ગુજરાત ભાજપના ડખાથી અકળાયેલા વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ કોઇની પણ કલ્પના બહાર જઇને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે
ભૂપેન્દ્ર પટેલની વરણી કરી ત્યારે ઘણા લોકોએ જાત જાતની અને મજાકીયા કોમેન્ટ કરતા હતા. ઘણા લોકો તો છેક ‘રબ્બર સ્ટેમ્પ’ સુધી પહોંચી ગયા હતા.
છતા
ભૂપેન્દ્ર પટેલે કોઇપણ પ્રકારની વળતી પ્રક્રિયા આપ્યા વગર કર્મના સિદ્ધાંતને વળગી રહીને ગુજરાતની બાગડોર સંભાળી સરકારના પ્રજાભિમુખ વહિવટને આગળ દોડાવવા સાથે રાજ્યના દરેક સમાજ અને દરેક વર્ગના લોકોમાં પોતીકાપણાનો ભાવ ઊભો કર્યો હતો. મીતભાષી ભૂપેન્દ્ર પટેલે વિતેલા એક વર્ષ દરમિયાન કોઇને પણ તેમની કાર્યપ્રણાલી સામે બોલવાની તક આપી નથી. ઘણી વખત ઘણાં મંત્રીઓએ સવાયા મંત્રી હોવાનો દેખાવ કર્યો હશે, તો પણ ભૂપેન્દ્ર પટેલ આખી ઘટનાને નજર અંદાજ કરી ગયા હશે.
ભૂપેન્દ્ર પટેલ એવું માને છે કે તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ પણ ઇશ્વરીય સંકેત હશે પરંતુ જે કામ મળ્યું છે તેને સુપેરે અને ખેલદીલીથી પાર પાડવું આ એમનો વ્યક્તિગત સિદ્ધાંત છે.
વિતેલા એક વર્ષ દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કોઇએ આંગળી ચિંધવાની હિંમત કરી નથી બલ્કે રાજ્ય સરકારે હાથ ધરેલા કામો વધુ ઝડપે પાર પાડ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ માથા ઉપર છે છતાં જરાપણ વિચલિત થયા વગર રાજ્ય સરકારને દોડાવી રહ્યા છે. અને હવે તો ડબલ એન્જિન સરકારના વડાપ્રધાન મોદી સાથે ભૂપેન્દ્ર પટેલનો ચહેરો પણ જાણિતો બની ગયો છે. વળી
વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પૂર્વે અદ્ભૂત વ્યુહરચના અપનાવીને કોઇ સત્તાવાર જાહેરાત કર્યા વગર ગુજરાતની નવી સરકારના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને પ્રસ્થાપિત કરી દીધા છે. પોતીકા પક્ષના લોકોને પણ સંદેશો આપી દીધો છે. હવે પછીના ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ હશે. વળી બાકી હતુ તો બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ ગુજરાતમાં ચૂંટણી લડવા ઉપરાંત બેઠકની સંખ્યામાં પડ્યા વગર બે તૃતિયાંત બહુમતિ સાથે સરકાર બનાવવાનો દાવો પણ કરી દીધો હતો.
અત્યાર સુધી કે, એવું માનવામાં આવતું હતું કે ભૂપેન્દ્ર પટેલ
આનંદીબેન પટેલના જૂથમાંથી આવતા હોવાથી અમિત શાહ તેમનાથી રાજી નથી પરંતુ આ બધા સમીકરણો પણ ભૂપેન્દ્ર પટેલે ખોટા પાડ્યા છે. સૌથી પહેલા તો એક વાત ચોક્કસ છે કે ભૂપેન્દ્ર પટેલ પક્ષના જૂથવાદમાં માનતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ગૃહમંત્રી અમિત શાહ હોય કે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હોય આ તમામ
ભૂપેન્દ્ર પટેલ માટે સર્વોપરી અને આદરપાત્ર નેતા છે. તેઓ આનંદીબેન પટેલની બેઠક ઉપરથી ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે. વળી એક વાત ચોક્કસ છે કે તેઓ માટે આનંદીબેન પટેલ વ્યક્તિગત રૂપે વિશેષ આદરપાત્ર હશે એવું ચોક્કસ માની શકાય. પરંતુ વિતેલા એક વર્ષના વહિવટમાં અને ચૂંટણીનું વર્ષ હોવા છતાં તેમના વહિવટમાં ક્યાંય પણ વ્યક્તિ ગત પ્રભાવનો પડછાયો જોવા મળ્યો નથી.
