Home Blog Page 106

ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: ડ્રાઇવરને ઝોકું આવતા કાર બેકાબૂ, 6 લોકોના મોત

0

ઉત્તરપ્રદેશના જાલૌન જનપદના કાલપી કોતવાલી વિસ્તારમાં આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

લલિતપુર જનપદના મહરૌનીના રહેવાસી શશિકાંત તિવારી પરિવાર સાથે અયોધ્યા દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ તિવારી પરિવાર કારથી પરત ફરી રહ્યો હતો. ત્યારે સવારે છએક વાગે કાલપી વિસ્તારના જોલ્હુપુર વળાંક પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર સામેથી આવતા વાહન સાથે ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના સ્થળ પર અને બેના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે કારમાં સવાર અન્ય 4 લોકોને હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

પશ્ચિમ બંગાળમાં CAPF તૈનાતી મામલે સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 11 મે પછી સુનાવણીની સંભાવના

0

સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પછીની હિંસા અટકાવવા માટે ચૂંટણી પૂર્ણ થયા પછી પણ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ની તૈનાતી ચાલુ રાખવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો કે તે 11 મેના રોજ અરજી પર વિચાર કરી શકે છે, જેમાં મતદાન પછીની હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળોની તૈનાતી ચાલુ રાખવાના નિર્દેશોની માંગ કરવામાં આવી છે.

CJI સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચે શું કહ્યું?
અરજદારોમાંથી એક વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વી. ગિરીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચ સમક્ષ આ મહત્વપૂર્ણ વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે 2021ની વિધાનસભા ચૂંટણી પછી રાજ્યમાં વ્યાપક હિંસા થઈ હતી તે ધ્યાનમાં લેતા, કેન્દ્રીય દળોને રાજ્યમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ . ચૂંટણી પંચના વકીલે દલીલ કરી હતી કે ચૂંટણી પૂર્ણ થયા પછી કમિશનની ભૂમિકા સમાપ્ત થઈ જાય છે.

બેન્ચે કહ્યું કે તે 11 મેના રોજ અરજી પર વિચાર કરી શકે છે.
બેન્ચે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરતા કહ્યું કે સરકાર નિર્ણય લેશે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત થવું જોઈએ, કોર્ટ દ્વારા નહીં. જોકે, બેન્ચે કહ્યું કે તે 11 મેના રોજ અરજી પર વિચાર કરી શકે છે, જ્યારે તે રાજ્યમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત અન્ય અરજીઓની સુનાવણી કરશે .

સુરતની અક્ષરા રાજ્યમાં પ્રથમ, સૌથી વધુ માર્ક મેળવી ઇતિહાસ રચ્યો

સુરતમાં સુતરીયા અક્ષરા અનિલભાઈએ 687 માર્ક્સ મેળવ્યા છે જે અત્યાર સુધી કોમર્સમાં કોઈને મળ્યા નથી. તેને આખા ગુજરાતમાં સૌથી વધારે માર્ક્સ મેળવ્યા છે. અક્ષરા આશાદીપ વિદ્યાલયની વિદ્યાર્થીની છે.

મારી મહેનતથી આજે બોર્ડનો રેકોર્ડ 686નો હતો, જ્યારે હું 687 માર્ક્સ એટલે ગુજરાત બોર્ડનો પણ રેકોર્ડ મેં તોડેલો છે. અને આ પરિણામથી હું ખૂબ જ સેટિસ્ફાઈડ છું અને મારી સાથે સાથે મારી શાળાની ટીમની પણ ખૂબ જ સારી મહેનત હતી.

મહેસૂલ વિભાગમાં જમીન-વહીવટ સુધારા માટે રોડમેપ તૈયાર, ઝડપી અમલની તૈયારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા, વરિષ્ઠ સચિવો, ઉચ્ચ અધિકારીઓ, વિષય તજજ્ઞોની વિશેષ ઉપસ્થિતિમાં 5મીથી 7મી-મે દરમ્યાન અડાલજ ત્રિ-મંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’ યોજાશે. જેમાં વિઝન-2030: ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય-જેવી મહત્વકાંક્ષી થીમ પર આધારિત આ ચિંતન શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મનોમંથન કરાશે.

