Home Blog

સરકારે નહીં ખાવાની આપેલી ચેતવણી વાળી આદમખોર માછલી કેવી છે?

0

નેપાળમાં આવેલા ભીષણ પૂર બાદ ગંડક નદી અને આસપાસના વિસ્તારોમાં મળી રહેલી અજાણી અને અસામાન્ય કદની માછલીઓએ બિહારમાં ચિંતા વધારી છે. ખાસ કરીને વેસ્ટ ચંપારણ અને ગોપાલગંજમાં મોટી માછલીઓ જોવા મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને ‘ગૂંછ’ અથવા ‘આદમખોર માછલી’ કહેવામાં આવી રહી છે.

ગૂંછને સામાન્ય રીતે Goonch Catfish તરીકે ઓળખવામાં આવે છે. Bagarius જાતિની આ મોટી કેટફિશ નદીના તળિયે રહેતી શિકારી માછલી છે. FishBase મુજબ Bagarius yarrelliની મહત્તમ નોંધાયેલી લંબાઈ આશરે 230 સેન્ટિમીટર સુધી પહોંચી શકે છે. તેની ઓળખ મોટા અને પહોળા માથા, મજબૂત શરીર તથા મૂછ જેવા બાર્બલ્સથી થાય છે. આ માછલી સામાન્ય રીતે અન્ય માછલીઓ અને વિવિધ જળચર જીવોનો શિકાર કરે છે.

ગૂંછને ‘માણસોને શિકાર બનાવે છે’ એવી ક્ષમતા જરૂર ધરાવે છે પરંતુ ઉપલબ્ધ વૈજ્ઞાનિક માહિતી તેને મનુષ્યો માટે ખતરનાક શિકારી તરીકે સાબિત કરતી નથી.

હાલ સૌથી મોટો ખતરો માછલીના કદ કરતાં પૂરના દૂષિત પાણીનો છે. બિહારના પશુપાલન અને મત્સ્ય સંસાધન વિભાગે 1 સપ્ટેમ્બર 2026એ પૂરનાં પાણીમાંથી મળતી અજાણી અથવા અસામાન્ય માછલી ન ખાવા, ન ખરીદવા અને ન વેચવા સલાહ આપી છે. વિભાગે ચેતવણી આપી છે કે પૂર દરમિયાન માછલીઓ ગટર, મૃત પ્રાણીઓ અને અન્ય પ્રદૂષકોના સંપર્કમાં આવી શકે છે, જેના કારણે બેક્ટેરિયા, વાયરસ તથા અન્ય રોગકારકોનું જોખમ વધે છે.

એટલે હાલમાં ‘વિશાળ માછલી’ને પકડીને ખાવા કરતાં સત્તાવાર તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સાવચેતી રાખવી સૌથી સુરક્ષિત પગલું છે.

VIDEO: નેપાળના પૂર બાદ બિહારમાં પહોંચી ‘અજાણી’ માછલીઓ, સરકારે કહ્યું- ભૂલથી પણ ન ખાશો!

નેપાળમાં આવેલા વિનાશક પૂરનો પ્રવાહ હવે બિહારના નદીકાંઠાના વિસ્તારો માટે નવી ચિંતાનું કારણ બન્યો છે. પૂરનાં પાણી સાથે અજાણી અને અસામાન્ય દેખાતી મોટી માછલીઓ બિહારના કેટલાક વિસ્તારોમાં જોવા મળતાં તંત્રએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. બિહાર સરકારે આવી માછલીઓને પકડવા, ખરીદવા, વેચવા કે ખાવાથી દૂર રહેવાની સ્પષ્ટ સલાહ આપી છે. અધિકારીઓનું કહેવું છે કે પૂરનાં પાણીમાં રહેલી માછલીઓ ગંદકી અને દૂષિત પદાર્થોના સંપર્કમાં આવી શકે છે, જેના કારણે આરોગ્ય માટે જોખમ ઊભું થઈ શકે છે.

