Home Blog

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક લોકોએ પરાગ શાહને ધુત્કાર્યા, કાઢી મુક્યા તો કેટલાંક ગરીબોએ અડધામાંથી અડધો ટુકડો પણ આપ્યો

ભિક્ષુકયાત્રા દરમિયાન પરાગ શાહને દુનિયાની વાસ્તવિકતાના અનેક અનુભવ થયા, ગરીબે આપેલા ટુકડા સામે કરોડોની સંપત્તિની કોઈ વિસાત નથી તો બીજી તરફ સમય આવ્યે પોતીકા પણ પારકા બની જતા હોવાનો અનુભવ કર્યો

નમ્રમુનિ મહારાજ સાહેબ પરાગ શાહને વાસ્તવિક દુનિયાનો અનુભવ કરાવવા માંગતા હતા અને એટલે જ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા આદેશ કર્યો હતો, પરાગ શાહ માટે નમ્રમુનિ મહારાજ સાહેબનો આદેશ સર્વોપરી હતો

મુંબઈના ઘાટકોપરના ભાજપના ધારાસભ્ય પરાગ શાહના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ખમતીધર, આર્થિક રીતે સધ્ધર અને વેપાર-ઉદ્યોગમાં મોટું નામ અને કામ ધરાવતા પરાગ શાહ જૈન ધર્મના નિયમપાલનમાં પણ એટલા જ ચુસ્ત અને પ્રામાણિક છે અને એટલે જ ભાજપે મહારાષ્ટ્રની ગત ચૂંટણીમાં ઘાટકોપર બેઠક માટે પરાગ શાહની પસંદગી કરી હતી અને તેમના પ્રચાર માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના આગેવાનોએ ઘાટકોપર અને અન્ય બેઠકો માટે પ્રચાર કરવા ગયા હતા.

અલબત્ત પરાગ શાહની ખુદની એટલી બધી લોકપ્રિયતા છે કે એમના માટે ચૂંટણીપ્રચાર કરવાની જરૂર નહોતી, લોકો સામે ચાલીને પરાગ શાહને નોંધપાત્ર બહુમતીથી જીતાડવા તલપાપડ હતા અને ચૂંટણીનાં પરિણામો આવતા પરાગ શાહ જંગી બહુમતિથી ચૂંટાઇ આવ્યા હતા.
ખેર, પરાગ શાહનું બીજું જમા પાસું એ છે કે તેઓ ચુસ્ત માનવતાવાદી હોવા ઉપરાંત જૈન ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને જૈન પરંપરાનું નખશિખ આચરણ કરતા આવ્યા છે. ભગવાન મહાવીરના બોધને તેમણે જીવનચર્યામાં વણી લીધો છે.
મુંબઇ મહાનગર ભાજપ જૈનસેલના પ્રમુખ સી.વી. શાહના કહેવા મુજબ પરાગ શાહ અજાતશત્રુ છે, હંમેશાં પરોપકારમાં માનતા પરાગ શાહની સવાર પહેલું કામ પરોપકાર કરવાથી પડે છે. જાહેર જીવનમાં પરાગ શાહ ભાજપની વિચારધારાથી રંગાયેલા છે. પરંતુ પોતાની રાજકીય વિચારધારાને બાજુમાં રાખીને કોઇપણ ધર્મ, વર્ગ, સમાજને ઓળખ્યા વગર હંમેશા સમાજસેવાની આહલેક જગાવતા આવ્યા છે. પરાગ શાહ માટે માનવીય કર્મ અને માનવતા મુખ્ય વિચારધારા છે.

પર્યુષણ પર્વ દરમિયાન પરાગ શાહે જીવમાત્રના કલ્યાણ માટે બે હાથે મૂડી વહેંચી હતી અને છેલ્લે તેમના આધ્ય‌‌ાત્મિક ગુરૂ નમ્રમુનિ મહારાજના આદેશથી ભિક્ષુકનો વેશ ધારણ કરીને શેરીઓમાં ભિક્ષા પણ માંગી હતી! એક કરોડપતિ વ્યક્તિ ભિક્ષુકનું રૂપ ધારણ કરી શહેરની ગલીઓમાં ભીખ માંગવા નીકળે ત્યારે વાત સાંભળવાનું પણ અસહજ લાગે. રોજ લાખોનું દાન કરનાર માણસ રોડ ઉપર ઊતરીને લોકો પાસે ભિક્ષા માટે હાથ ફેલાવે ત્યારે સાંભળનાર કોઈના માટે પણ અચરજ પમાડનારું લાગે પરંતુ ગુરૂદેવના આદેશથી પરાગ શાહ ભિક્ષુક બન્યા હતા. કરોડો, અબજોની સંપત્તિ, ભોગવિલાસ, પદ-પ્રતિષ્ઠા આ બધું નાશવંત, ક્ષુલ્લક અને ક્ષણિક છે. આ વાતનો જીવનમાં નમ્રમુનિ મહારાજ સાહેબે વાસ્તવિક અનુભવ કરાવ્યો હતો અને પરાગ શાહ પોતાની અસલ ઓળખ છુપાવીને ભિક્ષુક બનીને મુંબઇ મહાનગરની શેરીઓમાં નીકળ્યા ત્યારે ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે કહેલા એક એક શબ્દનો સાક્ષાત્કાર થયો હતો. પરાગ શાહે ધાર્યું હોત તો જૈન મંદિરોમાં કરોડોની રકમ ન્યોચ્છાવર કરી શક્યા હોત, કરોડોનું કીર્તિદાન પણ કરી શક્યા હોત. અલબત્ત તેમણે આ બધું કર્યું છે અને કરતા પણ આવ્યા છે. પરંતુ તેમના માટે ગુરૂદેવનો આદેશ સર્વોચ્ચ હતો.
ભગવાન મહાવીરપ્રભુ પણ ભોગ, વિલાસ, સત્તા-સંપત્તિનો ત્યાગ કરીને આત્મ કલ્યાણના માર્ગે સંસારનો ત્યાગ કર્યો હતો. ભગવાન મહાવીર પ્રભુએ કહેલી એક એક વાત, એક એક સંદેશ વર્તમાન યુગમાં યથાર્થ ઠરી રહ્યા છે.

