Home Blog Page 173

iPhone 18 Pro મોડેલનું પરીક્ષણ ઉત્પાદન શરૂ, લોન્ચ ટાઈમલાઈનથી અપગ્રેડ સુધી બધું જાણો અહીં કેટલાક?

0

Apple Inc. ના આગામી પ્રીમિયમ સ્માર્ટફોન મોડલ્સ અંગે મોટી માહિતી સામે આવી છે. iPhone 18 Pro અને iPhone 18 Pro Max નું ટેસ્ટ પ્રોડક્શન શરૂ થઈ ગયું હોવાનું તાજા રિપોર્ટ્સમાં જણાવાયું છે. સામાન્ય રીતે ટેસ્ટ પ્રોડક્શન ફોનના સત્તાવાર લોન્ચ પહેલા અંતિમ તબક્કાની મેન્યુફેક્ચરિંગ ચકાસણી માટે કરવામાં આવે છે, જેમાં કંપની સંપૂર્ણ એસેમ્બલી લાઇનના બદલે કેટલાક મહત્વપૂર્ણ ભાગો ચલાવી પ્રોડક્ટની ગુણવત્તા અને પરફોર્મન્સ ચેક કરે છે.

સપ્ટેમ્બરમાં લોન્ચ થવાની શક્યતા
ટેસ્ટ પ્રોડક્શન શરૂ થવાથી સ્પષ્ટ થાય છે કે કંપની સપ્ટેમ્બર મહિનામાં iPhone 18 Pro મોડલ્સ લોન્ચ કરવાની યોજના મુજબ આગળ વધી રહી છે. જ્યારે સ્ટાન્ડર્ડ iPhone 18 વેરિઅન્ટ માટે ગ્રાહકોને આવતા વર્ષના માર્ચ સુધી રાહ જોવી પડી શકે છે. જાણકારી મુજબ આગામી એક-બે મહિનામાં Pro મોડલ્સનું માસ પ્રોડક્શન પણ શરૂ થઈ શકે છે.
વધુ શોધો
સ્માર્ટફોન

નવા A20 Pro પ્રોસેસર પર ખાસ ધ્યાન
પ્રોડક્શન ટેસ્ટિંગ દરમિયાન કંપની નવા 2nm પ્રોસેસ પર બનેલા A20 Pro પ્રોસેસરને ખાસ ટેસ્ટ કરી રહી છે. સાથે જ મેઈન કેમેરામાં મિકેનિકલ વેરિએબલ અપર્ચર જેવી નવી ટેક્નોલોજી પણ ચકાસવામાં આવી રહી છે, જે ફોટોગ્રાફીમાં વધુ નિયંત્રણ અને ઉત્તમ ક્વોલિટી આપી શકે છે.

નવા કલર ઓપ્શન
iPhone 18 Pro મોડલ્સ નવા અને અલગ દેખાતા કલર ઓપ્શનમાં આવી શકે છે. કંપનીએ બ્રાઉન, પર્પલ અને રેડ કલરનું ટેસ્ટિંગ કર્યું હોવાનું કહેવાય છે. તેમાં ડાર્ક રેડ (રેડ વાઇન શેડ) લગભગ ફાઈનલ માનવામાં આવે છે, જે અગાઉના રેડ કલર કરતાં વધુ ગાઢ અને પ્રીમિયમ દેખાવ આપશે.

મોટા અપગ્રેડ્સ મળશે
iPhone 18 Pro અને Pro Max મોડલ્સમાં નીચે મુજબના મોટા અપગ્રેડ્સ મળવાની શક્યતા છે:

  • 2nm ટેક્નોલોજી પર આધારિત A20 Pro ચિપ
  • અંડર-ડિસ્પ્લે Face ID સપોર્ટ
  • વેરિએબલ અપર્ચર સાથે સુધારેલ મેઈન કેમેરા
  • Pro Max મોડલમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી
  • Dynamic Island નું કદ નાનું કરવામાં આવી શકે છે

આ તમામ અપગ્રેડ્સ સાથે iPhone 18 Pro સિરીઝ વધુ પાવરફુલ અને પ્રીમિયમ અનુભવ આપશે તેવી અપેક્ષા છે. હવે સપ્ટેમ્બર સુધી ટેક્નોલોજી પ્રેમીઓ માટે ઉત્સુકતા વધતી જશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત 3716 કરોડનું ‘અબોડ’ ઘર જપ્ત

0

ઉદ્યોગપતિ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ કથિત બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બીજા તબક્કાની પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 66 વર્ષીય ઉદ્યોગપતિ સવારે 10.30 વાગ્યે મધ્ય દિલ્હીમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા.

તપાસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ તેમનું નિવેદન નોંધશે. ઈડીએ ઓગસ્ટ 2025 માં તેની પ્રથમ વખત પૂછપરછ કરી હતી.

આ તપાસ તેમની ગ્રૂપ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરસીઓએમ) દ્વારા કથિત રીતે 40,000 કરોડ રૂપિયાથી વધુની બેંક છેતરપિંડી સાથે સંબંધિત છે. અંબાણી અને તેમની ઘણી કંપનીઓ પર લોન છેતરપિંડીનો આરોપ છે અને ઇડીએ તાજેતરમાં આ તમામ કેસોની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશો પર એસઆઈટીની રચના કરવામાં આવી હતી.

ઇડીએ સુપ્રીમ કોર્ટને આપેલી માહિતી મુજબ તેણે બેંક લોન છેતરપિંડી અને અન્ય નાણાકીય ગેરરીતિઓના આરોપોની તપાસ માટે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (એડીએજી) વિરુદ્ધ મની લોન્ડરિંગના ત્રણ કેસ દાખલ કર્યા છે.

આ અગાઉ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત 3716 કરોડ રૂપિયાનું ઘર ‘અબોડ’ એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કર્યું હતું. 66 મીટર ઊંચું અને 17 માળનું આ ભવ્ય ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું છે. વર્ષ 2000ની આસપાસ તેમણે આ મોંઘી અને લક્ઝુરીયસ પ્રોપર્ટી ખરીદી હતી. આ બિલ્ડિંગમાં છત પર એક હેલિપેડ છે, જેના પર એક સાથે ઘણા હેલિકોપ્ટર ઉતરી શકે છે.

સુરતમાં સ્થાનિકોએ વિરોધ કરતાં ઉત્રાણ-કોસાડના શેલ્ટર હોમનું સ્થળ ફરી બદલાશે

સુરત મહાનગર પાલિકાના વિવિધ વિભાગોમાં સંકલનના અભાવે મંજુર થયેલા પ્રોજેક્ટ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. સુરત મહાનગરપાલિકાના નવા પૂર્વ ઝોન એટલે કે સરથાણા વિસ્તારમાં ઘરવિહોણા લોકો માટે આશ્રયસ્થાન બનાવવાના પ્રોજેક્ટમાં ફરી એકવાર સ્થળ ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

ગત નવેમ્બર માસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદી પર ઉત્રાણ અમરોલી વચ્ચે બ્રિજનું આયોજન જાહેર કર્યું છે તેની સામે સ્થાનિકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે.

આ બ્રિજની કામગીરી સામે એક તરફ સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ આ બ્રિજના નિર્માણ માટે વરાછા ઝોનમાં પાલિકાના અનામત પ્લોટ ટી.પી. સ્કીમ નંબર 27 ના પ્લોટ નંબર 188 પર મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાંના સ્થાનિક રહીશોએ શેલ્ટર હોમની કામગીરીનો વિરોધ કરતા કામ બંધ કરાયું હતું. આ પહેલાં2.88 કરોડના ખર્ચે શેલ્ટર હોમ બનાવવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને કામગીરી સોંપી દીધી હતી. પરંતુ પાલિકાના બ્રિજ વિભાગે સુચિત બ્રિજ માટે શેલ્ટર હોમ નડતરરૂપ બને તે માટે આ કામગીરી અટકાવવા માટેની સુચના આપી હતી. તેના કારણે શેલ્ટર હોમની કામગીરી સ્થગિત થઈ હતી.

તો વારંવાર આવતા અવરોધોને કારણે હવે વહીવટી તંત્ર દ્વારા આ શેલ્ટર હોમને ટી.પી. સ્કીમ નંબર 73 ઉત્રાણના પ્લોટ નંબર 6-બી પર આવેલા હેલ્થ સેન્ટરના કેમ્પસમાં ખસેડવા માટે હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો છે. જેના કારણે હવે આ નવી જગ્યા રેલ્વે સ્ટેશનથી માત્ર 800 મીટરના અંતરે આવેલી હોવાથી જરૂરિયાતમંદ લોકોને વધુ લાભ મળી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જે માટેની આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેના પર નિર્ણય થશે.