બિહારના ડેરી, ફિશરીઝ અને એનિમલ રિસોર્સિસ વિભાગની ફિશરીઝ ડિવિઝને આ અંગે જાહેર એડવાઇઝરી બહાર પાડી છે. વિભાગે જણાવ્યું છે કે પૂર દરમિયાન તળાવો, નદીઓ, તળાવડીઓ અને અન્ય જળાશયોમાંથી માછલીઓ પૂરનાં પ્રવાહ સાથે દૂર સુધી પહોંચી શકે છે. આવી માછલીઓ ગંદા નાળા, મૃત પ્રાણીઓ અને અન્ય દૂષિત પદાર્થોના સંપર્કમાં આવવાથી બેક્ટેરિયા, વાયરસ અથવા અન્ય રોગકારક તત્વોથી દૂષિત થવાની શક્યતા રહે છે.

સરકારે લોકોને અજાણી અથવા અસામાન્ય દેખાતી માછલીનું સેવન ન કરવા અને પૂરનાં પાણીમાંથી પકડાયેલી માછલીની ખરીદી-વેચાણથી દૂર રહેવાની અપીલ કરી છે. સંબંધિત વિભાગની ઓળખ અને પુષ્ટિ વિના આવી માછલીને ખાવા યોગ્ય ન માનવા પણ જણાવાયું છે.

આવી માછલી ખાધા બાદ ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો, ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ અથવા અન્ય અસામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે. માછલી અંગેની માહિતી મળે તો સ્થાનિક પ્રશાસન અથવા સંબંધિત જિલ્લા મત્સ્ય અધિકારીને જાણ કરવા પણ અપીલ કરાઈ છે.

દરમિયાન, 2 સપ્ટેમ્બર 2026ની સવાર સુધી નેપાળની સન કોશી, બુઢી ગંડકી અને મહાકાલી નદીઓનું જળસ્તર ચેતવણી સ્તરથી ઉપર નોંધાયું હતું. નેપાળના Department of Hydrology and Meteorologyએ નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તથા પાણીનું સ્તર વધે તો સલામત સ્થળે ખસવા તૈયાર રહેવાની અપીલ કરી છે.

VIDEO: સુરતમાં કેમિકલના ડ્રમ ફાટતાં આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ

સુરતના ગભેણી વિસ્તારમાં આજે સવારે અચાનક ભડકેલી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દુકાનમાં રાખેલા કેમિકલના ડ્રમ આગની ગરમીથી ધડાકા સાથે ફાટતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, બસેરા નગરના ગભેણી ચોકડી વિસ્તારમાં સવારે આશરે 9 વાગ્યાની આસપાસ દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકોને આગની જાણ થઈ હતી. જોતજોતામાં આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. દુકાનમાં કેમિકલનો જથ્થો સંગ્રહિત હોવાથી આગ વધુ ભડકી હતી અને કેટલાક કેમિકલ ભરેલા ડ્રમ જોરદાર ધડાકા સાથે ફાટ્યા હતા.

આગની ઝપેટમાં દુકાનની બહાર રાખવામાં આવેલી ભંગારની ગાડી સહિત અન્ય સામાન પણ આવી ગયો હતો. આગની તીવ્રતાને કારણે દુકાનની છત પર લગાવવામાં આવેલા ચાદરોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયરકર્મીઓએ આગ નજીકની મિલકતો સુધી ન પહોંચે તે માટે સાવચેતી સાથે કામગીરી હાથ ધરી હતી.

ઘટનાની જાણ થતાં સચિન GIDC પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ આગનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

હાલ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. બીજી તરફ, આગના કારણે દુકાન, કેમિકલના જથ્થા અને બહારના સામાનને થયેલા નુકસાનનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવી રહ્યું છે.

દવા ખરીદતા પહેલા સાવધાન! ગુજરાતમાં દવા અને ભેળસેળ સામે સરકારનું શું મોટું એક્શન?