ધારાસભ્ય પરાગ શાહ સંસારમાં રહીને સાધુ જેવું જીવન જીવી રહ્યા છે. નમ્રમુનિ મહારાજ સાહેબ પરાગ શાહને ગરીબો, મજબૂર લોકો અને સમાજના કહેવાતા શ્રીમંત લોકોનો વ્યક્તિગત પરિચય કરાવવા માંગતા હતા અને પરાગ શાહે એક દિવસની ભિક્ષુક તરીકેની યાત્રા દરમિયાન ઘણા ઘણા અનુભવો કર્યા. ઘણા એવા લોકો મળ્યા જેમની પાસે કંઇ જ નહોતું છતા અડધામાંથી અડધો ટુકડો પરાગ શાહને આપ્યો હતો! મતલબ, ગરીબ લોકોમાં પણ દાતાર અને દયાવાન બંનેનો અનુભવ પરાગ શાહને થયો હતો. કેટલાક લોકોએ બે, પાંચ દસ રૂપિયા ‌‌િભક્ષા તરીકે આપ્યા હતા. આ લોકો એવા હતા કે જેમનામાં ગરીબો માટે અનુકંપા હતી. તો કેટલાક લોકો એવા પણ હતા કે જેમણે પરાગ શાહને દરવાજા નજીક પણ ઊભા રહેવા દીધા નહોતા. સિક્યોરીટી ગાર્ડને બોલાવીને ખદેડી મુક્યા હતા!
પરાગ શાહને આવા અનેક અનુભવો થવા સાથે દુનિયા અને જીવન બન્નેને નજીકથી જોવાની સમજવાની તક મળી હતી, બલ્કે હવે પછીના તેમના જીવનમાં અનેક બદલાવ જોવા મળશે. એક દિવસની આ યાત્રાએ પરાગ શાહને સમગ્ર જીવનયાત્રાનો મર્મ, ભેદ સમજાઈ ગયા હતા અને તેમણે જીવનનું સંપૂર્ણ પારદર્શક સત્ય સમજાવવા માટે ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનો વિનમ્ર ભાવે આભાર વ્યક્ત કર્યો હતો.
ઘાટકોપરના ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુકનો વેશ ધારણ કરીને ભિક્ષા માંગી હોવાની વાત સાંભળતા લોકો ચોંકી ઊઠ્યા હતા. તેમના ચિરપરિચિતો, ભાજપના કાર્યકરો, સમાજના આગેવાનો પરાગ શાહને મળવા દોડી ગયા હતા અને નમ્રમુનિ મહારાજ સાહેબના આદેશનું અનુસરણ કરીને સમાજજીવનની વાસ્તવિકતા સમજવાના કરેલા પ્રયાસની સરાહના કરી હતી.
નમ્રમુનિ મહારાજ સાહેબ જૈન સમાજમાં આદરપાત્ર સંત છે. તેમનો પડેલો બોલ ઝીલવા સમગ્ર જૈન સમાજ હંમેશા આતુર હોય છે. નમ્રમુનિ મહારાજ સાહેબ ઉચ્ચ આસને બિરાજતા હોવા છતાં તેઓ ધરતી ઉપર પગ રાખીને કરૂણા વરસાવનારા સંત છે. છેવાડાનો સામાન્ય વ્યક્તિ પણ ઇચ્છે તો કોઇપણ પ્રકારની ઔપચારિકતા વગર તેમને મળી શકે છે. પોતાની વાત, ઇચ્છા, મુશ્કેલી વ્યક્ત કરીને માર્ગ મેળવવા સાથે આશીર્વાદ પણ મેળવી શકે છે. નમ્રમુનિ મહારાજ સાહેબને સાંભળવા લાખોની મેદનીનો સતત પ્રવાહ વહેતો રહે છે. અત્યંત પવિત્ર અને પ્રભાવી નમ્રમુનિ મહારાજ સાહેબના આદેશથી સમાજજીવનમાં પદ, પ્રતિષ્ઠા અને કરોડોનો કારોબાર ધરાવતા પરાગ શાહ જેવા ખમતીધર આગેવાન ભિક્ષા માંગવા નિકળે આ ઘટના જ નમ્રમુનિ મહારાજ સાહેબના પ્રભાવનું જીવંત ઉદાહરણ છે. વળી પર્યુષણ પર્વના અંતિમ દિવસે બનેલી ઘટનાએ માત્ર જૈન સમાજમાં જ નહીં, જાહેરજીવન માટે પણ ત્યાગની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

16 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધી 12 રાશિનું ભવિષ્યફળ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal) રજૂ કરેલ છે:

​મેષ (Aries):
આજે તમારી કાર્યક્ષમતા અને નિર્ણયશક્તિમાં ઉત્તમ વધારો જોવા મળશે. વેપાર-ધંધામાં નવી કાર્યયોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ સંજોગો સર્જાશે. સાંજનો સમય પરિવાર સાથે શાંતિ અને મનોરંજનમાં વિતશે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો રહેશે, પરંતુ ઉતાવળા નિર્ણયો લેવાથી બચવું.


