આસામમાં પૂરના વિનાશનો સામનો લોકોની સાથો સાથ પ્રાણીઓ પણ કરી રહ્યા છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરના કારણે અત્યાર સુધીમાં અંદાજે ૧૩૭ જંગલી પ્રાણીઓના મોત થયા છે. જેમાંથી ૧૦૪ ડોગ ડીયર, ૬ ગેંડા અને ૨ સાંભર પાણીમાં તણાઈ ગયા છે. પૂરને કારણે વધુ છ લોકોના મોત થયા હતા. હવે કુલ મૃત્યુઆંક ૭૨ પર પહોંચી ગયો છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ધુબરીમાં બે અને ગોલપારા, ગોલાઘાટ, શિવસાગર અને સોનિતપુરમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. રાજ્યમાં તાજેતરમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને ૭૨ થયો છે. બીજી તરફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં બ્રહ્મપુત્રા અને તેની કેટલીક ઉપનદીઓ, બરાક અને કુશિયારા નદીઓ વિવિધ સ્થળોએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યમાં પૂરની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ પૂરનો કહેર હજુ સમાપ્ત થયો નથી.
તાજેતરની માહિતી અનુસાર, કાઝીરંગા નેશનલ પાર્કમાં આવેલા વિનાશક પૂરમાં ૬ ગેંડા સહિત કુલ ૧૩૭ જંગલી પ્રાણીઓના મોત થયા છે. કેએનપીના અધિકારીઓએ મીડિયાને આ માહિતી આપી છે. નેશનલ પાર્કના અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે, અત્યાર સુધીમાં બે ગેંડાના બાળકો સહિત ૯૯ પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે.
રાજ્યમાં પૂરના કારણે સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. રાજ્યમાં હજુ પણ ૨૮ જિલ્લામાં ૨૨.૭૪ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. ગોલપારા, નાગાંવ, તલબારી, કામરૂષ, મોરીગાંવ, ડિબ્રુગઢ, સોનિતપુર, લખીમપુર, દક્ષિણ સલમારા, ધુબરી, જોરહાટ, ચરાઈદેવ, હોજાઈ, કરીમગંજ, શિવસાગર, બોંગાઈગાંવ, બરપેટા, ઘેમાજી, ડેલાકાડી, ગોલાગડાટ સહિત ઘણા જિલ્લાઓ પ્રભાવિત છે. એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, કટોકટી સેવાઓ, સ્થાનિક વહીવટીતંત્ર, ભારતીય સેના અને અર્ધ લશ્કરી દળોની બચાવ ટીમો રાજ્યના વિવિધ વિસ્તારોમાં બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
આ પણ વાંચો :-