ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતમાં ફરી ચોમાસું જોરદાર બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં રસ્તાઓ પર પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી વાતાવરણ પલટાયું છે. હવામાન વિભાગે પણ આજે ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની ચેતવણી આપી છે.
સવારે 6થી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન આણંદના બોરસદમાં સૌથી વધુ 4.52 ઇંચ અને પંચમહાલના ગોધરામાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અનેક તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વડોદરામાં ધોધમાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્રના જૂનાગઢ વિસ્તારમાં પણ વરસાદે જોર પકડ્યું છે. કાળવા નદીમાં સિઝનમાં પહેલીવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. દામોદર કુંડમાં પાણીની આવક વધી છે અને ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ બાદ સીડીઓ પરથી પાણી ધસમસતું વહેતું જોવા મળ્યું હતું. વિલિંગ્ડન ડેમમાં પણ પાણીની આવક વધતાં ઓવરફ્લોની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના તાજા અહેવાલો મુજબ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ આગામી દિવસોમાં પણ સક્રિય રહી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આ ઉપરાંત દરિયાકાંઠે તેજ પવન અને ઊંચા મોજાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને 15 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.