​વૃષભ (Taurus):
નાણાકીય આયોજન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું અને બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ રાખવો હિતાવહ છે. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે સારો તાલમેલ જાળવી રાખવાથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક વિષય પર ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, આહારમાં નિયમિતતા રાખવી.


​મિથુન (Gemini):
બુધવારના દિવસે રાશિ સ્વામી બુધની કૃપાથી તમારી બુદ્ધિ અને કુશળ વાણીનો પ્રભાવ કાર્યક્ષેત્રે વધશે. વેપારમાં નવી ભાગીદારી કે મહત્વપૂર્ણ સોદા સફળ થવાની ઉત્તમ સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને સંશોધન કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ સમય છે. મિત્રો સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત કરશે.


​કર્ક (Cancer):
માનસિક શાંતિ જાળવી રાખવા માટે નકારાત્મક ચર્ચાઓ કે વિચારોથી દૂર રહેવું લાભદાયી રહેશે. નોકરીમાં તમારી મહેનત અને પ્રમાણિકતાની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રશંસા થશે. પારિવારિક સંબંધોમાં સ્નેહ અને મધુરતા જળવાઈ રહેશે તથા જીવનસાથીનો પૂરો સાથ મળશે. આધ્યાત્મિક વિચારોથી મનને નવી ઊર્જા મળશે.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યક્ષેત્રે અટકેલા મહત્વના કાર્યો ઝડપથી પાર પડશે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા અને પ્રભાવમાં સારો વધારો થશે. આર્થિક સ્થિતિ વધુ સુધરશે અને જૂના રોકાણોમાંથી સંતોષકારક લાભ મળશે. દાંપત્યજીવન સુખમય અને આનંદદાયક રહેશે.


​કન્યા (Virgo):
રાશિ સ્વામી બુધના શુભ પ્રભાવથી આજે સમય વ્યવસ્થાપન જાળવીને તમામ લક્ષ્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી અને અજાણ્યા લોકો પર વધુ પડતો વિશ્વાસ ન કરવો. પરિવારના સભ્યો તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે. નિયમિત યોગ અને વ્યાયામથી સ્વાસ્થ્ય સારું રહેશે.


​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ અપાવનારો સાબિત થશે. વેપાર-ધંધામાં સારો નફો થવાના અને આવકના નવા સ્ત્રોત ઊભા થવાના શુભ સંકેતો છે. કૌટુંબિક વાતાવરણ ઉત્સાહજનક રહેશે અને કોઈ સારા સમાચાર મળી શકે છે. મન દિવસભર પ્રફુલ્લિત અને સકારાત્મક રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે અને વિરોધીઓ પર તમારો પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ મજબૂત બનશે અને નવી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી શકશો. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી અટકેલા કાર્યો સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને ઉત્તમ રહેશે.


​ધન (Sagittarius):
ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે રુચિ વધશે અને દાન-પુણ્યમાં મન વિશેષ લાગશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો પૂર્ણ થવા લાગશે. નાની અને લાભદાયી યાત્રાનો સુંદર યોગ બની રહ્યો છે. સંતાનો તરફથી ઉત્સાહવર્ધક સમાચાર મળશે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ રાખવો, વાદ-વિવાદ કે ઉગ્ર ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધુ કરવો પડશે પરંતુ તેનું પરિણામ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. નાણાકીય બાબતોમાં આયોજનપૂર્વક આગળ વધવું જરૂરી છે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.


​કુંભ (Aquarius):
ભાગીદારીના ધંધામાં સારો આર્થિક લાભ થશે અને નવી વ્યવસાયિક યોજનાઓ શરૂ કરવા માટે ઉત્તમ સમય છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથી તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે. તમારી સર્જનાત્મકતા અને નવીન વિચારોની પ્રશંસા થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.


​મીન (Pisces):
કાર્યસ્થળે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને મહેનતનું ધાર્યું તેમજ સંતોષકારક પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. નાણાકીય બચતમાં વધારો થશે અને બિનજરૂરી ખર્ચ પર સારો અંકુશ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આત્મસંતોષ મળશે.

VIDEO: પાણીપુરી પ્રેમીઓ માટે પણ સરપ્રાઇઝ! પૂરીથી બનાવાયી આટલા ફૂટના ગણપતિ બાપ્પાની મૂર્તિ

0

ગણપતિ બાપ્પાની મૂર્તિ તો તમે અનેક પ્રકારની જોઈ હશે, પરંતુ પુણેના FC રોડ પર સ્થાપિત આ બાપ્પાને જોઈને કદાચ તમારી નજર પણ થંભી જશે! કારણ કે અહીં 21 હજાર પાણીપુરીની પૂરીનો ઉપયોગ કરીને 11 થી 12 ફૂટ ઊંચી ગણપતિની અનોખી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ગણેશોત્સવના માહોલમાં આ અનોખી કલાત્મક રચના હવે લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.

પુણેના પ્રખ્યાત FC રોડ, નામદાર ગોખલે પથ પર આવેલા ગણેશ ભેલના આઉટલેટની બહાર આ વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ મૂર્તિ તૈયાર કરવાની કામગીરી લગભગ બે મહિના સુધી ચાલી હતી. કલાકાર પ્રશાંત સાળુંખેએ આ અનોખા વિચારને મૂર્ત સ્વરૂપ આપ્યું છે.

