના ખૂબ નજીકના મિત્ર હતા અને તેઓ તેમની સાથે અંગત તથા પારિવારિક બાબતો શેર કરતા હતા. તેણીએ જણાવ્યું કે 1 ફેબ્રુઆરીની સવારે લગભગ 6 વાગ્યે તેને જાણ થઈ હતી કે તુષાર ઘેલાણીએ પોતાની જાતને ગોળી મારી છે અને તેમને મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. શરૂઆતમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળતાં તેણીને થોડી આશા જગી હતી, પરંતુ બાદમાં તેમના અવસાનના સમાચારથી તે ખૂબ દુઃખી અને વ્યથિત બની ગઈ હતી.

સુરતમાં માતા-પુત્રનું કરુણ મોત: ડિવોર્સી પૂનમ શાહે 4 વર્ષના પુત્ર સાથે આપઘાત કર્યો

સુરતના ઉમરા વિસ્તારમાં આજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 26 વર્ષીય ડિવોર્સી માતા પૂનમ શાહે પહેલા પોતાના ચાર વર્ષના વહાલસોયા પુત્રને ગળાફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોએ આ ઘટનાના પાછળ પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા કરવામાં આવતી સતત કનડગત અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનું જણાવ્યું છે. માતા અને માસૂમ બાળકના મોતથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે અને પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

મૃતક પૂનમ છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયર ખાતે માતા અને ભાઈ સાથે રહેતી હતી. ઘટનાના દિવસે સવારે તેનો ભાઈ કોઈ કામ અર્થે ઘરેથી બહાર ગયો હતો. સવારે આશરે 11 વાગ્યાના સમયે તે મોબાઈલ ચાર્જર લેવા અચાનક ઘરે પરત ફર્યો ત્યારે ઘરમાં જોવા મળેલા દૃશ્યથી તેના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. તેણે જોયું કે તેની બહેન પૂનમ અને તેનો ચાર વર્ષનો ભાણેજ બંને પંખા સાથે લટકેલી હાલતમાં હતા. તાત્કાલિક બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતકની માતા ઉષાબેને જણાવ્યું હતું કે પૂનમના આત્મઘાતી પગલાં પાછળ તેના સાસરિયાં જવાબદાર છે. તેમના જણાવ્યા મુજબ પૂનમની નણંદ તેને સતત હેરાન કરતી હતી અને ઘરના તમામ નિર્ણયો પણ નણંદ જ લેતી હતી. સાસુ અને પતિ બંને નણંદની વાત માનીને ચાલતા હતા, જેના કારણે પૂનમ માનસિક રીતે ખૂબ જ ત્રસ્ત હતી.

ઉષાબેને વધુમાં આરોપ મૂક્યો કે પૂનમના પતિ કરણ શાહ ક્યારેય પોતાની પત્નીનો પક્ષ લેતા નહોતા. નણંદના કહેવા પર તે પૂનમ સાથે ઝઘડા કરતા અને તેને છૂટાછેડા લેવા સુધીનું દબાણ કરાતું હતું. લગ્નના પાંચ વર્ષ દરમિયાન પૂનમને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી હતી. પતિ અવારનવાર એવું બહાનું આપતો હતો કે તે દેવાંમાં ડૂબેલો છે અને લગ્નના ખર્ચને કારણે તેની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે, તેથી પૂનમે પિયર રહી જવું જોઈએ.

પૂનમે પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં રહેતા અને કાપડની દુકાનમાં નોકરી કરતા કરણ શાહ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સપનાઓ સાથે શરૂ થયેલી તેમની જિંદગી થોડા જ સમયમાં દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ હતી. ગર્ભાવસ્થા દરમિયાન પણ પૂનમની યોગ્ય સંભાળ લેવાઈ નહોતી અને તેને પિયર મોકલી દેવામાં આવી હતી. માતા ઉષાબેને રડતાં રડતાં જણાવ્યું હતું કે તેમની દીકરી ક્યારેય પરિવાર પર બોજ બનવા માગતી નહોતી, પરંતુ સાસરિયાંએ તેને જીવવા જેવી સ્થિતિમાં જ રાખી નહોતી.

