Home Blog

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

0

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર આવવાનો છે. 1 ઓક્ટોબર 2026થી રાજ્યના NCR વિસ્તારમાં End-of-Life Vehicles (ELVs)ને પેટ્રોલ-ડીઝલ ન મળે તે માટે નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી છે. ગાડી પેટ્રોલ પંપ પર પહોંચતાની સાથે જ કેમેરા નંબર પ્લેટ સ્કેન કરીને તેની વિગતો ચકાસશે.

આ વ્યવસ્થા પ્રથમ તબક્કામાં ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જર જિલ્લામાં લાગુ કરવામાં આવશે. આ ચાર જિલ્લાઓના પેટ્રોલ પંપ પર કુલ 775 ANPR (Automated Number Plate Recognition) કેમેરા લગાવવામાં આવશે. તેમાં ગુરુગ્રામમાં 249, સોનીપતમાં 215, ઝજ્જરમાં 195 અને ફરીદાબાદમાં 116 કેમેરાનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹41.74 કરોડ છે.

સરકારના આયોજન મુજબ પેટ્રોલ પંપ પર આવતી ગાડીની નંબર પ્લેટ કેમેરા દ્વારા રીડ થશે અને સિસ્ટમમાં રહેલા વાહનના રેકોર્ડ સાથે તેની ચકાસણી કરવામાં આવશે. વાહન ELV કેટેગરીમાં આવતું હોવાનું જણાશે તો તેને ઈંધણ આપવાની પ્રક્રિયા રોકવામાં આવશે.

આ કાર્યવાહી NCRમાં વાહનોના કારણે થતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી રહી છે અને તે **વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)**ના નિર્દેશો સાથે જોડાયેલી છે.

હરિયાણા સરકારે પ્રથમ તબક્કાના કેમેરા સ્થાપનનું કામ 30 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આગળના તબક્કામાં રાજ્યના વધુ ફ્યુઅલ સ્ટેશનો પર ANPR આધારિત ચકાસણી વધારવાની યોજના પણ છે.

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

0

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. EPFO હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક વેતન મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 કરવાની કેબિનેટે મંજૂરી આપી છે. આ નિર્ણયથી ₹15,000થી ₹25,000 સુધીનું માસિક વેતન ધરાવતા ઘણા કર્મચારીઓ EPFOના ફરજિયાત કવરેજ હેઠળ આવી શકે છે. સરકારના અંદાજ મુજબ આ ફેરફારથી 51 લાખથી વધુ વધારાના કર્મચારીઓને સામાજિક સુરક્ષાનું કવચ મળી શકે છે.

નવી મર્યાદા અમલમાં આવ્યા બાદ પાત્ર કર્મચારીઓ માટે EPFમાં કર્મચારી અને નોકરીદાતા તરફથી નિયમ મુજબ યોગદાન જમા થશે. આ રકમ લાંબા ગાળે રિટાયરમેન્ટ માટે બચત ઊભી કરવામાં મદદ કરશે. સાથે જ Employees’ Pension Scheme (EPS) હેઠળ પેન્શન સંબંધિત સામાજિક સુરક્ષા અને Employees’ Deposit Linked Insurance Scheme (EDLI) હેઠળ જીવન વીમા સાથે જોડાયેલું કવચ પણ ઉપલબ્ધ રહેશે. એટલે કર્મચારીને નિવૃત્તિ બાદની આર્થિક સુરક્ષા ઉપરાંત પરિવાર માટે વીમા આધારિત સુરક્ષાનો લાભ મળી શકે છે.

હાલના નિયમો મુજબ ₹15,000થી વધુ માસિક વેતન સાથે નોકરી શરૂ કરનાર નવા કર્મચારી માટે EPF કવરેજ આપમેળે ફરજિયાત નહોતું. નવી મર્યાદા લાગુ થયા બાદ ₹15,000થી ₹25,000 સુધીના પગારવર્ગ માટે ફરજિયાત કવરેજનું દાયરું વિસ્તરશે. જોકે EPF, EPS અને EDLIના ચોક્કસ લાભો સંબંધિત નિયમો અને પાત્રતા મુજબ લાગુ પડશે.