મુખ્યમંત્રીનો કારભાર સંભાળ્યાના ૧૩/૦૯/૨૦૨૧ દિવસથી ૧૩ સપ્ટેમ્બરે એક વર્ષ પૂરૂં થયું ત્યાં સુધીના સમયગાળાના રાજ્ય સરકારના વહિવટને જોવામાં આવે તો તેઓ એક પણ મોરચે નિષ્ફળ કે અધુરા પુરવાર થયા નથી.
સમગ્ર મંત્રી મંડળ કે વહિવટી અધિકારીઓમાં પણ ભૂપેન્દ્ર પટેલ સામે સચિવાલયના કોઇ ખૂણામાં કચવાટ સાંભળવા મળ્યો નથી. કદાચ ગુજરાતના સૌ પ્રથમ વખત એક સૌમ્ય મુખ્યમંત્રી મળ્યા છે. એવું દાવા સાથે કહી શકાય જાણે ધરતી સાથે જોડાયેલો માણસ ગુજરાતની ગાદી ઉપર બેઠો છે.
સદાય વિનમ્ર અને સ્મીત ફરકાવતો ચહેરો અને હાથ જોડીને નમન કરવાનો તેમનો ભાવ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. વિપક્ષની પણ તાકાત નથી કે ભૂપેન્દ્ર પટેલ માટે કોઇ ટીપ્પણી કરી શકે. આ જમા પાસુ જ આવનારી ચૂંટણીઓમાં ભાજપ માટે ફાયદાકારક પુરવાર થશે.
હવે કહેવાની જરૂર નથી કે આગામી ચૂંટણીઓમાં ભાજપ પાસે કોઇ મજબૂત ચહેરો નથી, બલ્કે ક્રમશઃ એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે ગુજરાતના લોકોને પોતીકો ચહેરો મળી ગયો છે. પાછલા કેટલાક સમયથી એક યા બીજા કારણો અને માંગણીઓને લઇને આંદોલનો કરવામાં આવી રહ્યા છે પરંતુ એક પણ ખૂંણામાં ભૂપેન્દ્ર પટેલ વિરૂદ્ધ લેશ માત્ર ગણગણાટ સાંભળવા મળ્યો નથી. વળી ગુજરાતનો દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. પાછલા પાંચ વર્ષ દરમિયાન ગુજરાત સરકારે હાથ ધરેલા વિકાસ કાર્યોને વેગ આપવા સાથે નવા કામોનો પ્રારંભ પણ કરાવ્યો છે. બાકી હતું તો કુદરતે પણ મહેર કરીને રાજ્યના જળાશયો ભરી દીધા છે.
સ્વભાવે વિનમ્ર હોવાના કારણે ભૂપેન્દ્ર પટેલને મળવા માટે કોઇપણ વ્યક્તિ માટે પ્રતિબંધ નથી કેટલીક વખત સલામતિના કારણોસર ભૂપેન્દ્ર પટેલને લોકોને મળતા અટકાવવામાં આવે છે પરંતુ ભૂપેન્દ્ર પટેલ આવા કોઇ નિયંત્રણોમાં માનતા નથી લોકોના ઘરમાં, ઓટલા ઉપર કે રસ્તાની વચ્ચે ઊભા રહીને ખૂબ જ સહજતાથી લોકો સાથે વાત કરતા નજરે પડે છે.
ભૂપેન્દ્ર પટેલ પોતે મહત્વકાંક્ષી નથી. મુખ્યમંત્રી તરીકે નિમણૂંક પામ્યા ત્યારે ભાજપના જ ઘણા લોકો હાવી થઈ ગયા હતા. ત્યારે પણ તેમણે સહાજભાવે મુખ્યમંત્રીપદ ખાલી કરી આપવાની તૈયારી બતાવી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ સહિત કેન્દ્રીય નેતૃત્વની હુંફને કારણે ભૂપેન્દ્ર પટેલની કોઢા સુઝ અને આત્મવિશ્વાસે ભાજપ સરકારની પ્રતિભામાં વધારો કર્યો છે.
એક તરફ આંતરિક અને બાહ્ય નારાજગીને કારણે ભાજપ સામે જોખમ ઊભું થયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આવા સમયે લોકોમાં ભૂપેન્દ્ર પટેલ પોતીકા હોવાનો પ્રગટ થયેલો ભાવ ભાજપને ચૂંટણીઓમાં મોટા ફાયદો કરાવી જશે.