લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કાનું મતદાન ગતરોજ ૭ મેના પૂર્ણ થયું છે. ગુજરાતની ૨૫ લોકસભા બેઠક સહિત પાંચ વિધાનસભા બેઠક પર જોરશોરથી મતદાન થયું. ચૂંટણી પૂર્વેથી હોટ સીટ રહેલી રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રુપાલાની વિવાદિત ટિપ્પણી અને ક્ષત્રિય આંદોલનથી રાજકીય ગરમાવો રહ્યો હતો. હવે તેના પરિણામ તો ૪ જૂને સામે આવશે પણ તે પહેલા ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું મતદાન બાદનું નિવેદન સામે આવ્યું છે.
પરશોત્તમ રુપાલાએ મતદાન બાદ મોટું નિવદેન આપ્યુ છે. રૂપાલાએ વધુમાં જણાવ્યુ કે, મારા વ્યક્તવ્ય મારી પાર્ટી માટે પ્રોત્સાહક રહેતા હતા તેના બદલે હું જ્યારે ઉમેદવાર હોવ ત્યારનું મારું એક નિવેદન મારી પાર્ટીને મુશ્કેલીમાં મુકનાર બન્યુ છે. જેની સઘળી જવાબદારીને હું સ્વીકારું છુ. અમારા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે પણ ક્ષત્રિય સમાજ સામે દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે પણ પ્રયાસો કર્યા હતા. તેનો નિમિત માત્ર હું છું. હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર, મારાથી પણ ભૂલ થઇ ગઇ છે.
મારા નિવેદનને કારણે વડાપ્રધાન તેમજ મારા ઘણા સાથી મિત્રોને જે સમસ્યા સર્જાઈ તે મુદ્દે પણ માફી માંગુ છું. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે અને ફરી પાછી હું માફી માંગીને મિચ્છામી દુક્કડમ કહું છું. મને આદેશ છે બાકીના ચાર ચૂંટણી ચરણોમાં પ્રવાસ માટે પણ તારીખ હજુ આવી નથી. મોટા ઉદ્યોગો સૌરાષ્ટ્ર-કચ્છમાં આવે એવાં પ્રયાસ એક જન પ્રતિનિધિ તરીકે ચોક્કસ કરીશ.