EPFOની વેતન મર્યાદામાં છેલ્લે સપ્ટેમ્બર 2014માં ફેરફાર થયો હતો, જ્યારે તેને ₹6,500થી વધારીને ₹15,000 કરવામાં આવી હતી. ત્યારથી 12 વર્ષમાં વેતન અને ઔપચારિક રોજગારમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને મર્યાદા વધારવાની જરૂરિયાત અંગે ચર્ચા થતી રહી હતી.

સરકારના અંદાજ મુજબ નવા ફેરફારથી વાર્ષિક આશરે ₹11,339 કરોડનો નાણાકીય ખર્ચ થશે, જ્યારે પાંચ વર્ષમાં કુલ ખર્ચ લગભગ ₹56,696 કરોડ રહેવાનો અંદાજ છે. હવે શ્રમ અને રોજગાર મંત્રાલય તથા EPFO દ્વારા જરૂરી નોટિફિકેશન અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી મર્યાદાનો ઔપચારિક અમલ થશે.

પત્નીથી પરેશાન 2 પતિ એક જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકે કહ્યું- ‘સાહેબ, બચાવી લો’

0

આગ્રાના એકતા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બનેલા બે અલગ-અલગ કિસ્સાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે ઘરેલુ વિવાદમાં મહિલાઓ પોલીસનો સંપર્ક કરતી જોવા મળે છે, પરંતુ અહીં બે પતિઓ પોતાની પત્નીઓથી પરેશાન હોવાનો આક્ષેપ કરીને પોલીસ પાસે પહોંચ્યા અને સુરક્ષાની માંગ કરી હતી. બંનેએ પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા હતો, જોકે આ દાવાઓની પોલીસ તપાસ ચાલી રહી છે.

ફિરોઝાબાદના રૂપ કિશોરે પત્ની અને સાસુ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.

બપોરે આશરે એક વાગ્યે ફિરોઝાબાદના રહેવાસી રૂપ કિશોર બેગ લઈને એકતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પત્ની અને સાસુ સામે પૈસાની માંગણી તથા મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.આ દરમિયાન બે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં આવી અને રૂપ કિશોર સાથે મારપીટ શરૂ કરી હતી. હાજર લોકોએ વચ્ચે પડીને તેમને બચાવ્યા બાદ બંને મહિલાઓ ત્યાંથી ચાલી ગઈ હતી.

રૂપ કિશોરના જણાવ્યા પ્રમાણે, તેમના લગ્ન આશરે ત્રણ વર્ષ પહેલાં દિગનેર વિસ્તારની ગૌરી સાથે થયા હતા અને તેમને બે વર્ષની એક પુત્રી છે. તેમનો દાવો છે કે પત્ની હાલમાં પોતાની માતા સાથે પિયર રહે છે અને સાસરીમાં આવવા તૈયાર નથી. રૂપ કિશોરે આરોપ લગાવ્યો કે પત્ની દર મહિને પૈસાની માંગ કરે છે અને બહાને બોલાવી પત્ની તથા સાસુ મળીને તેમની સાથે મારપીટ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ જોધપુરમાં ખાનગી નોકરી કરે છે અને મંગળવારે સાસરી પહોંચ્યા ત્યારે તેમની પાસેથી પૈસા લઈ લેવાયા બાદ મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે તેમના કપડાં પણ ફાટી ગયા હતા.

20 વર્ષના લગ્નજીવન બાદ પત્ની અંગે રાકેશ જાદૌનનો આરોપ

આ જ પોલીસ સ્ટેશનમાં બપોરે બે વાગ્યે કહરઈયા મોંડના રહેવાસી 40 વર્ષીય રાકેશ જાદૌન પણ પહોંચ્યા હતા. તેમણે પત્નીથી સુરક્ષા આપવાની વિનંતી કરી હતી. રાકેશના જણાવ્યા મુજબ, લગ્નના લગભગ 20 વર્ષ બાદ તેમની પત્નીએ ધર્મ પરિવર્તન કર્યું છે અને હવે તે અન્ય વ્યક્તિ સાથે રહે છે. બંનેને ત્રણ સંતાનો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાકેશે પત્ની દ્વારા તેમને જાનથી મરાવવાની ધમકીઓ મળતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને મામલામાં સંબંધિત પક્ષોની તહરીર મળી ગઈ છે અને ફરિયાદોના આધારે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલ બંને કેસમાં લગાવવામાં આવેલા આક્ષેપોની પોલીસ તપાસ મહત્વની રહેશે.