0

ગુજરાતમાં નકલી દવા અને ભેળસેળનો ધંધો કરનારાઓ માટે હવે મુશ્કેલી વધી શકે છે.જનઆરોગ્ય સાથે ચેડાં સામે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)એ ઓગસ્ટ દરમિયાન કડક કાર્યવાહી કરી છે. આજે સામે આવેલી વિગતો મુજબ ગંભીર ક્ષતિઓ બદલ 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઓગસ્ટ-2026ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. FDCAએ રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ બે દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપ્યા, જ્યારે આઠ ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત કર્યા છે. ઉપરાંત 11 દવાઓના બનાવટ પરવાના રદ કરાયા છે અને લેબોરેટરી તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાઓના ઉત્પાદકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

નકલી ‘Nicardia Retard 10’ના કેસમાં પણ તપાસ આગળ વધારવામાં આવી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરીને સપ્લાય ચેઇન સુધી તપાસ લંબાવવામાં આવી હતી. વડોદરાના વાઘોડિયામાં ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ખાદ્ય સુરક્ષાના મોરચે પણ મોટી કાર્યવાહી થઈ છે. ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં 2,238થી વધુ ખાદ્ય વ્યવસાય એકમોની તપાસ કરવામાં આવી અને 2,591 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન તેલ, ઘી, દૂધ અને મરચાં પાઉડર સહિત 42,988 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત થયો, જેની અંદાજિત કિંમત રૂ.93.47 લાખ છે.

તંત્રએ તહેવારો દરમિયાન દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદી ખાદ્યચીજોની ગુણવત્તા પર સતત દેખરેખ રાખવાના પણ નિર્દેશ આપ્યા છે.

VIDEO: VNSGUની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં અચાનક રોષ કેમ ફાટી નીકળ્યો? વિદ્યાર્થિનીઓએ કર્યા ગંભીર આક્ષેપ

હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ માટે ભોજન અને પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ મુશ્કેલી બની જાય તો રોષ ફાટી નીકળે તે સ્વાભાવિક છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં આવી જ સ્થિતિને લઈને મોડી સાંજથી મોડી રાત સુધી વિરોધ જોવા મળ્યો હતો. વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલની વ્યવસ્થાઓ સામે ધરણાં કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

મળતી માહિતી મુજબ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ની આગેવાનીમાં થયેલા આ વિરોધ દરમિયાન વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં મળતા ભોજનની ગુણવત્તા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના કહેવા મુજબ, ભોજનમાં જીવાત જેવી વસ્તુઓ મળી આવવાની ફરિયાદો અગાઉથી કરવામાં આવી રહી હતી. આ ઉપરાંત હોસ્ટેલમાં પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાની સમસ્યા અંગે પણ વિદ્યાર્થિનીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

વિદ્યાર્થિનીઓએ ભોજન, પાણી અને રહેઠાણ સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ અંગે પણ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. વિરોધ દરમિયાન પરિસ્થિતિ વણસતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે અગાઉ પણ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, છતાં તેમની ફરિયાદોનું સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. હવે વિદ્યાર્થિનીઓએ તેમની માગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરી છે. આ સમગ્ર મામલે હોસ્ટેલ તંત્રનો સત્તાવાર પક્ષ સ્પષ્ટપણે સામે આવે ત્યાર બાદ જ અન્ય આક્ષેપોની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

૨ સપ્ટેમ્બરનું રાશિફળ: કોના ભાગ્યના દરવાજા ખુલશે? ૧૨ રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ

🔮 ૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવારનું રાશિફળ
જાણો ૧૨ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે?


♈ મેષ

કારકિર્દી અને ધંધો: કાર્યક્ષમતા અને નિર્ણયશક્તિમાં સુધારો થશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે દિવસ અનુકૂળ છે.
પરિવાર: પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે.
નાણાં: આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ ઉતાવળમાં નિર્ણય ન લેવો.