નવસારીના અમલસાડમાં લગ્ન જમણવાર બાદ વરરાજા સહિત 155 લોકોને ફૂડ પોઇઝનિંગ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં એક લગ્ન પ્રસંગમાં ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે જમણવાર અચાનક ઝેરમાં પરિવર્તિત થઈ ગયો. લગ્નમાં જમ્યા બાદ વરરાજા સહિત અંદાજે 155 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને તેઓને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવા પડ્યા.

ઘટનાની વિગતો અનુસાર, અમલસાડના વિકાસ ફળિયામાં ભૂપેન્દ્રભાઈ ટંડેલના પુત્ર નિલ ટંડેલના લગ્નનો પ્રસંગ હતો. આ જમણવારમાં આશરે 1000થી 1200 જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા. મેનુમાં છોલે-પુરી, પનીરનું શાક, દાળ-ભાત, કચુંબર, ફુલવડી, ભૂંગળા અને મીઠાઈ તરીકે દૂધીનો હલવો પીરસવામાં આવ્યો હતો. ભોજન બપોરે 1થી દોઢ વાગ્યે થયું હતું, અને મોડી સાંજે વરરાજાની જાન જલાલપોર જવા માટે રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે મહેમાનોને ઉબકા, ઉલ્ટી, ઝાડા અને ગેસ જેવી તકલીફો શરૂ થઈ.

ખુદ વરરાજા નિલને પણ ગંભીર અસર થઈ અને તેમને તાત્કાલિક સારવાર લેવી પડી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેનુમાંથી કોઈ વાનગીમાં ગરબડને કારણે આ ઘટના બની હશે.ક

ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી. અસરગ્રસ્તોને વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા, જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં 32, કૃષ્ણપુર PHCમાં 22, મંદિર ગામ PHCમાં 22 અને અન્ય ખાનગી તેમજ સ્થાનિક સ્તરે 50થી વધુ લોકોને સારવાર અપાઈ.

આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું કે, કુલ 155 દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 60 જેટલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્યને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ છે. બધા દર્દીઓ સ્થિર છે અને ગામમાં આરોગ્ય વિભાગની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. અન્ય ગામોમાં ગયેલા મહેમાનોની તપાસ પણ ચાલુ છે, અને સ્થળ પર સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.

ભારતનો પહેલો સંગીતમય રસ્તો: 80 કિમી ઝડપે દોડતાં જ વાગશે Jai Ho ગીત

0

મુંબઈ કોસ્ટલ રોડ ભારતનો પહેલો સંગીતમય રસ્તો બન્યો છે. છત્રપતિ સંભાજી મહારાજને સમર્પિત આ કોસ્ટલ રોડ પર ખાસ સંગીત લેન સ્થાપિત કરવામાં આવી છે. જ્યાંથી કોઇ વાહન નિયત કરાયેલ 80 કિમી પ્રતિ કલાકની ગતિથી પસાર થાય ત્યારે સ્લમડોગ મિલિયોનર ફિલ્મનું એ આર રહેમાનનું પ્રસિધ્ધ ગીત જય હો સંભળાય છે. આ વિશ્વનો પાંચમો અને ભારતનો પહેલો સંગીતમય રોડ છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ રોડને જનતા માટે ખુલ્લો મુકતાં ખુશી વ્યક્ત કરી કે, આંતરરાષ્ટ્રીય સ્તરની આ નવીનતમ ટેકનિક, ભારતીય સંસ્કૃતિ અને સંગીતનું એક સુંદર મિશ્રણ હોવાને લીધે આ સંગીતમય રસ્તો સમગ્ર દેશમાં જિજ્ઞાસાનું કારણ બનશે.

આ નવીન પ્રયોગ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુંબઈ કોસ્ટલ રોડ પર નરીમાન પોઈન્ટથી વરલી સુધીના ઉત્તરીય રુટ પર કરવામાં આવ્યો છે. વરલી તરફ જતી ભૂગર્ભ ટનલમાંથી બહાર નીકળ્યા પછી ડિવાઈડરને અડીને આવેલ પહેલી લેનથી 500 મીટર આગળ સંગીત પટ્ટીઓ લગાવવામાં આવી છે. જો આ પટ્ટીઓ પરથી 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવામાં આવે તો જય હો ગીતની ધૂન સાંભળી શકાય છે.