નાવપરા GIDCની કંપનીમાં આગ લાગતાં ખળભળાટ!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ સુમિલોન ઇન્ડસ્ટ્રીઝ અને માંગરોળ ફાયર વિભાગની ટીમો દોડી આવી અને માત્ર 22થી 25 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ, કંપનીમાં નિયમિત ઉત્પાદન અને મશીનરીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક કોઈ કારણસર મિલમાં આગ લાગી હતી. આગ લાગતાં કંપની સંચાલકોએ તાત્કાલિક સુમિલોન ઇન્ડસ્ટ્રીઝના પ્રશાંતભાઈ તથા માંગરોળ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો.

માહિતી મળતા જ સુમિલોન ફાયર અને માટીવા (માંગરોળ) ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર ભાવેશ ગામિત અને તેમની ટીમે તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજે 22થી 25 મિનિટમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ પર ઠંડુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

વિશાલ પોલિફાઇબરના ડિરેક્ટર પંકજ ડાવરાએ જણાવ્યું હતું કે ઘટના નાની હતી, પરંતુ આગ વધુ ફેલાઈ હોત તો નુકસાન વધી શકત. તેમણે સુમિલોન ઇન્ડસ્ટ્રીઝ અને માંગરોળ તાલુકા એસોસિએશન દ્વારા ફાયર સેફ્ટી માટે કરવામાં આવેલી વાહનોની સુવિધાને મહત્વપૂર્ણ ગણાવી હતી.

તેમણે ઔદ્યોગિક વિસ્તારોમાં મુશ્કેલીના સમયે ઉદ્યોગો વચ્ચે સહકાર જરૂરી હોવાનું જણાવ્યું હતું અને ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ ટાળવા વધુ ફાયર ગાડીઓની સુવિધા હોવી જોઈએ તેવી વાત કરી હતી. સમયસરની કાર્યવાહીથી કોઈ જાનહાનિ થઈ નહોતી.

VIDEO: આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ભારત-પાકિસ્તાનના જહાજોની ટક્કર, 1991ના કરારનો મુદ્દો ફરી ચર્ચામાં

અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ જહાજો સામસામે આવી જતાં ફરી એકવાર બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષાનો મુદ્દો ગરમાયો છે. 15 સપ્ટેમ્બર, 2026ની સાંજે ઉત્તર અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ભારતીય નૌકાદળના એક જહાજ સાથે પાકિસ્તાની નૌકાદળના જહાજની ટક્કર થઈ હતી. ઘટનાના બીજા જ દિવસે ભારતે દિલ્હીમાં પાકિસ્તાનના ચાર્જ ડી’અફેયર્સને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો હતો.

ભારતીય સત્તાવાર માહિતી અનુસાર, ભારતીય યુદ્ધજહાજ નિયમિત દેખરેખ મિશન પર હતું. આ દરમિયાન પાકિસ્તાની નૌકાદળનું જહાજ ઊંચી ઝડપે ભારતીય જહાજની નજીક આવ્યું અને ત્યારબાદ તેની દિશામાં અસુરક્ષિત તથા બિન-વ્યાવસાયિક રીતે ફેરફાર કર્યો હતો.ભારતના જણાવ્યા પ્રમાણે ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી.

મીડિયા અહેવાલોમાં ટક્કરમાં સામેલ પાકિસ્તાની જહાજ તરીકે PNS Hunainનું નામ સામે આવ્યું છે. તે પાકિસ્તાન નૌકાદળનું Yarmook-class offshore patrol vessel છે, જે દરિયાઈ સુરક્ષા, દેખરેખ અને પેટ્રોલિંગ જેવી કામગીરી માટે ઉપયોગમાં લેવાય છે. જોકે, ભારતીય નૌકાદળના ટક્કરમાં સામેલ જહાજનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાની રાજદ્વારીને જણાવ્યું કે દરિયામાં તમામ સૈન્ય એકમોએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને બંને દેશો વચ્ચે લાગુ કરારોનું પાલન કરવું જોઈએ. ભારતે પાકિસ્તાની નૌકાદળની કાર્યવાહીનું વર્ણન ‘અસ્વીકાર્ય અને બિન-વ્યાવસાયિક’ તરીકે કર્યું છે. ઇસ્લામાબાદમાં રહેલા ભારતીય ચાર્જ ડી’અફેયર્સને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ સમાન વિરોધ નોંધાવવા સૂચના આપવામાં આવી છે.