♉ વૃષભ

નાણાં: નાણાકીય આયોજન પર ધ્યાન આપો અને બિનજરૂરી ખર્ચ ટાળો.
કારકિર્દી: સહકર્મીઓ સાથે તાલમેલ રાખવાથી કામ સરળ બનશે.
પરિવાર અને સ્વાસ્થ્ય: પરિવારમાં શુભ ચર્ચા થઈ શકે છે. આહારમાં નિયમિતતા જાળવો.

♊ મિથુન

કારકિર્દી: બુદ્ધિ અને વાણીના પ્રભાવથી અટકેલા કામ પૂર્ણ થશે.
ધંધો: નવા કરાર અથવા સોદાની સારી શક્યતા છે.
અભ્યાસ: વિદ્યાર્થીઓને એકાગ્રતાથી સારા પરિણામ મળશે. મિત્રો સાથે મુલાકાત આનંદ આપશે.

♋ કર્ક

માનસિક શાંતિ: નકારાત્મક વિચારો અને ચર્ચાઓથી દૂર રહો.
નોકરી: તમારી મહેનત અને પ્રામાણિકતાની વરિષ્ઠો પ્રશંસા કરશે.
પરિવાર: સુખ-સ્નેહ જળવાઈ રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી મનને શાંતિ મળશે.

♌ સિંહ

કારકિર્દી: આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાથી મહત્વપૂર્ણ કામ ઝડપથી પૂર્ણ થશે.
નાણાં: આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જૂના રોકાણોથી લાભ મળી શકે છે.
સંબંધો: સામાજિક પ્રતિષ્ઠા વધશે અને દાંપત્યજીવન સુખમય રહેશે.

♍ કન્યા

કારકિર્દી: સમયનું યોગ્ય આયોજન કરવું જરૂરી રહેશે.
નાણાં: લેવડ-દેવડમાં સાવચેતી રાખો અને અજાણ્યા લોકો પર વધુ વિશ્વાસ ન કરો.
પરિવાર અને સ્વાસ્થ્ય: પરિવારનો સહયોગ મળશે. નિયમિત વ્યાયામ લાભદાયી રહેશે.

♎ તુલા

ભાગ્ય: આજનો દિવસ ભાગ્યશાળી અને આર્થિક લાભદાયી રહેશે.
ધંધો: સારો નફો થવાની સાથે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે.
પરિવાર: ઘરનું વાતાવરણ આનંદમય રહેશે અને જૂની ચિંતાઓ દૂર થશે.

♏ વૃશ્ચિક

કારકિર્દી: પ્રગતિના નવા માર્ગો ખુલશે અને કાર્યસ્થળે પ્રભાવ વધશે.
જવાબદારી: નવી જવાબદારી મળી શકે છે.
પરિવાર અને સ્વાસ્થ્ય: વડીલોનું માર્ગદર્શન મળશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન રહેશે.

♐ ધન

ભાગ્ય: લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવા લાગશે.
ધાર્મિક કાર્યો: આધ્યાત્મિકતા અને દાન-પુણ્યમાં રસ વધશે.
પરિવાર: નાની લાભદાયી યાત્રાનો યોગ છે. સંતાનો તરફથી શુભ સમાચાર મળી શકે છે.

♑ મકર

સાવચેતી: દરેક કાર્યમાં ધીરજ અને સંયમ રાખવો. જોખમી નિર્ણયોથી બચો.
કારકિર્દી: વધુ મહેનત કરવી પડશે, પરંતુ તેનું પરિણામ લાંબા ગાળે લાભદાયી રહેશે.
સંબંધો: ક્રોધ અને વાદ-વિવાદથી દૂર રહો. નિયમિત દિનચર્યા જાળવો.

♒ કુંભ

ધંધો: ભાગીદારીના વ્યવસાયમાં સારો નફો મળી શકે છે. નવી યોજનાઓ શરૂ કરવા માટે સમય ઉત્તમ છે.
દાંપત્યજીવન: જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને સંબંધોમાં મધુરતા વધશે.
નાણાં: આર્થિક સ્થિરતા જળવાઈ રહેશે. સર્જનાત્મક વિચારોની પ્રશંસા થશે.

