પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કુલ ₹39,290 કરોડના મહત્વપૂર્ણ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF), વ્યાવસાયિક વાહનોના આધુનિકીકરણ અને હાઈવે પ્રોજેક્ટ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) માટે ₹10,000 કરોડની એકમુષ્ટ બજેટીય સહાયને મંજૂરી આપી છે. આ સહાયનો હેતુ ભારતીય એરલાઈન્સના સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ માટે ATFના ભાવને સ્થિર રાખવાનો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નાણાકીય સહાય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની “ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ” હેઠળ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વ્યાજમુક્ત એડવાન્સ રૂપે આપવામાં આવશે.
સરકારનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે ઇંધણના ભાવમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં એરલાઈન્સને રાહત મળે અને ATFના ભાવમાં સ્થિરતા જળવાઈ રહે તે માટે OMCsને આ સહાય આપવામાં આવશે.
આ નિર્ણયથી એરલાઈન્સ ક્ષેત્રને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન વિકાસને પણ વધુ વેગ મળશે.