આ મામલે ભારતે એપ્રિલ 1991ના ‘Advance Notice on Military Exercises, Manoeuvres and Troops Movements’ કરારના આર્ટિકલ 10નો પણ ઉલ્લેખ કર્યો છે. આ જોગવાઈ મુજબ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં બંને દેશોના નૌકાદળના જહાજો અને સબમરીન એકબીજાથી ઓછામાં ઓછા 3 નોટિકલ માઈલનું અંતર જાળવે તેવો નિયમ છે, જેથી અકસ્માત ટાળી શકાય છે.

રસપ્રદ બાબત એ છે કે લગભગ 15 વર્ષ પહેલાં, જૂન 2011માં પણ PNS Babur અને INS Godavari વચ્ચે દરિયામાં ટક્કર જેવી ઘટના બની હતી. તે સમયે પણ ભારતે પાકિસ્તાની જહાજ સામે નૅવિગેશનલ સેફ્ટીના નિયમો અને 1991ના કરારના આર્ટિકલ 10ના ભંગ અંગે વિરોધ નોંધાવ્યો હતો. સરકારી રેકોર્ડ મુજબ PNS Baburએ ઊંચી ઝડપે INS Godavariની નજીક જઈને તેને સ્પર્શ કર્યો હતો, જેના કારણે હેલિકોપ્ટર ડેકની સુરક્ષા જાળીને નાનું નુકસાન થયું હતું.

હાલની ઘટનામાં બંને દેશો તરફથી આગળની કાર્યવાહી અને ટક્કરની સંપૂર્ણ તપાસ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

GETCOની ભરતીને લઈને મોટો વિરોધ, 200થી વધુ ઉમેદવારો રસ્તા પર ઉતર્યા

0

16 સપ્ટેમ્બર 2026ના રોજ GETCOમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીને લઈને ગુજરાતભરના યુવાનોનો રોષ રસ્તા પર જોવા મળ્યો હતો. વડોદરાના આંબેડકર સર્કલ નજીક આવેલી GETCO કચેરી બહાર આશરે 200થી 300 ઉમેદવારો એકત્ર થયા હતા. ઉમેદવારોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી કાયમી ભરતી કરવાની માગ ઉઠાવી હતી.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોનો મુખ્ય વિરોધ ભરતી પ્રક્રિયામાં મર્યાદિત જગ્યાઓના અલોટમેન્ટ અને બાકી ઉમેદવારો અંગે સ્પષ્ટતા ન મળવાને લઈને છે. ઉમેદવારોનું કહેવું છે કે લાયકાત ધરાવતા મોટી સંખ્યામાં યુવાનોને તક મળે તે માટે GETCOમાં મોટા પાયે કાયમી ભરતી કરવી જોઈએ. સાથે જ 2026ની ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય તો મેરિટ લિસ્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમયમર્યાદા વધારવાની પણ માગ કરવામાં આવી છે.

ડીસાથી આવેલા ઉમેદવાર વિક્રમ એદૈલિયાએ જણાવ્યું કે મુખ્ય માગ આઉટસોર્સિંગ પદ્ધતિ બંધ કરવાની છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ 8 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, જ્યારે હાલ માત્ર 271 જગ્યાઓનો પ્રથમ રાઉન્ડ જાહેર થયો છે. ઉમેદવારોએ વધુ જગ્યાઓ પર ભરતી કરવાની માગ કરી છે.

