સુરતમાં મંદીના ભણકારા : નાના કારખાના બંધ થયા, રત્ન કલાકારોને વેકેશન આપી દેવાયું

Share this story

Bhankara of recession in Surat 

  • Recession In India : સુરતના હીરા ઉદ્યોગમાં મંદી. અમેરિકાએ રશિયાના ડાયમંડથી તૈયાર થયેલી જ્વેલરી ખરીદવાની ના પાડી. આ કારણે બેકાર બન્યા સુરતના નાના કારખાનાના વેપારીઓ. રત્નકલાકારોને વેકેશન આપી દેવાયુ.

અમેરિકા (America) અને યુરોપના (Europe) દેશોમાં મંદી તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લીધે સ્થાનિક હીરા ઉદ્યોગ પર પહેલાથી જ ગંભીર અસર પડી રહી છે અને નિકાસમાં પણ ઘટાડો થયો છે. આવામાં બ્રિટન સરકારે રશિયાના હીરા પર પ્રતિબંધ મુકતા ત્યાં નિકાસમાં સમસ્યા સર્જાઈ શકે છે.

અમેરિકાની કેટલીક કંપનીઓ અને બ્રિટન બાદ હવે દુબઈ પણ સુરતના હીરા વેપારીઓને પૂછી રહ્યાં છે કે જે હીરા અને જ્વેલરી તેઓ મોકલી રહ્યા છે તે રશિયાના માઇન્સ આવેલા રફ ડાયમંડથી તૈયાર થયેલા તો નથી? આ સ્થિતિની મોટી અસર થઈ છે. આ કારણે સુરતમાં નાના કારખાનાના માલિકોએ રત્ન કલાકારોને રજા આપી દીધી, જેને કારણે રત્ન કલાકારો પર આફત આવી પડી છે.

કારખાનાવાળાઓએ વેકેશન જાહેર કર્યું  :

રશિયા અને યુકેન વચ્ચે યુદ્ધની સ્થિતિ ટાળવા માટે દુનિયાના કેટલાક દેશો દ્વારા સતત પ્રયાસો જારી છે. પરંતુ રશિયા વાટાઘાટ માટે સ્વીકાર નહીં થતા યુદ્ધને સવા વર્ષ વીતી ગયા છે. તેની અસર હેઠળ દુનિયાના અર્થતંત્ર માટે સમસ્યા ઉભી થઈ છે. યુરોપના અનેક દેશો પર વિપરીત અસર પડી રહી છે.

તે સિવાય હાલ અમેરિકામાં પણ મંદીનો માહોલ છે. સુરતમાં તૈયાર થતા હીરા માટે અમેરિકા, યુરોપ અને ચીન સહિતના દેશો મોટા ખરીદાર છે. વૈશ્વિક મંદીને લીધે સુરતના હીરા ઉદ્યોગકારો માટે સમસ્યા ઉભી થઈ છે. ડિમાન્ડના અભાવે કારખાનાઓમાં વેકેશન રાખવાની નોબત આવી છે. અનેક કારખાનામાં કામના કલાકો ઘટાડવામાં આવ્યા છે.

એક્સપોર્ટમાં ઘટાડો થયો  :

એપ્રિલ મહિનામાં ૩૧% એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે જ્યારે બીજી બાજુ રફ ડાયમંડની ખરીદી ૧૦% વધારે થઈ છે જે આવનાર દિવસોમાં મુશ્કેલી સર્જી શકે છે. ૬૦% વેપાર અમેરિકા સાથે થાય છે અને અમેરિકાની કેટલીક કંપનીઓએ જણાવ્યું છે ક, તેઓ રશિયાના ડાયમંડ થી તૈયાર જ્વેલરી ખરીદશે નહીં અને હવે બ્રિટેન અને દુબઈ પણ આવી જ રીતે ડીલ કરી રહ્યા છે.

૫ જૂન સુધી કારખાના બંધ  :

હીરા માર્કેટમાં ઉદભવેલી આ સ્થિતિને કારણે નાના કારખાના હાલ બંધ થયા છે. નાના હીરાના કારખાના ૫ જૂન સુધીમાં પણ નહીં ઉઘડે. જેને કારણે રત્નકલાકારો પર આફત આવી પડી છે. કારીગર વર્ગ માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે એવી રજુઆત વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. કેટલીક હીરાની કંપનીઓએ માર્કેટ સુધરે નહીં ત્યાં સુધી કારખાનાં બંધ રાખવાની કારીગરોને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-