આ શિબિરમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા યોજાયેલી એકશન સેમિનારમાં થયેલી ચર્ચાના વ્હાઇટ પેપર્સ અને તેના ઉપર થયેલી કાર્યવાહીની પણ ચર્ચા વિચારણા કરાશે અને શિબિરના અંતે મહેસૂલ વિભાગ માટે એક સ્પષ્ટ અને અમલી બનાવી શકાય તેવો એક મજબૂત રોડમેપ તૈયાર કરાશે ત્યારબાદ રાજ્યના લેન્ડ ગવર્નન્સમાં ક્રાંતિકારી ફેરફારો લવાશે અને નાગરિક-કેન્દ્રી વહીવટને વધુ મજબૂત બનાવાશે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત @ 2047ના વિઝનને પરિપૂર્ણ કરવામાં ગુજરાત સૌથી મહત્વપૂર્ણ અને અગ્રીમ ભૂમિકા ભજવશે. ગુજરાતને, વિકસિત રાજ્ય બનાવવામાં મહેસૂલ વિભાગનો તૈયાર થનારો રોડમેપ અગત્યનો પૂરવાર થશે. આ શિબિરમાં મહેસૂલ વિભાગની વર્તમાન નીતિઓની સમીક્ષા કરાશે. વહીવટી પ્રક્રિયા પારદર્શક બનાવવા માટે વહીવટી અડચણોને દૂર કરવાની દિશામાં ચિંતન કરાશે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા નાગરિકોને અપાતી સેવાઓમાં વધુ પારદર્શિતા અને ઝડપ લાવવા પર ભાર મૂકાશે. આમ, જમીન વહીવટમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાહેર વિશ્વાસ વધારવા માટે ચિંતન શિબિર એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

સર્વે-રી સર્વે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે વ્યૂહરચના ઘડાશે
આ મહત્વપૂર્ણ ચિંતન શિબિર દરમિયાન પેપરલેસ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ઓનલાઇન કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, જનસેવામાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટેના પ્રયાસો, આવક રેકર્ડના ડિઝિટાઇજેશન અને અપડેશન જેવા વિવિધ મહત્વના વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરાશે. આ ઉપરાંત, જમીન માપણી (સર્વે-રી સર્વે) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી બાબતોમાં આધુનિક વ્યૂહરચનાઓ ઘડવામાં આવશે.

ઉચ્ચાધિકારીઓ-વિષય તજજ્ઞો પરામર્શ કરશે
આ ચિંતન શિબિરમાં જિલ્લા કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ સહિતના ક્ષેત્રિય અધિકારીઓ સહિત ISRO, BISAG-N, IIT, IIM, IGNOU, સર્વે ઓફ ઇન્ડિયા સહિતના નિષ્ણાતો પણ સહભાગી થશે. વિવિધ વિષયો પર ગ્રુપ ડિસ્કશન, કેસ સ્ટડીઝ અને નિષ્ણાતોના વ્યાખ્યાનો દ્વારા જ્ઞાનનું આદાન-પ્રદાન કરાશે. મહેસૂલ વિભાગમાં જરુરી વહીવટી સુધારાઓ માટે અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ અને કાયદાકીય નિષ્ણાતો સાથે પણ પરામર્શ કરી શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં આવશે.

Bengal Election Results LIVE: વલણોમાં ભાજપ બહુમતી પાર, તૃણમૂલ કોંગ્રેસ ખેમામાં સન્નાટો

0

પશ્ચિમ બંગાળમાં આ વખતે અત્યાર સુધીનું સૌથી આક્રમક ચૂંટણી આયોજન થયું હતું. ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી હતી. મતદાન બાદ હવે લોકોમાં ભારે ઉત્સુકતા છે કે રાજ્યમાં મમતા દીદીના નેતૃત્વ હેઠળ તૃણમૂલ કોંગ્રેસ ચોથી વાર સત્તામાં વાપસી કરશે કે ભાજપ ઐતિહાસિક જીત મેળવી પ્રથમવાર સરકાર બનાવશે. રાજ્યના 23 જિલ્લાઓમાં 77 કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે 293 વિધાનસભા બેઠકોની મતગણતરી ચાલી રહી છે, જેમાં કુલ 2,926 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થવાનો છે.