કપડવંજના હિતેશ ખાંટના જણાવ્યા મુજબ, 5 એપ્રિલ 2026ની પરીક્ષા બાદ આશરે 5,600 ઉમેદવારો સામે માત્ર 273 ઉમેદવારોનું પ્રથમ અલોટમેન્ટ જાહેર થયું છે. 7 જુલાઈએ રજૂઆત કર્યા બાદ ઓગસ્ટમાં બાકી અલોટમેન્ટ અંગે ખાતરી આપવામાં આવી હતી, પરંતુ યોગ્ય જવાબ મળ્યો ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

અરવલ્લી સહિત અન્ય જિલ્લાઓના ઉમેદવારોએ 4 હજાર કે તેથી વધુ જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની માગ કરી છે. માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.

મોદીને મળ્યાને બદલાઈ આખી કહાની! 81 વર્ષીય મિત્રને જમીન પાછી આપવાનો નિર્ણય

0

8 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના મીરા રોડ પર રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ માત્ર થોડા જ દિવસોમાં મીરા રોડ પર વર્ષોથી ચાલતા જમીન વિવાદમાં ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ વિવાદિત જમીનનો કબજો છોડવાની સાથે પ્લોટ માટે મળેલી બાંધકામ પરવાનગી પણ સરેન્ડર કરવાની જાહેરાત કરવા સાથે જ વોહરા વિરુદ્ધ અગાઉ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની વાત પણ તેમણે કરી છે.

આ સમગ્ર મામલો ભાયંદર ઈસ્ટના નવઘર વિસ્તારમાં આવેલી 2,810 ચોરસ મીટર જમીનને લઈને છે. વોહરાના જણાવ્યા અનુસાર તેમણે આ જમીન 1989માં ખરીદી હતી. તેમનો આરોપ છે કે 2011માં સ્વયમ બિલ્ડર્સ અને સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ દ્વારા જમીન પર કબજો કરવામાં આવ્યો હતો. વોહરાએ આ કંપનીઓને નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી હોવાનું જણાવ્યું હતું.

વોહરાનો વધુ આરોપ છે કે તેમની જાણ બહાર કથિત રીતે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને જમીનને બે કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવી હતી. તેઓ છેલ્લા લગભગ 15 વર્ષથી અલગ-અલગ સરકારી વિભાગો સમક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા. 2015માં આ કેસને લઈને FIR પણ નોંધાઈ હતી.

8 સેપ્ટેમ્બરે વોહરા વડનગરની BN સ્કૂલમાં પીએમ મોદી સાથે અભ્યાસ કર્યાની વાત કરી હતી અને તેમના સાથે મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન તેમણે જમીન વિવાદમાં હસ્તક્ષેપ અને CBI તપાસની માંગ કરી હતી.

ત્યારબાદ મંગળવારે મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રીકર પરદેશીની અધ્યક્ષતામાં મંત્રાલયમાં બેઠક યોજાઈ હતી. તેમાં વોહરા, નરેન્દ્ર મહેતા, મહાનગરપાલિકા કમિશનર રાધા વિનોદ શર્મા અને ટાઉન પ્લાનર પુરુષોત્તમ શિંદે હાજર રહ્યા હતા. બેઠકમાં મહેતાએ જમીન અને બાંધકામ પરવાનગી અંગેનો નિર્ણય રજૂ કર્યો.

બીજી તરફ, સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે 13 જૂન 2019ના રજિસ્ટર્ડ ડીડથી જમીન ખરીદ્યાનો દાવો કર્યો હતો. કંપનીને 17 એપ્રિલ 2026ના રોજ બાંધકામની મંજૂરી મળી હતી. હવે કંપનીએ વિવાદનો ઉલ્લેખ કરીને બાંધકામ પ્રમાણપત્ર સરેન્ડર કર્યું છે અને પરવાનગી રદ કરવાની સાથે અગાઉ ભરેલી ફી પરત કરવાની માંગ કરી છે.

નરેન્દ્ર મહેતાએ પણ પોલીસ કમિશનરને પત્ર લખીને વોહરા વિરુદ્ધની અગાઉની ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી છે. આ દરમિયાન 16 સપ્ટેમ્બરે મહાનગરપાલિકામાં બંને કંપનીઓને જમીન વિવાદ અંગે સ્પષ્ટતા માટે બોલાવવામાં આવી છે.

સુરતના સારોલીની સાલાસર માર્કેટમાં આગનો કહેર!

