- પૂરગ્રસ્તોમાં પૂર વખતના બિહામણા દ્રશ્યો અને સતત પૂરનો ભય દૂર હટી રહ્યો નથી. પૂરગ્રસ્ત લોકો માનસિક આઘાતમાં ધકેલાઈ રહ્યું છે, શું કહે છે મનોચિકિત્સક ?
નર્મદામાં આવેલા પૂર બાદ લોકો આઘાતમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઓર્ડરનો ભોગ બની રહેલા ભરૂચના પૂરગ્રસ્ત લોકો માનસિક આઘાતમાં ધકેલાઈ રહ્યા છે. અચાનક આવેલું પાણી જ લોકોને વારંવાર યાદ આવી રહ્યું છે. ભરૂચના મનોચિકિત્સકને PTSDના કેસો અને ફોન કોલ મળી રહ્યા છે.
નર્મદાનું અચાનક આવેલું અકલ્પનીય પૂર હવે ભરૂચ જીલ્લાના પુર અસરગ્રસ્તોની માનસિક પરિસ્થિતિને પણ ડુબાડી રહ્યું છે. મહામારી કોરોના બાદ નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરે ફરીથી કેટલાય પીડિતોને માસ સામુહિક માનસિક આઘાતમાં પણ સેરવી દીધા છે.
અચાનક આવેલું અધધ પાણી અને તે પાણીમાં ઘરવખરી, અનાજ-પાણી, પશુધન સહિતની ચીજવસ્તુઓ સાથે પોતે પણ તણાઈ રહેલા નજર સમક્ષ જોયેલા દ્રશ્યો અને પ્રત્યક્ષ અનુભવેલી વેદના લોકોના જનમાનસ પરથી ખસી રહી નથી.
ભરૂચના બાળકોના મનોચિકિત્સક ડો.સાજીદ આ માનસિક બીમારીને પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડિસઓર્ડર PTSD કહી રહ્યાં છે. આ માનસિક બીમારીમાં કુદરતી આફતો પુર, ભૂકંપ, વાવાઝોડા, યુદ્ધ સહિતમાં સામુહિક કે વ્યક્તિગત આફત બાદ પીડિતોમાં આ બીમારી જોવા મળે છે. હાલ નર્મદાના પૂર બાદ બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિત કેટલાય પૂરગ્રસ્તોમાં પૂર વખતના બિહામણા દ્રશ્યો અને સતત પૂરનો ભય દૂર હટી રહ્યો નથી.
કેટલાકને પૂરનો આઘાતજનક બનાવ વારંવાર યાદ આવી રહ્યો છે. પૂરના પેનિક એટેક આવી રહ્યાં છે. ફરીથી એ જ પુરનો બનાવ બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ઊંઘ ન આવવી, વારંવાર ગભરાઈને જાગી જવું જેવી ફરિયાદો સાથે માતા-પિતાના ફોન પણ મનોચિકિત્સક ઉપર જઈ રહ્યાં છે.
હોનારત જનમાનસમાં મોટાપાયે માનસિક અસર પહોંચાડે છે. તેનાથી દર્દીને બહાર લાવી સ્વસ્થ કરવા કાઉન્સિલિંગ, પ્રેમ, હૂંફ, કસરત અને દવાઓનો ઉપચાર આપવામાં આવે તો આવા દર્દીઓને આવી બીમારીમાંથી દૂર કરી શકાય છે.
આ પણ વાંચો :-