મગરાહટ પૂર્વ બેઠક પર TMC આગળ
પશ્ચિમ બંગાળની મગરાહટ પૂર્વ બેઠક પર કડક ટક્કર ચાલી રહી છે. અહીં તૃણમૂલ કોંગ્રેસની શર્મિષ્ઠા પુર્કેત 5,501 મત (+87) સાથે આગળ છે, જ્યારે ભાજપના ઉત્તમ કુમાર બણિક 5,414 મત સાથે બીજા સ્થાને છે.

સિંગૂર બેઠક પર ભાજપના અરુપ કુમાર દાસ આગળ
સિંગૂર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના અરુપ કુમાર દાસ 9,643 મત (+629) સાથે આગળ ચાલી રહ્યા છે, જ્યારે તૃણમૂલના બેચારામ મન્ના 9,014 મત સાથે બીજા નંબરે છે.

નકાશીપારા બેઠક પર TMCના કલોલ ખાન આગળ
નકાશીપારા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના કલોલ ખાન 7,144 મત (+1087) સાથે આગળ છે, જ્યારે ભાજપના સાંતનુ દે 6,057 મત સાથે બીજા સ્થાને છે.

મહેશતલા બેઠક પર TMCનો મોટો લીડ
મહેશતલા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના સુભાસિસ દાસ 12,910 મત (+11,349)ના મોટા અંતરથી આગળ છે, જ્યારે ભાજપના સાયન બેનર્જી 1,561 મત સાથે બીજા નંબરે છે.

કૂચબિહાર દક્ષિણ બેઠક પર TMC આગળ
કૂચબિહાર દક્ષિણ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના અભિજીત દે ભૌમિક 6,606 મત (+3,370) સાથે આગળ છે, જ્યારે ભાજપના રતીન્દ્ર બોસ 3,932 મત સાથે બીજા સ્થાને છે.

માલદા બેઠક પર ભાજપ આગળ
માલદા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ગોપાલ ચંદ્ર સાહા 6,307 મત (+2,375) સાથે આગળ છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસની લિપિકા બર્મન ઘોષ 3,932 મત સાથે બીજા સ્થાને છે.

Stock Market: ચૂંટણી પરિણામો વચ્ચે શેરમાર્કેટમાં આવી તૂફાની તેજી! સેન્સેક્સ 900ને પાર, માર્કેટને BJPથી ઉમ્મીદ

0

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટીમાં સોમવારે મોટો ઉછાળો નોંધાયો છે. આજે બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને પોંડુચેરી રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે. આજે સેન્સેક્સ 350 પોઇન્ટ ઉછળી 77,257 ખુલ્યો હતો. બંગાળના ચૂંટણી પરિણામમાં ભાજપની જીતની અપેક્ષાએ સેન્સેક્સ 900 પોઇન્ટથી વધુ ઉછળ્યો અને 77800 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 70 પોઇન્ટ વધી 24,063 ખુલ્યો હતો, ત્યારબાદ 270 પોઇન્ટ જેટલો વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે.

બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને પોંડુચેરી રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઇ રહ્યા છે. બંગાળના ચૂંટણી પરિણામમાં ભાજપ આગળ દેખાય છે. આ રાજ્યોની વિધાસભાન ચૂંટણી પર આજે શેરબજારની બાજ નજર રહેશે.

વોડાફોન આઈડિયા કંપનીનો શેર આજે 10 ટકા ઉછળ્યો અને 11.24 રૂપિયા ખુલ્યો હતો. ટેલીકોમ વિભાગ દ્વારા એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)ના બાકી લેણાં રૂ. 23,649 કરોડથી ઘટાડીને 64,046 કરોડ રૂપિયા કર્યા છે, જે અગાઉ 87,695 કરોડ રૂપિયા હતા. AGR દેવામાં રાહત મળવાથી વોડાફોન આઈડિયા કંપનીનો શેર ઉછળ્યો છે. જો કે ત્યારબાદ વોડાફોન આઈડિયાનો શેર 5 ટકાની મજબૂતીમાં 10.60 રૂપિયા આસપાસ બોલાઇ રહ્યો છે.