સુરતના સારોલી વિસ્તારમાં આજે સવારે અચાનક ધુમાડાના કાળા ગોટેગોટા દેખાતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. સારોલી સ્થિત સાલાસર માર્કેટના પાંચમા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં માત્ર થોડી જ વારમાં આગ ચાર દુકાનો સુધી પ્રસરી ગઈ હતી. દુકાનોમાં કાપડનો મોટો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી અને સમગ્ર વિસ્તારમાં ફાયર બ્રિગેડની દોડધામ શરૂ થઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, સવારે અંદાજે 10:30 વાગ્યે માર્કેટના પાંચમા માળે આવેલી દુકાનોમાં આગ લાગી હતી. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાંચમા માળે આવેલી અંદાજે ચાર દુકાનો તેની ઝપેટમાં આવી હતી. આ દુકાનોમાં ફેબ્રિકેટ કાપડ, પોલિએસ્ટર સહિતનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાથી આગ વધુ ભભૂકી હોવાનું સામે આવ્યું છે.

આગ લાગ્યાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડ સક્રિય થઈ હતી. શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી 15થી વધુ ફાયર ટેન્ડરો અને ફાયર જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર જવાનોએ તાત્કાલિક કામગીરી શરૂ કરીને હોઝ પાઈપો ગોઠવી ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આગના કારણે આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ હતી. કાપડનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સદનસીબે, અત્યાર સુધીની માહિતી પ્રમાણે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

FAKE PASSPORT CASE: નકલી પાસપોર્ટથી વિદેશ ફરતો હતો ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર!

0

અમદાવાદમાં પાસપોર્ટ સંબંધિત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગુજરાત ATSએ પૂર્વ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કાર્યકર હરિકેશ પટેલ સામે કથિત રીતે ખોટા દસ્તાવેજોના આધારે બીજો પાસપોર્ટ મેળવવાના આરોપસર FIR નોંધી છે. ATSના જણાવ્યા મુજબ, તેનો અસલી પાસપોર્ટ પહેલેથી જ કોર્ટમાં જમા હતો, છતાં આ હકીકત છુપાવી તેણે નવો પાસપોર્ટ મેળવ્યો અને બાદમાં તેના આધારે વિદેશ પ્રવાસ પણ કર્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.

ATS મુજબ હરિકેશ પટેલનો અસલી પાસપોર્ટ નંબર S2528999 છે, જે કોર્ટમાં જમા કરવામાં આવ્યો હતો. તેમ છતાં આરોપીએ કથિત રીતે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં જૂનો પાસપોર્ટ ગુમ થયો હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં દિલ્હી અને આગ્રાના બનાવટી સરનામાવાળા રેન્ટ એગ્રીમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. ત્યારબાદ આગ્રાનું સરનામું આધાર કાર્ડમાં અપડેટ કરાવ્યાનું ATSનું કહેવું છે.

આ અપડેટ કરાયેલા આધાર કાર્ડના આધારે હરિકેશ પટેલે ગાઝિયાબાદના રિજનલ પાસપોર્ટ ઓફિસમાંથી 26 જુલાઈ 2024ના રોજ C0538007 નંબરનો બીજો પાસપોર્ટ મેળવ્યો હોવાનો આરોપ છે. ATSના જણાવ્યા મુજબ, આ પાસપોર્ટ મેળવવા માટે તેણે એક વ્યક્તિને ₹65 લાખ ચૂકવ્યા હતા. હવે ATS આ રકમના બદલામાં પાસપોર્ટ મેળવવામાં મદદ કરનાર વ્યક્તિ અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવનારા નેટવર્કની શોધખોળ કરી રહી છે.

તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે, બીજા પાસપોર્ટના આધારે હરિકેશ પટેલે ભૂતાન મારફતે બેંગકોક, સિંગાપોર અને દુબઈનો પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ નેપાળ મારફતે ભારત પરત ફર્યો હતો. તે લાંબા સમય સુધી દુબઈમાં રોકાયો હોવાનો પણ અહેવાલ છે.

