લગ્નજીવનમાં મતભેદ વચ્ચે ભરણપોષણના કેસોમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતાં એવો ચુકાદો આપ્યો છે કે માત્ર પત્ની પર વ્યભિચારનો આરોપ લગાવી દેવાથી અંતરિમ ભરણપોષણ (Interim Maintenance) રોકી શકાય નહીં. પરંતુ જો પતિ કોર્ટ સમક્ષ પ્રથમ દૃષ્ટિએ વિશ્વસનીય અને મજબૂત પુરાવા રજૂ કરે, તો કોર્ટ અંતરિમ ભરણપોષણ આપતા પહેલાં આ મુદ્દાનો નિર્ણય કરી શકે છે. આ ચુકાદો ભરણપોષણ સંબંધિત કેસોમાં મહત્વપૂર્ણ નઝીર માનવામાં આવી રહ્યો છે.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે રાજસ્થાન હાઇકોર્ટનો અગાઉનો નિર્ણય રદ કરતાં જણાવ્યું કે ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 125(4) મુજબ જો પત્ની વ્યભિચારમાં રહેતી હોવાનું સાબિત થાય, તો તેને અંતિમ જ નહીં પરંતુ અંતરિમ ભરણપોષણનો પણ હક રહેતો નથી. તેથી આવા વાંધાનો નિર્ણય માત્ર અંતિમ સુનાવણી સુધી મુલતવી રાખવો યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટે સાથે જ સ્પષ્ટ કર્યું કે માત્ર શંકા કે આક્ષેપ પૂરતા નથી. પતિએ એવા સ્પષ્ટ, વિશ્વસનીય અને પ્રથમ નજરે માન્ય પુરાવા રજૂ કરવા પડશે, જેનાથી વ્યભિચારના આરોપને પ્રાથમિક આધાર મળે. આવા કેસોમાં ઇલેક્ટ્રોનિક પુરાવા અને પરિસ્થિતિજન્ય સાક્ષીઓની પણ કોર્ટ દ્વારા કાળજીપૂર્વક તપાસ કરવામાં આવશે.
આ કેસમાં પતિએ પત્ની વિરુદ્ધ અનેક તસવીરો અને 92 વીડિયો પુરાવા તરીકે રજૂ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આ સામગ્રી સંભવતઃ ખાનગી ડિટેક્ટિવ મારફતે એકત્રિત કરવામાં આવી હોઈ શકે છે. આ સાથે કોર્ટે ખાનગી તપાસ એજન્સીઓની કામગીરીને નિયમિત કરવા માટે કાયદાકીય માળખું તૈયાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
આ સમગ્ર મામલો 2014માં થયેલા લગ્ન બાદ ઊભા થયેલા વૈવાહિક વિવાદ સાથે જોડાયેલો છે. પત્નીએ 2020માં સસરાનું ઘર છોડ્યા બાદ અંતરિમ ભરણપોષણ માટે અરજી કરી હતી, જ્યારે પતિએ કલમ 125(4) હેઠળ વ્યભિચારનો મુદ્દો ઉઠાવી ભરણપોષણનો વિરોધ કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી સ્પષ્ટ થયું છે કે ભરણપોષણ અંગે નિર્ણય લેતા પહેલાં કોર્ટને કાયદામાં નક્કી કરાયેલા અપવાદોનું પણ યોગ્ય મૂલ્યાંકન કરવું પડશે.