રાજ્યની સૌથી મોટી અને સુરક્ષિત મનાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચાલતી પોલમપોલ, સ્ટાફની બેદરકારી અને આંતરિક વિવાદોની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ સેન્ટ્રલ જેલના રેઢીયાળ તંત્રનો જીવતો જાગતો પુરાવો ત્યારે સામે આવ્યો જ્યારે હત્યા અને પોક્સોના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલના મેઈન ગેટમાંથી ફરાર થઈ ગયો. હાઈ સિક્યોરિટી ધરાવતી જેલમાંથી કેદી ભાગી છૂટતા જેલ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલર દેવદત્તસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે.
ગણતરી દરમિયાન ખુલ્યો કેદી ફરાર થવાનો ભાંડો
રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, જેલના બડા ચક્કર યાર્ડ નંબર-4માં કુલ 33 કેદીઓને રાખવામાં આવ્યા હતા. નિયમિત ગણતરી દરમિયાન માત્ર 32 કેદીઓ હાજર મળતા માલદે પરમાર ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જેલમાં તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેદીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. બાદમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા માલદે પરમાર જેલ સ્ટાફને ચકમો આપી મેઈન ગેટમાંથી બહાર નીકળતો નજરે પડ્યો હતો.
હત્યા અને પોક્સો કેસમાં ભોગવી રહ્યો હતો આજીવન કેદ
માલદે પરમાર સામે વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા, પોક્સો સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હતા. વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. શરૂઆતમાં તેને પોરબંદર જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત બગડતા તેને વર્ષ 2025માં સારવાર અને દેખરેખ માટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.