હરિકેશ પટેલનું નામ અગાઉ પણ નાણાકીય છેતરપિંડી સંબંધિત તપાસમાં સામે આવ્યું હતું. તે EDના અંદાજે ₹50 કરોડના Power Bank એપ ફ્રોડ કેસમાં શરૂઆતમાં આરોપી તરીકે નામિત થયો હતો, પરંતુ બાદમાં સાક્ષી બનાવાયો હતો. 2024 દરમિયાન EDએ આ કેસની તપાસમાં ગુજરાતના અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યા હતા.

ATSને હરિકેશ પટેલ પાસે બે પાસપોર્ટ હોવાની માહિતી મળ્યા બાદ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તપાસ આગળ વધતાં હવે Bharatiya Nyaya Sanhita (BNS) અને Passport Actની જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી છે. તેમાં બનાવટ, છેતરપિંડી સહિતના આરોપોની તપાસ ચાલી રહી છે.

હાલ ATS બીજા પાસપોર્ટની સમગ્ર પ્રક્રિયામાં કોણ-કોણ સંકળાયેલું હતું, ખોટા દસ્તાવેજો કેવી રીતે તૈયાર થયા અને ₹65 લાખની લેવડદેવડમાં કોની ભૂમિકા હતી તેની તપાસ કરી રહી છે. આ કેસમાં આગળ વધુ ખુલાસા થવાની શક્યતા છે.

નોંધ: હરિકેશ પટેલ સામેના આ તમામ આરોપો તપાસનો વિષય છે અને કોર્ટમાં સાબિત થવાના બાકી છે.

ભારે કરી! મૃત માનેલી મહિલા સુરતમાં મળી જીવિત

ઝારખંડમાં જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ છુપાવવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, એ જ મહિલા સુરતમાંથી જીવિત મળી આવતા સમગ્ર મામલો ચોંકાવનારા વળાંક પર પહોંચ્યો છે. રાંચી જિલ્લાના ખેલારી પોલીસ સ્ટેશનમાં વિણી દેવી ઉર્ફે વિણા દેવીની હત્યા અંગે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ ચાલી રહી હતી, ત્યારે સુરતની સચિન GIDC પોલીસે મહિલાને જીવિત શોધી કાઢતા હવે સમગ્ર કેસની હકીકત સામે લાવવાનો પડકાર ઊભો થયો છે.

મળતી માહિતી મુજબ, 2 સપ્ટેમ્બર 2026ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ખેલારી પોલીસ સ્ટેશનમાં વિણી દેવી ઉર્ફે વિણા દેવીની હત્યા કરી તેની લાશ છુપાવવાના આરોપસર ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં મહિલાના પતિ સામુ બંધુ મહતો સહિત સાસરી પક્ષના અન્ય લોકો સામે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહિલાની હત્યા થઈ હોવાનું માનીને ઝારખંડ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મહિલાના પરિવારજનો તેમજ સાસરી પક્ષના લોકોની ભૂમિકા સહિત વિવિધ પાસાઓ તપાસવામાં આવી રહ્યા હતા. દરમિયાન આ કેસની કડી સુરત સુધી પહોંચતા સચિન GIDC પોલીસ સક્રિય બની હતી. મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી અને આખરે વિણી દેવી ઉર્ફે વિણા દેવીને સુરતમાંથી જીવિત શોધી કાઢી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી રાજુભાઈની ચાલ, શિવાંજલી સોસાયટી ખાતે રહેતી હતી. મહિલાને જીવિત હાલતમાં શોધી કાઢવામાં આવતા ઝારખંડમાં નોંધાયેલા હત્યાના ગુનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે મહિલા ઝારખંડમાંથી સુરત કેવી રીતે પહોંચી? તે સુરતમાં કોની સાથે રહેતી હતી? તેમજ ઝારખંડમાં તેની હત્યા થઈ હોવાનું માનીને ફરિયાદ કયા આધારે નોંધવામાં આવી હતી? આ તમામ મુદ્દાઓ પર આગળની તપાસમાં પ્રકાશ પાડવામાં આવશે.

મહિલાનું નિવેદન તેમજ સુરત અને ઝારખંડ પોલીસની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વાસ્તવિક હકીકત સ્પષ્ટ થઈ શકશે. જીવિત મહિલા મળી આવતાં ઝારખંડમાં નોંધાયેલા હત્યા અને લાશ છુપાવવાના કેસની તપાસને પણ હવે નવી દિશા મળી છે.