આ મૂર્તિ તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાયેલી પાણીપુરીની પૂરી ગણેશ ભેલની પોતાની ઉત્પાદન સુવિધામાં બનાવવામાં આવી હતી. મૂર્તિનું માળખું વાંસ અને કાગળ જેવી સામગ્રીથી તૈયાર કરાયું છે. ગણેશ ભેલ દ્વારા સતત ચોથા વર્ષે અલગ થીમ પર અનોખા બાપ્પા બનાવવામાં આવ્યા છે.

અનોખી કળા સાથે પર્યાવરણમૈત્રી વિચારને જોડતી આ મૂર્તિ અનંત ચતુર્દશી સુધી લોકોનું ધ્યાન ખેંચશે.

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં જ ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. લાડુ પર સફેદ ફૂગ અને દુર્ગંધ જોવા મળ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હવે ઓનલાઈન મીઠાઈઓની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી ચેકિંગને લઈને સવાલો ઉઠ્યા છે. જોકે, આ લાડુ ખરેખર કેટલા સમયથી ખરાબ હતા અને તેની જવાબદારી કોની છે, તે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રદીપ ગુપ્તાએ ગણેશ ચતુર્થી નિમિત્તે પોતાના સ્ટાફ માટે પ્રસાદ તરીકે વહેંચવા બ્લિંકિટ પરથી 1 કિલો મોતીચૂરના લાડુનો ઓર્ડર કર્યો હતો. અહેવાલ મુજબ, તેના માટે તેમણે રૂ.504 ચૂકવ્યા હતા. પાર્સલ મળ્યા બાદ પેકેટ ખોલતાં લાડુમાંથી દુર્ગંધ અને તેના પર સફેદ ફૂગ દેખાઈ હતી.

ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, તેમણે ડિલિવરી કર્મચારીને લાડુની સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી. તેમનો દાવો છે કે ડિલિવરી કર્મચારીએ કહ્યું હતું કે તેની જવાબદારી માત્ર પાર્સલ પહોંચાડવાની છે, તેની અંદરની વસ્તુ તપાસવાની નહીં.

આ ઘટના બાદ ગુપ્તાએ સુરત ફૂડ વિભાગનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ફોન પર તેમને બહુમાળી ભવન સ્થિત ફૂડ વિભાગની કચેરીએ આવીને ફરિયાદ કરવા જણાવાયું હતું. આ અંગે તેમણે નારાજગી વ્યક્ત કરતાં પ્રશ્ન ઉઠાવ્યો કે શંકાસ્પદ અને સંભવિત રીતે અસુરક્ષિત ખાદ્ય પદાર્થ અંગે જાણ થતાં સ્થળ પર તપાસ કેમ ન થાય.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લાડુની ખરાબ સ્થિતિનું ચોક્કસ કારણ, ઉત્પાદન સ્તર કે સ્ટોરેજ દરમિયાન થયેલી ખામી અંગે અંતિમ નિષ્કર્ષ સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે.

રોકાણકારો માટે મંગળવાર બન્યો ‘અમંગળ’! સેન્સેક્સ-નિફ્ટી કેમ તૂટી પડ્યા? સામે આવ્યા 3 મોટા કારણ

0

સવારમાં તેજીની દોડ અને થોડા જ કલાકોમાં ભારે ધડામ! આજે ભારતીય શેરબજારમાં એવો અચાનક પલટો આવ્યો કે રોકાણકારો ચોંકી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીએ સકારાત્મક શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં ભારે વેચવાલી શરૂ થતાં સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરથી 1,400થી વધુ પોઈન્ટ નીચે સરકી ગયો હતો. અંતે સેન્સેક્સ 777.36 પોઈન્ટ એટલે કે 1.04% ઘટીને 74,003.82 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 280.90 પોઈન્ટ ઘટીને 23,118.60 પર પહોંચ્યો હતો. નિફ્ટી માટે આ લગભગ પાંચ મહિનાનું સૌથી નીચું ક્લોઝિંગ લેવલ રહ્યું હતું.લગભગ સાત એક લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.

આ અચાનક ઘટાડા પાછળ વૈશ્વિક બજારોની ચિંતા, મોંઘું કાચું તેલ અને વધતા બોન્ડ યીલ્ડ જેવા પરિબળો મુખ્ય રહ્યા છે.

પહેલું કારણ: મોંઘું ક્રૂડ ઓઈલ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો અને તે આશરે 107.8 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું. ભારત જેવા મોટા ક્રૂડ આયાતકાર દેશ માટે મોંઘું તેલ મોંઘવારી, કંપનીઓના ખર્ચ અને અર્થતંત્ર પર દબાણ વધવાની ચિંતા ઊભી કરે છે.

બીજું કારણ: અમેરિકી બોન્ડ યીલ્ડનો ઉછાળો
અમેરિકાની 10-વર્ષીય ટ્રેઝરી યીલ્ડ 5%ના સ્તરને પાર પહોંચી હતી. ઊંચી યીલ્ડ વૈશ્વિક રોકાણમાં જોખમ અંગે સાવચેતી વધારે છે અને ભારત જેવા ઉભરતા બજારોમાંથી વિદેશી નાણાં પર પણ અસર કરી શકે છે.

