Thursday, May 22, 2025

ચંડોળા તળાવ પર સરકારનું મેગા ઓપરેશન યથાવત, હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી

2 Min Read

ગુજરાતના અનેક શહેરોમાં ગેરકાયદે વિદેશીઓ વિરુદ્ધ તંત્ર દ્વારા વધુ ચુસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં રાજ્યનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન જોવામાં મળ્યું. અહીં વર્ષોથી વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમના બનાવેલા ગેરકાયદે નિવાસોને તોડી પાડવા માટે બે હજારથી વધુ પોલીસ જવાનો, ક્રાઇમ બ્રાન્ચ, SRP અને SOG જેવી ટીમો તૈનાત કરાઈ. 50 જેટલા બુલડોઝર અને ડમ્પર સાથે તળાવના આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે, જ્યાંથી અત્યારસુધી 800થી વધુ શંકાસ્પદ લોકો અટકાવવામાં આવ્યા છે.

માહિતી અનુસાર આજે વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની સાથે, આ ઝુંબેશ માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ધરપકડ બાદ અહીં ઓપરેશન ક્લીન ચંડોળા શરૂ કરવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદના ઐતિહાસિક વારસા ગણાતા ચંડોળા તળાવનું સમગ્ર ભૂગોળ બદલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. માત્ર 14 વર્ષમાં તળાવનો આખો નકશો બદલાઈ ગયો છે. 2010ના વર્ષમાં ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતા અનોખી હતી. પરંતુ 2025ના વર્ષમાં એટલે કે 14 વર્ષ પછી અહીંનું ચિત્ર બદલાઈ ગયું છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ થયું છે. ઘણી વખત એવું સામે આવ્યું છે કે ચંડોળા તળાવ પર મોટા પાયે ગેરકાયદેસર અતિક્રમણ થયું છે. બાંગ્લાદેશીઓએ મોટા પાયે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી છે.

ડિમોલિશન પ્રક્રિયાને રોકવા માટે 18 જેટલા રહેવાસીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં દલીલ આપવામાં આવી કે તેઓ બાંગ્લાદેશી નહી, સ્થાનિક રહેવાસી છે અને તેમને કોઈ નોટિસ કે પુનર્વસન વિના મકાન તોડવામાં આવી રહ્યા છે. પણ હાઈકોર્ટે આ તમામ દલિલો ફગાવીને સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. ચંડોળા તળાવ નજીક છેલ્લા 14 વર્ષથી દોઢ લાખ સ્ક્વેર મીટરથી વધુ સરકારી જમીન પર દબાણ હતું. હવે તે દબાણ સામે તંત્ર દ્વારા પહેલીવાર મોટાપાયે કાર્યવાહી હાથ ધરાઈ છે.

Share This Article