રાજકોટમાં મોડી રાત્રે ફ્લેટમાં આગ, માતા-પુત્રના મોત

રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા છે. મોડી રાત્રે લાગેલી આગમાં માતા- પુત્રના મોતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે રાજકોટના પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગમાં ગૂંગળાઈ જવાથી 92 વર્ષીય માતા પ્રભાબેન પુજારા અને 63 વર્ષીય પુત્ર નરેન્દ્ર પુજારાના મોત થયું છે.

આગમાં ગૂંગળાઈ જવાથી માતા-પુત્રના મોત
પરિવારજનો સાથેની વાતમાં સામે આવ્યું કેસ આ પરિવારે અન્ય જગ્યાએ ફ્લેટ લીધો હતો ત્યાં રહેવા જવાના હતા.6 સભ્યોનો પરિવાર આ ઘરમાં રહેતો હતો,અન્ય ચાર સભ્યો બહાર ગયા હોવાથી તેમનો બચાવ થયો છે,આ ફ્લેટમાં વર્ષોથી રહેતા હોવાથી લગાવ હોવાના કારણે શિફ્ટ નહોતા થઈ રહ્યા હોવાની પણ વાત સામે આવી છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. A ડિવિઝન પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: પાકિસ્તાન બોર્ડરથી હથિયાર-હેરોઇન સપ્લાય કરતો આરોપી અમદાવાદથી ઝડપાયો

0

ગુજરાત ATSએ પાકિસ્તાન બોર્ડર મારફતે પંજાબમાં હેરોઇન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ સપ્લાય કરનારા વોન્ટેડ આરોપી રહેમત અલી શેખને અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરીના કારખાનામાંથી ઝડપી લીધો છે. આરોપી પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાંસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હેરોઇન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ સ્મગલિંગ કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર હતો અને પંજાબથી ભાગીને પહેલા બિહાર તથા ત્યારબાદ અમદાવાદ આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ગુજરાત ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપી મોટા નાર્કોટિક્સ અને હથિયાર સપ્લાય નેટવર્કનો ભાગ છે અને તેણે જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનની પંજાબ બોર્ડર પરથી હેરોઇન, હેન્ડ ગ્રેનેડ તથા પિસ્તોલની કન્સાઇનમેન્ટ મેળવી પંજાબમાં અન્ય શખસોને પહોંચાડી હતી.

આ કેસમાં અગાઉ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 42 કિલો હેરોઇન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર માર્ક પિસ્તોલ અને 46 કારતૂસ જપ્ત કર્યા હતા, ત્યારબાદ રહેમત અલી ફરાર થઈ ગયો હતો અને પહેલા નેપાળ જઈ પછી બિહાર મારફતે ગુજરાત આવ્યો હતો. આરોપી રખિયાલમાં એમ્બ્રોડરીના કારખાનામાં કામના બહાને ત્યાં જ રહેતો હતો અને હવે ATS તેની મદદ કરનારા અન્ય શખસોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે તેમજ આગળની કાર્યવાહી માટે તેને પંજાબ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૮મોં પદવીદાન સમારોહ, ૯૯ અભ્યાસક્રમોના ૮,૭૨૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૮મા પદવીદાન સમારોહમાં ૧૨ વિદ્યાશાખાઓના ૯૯ અભ્યાસક્રમોના ૮,૭૨૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરાઈ હતી. ઉપરાંત મહાનુભાવોના હસ્તે ૧૪૯ પી.એચ.ડી. તથા ૧ એમ.ફિલ. ને પદવીઓ એનાયત કરાઈ હતી. આ પ્રસંગે મહાનુભાવોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપયોગી પરીક્ષાલક્ષી તમામ માહિતી આવરી લેતું VNSGU માટે એક્ઝામિનેશન મેન્યુઅલનું લોકાર્પણ કર્યું હતું.

આ સમારોહને દીપાવતા સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ શંખનાદ અને ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી. પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતા સાંસદએ જીવનભરના સંભારણા સમાન પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે યુવાઓને પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવન સાથે વણી લેવાની માર્મિક શીખ આપતા જણાવ્યું કે, પોતાની સાથે સમગ્ર પરિવાર માટે ગૌરવવંતી આ સફળતા જીવનના મુખ્ય ધ્યેય તરફનું પ્રથમ સોપાન છે. વિદ્યાર્થી જીવન પછીની સાચી કારકિર્દી અને ઓળખ ભવિષ્યના સારા કર્મો નક્કી કરશે.

જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં પ્રવેશવા તૈયાર નવયુવાઓને જીવનના દરેક પડકારને તકમાં રૂપાંતરિત કરી સત્ય, નિષ્ઠા અને પરિશ્રમ સાથે નિશ્ચિત પરિણામ પ્રાપ્ત કરવા ધોળકિયાએ આહ્વાન કર્યું હતું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.એન. ચાવડાએ જણાવ્યું કે, નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના વિકાસ માટે મળેલી રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ પૈકી રૂ.૬૦ કરોડના બહુવિધ શિક્ષણવિકાસના કામો પ્રગતિમાં છે.

આ પ્રસંગે કુલસચિવ આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડિજીલોકરમાં તમામ ૮ હજારથી વધુ ડિગ્રીઓ ડિજીટલી ઉપલબ્ધ બનશે
૫૮મા પદવીદાન સમારોહમાં એનાયત થયેલી તમામ ૮,૭૨૫ ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં ઉપલબ્ધ બનશે, જે લોગઈન આઈડીથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. મહાનુભાવોએ રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝીટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝીટ કરી હતી.

વેસુમાં હની ટ્રેપ કૌભાંડ, મુંબઈ લઈ જઈ વેપારીને ડ્રગ્સ આપી ₹5.04 કરોડની મિલકત હડપ

વેસુ વિસ્તારમાં રહેતા એક ભરતકામના વ્યવસાયીને મુંબઈ લાવવાની લાલચ આપી, ડ્રગ્સ આપી અને હની ટ્રેપમાં ફસાવી દેવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે.આરોપીએ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી અને તેની પત્નીના નામે ₹5.04 કરોડની કિંમતી મિલકત બળજબરીથી પોતાના નામે ટ્રાન્સફર કરી. પાંડેસરા પોલીસે મુંબઈ અને સુરતના ચાર વ્યક્તિઓ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

વેપારી ફસાયો હની ટ્રેપમાં
મુંબઈના ધવલ રમેશ અકબરી પર નોકરી માટે ₹2.28 કરોડ દેવાના હતા. ચુકવણી ટાળવા માટે, ધવલ અકબરી, તેના સહયોગી દીપક બુકટ, આશા હિરપરા અને એક અજાણી મહિલા સાથે મળીને કાવતરું ઘડ્યું.નાણાકીય સમાધાન માટે વેપારીને મુંબઈ લાવવામાં આવ્યો હતો અને ઠંડા પીણામાં નશીલો પદાર્થ નાખીને બેભાન કરવામાં આવ્યો હતો. આરોપીએ બેભાન વેપારીને કપડાં ઉતારી દીધા અને એક અજાણી મહિલા સાથે તેનો નગ્ન વીડિયો બનાવ્યો.

ત્યારબાદ તેઓએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું, વીડિયો વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં જેલમાં મોકલવાની ધમકી આપી. કૌભાંડના ડરથી, આરોપીઓએ ઉદ્યોગપતિ પાસેથી કુલ ₹5.04 કરોડની કિંમતની ત્રણ મિલકતોના દસ્તાવેજો બળજબરીથી મેળવી લીધા. આરોપીઓ એટલા ચાલાક હતા કે તેમણે મિલકતના દસ્તાવેજો માટે વળતર આપવાના બહાને ઉદ્યોગપતિની પત્નીના ખાતામાં પૈસા જમા કરાવ્યા. જોકે, પાછળથી, દબાણ હેઠળ, તેઓએ આખા પૈસા ઉદ્યોગપતિના HUF ખાતામાં અને ત્યાંથી તેમના પોતાના વરાછા બેંક અને IDFC બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા.

આરોપીઓ વધુ પૈસા માંગવાનું અને ધમકી આપવાનું ચાલુ રાખ્યું. તાજેતરમાં, જ્યારે તેની પુત્રીના લગ્ન થયા, ત્યારે ઉદ્યોગપતિએ હિંમત ભેગી કરીને તેના પરિવારને ઘટના વિશે જણાવ્યું. અંતે, તેણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ધવલ અકબરી સહિતની ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. વસાવાએ તપાસ શરૂ કરી છે.

મધ્યપ્રદેશ ચોંકાવનારો: ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લખતી વખતે સગીરે બાળકને જન્મ આપ્યો

0

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક શાળામાં બોર્ડની પરીક્ષા દરમિયાન 10મા ધોરણની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં બાળકને જન્મ આપતાં હંગામો મચી ગયો હતો. આ વાતની જાણ થતાં જ શાળામાં અફરાતફરી મચી ગઈ. વિદ્યાર્થીની અને તેના નવજાત શિશુને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસે શૂન્ય એફઆઈઆર નોંધી છે અને કેસ ટ્રાન્સફર કરી રહી છે.

