Friday, Aug 21, 2026

ગુજરાતમાં દિવ્યાંગો માટે વાહન ચલાવવું બનશે વધુ સરળ! RTOએ શું આપી મંજૂરી?

1 Min Read

દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજિંદી અવરજવર વધુ સરળ અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે શારીરિક દિવ્યાંગતા ધરાવતા લોકો માટે સાઇડકાર લગાવેલી મોટરસાઇકલના રજિસ્ટ્રેશન તેમજ મંજૂર માપદંડ મુજબ વાહનમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના RTO અને ARTO કચેરીઓને આ અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ, શારીરિક દિવ્યાંગ વ્યક્તિઓ માટે બે-પૈયા વાહનમાં ડાબી બાજુ સાઇડકાર લગાવી શકાય છે. તેમાં વાહનની મૂળ રચનામાં શક્ય તેટલો ઓછો ફેરફાર, જરૂરી હોય ત્યાં હેન્ડ-ઓપરેટેડ કંટ્રોલ, વાહનને સ્થિર રાખવા માટેની વ્યવસ્થા તથા અન્ય સુરક્ષા સુવિધાઓનું પાલન જરૂરી છે.

આ ઉપરાંત, બિન-પરિવહન વાહનમાં મંજૂર રેટ્રોફિટમેન્ટ કિટ તથા અધિકૃત વર્કશોપનું પ્રમાણપત્ર જરૂરી રહેશે અને વાહનમાં થયેલા ફેરફારની નોંધ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં કરવામાં આવશે.

સાઇડકારવાળા વાહનોની મંજૂરી પહેલાં RTO દ્વારા વાહનની ભૌતિક ચકાસણી કરવામાં આવશે, જેથી ફેરફારથી ચાલક, દિવ્યાંગ મુસાફર કે અન્ય રોડ યુઝર્સ માટે જોખમ ઊભું ન થાય. વાહન માટે વીમા અને લાગુ પડતા મોટર વાહન કાયદા-નિયમોનું પાલન પણ જરૂરી રહેશે.

દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનુકૂળ વાહન વ્યવસ્થાને કાયદેસર માળખું મળવાથી તેમની સલામત અને સ્વતંત્ર અવરજવરને નોંધપાત્ર મદદ મળવાની અપેક્ષા છે. ગુજરાત સરકારની દિવ્યાંગજનો સંબંધિત સત્તાવાર વેબસાઇટ પર પણ વાહન અને દિવ્યાંગજનોને લગતી વિવિધ કાયદાકીય જોગવાઈઓ ઉપલબ્ધ છે.

Share This Article