મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત કુલ 8 લોકોનાં મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ અકસ્માત નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર પિંપલગાંવ રોડ વિસ્તારમાં આવેલા ભાઉ ઢાબા નજીક થયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતા. અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે સાકોલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને ઘટનાસ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન અકસ્માતને કારણે આસપાસના વિસ્તારમાં થોડો સમય વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.