♓ મીન

કારકિર્દી: સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે અને મહેનતનું ધાર્યું પરિણામ પ્રાપ્ત થશે.
અભ્યાસ: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે.
નાણાં અને સ્વાસ્થ્ય: બચતમાં વધારો થશે, ખર્ચ નિયંત્રણમાં રહેશે અને સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

ન રસોઈની ઝંઝટ, ન ઘરમાં ચૂલો…ગુજરાતના આ ગામમાં વર્ષોથી ચાલે છે સામૂહિક રસોડું

કલ્પના કરો કે આખા ગામના કોઈપણ ઘરમાં રોજ રસોઈ ન બનતી હોય, છતાં કોઈને ભોજનની ચિંતા ન હોય! ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું ચાંદણકી ગામ આ અનોખી વ્યવસ્થાને વર્ષોથી જીવંત રાખી રહ્યું છે. અહીં ગામના લોકો માટે એક જ સામૂહિક રસોડામાં ભોજન તૈયાર થાય છે અને ગ્રામજનો સાથે બેસીને જમે છે. આ અનોખી પરંપરાનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ કર્યો હતો.

ચાંદણકીમાં યુવાનો રોજગાર અને વ્યવસાય માટે શહેરો તથા વિદેશમાં જતા રહ્યા બાદ ગામમાં મોટી સંખ્યામાં વડીલો રહી ગયા હતા. ઉંમર વધતાં તેમના માટે રોજ કરિયાણું અને શાકભાજી લાવીને રસોઈ બનાવવી મુશ્કેલ બનતી હતી. સાથે જ એકલતા પણ અનુભવાતી હતી. આ સમસ્યાના ઉકેલ તરીકે ગામના સરપંચ પૂનમભાઈ પટેલ અને ગ્રામજનોએ સામૂહિક રસોડાની વ્યવસ્થા ઊભી કરી.

આ વ્યવસ્થા કોઈ મફત સેવા નથી. ગામના લોકો વ્યક્તિદીઠ દર મહિને આશરે ₹2,000 ચૂકવે છે અને તેના બદલામાં તેમને દરરોજ બે વખત ભોજન મળે છે. રસોઈ બનાવવા માટે રસોઈયાઓ રાખવામાં આવ્યા છે, જેમને આશરે ₹11,000 માસિક ચૂકવવામાં આવે છે.

ભોજનમાં સામાન્ય રીતે દાળ, ભાત, રોટલી, શાક અને મીઠાઈ જેવી વાનગીઓ હોય છે. રાત્રે ખીચડી-કઢી, ભાખરી-રોટલી-શાક ઉપરાંત ઢોકળા, મેથી ગોટા અને અન્ય વાનગીઓ પણ પીરસાય છે.

જ્યારે આ યુગમાં નાના પરિવારો એકલતાની સમસ્યા વધી રહી છે ત્યારે સામૂહિક રસોડાની બાજુમાં આવેલા હોલમાં દરરોજ અનેક ગ્રામજનો સાથે બેસીને ભોજન કરે છે. આ જગ્યા માત્ર જમવા પૂરતી નથી રહી; અહીં લોકો વાતો કરે છે, સુખ-દુઃખ વહેંચે છે અને એકબીજાની ખબર રાખે છે. બીમાર અથવા ચાલી ન શકતા વડીલો માટે ઘરે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

ચાંદણકીની આ અનોખી પહેલ બતાવે છે કે ગામની સાચી સમૃદ્ધિ માત્ર સુવિધાઓમાં નહીં, પરંતુ લોકો એકબીજાની સાથે કેટલા જોડાયેલા છે તેમાં પણ હોય છે.