ધાર જિલ્લાના પીથમપુરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની છે. મંગળવારે સેક્ટર-૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં ગણિતની પરીક્ષા આપવા માટે એક વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી. વિદ્યાર્થીની લગભગ દોઢ કલાક સુધી પરીક્ષા આપી રહી હતી. આ દરમિયાન તેને પેટમાં દુખાવાની ફરિયાદ કરી અને બાથરૂમમાં ગઈ. થોડીવાર પછી, ટોઇલેટમાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો. એક મહિલા કર્મચારીને અંદર મોકલવામાં આવી અને ખબર પડી કે વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપ્યો છે.

પરિવારને આખી ઘટનાની જાણ નહોતી
તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને વિદ્યાર્થી અને નવજાત શિશુને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. બાળકનું વજન બે કિલોગ્રામ છે. માહિતી આપતાં, સેક્ટર-૧ પોલીસ સ્ટેશન વિસ્તારની મહિલા એસઆઈ ચાંદની સિંગરે જણાવ્યું કે આ કેસમાં શૂન્ય એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેને બેટમા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. પરિવારને વિદ્યાર્થીની ગર્ભાવસ્થા વિશે ખબર નહોતી. જોકે, વિદ્યાર્થીની હવે સગાઈ થઈ ગઈ છે.

વિદ્યાર્થીનીએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો. તેણીએ એવી શક્યતા વ્યક્ત કરી કે નવજાત બાળક તેના જમાઈનું છે. પૂછપરછ દરમિયાન, વિદ્યાર્થીનીએ ખુલાસો કર્યો કે આ કેસનો આરોપી તેનો મંગેતર નહીં, પરંતુ બેટમાનો એક યુવાન હતો, જેની સાથે તેણી ગરબા રમતી વખતે મિત્રતા કરી હતી. આ સમય દરમિયાન તેઓ વાતચીત કરવા લાગ્યા, અને તેઓ સતત સંપર્કમાં રહ્યા. તેણી 2024 માં યુવાનને પહેલી વાર મળી હતી. આરોપી પુરુષને હવે કસ્ટડીમાં લેવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે. આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે અને તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.

માંગરોળમાં ગૌહત્યા અટકાવવા ગયેલી પોલીસ પર હુમલો, એક ગૌરક્ષક ઘાયલ

0

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગઈકાલે મોડીરાત્રે ગૌહત્યા અટકાવવા ગયેલી કોસંબા પોલીસની ટીમ પર અસામાજિક તત્ત્વોએ હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મી તથા એક ગૌરક્ષક ઘાયલ થયા હતા. બનાવ બાદ આજે સમગ્ર ગામમાં પોલીસનો મોટો કાફલો ઉતારવામાં આવ્યો છે.

સુરત ગ્રામ્ય DySP બી.કે. વનારની આગેવાની હેઠળ 7 PI, 15 PSI સહિત કુલ 15 ટીમો દ્વારા ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે. દરમિયાન કેટલાક શંકાસ્પદોને ઝડપી વધુ પૂછપરછ માટે કોસંબા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે.

પોલીસ અનુસાર, કોસંબા નજીક આવેલા હથોડા ગામમાં ગૌહત્યા થવાની બાતમીના આધારે પોલીસ અને ગૌરક્ષકો રેડ માટે પહોંચ્યા હતા. તે સમયે હાજર રહેલા શખસોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘાયલ પોલીસકર્મી કીમ-કોસંબાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ મામલે સુરત જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે રાત્રે દોઢથી બે વાગ્યાના સમયગાળામાં પોલીસ સ્ટાફ સર્ચમાં હતો ત્યારે બે બાઈક પર આવેલા શખસોએ બોલાચાલી કર્યા બાદ ફોન કરીને અંદાજે 50 જેટલા લોકોને બોલાવી લીધા હતા અને બાદમાં ટોળાએ પોલીસ તથા બાતમીદાર પર જીવલેણ હુમલો કર્યો હતો.

પોલીસે હત્યાના પ્રયાસ, રાયોટિંગ તથા ફરજમાં અડચણના ગુનાઓ નોંધ્યા છે. અત્યાર સુધીમાં કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને એફએસએલની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદો હાથમાં લેનાર કોઈને છોડવામાં આવશે નહીં.

આ તરફ ગૌરક્ષક સાજન ભરવાડ અને સુરત જિલ્લા બજરંગ દળ સંયોજક જય પટેલે પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે હથોડા સહિત આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં અવારનવાર ગૌહત્યાની ઘટનાઓ બને છે છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી થતી નથી.

