Home Blog Page 112

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી, તાપીમાં ભાજપના બે જૂથ વચ્ચે ઘર્ષણ

આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અપશબ્દો બોલતા નજરે પડે છે. આ ઘટનાને પગલે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, મામલો બિચકતા વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

બપોરે 3 વાગ્યા સુધીની મહાનગરપાલિકાઓમાં મતદાનની ટકાવારી

મહાનગરપાલિકાનું નામમતદાનની ટકાવારી (%)
વાપી53.74%
નવસારી50.71%
મોરબી50.34%
નડીયાદ49.15%
મહેસાણા46.90%
કરમસદ-આણંદ44.58%
સુરત42.51%
ભાવનગર39.56%
સુરેન્દ્રનગર39.41%
રાજકોટ37.65%
જામનગર37.18%
વડોદરા36.08%
અમદાવાદ34.75%
ગાંધીધામ30.12%
પોરબંદર29.85%

સુરતમાં વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલમાં સૌથી વધુ 10.14 ટકા મતદાન થયું

સુરતમાં વહેલી સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાતાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકામાં સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન સરેરાશ 6.89 ટકા મતદાન નોંધાયું છે.

વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલમાં સૌથી વધુ 10.14 ટકા મતદાન થયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડીમાં નોંધાયું છે, જ્યાં માત્ર 3.9 ટકા મતદાન થયું છે. બીજી તરફ વોર્ડ નંબર 25 ઉધના યાર્ડમાં પુરુષ મતદારોમાં સૌથી વધુ 11.6 ટકા મતદાન નોંધાયું છે. ઉપરાંત વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલમાં મહિલાઓ દ્વારા 8.68 ટકા મતદાન થયું છે. કુલ મળીને 30 વોર્ડમાં પુરુષ મતદારોનું સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 25માં અને મહિલાઓનું સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 19માં નોંધાયું છે, જે શહેરમાં મતદાન પ્રત્યેની સક્રિયતા દર્શાવે છે.

Gujarat Local Body Election 2026: ગરમી વધે તે પહેલાં મતદાન, આકરા તાપથી બચવા મતદારો સવારથી જ મતદાન કેન્દ્રો પર ઉમટ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 41 થી 44 ડિગ્રી સુધીની આકરી ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી હોવા છતાં, મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે તાપમાનનો પારો આસમાને પહોંચશે તેવી શક્યતાને જોતા લોકો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટી પડ્યા છે.

હવામાન નિષ્ણાતોએ કરેલી આગાહી મુજબ આજે આકરો તાપ પડવાનો છે. આ સ્થિતિને સમજીને જાગૃત નાગરિકો સવારે 7 વાગ્યાથી જ લાઈનોમાં ઉભા રહી ગયા છે. લોકોનો એક જ સૂર છે કે ગરમીનું જોર વધે તે પહેલા જ પોતાનો કિંમતી મત આપી દેવો હિતાવહ છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ વહેલા મતદાનને પ્રાધાન્ય આપી રહ્યા છે.

ગરમીના પ્રકોપને જોતા ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસને મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરી છે.દરેક મતદાન મથક પર પ્રાથમિક સારવારની કીટ અને આરોગ્ય કર્મચારીઓ હાજર રખાયા છે. ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે મતદારો માટે ઠંડા પીવાના પાણી અને ORS ના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લાંબી કતારોમાં ઉભેલા મતદારોને સીધા તાપથી બચાવવા માટે મંડપ અને શેડ બાંધવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પશ્ચિમી પવનોના કારણે અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજ્યના અનેક શહેરોમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું હોવાથી તંત્ર કોઈ પણ જોખમ લેવા માંગતું નથી.

ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે? અંબાલાલ પટેલે જાહેર કરી ચોક્કસ તારીખ

ગુજરાત સહિત દેશભરમાં હાલ ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર મળ્યા છે. નવી આગાહીઓ મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું વહેલું દસ્તક આપી શકે છે.સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 18થી 25 મે દરમિયાન ચોમાસું પહોંચી શકે છે, જ્યારે કેરળમાં તે 25 મેની આસપાસ પ્રવેશ કરવાની સંભાવના છે.

યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના ડેટા મુજબ, મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનોની નબળી સ્થિતિ અને પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલના કારણે ચોમાસું વહેલું આવી શકે છે. જોકે, આ વર્ષે કુલ વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 28 એપ્રિલથી મેની શરૂઆત વચ્ચે પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ શરૂ થવાની સાથે પવન અને ગાજવીજ સાથે અચાનક વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. અંબાલાલ પટેલના અંદાજ મુજબ, ગુજરાતમાં 8થી 15 જૂન વચ્ચે ચોમાસું પ્રવેશી શકે છે.

સુરતમાં વોર્ડ નંબર 21માં બુથ નંબર 88માં EVM ખોટકાયુ

રાજ્યભરમાં આજે ખરાખરીનો જંગ યોજાશે. આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયુ છે. ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે. આ સિવાય જો કોઈ પોલિંગ સ્ટેશન ઉપર ફેરમતદાનની જરૂર પડશે તો તે 27મી એપ્રિલના રોજ યોજાશે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 21ના બુથ નંબર 88માં EVM મશીન અચાનક બંધ પડી ગયું હોવાની ઘટના સામે આવી છે. મશીન બંધ થતા મતદાન કરવા આવેલા મતદાતાઓને થોડો સમય હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તંત્ર દ્વારા તાત્કાલિક સ્થિતિને સંભાળવામાં આવી અને અન્ય વિકલ્પ તરીકે નવા EVM મશીનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્થળ પર પહોંચી મતદાન પ્રક્રિયા ફરીથી સુચારુ રીતે ચાલુ રહે તે માટે કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતમાં 15 મનપાના 261 વોર્ડની 1044 બેઠકો પર ચૂંટણી

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે વ્યાપક સ્તરે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1,044 બેઠકો, 84 નગરપાલિકાના 656 વોર્ડની 2,624 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠકો તેમજ 260 તાલુકા પંચાયતની 5,234 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપે તમામ 9,292 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસના 8,443 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 5,261 ઉમેદવારો પણ મેદાનમાં ઉતરી ચૂંટણી જંગને રોમાંચક બનાવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ફરજમાં બેદરકારી બદલ પાંચ અધિકારીઓ સસ્પેન્ડ

0

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત ગેરવર્તણૂક અને નિષ્પક્ષતા જાળવવામાં નિષ્ફળતા બદલ ચૂંટણી પંચે પાંચ પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં ડાયમંડ હાર્બરના અધિક પોલીસ અધિક્ષક સંદીપ ગરાઈ, સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી સજલ મંડલ, ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર મૌસમ ચક્રવર્તી, ફાલતા ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર અજય બાગ અને ઉસ્થી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી સુભેછા બાગનો સમાવેશ થાય છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 પહેલા સુરતમાં રાજકીય ગરમાવો: પૂર્ણેશ મોદી સામે જ્ઞાતિનો મોરચો

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા પૂર્ણેશ મોદી માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતની શ્રી અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિએ ધારાસભ્ય પૂર્ણેશ મોદી સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. જ્ઞાતિના અગ્રણીઓએ પૂર્ણેશ મોદી પર સમાજમાં ભાગલા પડાવવાનો ગંભીર આરોપ મૂકતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મોઢ ઘાંચી જ્ઞાતિના પ્રમુખ ચંદ્રેશ મોદીએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય પૂર્ણેશ મોદી પોતાની સત્તાનો દુરુપયોગ કરી સમાજની એકતા તોડવાનું કામ કરી રહ્યા છે. જ્ઞાતિના પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમારો વિરોધ કોઈ રાજકીય પક્ષ સામે નથી, પરંતુ પૂર્ણેશ મોદીની વ્યક્તિગત કાર્યશૈલી સામે છે.

ચંદ્રેશ મોદીએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો જ્ઞાતિના અંદાજે 70 થી 80 હજાર મતદારો ચૂંટણીમાં મતદાન તો કરશે, પરંતુ કોઈ પક્ષને નહીં પણ NOTA ને મત આપશે.

સુરતમાં સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે રોષ, આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કરાશે

સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં 12 વર્ષની સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે રોષ જગાવ્યો છે. ટ્યુશનથી પરત ફરી રહેલી સગીરા સાથે મહંમદ અઝીઝ નામના શખ્સે કરેલી અડપલાંની ઘટના બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. સ્થિતિની ગંભીરતા જોતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આજે આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ, સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી એટલાન્ટા મોલ પાસે એક 12 વર્ષની પાટીદાર સગીરા સાંજે પોતાના ટ્યુશન ક્લાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન મહંમદ અઝીઝ નામના શખ્સે સગીરા પર નજર બગાડી તેની છેડતી કરી હતી. નિર્દોષ બાળકી સાથે થયેલી આ હરકતને પગલે વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીકરીઓની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ચિંતા અને ગુસ્સાનું મોજું ફરી વળ્યું છે.