બજેટ માત્ર ₹2 કરોડ અને કમાણી આટલા કરોડ પાર! ‘હનુમાન અંશ’ની સફળતા પડી અન્ય ફિલ્મો પર ભરી

બોક્સ ઓફિસ પર મોટી ફિલ્મોની વચ્ચે ‘હનુમાન અંશ’ પોતાની અલગ જ કહાની લખી રહી છે. શરૂઆતમાં ધીમી ગતિએ આગળ વધેલી આ ફિલ્મે ચોથા અઠવાડિયામાં એવી રફ્તાર પકડી છે કે હવે તેની કમાણી સતત ચર્ચામાં છે. ફિલ્મે ચોથા સોમવારે અંદાજે ₹5.5 કરોડ નેટ કલેક્શન નોંધાવીને મજબૂત પકડ જાળવી રાખી હતી.

ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે ચોથા શુક્રવારે ₹6.25 કરોડ, શનિવારે ₹9.25 કરોડ અને રવિવારે ₹12.75 કરોડની કમાણી કરી હતી. સોમવારની ₹5.5 કરોડની આવક સાથે ફિલ્મનું 25 દિવસનું ભારતનું કુલ નેટ કલેક્શન અંદાજે ₹45.63 કરોડ સુધી પહોંચી ગયું છે.

ખાસ વાત એ છે કે ચોથા સોમવારની કમાણીના આંકડામાં ‘હનુમાન અંશ’ અને ‘ધુરંધર 2’ બંને ₹5.5 કરોડ સાથે સંયુક્ત બીજા સ્થાને હોવાનું ટ્રેડ રિપોર્ટ્સમાં જણાવાયું છે.

લગભગ ₹2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માટે અત્યાર સુધીનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. સતત દર્શકોનો પ્રતિસાદ મળતો રહે તો ફિલ્મ આગામી દિવસોમાં ₹50 કરોડના આંકડાને પાર કરી શકે છે. જોકે ₹100 કરોડ સુધી પહોંચવાની વાત હાલ ટ્રેડ પ્રોજેક્શન છે.

બોક્સ ઓફિસના આ આંકડા ટ્રેડ અંદાજો છે અને અંતિમ સત્તાવાર હિસાબમાં ફેરફાર થઈ શકે છે.

બાળકોનો ફોન છોડાવવો છે? ધમકી નહીં, આ 5 રીતોથી ધીમે ધીમે ઘટાડો સ્ક્રીન ટાઈમ

બાળક શાંત રહે એટલા માટે હાથમાં મોબાઈલ આપી દેવું શરૂઆતમાં સરળ ઉપાય લાગે છે, પરંતુ ધીમે ધીમે આ જ ટેવ રોજિંદા જીવનનો ભાગ બની શકે છે. પછી જમવાનું હોય, બહાર જવાનું હોય કે સૂવાનો સમય—બાળકને સૌથી પહેલાં ફોન જ યાદ આવે છે. આવી સ્થિતિમાં મોબાઈલ અચાનક છીનવી લેવાથી સમસ્યા ઉકેલાય એવું જરૂરી નથી. બાળકની ટેવ બદલવી હોય તો તેની પાછળનું કારણ સમજવું અને ઘરમાં ડિજિટલ રૂટિન બનાવવું વધુ અસરકારક બની શકે છે.

બાળક સ્ક્રીન તરફ કેમ ખેંચાય છે?

મોબાઈલમાં સતત બદલાતી તસવીરો, વીડિયો અને ગેમ્સ બાળકનું ધ્યાન લાંબા સમય સુધી ખેંચી શકે છે. ઘણા બાળકો માટે સ્ક્રીન મનોરંજન ઉપરાંત બોરડમ દૂર કરવાનો રસ્તો પણ બની જાય છે. તેથી સ્ક્રીનનો સમય ઘટાડતાં પહેલાં બાળક ક્યારે અને શા માટે ફોન માગે છે તે ધ્યાનમાં લેવું જરૂરી છે.