સુરત જિલ્લા બજરંગ દળ સંયોજક જય પટેલે જણાવ્યું હતું કે સાજન ભરવાડને બાતમી મળી હતી કે કોસંબાના હથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌહત્યા થવાની છે. આ બાતમીના આધારે પોલીસને જાણ કરીને એક ગૌરક્ષક અને પાંચ પોલીસ સાથે મળીને એ જે સ્થળે ગૌહત્યા થવાની હતી એ સ્થળ પર રેડ કરવા ગયા હતા.એ સ્થળ પર પહોંચે એની પહેલાં જ ત્યાંના સ્થાનિકોએ ગૌરક્ષકોને અને પોલીસને ઘેરીને પોલીસ પર હુમલો કર્યો હતો. એમાં અમારા એક ગૌરક્ષકના માથા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો છે, એને માથા પર હેમરેજ છે અને એક પોલીસકર્મીનો હાથ ભાંગી ગયો છે.

હજીરાની એક કંપનીમાં 5000થી વધુ શ્રમિકો વિફર્યા, ભારે તોડફોડ અને આગચંપી

પાણીપતમાં એક કર્મચારીના મોતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેની ઘેરી અસર સુરતના હજીરા સ્થિત L & T કંપનીમાં જોવા મળી છે. SMP-3 પ્લાન્ટના પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતા મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓએ અચાનક કામ બંધ કરીને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો.

પાણીપતની ઘટનાના આક્રોશ વચ્ચે હજીરાના પ્લાન્ટમાં પણ કર્મચારીઓ એકઠા થઈ હડતાલ પર ઉતરી આવ્યા હતા. પગાર વધારાની લાંબા સમયથી પડતર માંગણી તેમજ કામના કલાકોમાં કરાયેલા વધારાને લઈને શ્રમિકોએ ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

આ દરમિયાન 10થી વધુ વાહનોમાં તોડફોડ કરી કેટલાક વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. શ્રમિકોએ કાર, બાઈક સહિત કંપનીની મિલકતોને નિશાન બનાવતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.

પગાર વધારાની માંગને લઈને વહેલી સવારે કંપનીના નિર્માણાધીન નવા પ્લાન્ટ ખાતે અંદાજે 5000થી વધુ કર્મચારીઓ એકાએક વિફર્યા હતા. આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની માંગ અને કામના કલાકોમાં વધારો હોવાનું જાણવા મળ્યું છે.

શ્રમિકોએ પોતાની માંગણીઓ સંતોષાય તે માટે ભારે સૂત્રોચ્ચાર કરીને પ્લાન્ટનું કામકાજ સંપૂર્ણપણે અટકાવી દીધું હતું. વિરોધ દરમિયાન કંપનીની ત્રણ ફાયર ફાઈટર ગાડીઓમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જ્યારે ચાર જેટલા બાઈકને આગના હવાલે કરી દેવામાં આવ્યા હતા.

પ્લાન્ટના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રવેશ માટે લગાવવામાં આવેલી આધુનિક મશીનો તોડી નાખવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભીડને વિખેરવા માટે પોલીસ દ્વારા 40થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ હિંસક તોડફોડ અને કાયદો-વ્યવસ્થાના ભંગ બદલ પોલીસે અત્યાર સુધીમાં 25થી વધુ શ્રમિકોની અટકાયત કરી છે. હાલમાં પ્લાન્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મામલો શાંત પાડવા માટે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે વાતચીતના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્લાન્ટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ કંપનીના અધિકારીઓ અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત કરીને મામલો શાંત પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

AM/NS (આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ) કંપનીના હઝીરા પ્લાન્ટ પ્રોજેકટ સાઈટ પર L&T દ્વારા નિયુક્ત કરાયેલા કામદારોનો એક જૂથ આજે તેમની સંસ્થા L&T સામે કેટલીક માંગણીઓ રજૂ કરવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થઈ દેખાવો કર્યો હતો.

L&T મેનેજમેન્ટ કામદારો સાથે ચર્ચા કરીને પરિસ્થિતિને ઝડપથી સંભાળી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓ પણ સ્થળ પર પરિસ્થિતિનું સંચાલન કરવામાં જોડાયેલા છે.

AM/NS (આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ) કંપનીએ એક પરિપત્ર જારી કર્યો હતો કે કારીગરોની આ હડતાળ તોડફોડ AM/NS કંપનીમાં નહીં પરંતુ L&Tમાં થઈ હતી.