બંગાળમાં મતગણતરી માટે કડક સુરક્ષા: 2.4 લાખ જવાનો તૈનાત, 4000 QRT સક્રિય

0

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હવે મતગણતરીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. છૂટાછવાયા હિંસાના બનાવો સિવાય કોઈ મોટી અશાંતિ નોંધાઈ નથી, ત્યારે સુરક્ષા એજન્સીઓએ 2.4 લાખથી વધુ જવાનોને તૈનાત કર્યા છે અને 4000 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) સક્રિય રાખી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા પાંચ કેન્દ્રીય દળોના મહાનિર્દેશકો પણ મેદાનમાં ઉતર્યા છે, જ્યારે 142 મતવિસ્તારોમાં CAPF ની 2300થી વધુ કંપનીઓ અને 300થી વધુ સશસ્ત્ર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. કોલકાતામાં મલ્ટી-CAPF કંટ્રોલ રૂમ, રાજ્ય પોલીસ કંટ્રોલ રૂમ અને ગુપ્તચર એજન્સીઓ સતત મોનીટરીંગ કરીને સમગ્ર પરિસ્થિતિ પર કડક નજર રાખી રહી છે.

કેન્દ્રીય દળોની તૈનાતી પર રાજકીય ટકરાવ
મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કેન્દ્રીય દળોની ભારે તૈનાતી પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે વ્યંગ્ય કરતા કહ્યું કે હવે ફક્ત રાફેલ જેટ અને INS જહાજોની તૈનાતી બાકી છે. મમતા બેનર્જી અને અખિલેશ યાદવે પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને નિશાન બનાવ્યું હતું.

ચૂંટણી બાદ પણ સુરક્ષા યથાવત રહેશે
ચૂંટણી પૂર્ણ થયા પછી પણ બંગાળમાંથી દળો પાછા ખેંચાશે નહીં. અગાઉ ચૂંટણી બાદ હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ વખતે 500 કંપનીઓ યથાવત રહેશે. તેમાં CRPF, BSF, CISF, ITBP અને SSB ના દળોનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી અમિત શાહે પણ દળોની કામગીરીની પ્રશંસા કરી હતી.

ડીજી સ્તરે પેટ્રોલિંગ અને નિરીક્ષણ
ચૂંટણી દરમિયાન CRPF ડીજી જીપી સિંહ સહિત ઉચ્ચ અધિકારીઓએ મેદાનમાં ઉતરી પેટ્રોલિંગ કર્યું અને મતદારો સાથે વાતચીત કરી. અન્ય દળોના ડીજીઓએ પણ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી.

સાત તબક્કામાં દળોની વિશાળ તૈનાતી
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માટે ફેબ્રુઆરીથી જ તૈયારીઓ શરૂ થઈ હતી. કુલ 2400થી વધુ કંપનીઓ સાત તબક્કામાં મોકલવામાં આવી હતી. પ્રથમથી અંતિમ તબક્કા સુધી BSF, CRPF, ITBP, SSB અને CISF ની મોટી સંખ્યામાં કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. સાથે જ RPF અને SAP દળોને પણ ચૂંટણી ફરજ માટે જોડવામાં આવ્યા હતા.

કેન્દ્રીય દળોને મતદાન કેન્દ્રોની સુરક્ષા, પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી, જેના કારણે બંગાળમાં ચૂંટણી મોટા પાયે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકી છે.

ધોરણ 12નું પરિણામ જાહેર: સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% પાસ, 6.20 લાખ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

0

ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા.

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ 100 ટકા પરિણામ 4 કેન્દ્ર તડાવ, કોટડા, કાંગવાઇ, પ્રશ્નાવાડામાં આવ્યું છે.
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર કારઠ 64.88 ટકા છે.
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આહવા-ડાંગ 97.88 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો અમદાવાદ શહેર 87.10 ટકા છે.
  • 2030 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે.