જ્યારે કોઇ વાહન નિયત કરાયેલ ચોક્કસ ગતિથી રસ્તા પર લગાવેલી આ સંગીત પટ્ટીઓ પરથી પસાર થાય ત્યારે વાહનથી સંગીત પટ્ટીઓ સાથે પેદા થતા ઘર્ષણથી આ ગીત સંભળાય છે. સંગીત પટ્ટીઓ પર વાહનના ટાયરથી ઘર્ષણ ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો પર જય હો ગીતની ધૂન સેટ કરવામાં આવી છે.

સંગીતમય રોડ બનાવવાનો આ નવીન વિચાર 2007 માં જાપાનમાં લોકપ્રિય થયો હતો. જાપાની એંજિનિયર શિઝુઓ શિનોદાએ બુલડોઝરની મદદથી રસ્તા પર કામ કરતી વખતે આ ધ્વનિ અસર શોધી હતી. બાદમાં આ પ્રયોગથી મેલોડી રોડ બનાવવાની ટેકનિક વિકસાવવામાં આવી. અત્યાર સુધી વિશ્વમાં જાપાન, હંગેરી, દક્ષિણ કોરિયા અને સંયુક્ત આરબ અમીરાત આવા પ્રયોગો કરી ચૂક્યા છે. ભારતમાં મુંબઈ ખાતે આ પહેલો પ્રયોગ છે.

રાજપાલ યાદવ હજુ જેલમાં જ રહેશે, જામીન ન મળ્યા, કોર્ટે ઝાટકણી કાઢી

0

રાજપાલ યાદવને થોડા વધુ દિવસ તિહાર જેલમાં રહેવું પડશે. ચેક બાઉન્સ અને લોન ચુકવણી કેસમાં તેમને જામીન મળી શક્યા ન હતા. ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. કોર્ટે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. રાજપાલના પરિવારમાં લગ્ન છે, જેના કારણે તેમણે જામીન માટે અપીલ કરી હતી. જોક, કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સ્વરણ કાંતા શર્માએ રાજપાલને ઠપકો આપતા કહ્યું કે તેઓ તેમની જ ભૂલના કારણે જેલમાં છે.

દોઢ દાયકા જૂના લોન કેસના સંદર્ભમાં રાજપાલ યાદવને થોડા વધુ દિવસ તિહાર જેલમાં રહેવું પડશે. અભિનેતાએ ફરિયાદીને વારંવાર ખાતરી આપી છે કે તે પૈસા ચૂકવી દેશે, પરંતુ આવું થયું નથી. કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન રાજપાલના વકીલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે પૈસા ચૂકવવામાં આવશે, પરંતુ આવું થયું નથી. કોર્ટે કહ્યું કે આજે ફરીથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પૈસા ચૂકવવામાં આવશે. સુનાવણી દરમિયાન બ્રેક પહેલાં જસ્ટિસ શર્માએ વકીલને કહ્યું કે પૈસા આપવાની તૈયારી કરી લેજો.

બપોરે 2:30 વાગ્યા પછી કોર્ટમાં સુનાવણી ફરી શરૂ થઈ હતી. રાજપાલના વકીલે કોર્ટને જણાવ્યું કે તેઓ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા. તેમણે જામીન અરજી દાખલ કરી હતી. જસ્ટિસ શર્માએ ઠપકો આપ્યો કે રાજપાલ જેલમાં છે કારણ કે તેમણે પોતાના વચનનો અનાદર કર્યો હતો. તેમણે ઓછામાં ઓછા બે ડઝન વાર કહ્યું હશે કે તેઓ પૈસા ચૂકવશે, પરંતુ પછી તેમણે તેમનું કમિટમેન્ટ પુરું કર્યું નથી. રાજપાલની જામીન સુનાવણી હવે સોમવારે થશે. કોર્ટે બીજા પક્ષને જામીન અરજીનો જવાબ ફાઈવ કરવા કહ્યું છે.

રાજપાલ યાદવના પરિવારમાં 19 ફેબ્રુઆરીએ લગ્ન છે. તેમને તેમના ભાઈ શ્રીપાલ યાદવની પુત્રીના લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે લગ્નમાં હાજરી આપવા માટે અરજીમાં જામીન માટે અરજી કરી હતી.