લોકસભા ચૂંટણી પહેલા મુશ્કેલીમાં મુકાયેલી કોંગ્રેસને રાહત મળી છે. કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે સંકળાયેલા એકાઉન્ટ જે આવકવેરા વિભાગ દ્વારા ફ્રીઝ કરાયા હતા તેને આઈટી ટ્રિબ્યુનલ દ્વારા ફરી અનલૉક કરી દેવામાં આવ્યા છે. પાર્ટીના નેતા વિવેક તન્ખાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ખાતાઓ પરનું ફ્રીઝ બુધવાર સુધી હટાવી દેવાયું છે. તન્ખાએ કહ્યું કે મેં હાલ દિલ્હીમાં આઈટીએટી બેન્ચ સમક્ષ કોંગ્રેસનો પક્ષ રજૂ કર્યો.
અજય માકને કહ્યું હતું કે આપણા દેશમાં તાળાબંધી કરી દેવામાં આવી છે. લોકશાહીને પણ કબજે કરી લેવામાં આવી છે. હવે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકાર આવું પગલું ભરીને શું સાબિત કરવા માગે છે? દેશની મુખ્ય પાર્ટીના એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયા. આવકવેરા વિભાગે ૨૧૦ કરોડ રૂપિયાની રિકવરીની માગ કરી.
માકને કહ્યું કે, પાર્ટીએ રિટર્ન ફાઈલ કરવામાં મોડું કર્યું. પરંતુ વધુ ૪૫ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આનો અર્થ એ નથી કે, ખાતું જ ફ્રીઝ કરવું જોઈએ. આ કાર્યવાહીથી દરેક વસ્તુને અસર થઈ છે અને તેની પાસે વીજળીના બિલ અને પગાર ચૂકવવાના પૈસા નથી. બેંકમાં પૈસા જમા કરાવી શકતા નથી. બેંકમાંથી પૈસા પણ ઉપાડી શકતા નથી.
કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે ૨૦૧૮ના આવકવેરા રિટર્નને આધાર બનાવી કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે. આ ખૂબ જ શરમજનક વાત છે. લોકતંત્રની હત્યા થઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલાં અમારા એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા . કોંગ્રેસ પાર્ટી મેમ્બરશીપ ડ્રાઈવના માધ્યમથી યુથ કોંગ્રેસ દ્વારા પૈસા એકત્રિત કરે છે અને તે પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા.
આ પણ વાંચો :-