વિદ્યાર્થીઓનું 90.10 ટકા પરિણામ અને વિદ્યાર્થિનીઓનું 95.41 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું 5.31 ટકા વધારે પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ સરળ પગલાંને ફોલો કરીને તેમના પરિણામો ચકાસી શકે છે:

  • સ્ટેપ 1: સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ: gseb.org ની મુલાકાત લો.
  • સ્ટેપ 2: હોમપેજ પર ‘HSC Result 2026’ અથવા ‘GUJCET પરિણામ 2026’ લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: તમારો 6-અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4: ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 6: provisional marksheet ડાઉનલોડ કરો અથવા ભવિષ્યના સંદર્ભ માટે સ્ક્રીનશોટ સાચવી રાખો.

પરિણામ-ચકાસણી પ્રક્રિયાને સરળ બનાવતા બોર્ડે વિદ્યાર્થીઓને ફક્ત 6-અંકના સીટ નંબરનો ઉપયોગ કરીને તેમના પરિણામો જોવાની સુવિધા આપી છે. વિદ્યાર્થીઓને તેમની જન્મ તારીખ, નોંધણી નંબર અથવા અન્ય કોઈપણ વધારાની માહિતીની જરૂર રહેશે નહીં. મુખ્ય પરિણામ પોર્ટલ પર ફક્ત સીટ નંબર દાખલ કરીને પરિણામો મેળવી શકાય છે.

ગુજરાત બોર્ડ GSEB HSC 12મા પરિણામ 2026: વિજ્ઞાન, સામાન્ય પરિણામોની લિંક gseb.org પર

0

ગુજરાત બોર્ડ સામાન્ય રીતે પરિણામ સાથે પ્રવાહ મુજબના આંકડા અને જિલ્લા મુજબના પ્રદર્શન ડેટા જાહેર કરે છે. આમાં ગુજરાતના વિવિધ પ્રદેશોમાં નોંધાયેલા, હાજર રહેલા અને પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યાનો સમાવેશ થાય છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB), ગાંધીનગર, આજે સવારે 10 વાગ્યે ધોરણ 12 HSC ના પરિણામો જાહેર કરશે . બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ HSC ના સ્કોર પ્રકાશિત થયા પછી તેમના સીટ નંબર દાખલ કરીને સત્તાવાર વેબસાઇટ, gseb.org પર તેમના પરિણામો ચકાસી શકે છે. GSEB ના પરિણામો, પૂરક પરીક્ષાઓ અને અભ્યાસક્રમ વિશે વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો.

GSEB HSC પરિણામો કેવી રીતે તપાસવા અને ડાઉનલોડ કરવા?
GSEB ના ગાંધીનગર કાર્યાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર જાહેરનામા અનુસાર , ધોરણ 12 ની પરીક્ષાઓ (વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યાવસાયિક પ્રવાહ, UUB પ્રવાહ) ના પરિણામો GUJCET 2026 અને સંસ્કૃત માધ્યમા સાથે જાહેર કરવામાં આવશે .

ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ ની પરીક્ષા ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ સુધી ૨૦ દિવસ સુધી યોજાઈ હતી. ધોરણ ૧૨ ની પરીક્ષાઓ બપોરે ૩ વાગ્યાથી સાંજે ૬:૧૫ વાગ્યા સુધી ઓફલાઈન મોડમાં એક જ શિફ્ટમાં યોજાઈ હતી. રાજ્યભરના ૧,૭૦૧ પરીક્ષા કેન્દ્રો પર ૧૫,૨૭,૭૨૪ વિદ્યાર્થીઓએ GSEB ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હતી.

ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩ ટકા અને કુલ ૩૩ ટકા ગુણ મેળવવા જરૂરી છે. ઉપરાંત, તેમણે બધા વિષયોમાં ઓછામાં ઓછો ‘ડી’ ગ્રેડ મેળવવો આવશ્યક છે. વિદ્યાર્થીઓને GSEB પરિણામોના નવીનતમ અપડેટ્સ માટે ફક્ત સત્તાવાર સાઇટ તપાસવાની સલાહ આપવામાં આવે છે.