ત્રીજું કારણ: બજારમાં વધેલી અસ્થિરતા
India VIX, જે બજારની અપેક્ષિત અસ્થિરતાનો સંકેત આપે છે, શરૂઆતના સત્રમાં 3.74% વધીને 12.76 થયો હતો. ક્રૂડ, રૂપિયા અને અમેરિકી વ્યાજદર અંગેની અનિશ્ચિતતાએ રોકાણકારોને વધુ સાવચેત બનાવ્યા.

રસપ્રદ વાત એ રહી કે સમગ્ર બજાર તૂટ્યું હોવા છતાં IT શેરોએ રાહત આપી અને Nifty ITમાં તેજી જોવા મળી. બીજી તરફ નાણાકીય અને ઓટો સેક્ટર પર વધુ દબાણ રહ્યું.

નોંધ:શેરબજારમાં રોકાણ પહેલાં તમારી જોખમક્ષમતા મુજબ પ્રમાણિત નાણાકીય સલાહકારની સલાહ લેવી.

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ હવે ગુજરાતમાં વૈજ્ઞાનિકોએ જે ટારગેટ બનાવ્યું છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો—સૂર્ય! ગાંધીનગરમાં બની રહેલા આ અદ્ભુત ફ્યુઝન પ્રયોગને ‘આર્ટિફિશિયલ સન’ સાથે સરખાવવામાં આવી રહ્યું છે. સવાલ એ છે કે ધરતી પર સૂર્ય જેવી ગરમી ઊભી કરીને આખરે ભારત મેળવવા શું માગે છે?

ગુજરાતના ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ (IPR)માં આ દિશામાં ભારતનું મહત્વનું સંશોધન ચાલી રહ્યું છે. અહીંના SST-1 ટોકામેક સાથે નવી 82.6 ગીગાહર્ટ્ઝ અને 400 કિલોવોટ ક્ષમતાની ECRH સિસ્ટમ જોડવામાં આવી છે. આ ટેક્નોલોજી પ્લાઝ્માને ગરમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

SST-1 એટલે Steady State Superconducting Tokamak-1. તે ભારતની ફ્યુઝન રિસર્ચ મશીન છે, જેનો આકાર ડોનટ જેવો છે. ટોકામેકની અંદર ગેસને અત્યંત ઊર્જાવાન સ્થિતિમાં લઈ જઈ પ્લાઝ્મા બનાવવામાં આવે છે. ત્યારબાદ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રોની મદદથી આ પ્લાઝ્માને નિયંત્રિત કરવામાં આવે છે.

ગાયરોટ્રોન શું છે?

આ સમગ્ર પ્રક્રિયામાં ગાયરોટ્રોન મહત્વનું સાધન છે. તે ખૂબ જ ઊંચી શક્તિ ધરાવતી માઇક્રોવેવ ઊર્જા ઉત્પન્ન કરે છે. IPRના જણાવ્યા મુજબ 82.6 GHz ECRH સિસ્ટમ SST-1ના પ્લાઝ્માને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને તે 400 કિલોવોટ સુધીની RF પાવર આપી શકે છે.

સરળ ભાષામાં કહીએ તો, ગાયરોટ્રોન પ્લાઝ્માને જરૂરી ઊર્જા પહોંચાડવામાં મદદ કરે છે. ફ્યુઝન સંશોધનમાં આ પ્રક્રિયા ખૂબ મહત્વની છે, કારણ કે ઊંચા તાપમાન સુધી પહોંચાડેલા પ્લાઝ્માને સ્થિર રાખવું સૌથી મોટો પડકાર છે.

સૂર્ય કરતાં વધુ તાપમાનની વાત શા માટે થાય છે?

સૂર્યના કેન્દ્રનું તાપમાન આશરે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે. પૃથ્વી પર ફ્યુઝન હાંસલ કરવા માટે સૂર્ય કરતાં પણ વધુ તાપમાનની જરૂર પડે છે, કારણ કે સૂર્યની જેમ વિશાળ ગુરુત્વાકર્ષણ શક્તિ અહીં ઉપલબ્ધ નથી. તેથી ટોકામેકમાં પ્લાઝ્માને ચુંબકીય ક્ષેત્રોથી કાબૂમાં રાખવામાં આવે છે.

અહીં “આર્ટિફિશિયલ સન”નો અર્થ ખરેખર સૂર્ય બનાવવો નથી. તેનો અર્થ એ છે કે સૂર્ય અને તારાઓમાં થતી ન્યૂક્લિયર ફ્યુઝન પ્રક્રિયાને ધરતી પર નિયંત્રિત પરિસ્થિતિમાં સમજવા અને વિકસાવવાનો પ્રયાસ.

ભવિષ્યમાં શું ફાયદો થઈ શકે?

ફ્યુઝન ટેક્નોલોજી સફળતાપૂર્વક વિકસે તો ભવિષ્યમાં મોટા પાયે ઊર્જા ઉત્પાદન માટે નવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે. જોકે હાલમાં SST-1 વીજળી બનાવતો પાવર પ્લાન્ટ નથી. તે ફ્યુઝન સંશોધન માટેનું પ્લેટફોર્મ છે, જ્યાં વૈજ્ઞાનિકો અત્યંત ગરમ પ્લાઝ્માને ગરમ, નિયંત્રિત અને લાંબા સમય સુધી સ્થિર રાખવાની ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.

ગુજરાતમાં ચાલી રહેલું આ સંશોધન ભારતને વૈશ્વિક ફ્યુઝન એનર્જી રિસર્ચમાં વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવે છે.

