માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના નેશનલ કોઓર્ડિનેટર અને પોતાના ઉત્તરાધિકારીના પદ પરથી હટાવી દીધો છે. BSPના પ્રમુખ માયાવતીએ ગત વર્ષે ડિસેમ્બરમાં પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીએ પોતાનો નિર્ણય પરત ખેચી લીધો છે. માયાવતીએ કહ્યું કે પરિપકવ થવા સુધી આકાશ આનંદને બન્ને મહત્ત્વની જવાબદારીથી અલગ રાખવામાં આવશે.
હવે સવાલો ઉઠી રહ્યા છે કે લોકસભા ચૂંટણી વચ્ચે બસપામાં આ મોટા ફેરબદલનું કારણ શું છે. જ્યારે આકાશ આનંદને લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેને ખાસ કરીને યુપીમાં ભારે આકર્ષણ મળી રહ્યું હતું. લોકો તેમની સભાઓમાં તેમને સાંભળવા આવતા હતા. બધાને લાગ્યું કે બસપા ફરી મોમેન્ટમ પાછું મેળવી રહી છે. પરંતુ આકાશ આનંદના છેલ્લાં કેટલાક નિવેદનોથી બસપાને ઘણું નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે.
આકાશ આનંદે કહ્યું હતું કે ભાજપની સરકારને બુલડોઝરની સરકાર કહેવામાં આવતા પીએમ મોદી વિપક્ષી દળોને સવાલ કરી રહ્યાં છે પરંતુ આ વાસ્તવમાં બુલડોઝરની નહીં આતંકવાદીઓની સરકાર છે. આ સરકારે દેશની જનતાને ગુલામ બનાવીને રાખી છે. ભાજપ સરકારને આતંકવાદી કહેવામાં આવતા ભાજપે આકાશ આનંદ વિરૂદ્ધ સીતાપુરમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
માયાવતીએ જણાવ્યું હતું કે આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને મારા ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં સુધી તેમને પૂર્ણ બહુમતી ન મળે પાર્ટી અને ચળવળના મોટા હિતને ધ્યાનમાં રાખીને તેમને આ બે મહત્વની જવાબદારીઓથી દૂર રાખવામાં આવે છે. માયાવતીએ કહ્યું હતું કે તેમના પિતા આનંદ કુમાર પહેલાની જેમ પાર્ટી અને આંદોલનમાં તેમની જવાબદારીઓ નિભાવતા રહેશે. બસપાની નેતાગીરી પાર્ટી અને આંદોલનના હિતમાં અને બાબાસાહેબ ડો. આંબેડકરના આદર્શોને આગળ લઈ જવા માટે કોઇ પણ પ્રકારનું બલિદાન આપવામાં શરમાશે નહીં.