Monday, May 4, 2026

અમદાવાદમાં મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન, કોમનવેલ્થની યજમાની બાદ પ્રથમ કાર્યવાહી

2 Min Read

શહેરને કોમનવેલ્શ ગેમ્સની યજમાની મળ્યાની બે દિવસ પહેલા સત્તાવાર જાહેરાત થઈ હતી. જે બાદ પ્રથમ વખત શહેરમાં ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. તંત્ર દ્વારા આ કાર્યવાહી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ કરવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા બળદેવનગર પાસેથી ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી છે. આ સંદર્ભે મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે.

અચેર ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ પાવર પાસે ખુલે છે. ટીપી રોડમાં સાબરમતી બળદેવનગર વિસ્તાર અને સુભાષનગર વિસ્તારના કેટલાંક સમાવેશ થાય છે. મોટેરા બળદેવ નગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપી અને ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યા નહોતા.

સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક ખૂલશે. આ રોડ પરથી સીધા એક્વેટિક સ્ટેડિયમ તરફ જઈ શકાશે, જેથી આ રોડને ખુલ્લો કરવો જરૂરી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાક તથા કોમર્શિયલ પ્રકારનાં મળી કુલ 29 જેટલાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટાફ સાથે આજે વહેલી સવારથી 4 હિટાચી મશીન, બે જેસીબી અને મજૂરો સાથે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારે જે પણ રહીશો હતા તે તમામ રહીશોના મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. મકાનો ખાલી કરાવ્યા બાદ એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Share This Article