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

0

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો એ સાંભળી હશે પણ પરાગ શાહે હક્કઈકટમાં તે વાત લોકોના નજરો સામે દર્શાવી. ₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય જો મુંબઈના રસ્તા પર ભિખારીના વેશમાં હાથ ફેલાવતા જોવા મળે તો વાત ચોંકાવનારી છે. પરંતુ ઘાટકોપર પૂર્વના ધારાસભ્ય પરાગ શાહે આ રૂપ કોઈ રાજકીય પ્રચાર માટે ધારણ કર્યું નહોતું. જૈન ધર્મગુરુ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની શિક્ષાઓથી પ્રેરાઈ તેમણે પોતાની ઓળખ છુપાવીને સામાન્ય જરૂરિયાતમંદ વ્યક્તિની સ્થિતિ અનુભવવાનો અનોખો પ્રયોગ કર્યો હતો.

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પરાગ શાહનો ભિખારીના વેશમાં ફરતો વીડિયો સામે આવ્યો છે. શાહે મેકઅપ અને વેશભૂષા બદલીને ઘાટકોપર રેલવે સ્ટેશનની આસપાસ સામાન્ય લોકો વચ્ચે સમય પસાર કર્યો હતો. આ દરમિયાન ઘણા લોકો તેમને ઓળખી શક્યા નહોતા.

ભિખારીના વેશમાં શાહ એક એવા ફૂડ ડિસ્ટ્રિબ્યુશન પોઇન્ટ પર પણ પહોંચ્યા, જ્યાં લોકોને મફતમાં ભોજન આપવામાં આવતું હતું. તેઓ ભોજન વિતરણ પૂરું થવાના સમયની આસપાસ ત્યાં પહોંચ્યા અને ખાવા માટે કંઈ બચ્યું છે કે કેમ તે પૂછ્યું. ત્યાંના એક કર્મચારીએ તેમને ઓળખ્યા વગર દાળ, ભાત અને પાણીની બોટલ આપી.

ત્યારબાદ શાહ એક સમોસાવાળા પાસે ગયા અને તેમની પાસે ખાવા માટે કંઈ જ નથી એવું કહ્યું. સમોસાવાળાએ તેમને પાંચ સમોસા આપી દીધા. આ અનુભવોને કારણે શાહે પૈસાની અછત વચ્ચે જીવતા લોકો અંગે પોતાની અગાઉની માન્યતા પર ફરી વિચાર કર્યો.

શાહે કહ્યું કે પહેલાં તેઓ માનતા હતા કે ગરીબ લોકો માત્ર બીજાઓ પાસે મદદ માગે છે. પરંતુ આ પ્રયોગ દરમિયાન તેમને સમજાયું કે જરૂરિયાતમંદ લોકો એકબીજાની મદદ પણ કરે છે. રસ્તા પરના આ અનુભવે તેમને ગરીબી સાથે જોડાયેલી માનવતા અને પરસ્પર સહકારને અલગ રીતે સમજવામાં મદદ કરી.

વીડિયોમાં શાહ રસ્તા કિનારે બેઠેલા અને લોકો પાસેથી મદદ લેતા પણ નજરે પડે છે. કેટલાક લોકોએ તેમની મદદ કરી, જ્યારે કેટલાક લોકોએ અવગણના કરી હતી. શાહે આ અનુભવ દ્વારા ગરીબી, ઉપેક્ષા અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સમાજના વ્યવહારને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો હતો.

2024ની વિધાનસભા ચૂંટણીના સોગંદનામા મુજબ પરાગ શાહ પાસે ₹3,383 કરોડથી વધુની સંપત્તિ છે. તેઓ રિયલ એસ્ટેટના વેપારી છે.

Ambani Ganesh Chaturthi 2026: રાધિકા અંબાણીની ગણેશ વંદના બની ચર્ચામાં, સલમાન ખાન-આલિયા ભટ્ટ સહિત અનેક સેલેબ્સની ધમાકેદાર હાજરી

અંબાણી પરિવારના એન્ટિલિયામાં ગણેશોત્સવની ભવ્યતા વચ્ચે એક દૃશ્યએ સૌનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. કાલે યોજાયેલી ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન રાધિકા મર્ચન્ટ અંબાણીએ ભગવાન ગણેશને સમર્પિત ભરતનાટ્યમ રજૂ કરીને મહેમાનોના દિલ જીતી લીધા હતા. પરંપરાગત ભારતીય કળા અને ભવ્ય ફેશનના સંગમરૂપ આ પરફોર્મન્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહ્યા હતા.

રાધિકા મર્ચન્ટ પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે. ગણેશોત્સવના ખાસ અવસરે તેમણે ‘એકદંતાય વક્રતુણ્ડાય’ ભક્તિગીત પર ગણેશ વંદના રજૂ કરી હતી. તેમની આ રજૂઆતમાં શાસ્ત્રીય નૃત્યની મુદ્રાઓ અને ભાવભંગિમા જોવા મળી હતી, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

પરફોર્મન્સ માટે રાધિકાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું કસ્ટમ ક્રિએશન પહેર્યું હતું. આ આઉટફિટ હાથથી વણાયેલા કાંજીવરમ સિલ્કથી તૈયાર કરવામાં આવ્યું હતું. જ્વેલ-પિંક રંગના કાપડ પર ગોલ્ડ ઝરીનું કામ કરવામાં આવ્યું હતું, જ્યારે એન્ટિક ગોલ્ડ મરોડી એમ્બ્રોઇડરી અને જરદોઝી વર્કથી આ લુકને વધુ શાહી બનાવવામાં આવ્યો હતો. નૃત્ય દરમિયાન સરળ મૂવમેન્ટ રહે તે માટે આઉટફિટને પ્રી-સ્ટિચ્ડ સ્કર્ટ સિલુએટમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન એન્ટિલિયામાં ‘એન્ટિલિયા ચા રાજા’નું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. એન્ટિલિયાને ગલગોટાના ફૂલો, લાઇટિંગ અને ઉત્સવની સજાવટથી શણગારવામાં આવ્યું હતું. નીતા અંબાણી, મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત પરિવારના સભ્યો ગણપતિ બાપ્પાના સ્વાગતમાં જોડાયા હતા.