મોબાઈલ ‘બેબીસિટર’ ન બને તે જુઓ

બાળક રડે, કંટાળે અથવા માતા-પિતા વ્યસ્ત હોય ત્યારે દરેક વખતે ફોન આપી દેવાની ટેવ ટાળવી જોઈએ. તેના બદલે બાળકને પોતે રમે તેવી પ્રવૃત્તિઓ શીખવો. ઉંમર પ્રમાણે પુસ્તકો, પઝલ, રમકડાં, આર્ટ-ક્રાફ્ટ અથવા ઘરની નાની જવાબદારી પણ વિકલ્પ બની શકે છે.

સ્ક્રીન કરતાં પહેલાં મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા પ્રેરિત કરો

કેટલાક સમયે બાળક ખરેખર થાકેલું, ભૂખ્યું અથવા ઊંઘમાં હોય છે અને ત્યારે તે ચીડિયાપણું બતાવે છે. દરેક અસ્વસ્થતા માટે મોબાઈલ આપવાને બદલે પહેલા બાળકને ખોરાક, આરામ, ઊંઘ અથવા તમારી સાથે વાતચીતની જરૂર છે કે નહીં તે સમજો.

માતા-પિતાનો ફોન ઉપયોગ પણ મહત્વનો છે

બાળકો માત્ર કહેવામાં આવેલા નિયમો નથી શીખતા, તેઓ ઘરમાં જે જુએ છે તે પણ અનુસરે છે. માતા-પિતા સતત ફોનમાં વ્યસ્ત રહે અને બાળકને મોબાઈલથી દૂર રહેવાનું કહે તો નિયમ સ્વીકારવામાં મુશ્કેલી થઈ શકે છે. તેથી પરિવાર માટે કેટલાક સમયને સંપૂર્ણપણે સ્ક્રીન-ફ્રી બનાવવો વધુ યોગ્ય છે.

ગુણવત્તા પણ સમય જેટલી જ મહત્વની

દરેક સ્ક્રીન ઉપયોગ એકસરખો નથી. બાળક શું જોઈ રહ્યું છે, કોની સાથે જોઈ રહ્યું છે અને તેનાથી શું શીખી રહ્યું છે તે પણ મહત્વનું છે. ઉંમરને અનુરૂપ, શૈક્ષણિક અથવા સર્જનાત્મક કન્ટેન્ટને પ્રાથમિકતા આપી શકાય છે.

નાના બાળકો માટે સંસ્થાઓ સ્ક્રીન સમય મર્યાદિત રાખવાની સાથે પૂરતી શારીરિક પ્રવૃત્તિ, સારી ઊંઘ અને સક્રિય રમતોને મહત્વ આપે છે.

બાળકને મોબાઈલથી સંપૂર્ણપણે દૂર કરવું હંમેશા વાસ્તવિક ઉકેલ નથી. મુખ્ય વાત એ છે કે સ્ક્રીન બાળકની દિનચર્યા પર હાવી ન થાય. ધીમે ધીમે વિકલ્પો વધારવાથી અને માતા-પિતા પોતે યોગ્ય ઉદાહરણ પૂરું પાડવાથી બાળક સ્ક્રીન વગર પણ સમય પસાર કરવાનું શીખી શકે છે.

ઉંમર પ્રમાણે કેટલો સ્ક્રીન સમય?

અહવાલો પ્રમાણે 2 વર્ષના બાળકો માટે સ્ક્રીન ટીમે મહત્તમ 1 કલાક અને 3થી 4 વર્ષના બાળકો માટે પણ મહત્તમ 1 કલાક હોવો જોઈએ—“ઓછું હોય તો વધુ સારું.”

જ્યારે મોટા બાળકો અને કિશોરો માટે એકસરખી દૈનિક કલાક મર્યાદા નક્કી કરવાની જગ્યાએ બાળકની ઉંમર, ઊંઘ, શારીરિક પ્રવૃત્તિ, અભ્યાસ, પરિવારના સમય અને સ્ક્રીન પર શું કરવામાં આવે છે તે ધ્યાનમાં લેવું જરૂરી છે.

