Sunday, Mar 15, 2026

મધ્યપ્રદેશમાં બસમાં ભીષણ આગ, ૧૩ લોકો જીવતા ભૂંજાયા

2 Min Read

મધ્યપ્રદેશના ગુનામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માતને કારણે બસમાં આગ લાગી હતી અને જેમાં ૧૩ લોકોના મોત થયા છે. આ અકસ્માત થયો ત્યારે પેસેન્જર બસ ગુનાથી આહારોન જઈ રહી હતી. બસમાં મુસાફરોની સંખ્યા ૩૦ આસપાસ હતી. દુર્ઘટનાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક મૃતદેહો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે અને વહીવટીતંત્રે ડીએનએ મેચિંગ દ્વારા તેમની ઓળખ કરવાની ચર્ચા છે.

કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોને ૪ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ગુનામાં ડમ્પર અને બસ વચ્ચેની ટક્કર બાદ આ અકસ્માત થયો હતો. શરૂઆતમાં ૭ લોકોના મોતના સમાચાર હતા, પરંતુ ધીરે ધીરે મૃતકોની સંખ્યા વધતી ગઈ. ગુના કલેક્ટર તરુણ રાઠીએ અકસ્માતની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ૧૭ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓ સુરક્ષિત છે.

અકસ્માત બાદ રાહત કાર્ય પણ ખૂબ જ જટિલ હતું. બસને સીધી કરીને પછી મૃતદેહોને બસમાંથી બહાર કાઢી શકાયા. કલેક્ટરની હાજરીમાં ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને મૃતદેહોને પણ લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે. આ બસમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ હતી. તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ ભાજપના એક નેતાની હતી. બસ સિકરવાર ટ્રાવેલ્સના નામે હતી.

Share This Article