ગણેશોત્સવમાં બોલિવૂડની અનેક હસ્તીઓ પણ પહોંચી હતી. સલમાન ખાન, આલિયા ભટ્ટ-રણબીર કપૂર, કેટરિના કૈફ-વિકી કૌશલ, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, કરીના કપૂર-સૈફ અલી ખાન, કાજોલ, જાહ્નવી કપૂર, માધુરી દીક્ષિત અને રેખા સહિત અનેક સેલેબ્સે બાપ્પાના દર્શન કર્યા હતા.

આ રીતે અંબાણી પરિવારની સપ્ટેમ્બર 2026ની ગણેશોત્સવ ઉજવણીમાં ભવ્ય સજાવટ અને સેલેબ્સની હાજરીની સાથે રાધિકાનું શાસ્ત્રીય નૃત્ય ખાસ આકર્ષણ બન્યું હતું.

₹20 હજારથી ઓછી કિંમતમાં 5 બેસ્ટ 5G સ્માર્ટફોન: 50MP કેમેરા, 7,000mAh બેટરી અને 144Hz ડિસ્પ્લે

₹20,000ના બજેટમાં નવો 5G સ્માર્ટફોન ખરીદવાનો વિચાર હોય તો વિકલ્પોની કમી નથી. ખાસ વાત એ છે કે આ રેન્જમાં હવે માત્ર 5G કનેક્ટિવિટી જ નહીં, પરંતુ AMOLED ડિસ્પ્લે, 120Hzથી 144Hz રિફ્રેશ રેટ, 50MP કેમેરા, મોટી બેટરી અને પાવરફુલ પ્રોસેસર જેવા ફીચર્સ પણ મળી રહ્યા છે. એટલે ફોન પસંદ કરતી વખતે માત્ર કિંમત નહીં, પરંતુ કેમેરા, બેટરી, પરફોર્મન્સ અને સોફ્ટવેરમાંથી તમારી જરૂરિયાત સાથે સૌથી વધુ શું મેળ ખાય છે તે જોવું મહત્વનું બની જાય છે. અહીં ₹20,000થી ઓછી કિંમતમાં મળતા પાંચ ચર્ચિત 5G સ્માર્ટફોનની ખાસિયતો જાણીએ.

CMF Phone 2 Pro
લગભગ ₹16,999ની કિંમત ધરાવતો CMF Phone 2 Pro 6.77 ઇંચના Full HD+ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ મળે છે. MediaTek Dimensity 7300 Pro પ્રોસેસર, 8GB RAM અને 128GB સ્ટોરેજ સાથે ફોન રોજિંદા ઉપયોગ તથા મલ્ટિટાસ્કિંગ માટે સારો વિકલ્પ બની શકે છે. કેમેરા વિભાગમાં 50MP મુખ્ય કેમેરા, 50MP ટેલિફોટો અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 16MP કેમેરા મળે છે. ફોનમાં 5,000mAh બેટરી છે અને તેનું ક્લીન તથા સરળ સોફ્ટવેર અનુભવ તેની ખાસિયત છે.

Motorola Moto G96 5G
લગભગ ₹18,499ની કિંમત ધરાવતો Moto G96 6.67 ઇંચના Full HD+ કર્વ્ડ pOLED ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં 144Hz રિફ્રેશ રેટ છે. Snapdragon 7s Gen 2 પ્રોસેસર સાથે 8GB RAM અને 128GB સ્ટોરેજ મળે છે. IP68 રેટિંગ ફોનને ધૂળ અને પાણી સામે સુરક્ષા આપે છે. ફોટોગ્રાફી માટે 50MP મુખ્ય અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે, જ્યારે ફ્રન્ટમાં 32MP કેમેરા આપવામાં આવ્યો છે. 5,500mAh બેટરી અને ક્લીન Android અનુભવને કારણે ફોન ઓલરાઉન્ડર વિકલ્પ બની શકે છે.

Realme P4x 5G
લગભગ ₹18,999ની કિંમત ધરાવતા આ ફોનમાં 6.72 ઇંચનું ડિસ્પ્લે અને 144Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. MediaTek Dimensity 7400 Ultra પ્રોસેસર સાથે 6GB RAM અને 128GB સ્ટોરેજ મળે છે. રોજિંદા કામ, સોશિયલ મીડિયા, વીડિયો સ્ટ્રીમિંગ અને ગેમિંગ માટે આ કોમ્બિનેશન ઉપયોગી છે. તેની સૌથી મોટી ખાસિયત 7,000mAhની મોટી બેટરી છે, જે હળવા ઉપયોગમાં બે દિવસ સુધી ચાલી શકે છે. પાછળ 50MP મુખ્ય અને 2MP સેકન્ડરી કેમેરા છે, જ્યારે ફ્રન્ટમાં 8MP કેમેરા છે. વધુ બેટરી બેકઅપ ઇચ્છતા યુઝર્સ માટે આ વિકલ્પ ખાસ બની શકે છે.