ગઈકાલે આ ઘટનાની જાણ થતા જ હજારોની સંખ્યામાં લોકો અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. લોકોની માંગ હતી કે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ભીડ બેકાબૂ બનતા અને સ્થિતિ તંગ થતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. મોડી રાત સુધી પોલીસ સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન ચાલ્યા હતા, જેના કારણે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી મહંમદ અઝીઝને આજે ઘટનાસ્થળે લઈ જવામાં આવશે. જે સ્થળે છેડતીની ઘટના બની હતી ત્યાં પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આખા રૂટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સ્થાનિક સંગઠનો અને સમાજના અગ્રણીઓ દ્વારા ન્યાયની માંગ સાથે શાંતિ જાળવવા પણ અપીલ કરવામાં આવી રહી છે.

સુરતમાં AAPના પ્રભારી સામે રૂપિયા લઈ ટિકિટ આપવાનો આરોપ

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં AAPના વોર્ડ નંબર 1-2 ના પ્રભારી ઓમ પ્રકાશ વિરુદ્ધ ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર 18 લાખ રૂપિયાના સોદાની વાટાઘાટો કરીને લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો આરોપ છે.

ફરિયાદી નવનીત નવદિયાએ આરોપ લગાવ્યો છે કે પ્રભારીએ તેમની પત્ની માટે ટિકિટ મેળવવાના બહાને 18 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં 8 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. સમગ્ર વાટાઘાટોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના બે દિવસ પહેલા જ રાજકારણ ગરમાયું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ઓમ પ્રકાશ વિરુદ્ધ ટિકિટના બદલામાં પૈસા માંગવાના ગંભીર આરોપો ધરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, AAPના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર નવનીતના પિતરાઈ ભાઈ નવનીત નવદિયાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે તેમની પત્ની લિપ્સા માટે ટિકિટ માંગી ત્યારે પ્રભારીએ ₹18 લાખની માંગણી કરી હતી.

આ અંગે એવો આરોપ છે કે સોદો આખરે ₹8 લાખમાં થયો હતો, જેમાં પૈસા હપ્તામાં ચૂકવવામાં આવ્યા હતા. જોકે, પૈસા મળ્યા છતાં તેમની પત્નીને નોમિનેટ ન કરવામાં આવ્યા હોવાથી છેતરપિંડીનો અનુભવ થતાં, નવનીત નવદિયાએ પ્રભારીનો વીડિયો શૂટ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.

સુરતના પુણા લેન્ડમાર્ક પાસે દુર્ઘટના: પત્ની સામે જ ટ્રક નીચે કચડાઈ પતિનું મોત

સુરતના પુણા-ડુંભાલ રોડ પર આવેલ લેન્ડમાર્ક ચાર રસ્તા પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતા પતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોતાની નજર સામે જ જીવનસાથીને ગુમાવતા પત્ની આઘાતમાં સરી પડ્યા હતા.

ઘટનાની વિગત મુજબ, મૂળ બિહારના બકસર જિલ્લાના વતની અને હાલ પલસાણાની ઊર્મિલાનગર સોસાયટીમાં રહેતા 46 વર્ષીય કમલેશકુમાર રામાશંકર પરમાર તેઓ ચાની કેન્ટીન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગુરુવારે બપોરે તેઓ 40 વર્ષીય પત્ની ચિંતાદેવી સાથે બાઈક પર પરવટ પાટિયા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા. દવા લઈને પરત ઘરે ફરી રહ્યા હતા, તે દરમિયાન પુણા-ડુંભાલ લેન્ડમાર્ક ચાર રસ્તા પાસેથી પસાર થતી વખતે એક ટ્રક ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર વાગતાની સાથે જ દંપતી રોડ પર પટકાયું હતું, આ દરમિયાન કમલેશકુમારના માથાના ભાગે ટ્રકનું ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પત્ની ચિંતાદેવીને હાથ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી, પરંતુ પતિને લોહીલુહાણ હાલતમાં મૃત જોતા તેઓ આઘાતને કારણે બેભાન થઈ ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પુણા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. દંપતીને બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે, પિતાના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.