એટલે બાળકને મોબાઈલથી એક જ દિવસમાં દૂર કરવાની જગ્યાએ ધીમે ધીમે નિયમિત અને સંતુલિત ડિજિટલ રૂટિન તરફ લઈ જવું વધુ વ્યવહારુ બની શકે છે.

5 સપ્ટેમ્બરે થનારી દિલ્હી માર્ચ CJPએ કેમ પાછી ખેંચી?

0

5 સપ્ટેમ્બરે દિલ્હીના રસ્તાઓ પર ઉતરવાની જાહેરાત કરનારી કોકરોચ જનતા પાર્ટી (CJP)એ હવે પોતાની વિરોધ માર્ચ પાછી ખેંચી લીધી છે. આ નિર્ણય પાછળ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ રહ્યો છે, જેમાં 20થી 25 જુલાઈ દરમિયાન થયેલા વિદ્યાર્થી આંદોલન સંબંધિત FIR સામે દેશવ્યાપી રાહત આપવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ CJPના સહ-સંયોજક સૌરવ દાસે 5 સપ્ટેમ્બરની પ્રસ્તાવિત માર્ચ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠે આ મામલે બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 20થી 25 જુલાઈ દરમિયાન વિદ્યાર્થી વિરોધોને લઈને દેશમાં કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયેલી સંબંધિત FIRને આગળ તપાસવી કે ચલાવવી નહીં અને તેને તમામ હેતુઓ માટે બંધ ગણવામાં આવશે.

આદેશ માત્ર દિલ્હી પૂરતો મર્યાદિત રહ્યો નથી. કેન્દ્ર તરફથી દિલ્હી પોલીસ ઉપરાંત બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને અસમ તરફથી રજૂ કરવામાં આવેલી અરજીઓમાં ઉલ્લેખિત FIR પણ કોર્ટની કાર્યવાહી હેઠળ આવી છે. સાથે જ કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે આ સમયગાળાની વિદ્યાર્થી વિરોધની ઘટનાઓને લઈને ભવિષ્યમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ નવી FIR નોંધશે નહીં.

જોકે, ગંભીર ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને સંપૂર્ણ રાહત આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને જંતર-મંતર પરના વિરોધમાં હાજર રહેલા 2,873 લોકો સામે એક ચોક્કસ FIR આગળ વધારવાની મંજૂરી આપી છે, કારણ કે તેમની સામે ગંભીર ગુનાઓ સાથે જોડાયેલી ગુનાહિત પૃષ્ઠભૂમિ હોવાનું જણાવાયું છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ કાર્યવાહી 25 જુલાઈએ CJP સાથે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરીના અનુસંધાનમાં કરવામાં આવી છે. સરકારએ વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓ માટે નવી FIR નહીં નોંધવાની ખાતરી પણ આપી હતી. તેમણે NEET-UG 2026 પરીક્ષા રદ થયા બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર અંગે સરકારની પ્રતિબદ્ધતા પણ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી અને તેની પ્રક્રિયા નક્કી કરવા ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ સૌરવ દાસે કોર્ટ સમક્ષ CJP તરફથી 5 સપ્ટેમ્બરની માર્ચ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતે બંને પક્ષોના અભિગમનું સ્વાગત કરતાં કહ્યું કે સદભાવના સાથે આગળ વધવામાં આવે તો મુદ્દાઓ એક પછી એક ઉકેલી શકાય છે અને ખુલ્લા મનથી ચર્ચા થાય તો કોઈ પ્રશ્ન અતિ જટિલ નથી.

આ રીતે 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટથી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી યોજાનારી CJPની પ્રસ્તાવિત માર્ચ હવે રદ થઈ ગઈ છે. અગાઉ 24 ઓગસ્ટે CJPએ આ માર્ચની જાહેરાત કરી હતી અને સરકાર પર 25 જુલાઈના વચનો પૂર્ણ ન કરવાનો આરોપ મૂક્યો હતો.