iQOO Z10R 5G
લગભગ ₹18,729ની કિંમત ધરાવતા iQOO Z10Rમાં 6.77 ઇંચનું Full HD+ AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ મળે છે. MediaTek Dimensity 7400 પ્રોસેસર, 8GB RAM અને 128GB સ્ટોરેજ આપવામાં આવ્યા છે. ફોનની ડિઝાઇન સ્લિમ છે અને IP69 રેટિંગ મળે છે. કેમેરા સેટઅપમાં 50MP મુખ્ય અને 2MP સેકન્ડરી કેમેરા છે, જ્યારે સેલ્ફી માટે 32MP કેમેરા મળે છે. 5,700mAh બેટરી તેને લાંબા ઉપયોગ માટે સારો વિકલ્પ બનાવે છે. જોકે ગેમિંગ દરમિયાન વધુ ગરમી થાય તો પરફોર્મન્સ પર અસર પડી શકે છે.

POCO X7 5G
લગભગ ₹17,999ની કિંમત ધરાવતા POCO X7માં 6.67 ઇંચ AMOLED ડિસ્પ્લે, હાઇ રિફ્રેશ રેટ અને સારી બ્રાઇટનેસ મળે છે. MediaTek Dimensity 7300 Ultra પ્રોસેસર સાથે 8GB RAM અને 128GB સ્ટોરેજનો વિકલ્પ છે. ફોનમાં IP68 રેટિંગ પણ મળે છે. ફોટોગ્રાફી માટે 50MP મુખ્ય અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે, જ્યારે ફ્રન્ટમાં 20MP કેમેરા આપવામાં આવ્યો છે. 5,500mAh બેટરી રોજિંદા ઉપયોગ માટે પૂરતી છે. પરફોર્મન્સ અને ડિસ્પ્લે તેની મુખ્ય ખાસિયતો છે અને તેમાં અનેક AI ફીચર્સ પણ આપવામાં આવે છે.

આ પાંચેય ફોનમાં અલગ-અલગ મજબૂતી જોવા મળે છે. ક્લીન સોફ્ટવેર માટે CMF Phone 2 Pro, પ્રીમિયમ ડિઝાઇન અને 144Hz ડિસ્પ્લે માટે Moto G96, મોટી બેટરી માટે Realme P4x, AMOLED ડિસ્પ્લે અને બેટરી માટે iQOO Z10R અને પરફોર્મન્સ તથા ડિસ્પ્લે માટે POCO X7 પસંદ કરી શકાય છે.

15 દિવસ પહેલાં યુવકને બચાવ્યો, હવે પોતે જ હુમલાનો શિકાર! નવસારીમાં પોલીસકર્મી પર હુમલો

નવસારીમાં એક પોલીસકર્મી પર હુમલાની ઘટનાએ ચકચાર જગાવી છે. આશરે 15 દિવસ પહેલાં રસ્તા પર ચાલી રહેલી મારામારીમાં વચ્ચે પડી એક યુવકને બચાવનાર જવાનને જ અદાવતનો ભોગ બનવું પડ્યું હોવાનો આક્ષેપ છે. સુરત સિટી પોલીસમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા વિશાલ ખાન પઠાણને રસ્તામાં અટકાવી તલવાર અને ડંડાથી હુમલો કરવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, 31 ઓગસ્ટના રોજ કારમાં સવાર 6થી 7 શખ્સો એક યુવકને રસ્તા પર માર મારી રહ્યા હતા. એ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા વિશાલે દરમિયાનગીરી કરીને યુવકને હુમલાખોરોથી છોડાવ્યો હતો. આ ઘટનાને લઈને આરોપીઓમાં મનદુઃખ ઊભું થયું હતું અને ત્યારબાદ પોલીસકર્મીને ધમકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.

આ દરમિયાન અનમોલ શર્મા નામના શખ્સે વિશાલને માર મારવાની ધમકી આપી હતી. આ અંગે પૂછપરછ કરવા જતા વાત વધુ ઉગ્ર બની હતી. બાદમાં ગાળાગાળી કરીને પોલીસકર્મીને ઇટાળવા ચોકડી પાસે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં બંને તરફથી ધક્કામુક્કી થતાં આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો અટકાવ્યો હતો.

પરંતુ વિવાદ અહીં અટક્યો નહોતો. પોલીસકર્મી વિશાલ પોતાના મિત્રો સાથે ફરિયાદ માટે પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ તેમનો પીછો કર્યો અને રસ્તા વચ્ચે કાર આડી મૂકી તેમનો માર્ગ રોક્યા બાદ અનમોલે તલવાર કાઢી હતી, જ્યારે વિજય ભરવાડે ડંડાથી હુમલો કર્યો હોવાની ફરિયાદમાં જણાવાયું છે.

હુમલા દરમિયાન વિશાલ નીચે પડી ગયો હતો. તે સમયે વિજય ભરવાડે તેના માથા પર ડંડો મારતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને લોહીલુહાણ થઈ ગયો હતો. સ્થિતિ જોઈ તેના મિત્રો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

હાલ ઇજાગ્રસ્ત પોલીસકર્મીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હુમલાની ઘટના પાછળની અદાવત અને સંડોવાયેલા શખ્સોની ભૂમિકા અંગે વધુ વિગતો પોલીસ કાર્યવાહી બાદ સામે આવશે.