Home Blog

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone 17 Pro તથા નવો iPhone 18 Pro હોય, તો માત્ર “નવું એટલે સારું” માનીને નિર્ણય લેવો યોગ્ય નથી. Appleએ iPhone 18 Proમાં નવી A20 Pro ચિપ, વેરિએબલ અપર્ચર કેમેરા, ઝડપી ચાર્જિંગ, વધુ બેટરી બેકઅપ અને સુધારેલી AI ક્ષમતાઓ જેવા મોટા અપગ્રેડ આપ્યા છે. બીજી તરફ iPhone 17 Pro પણ A19 Pro ચિપ અને શક્તિશાળી કેમેરા સાથે આજે પણ પ્રીમિયમ વિકલ્પ છે. એટલે વધારાના ₹30 હજાર ખર્ચીને નવું મોડલ લેવું ખરેખર કેટલું ફાયદાકારક છે, તે સમજવું જરૂરી છે.

Appleએ 9 સપ્ટેમ્બર 2026ના રોજ iPhone 18 Pro રજૂ કર્યો છે. ભારતમાં તેની શરૂઆતની કિંમત ₹1,64,900 છે અને બેઝ મોડલમાં 256GB સ્ટોરેજ મળે છે. 512GB, 1TB અને 2TB સ્ટોરેજ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ભારતમાં પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે વેચાણ 18 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે. iPhone 17 Proની શરૂઆતની કિંમત ₹1,34,900 હતી.

ડિઝાઇનમાં બંને ફોન વચ્ચે મોટો ફેરફાર જોવા મળતો નથી. બંનેમાં 6.3 ઇંચનું Super Retina XDR ડિસ્પ્લે અને 120Hz ProMotion ટેક્નોલોજી મળે છે. જોકે iPhone 18 Proમાં Dynamic Island વધુ કોમ્પેક્ટ બનાવવામાં આવ્યું છે.

પરફોર્મન્સની વાત કરીએ તો iPhone 18 Proમાં 2nm A20 Pro ચિપ છે. તેમાં 6-કોર CPU અને 7-કોર GPU આપવામાં આવ્યા છે. Appleના જણાવ્યા મુજબ GPU પ્રદર્શન અગાઉની પેઢીની તુલનામાં 40 ટકા સુધી ઝડપી છે અને મેમરી બેન્ડવિડ્થમાં પણ મોટો સુધારો થયો છે. iPhone 17 Proમાં 3nm A19 Pro ચિપ આપવામાં આવી છે.

કેમેરા વિભાગમાં iPhone 18 Proનું સૌથી મોટું અપગ્રેડ જોવા મળે છે. તેમાં 48MP મુખ્ય કેમેરા સાથે વેરિએબલ અપર્ચર આપવામાં આવ્યું છે. 48MP અલ્ટ્રા વાઇડ અને 48MP ટેલિફોટો કેમેરા પણ છે. iPhone 17 Proમાં પણ ત્રણ 48MP રિયર કેમેરા છે, પરંતુ વેરિએબલ અપર્ચર જેવી સુવિધા નવા મોડલને આગળ રાખે છે.

બેટરીમાં પણ iPhone 18 Pro આગળ છે. Appleના જણાવ્યા પ્રમાણે તે 36 કલાક સુધી વીડિયો પ્લેબેક આપી શકે છે અને લગભગ 15 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. iPhone 17 Proમાં 31 કલાક સુધી વીડિયો પ્લેબેક અને લગભગ 20 મિનિટમાં 50 ટકા ચાર્જિંગ મળે છે.

સોફ્ટવેરની બાબતમાં iPhone 18 Pro iOS 27 સાથે આવે છે અને નવી AI આધારિત Siri સહિત Apple Intelligence સુવિધાઓનો વધુ ઉપયોગ કરે છે.

કયો iPhone ખરીદવો? નવી ચિપ, વધુ સ્ટોરેજ, કેમેરામાં વધુ નિયંત્રણ અને લાંબા ગાળે નવી ટેક્નોલોજી જોઈએ તો iPhone 18 Pro વધુ યોગ્ય છે. પરંતુ સારો ડિસ્કાઉન્ટ મળતો હોય અને બજેટ મહત્વનું હોય તો iPhone 17 Pro હજુ પણ ખૂબ જ શક્તિશાળી અને વેલ્યુ-ફોર-મની વિકલ્પ બની શકે છે.

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા બાદ હવે તેને સાડા ચાર વર્ષની જેલની સજા ભોગવવી પડશે. સુરત સ્થિત Raxuter Chemicals સાથે સંકળાયેલા ભાવેશ રણછોડભાઈ લાઠિયાને અમેરિકાની ફેડરલ કોર્ટે ફેન્ટેનિલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્રીકર્સર કેમિકલની સ્મગલિંગ અને વિતરણના કેસમાં 54 મહિનાની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત તેને 24,560 ડોલર જપ્તી તરીકે ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

અમેરિકી તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ લાઠિયા ભારતમાંથી પોતાની કંપની મારફતે ફેન્ટેનિલ પ્રીકર્સર કેમિકલ અમેરિકા અને મેક્સિકો મોકલતો હતો. તપાસમાં કેમિકલની ઓળખ છુપાવવા માટે શિપમેન્ટ પર ખોટા લેબલ લગાવાતા હોવાનો ખુલાસો થયો હતો. એક શિપમેન્ટમાં પ્રતિબંધિત કેમિકલને ‘Vitamin C’ તરીકે દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય એક શિપમેન્ટ માટે ‘antacid’નું લેબલ ઉપયોગમાં લેવાની યોજના હતી.

આ કેસમાં Homeland Security Investigations (HSI)એ અંડરકવર ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન અંડરકવર અધિકારીએ લાઠિયા સાથે વીડિયો કોલ પર વાતચીત કરી હતી. લાઠિયાએ 20 કિલોગ્રામ પ્રીકર્સર કેમિકલ સપ્લાય કરવા સંમતિ આપી હતી અને તેને ખોટા લેબલ સાથે મોકલવાની વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ આ શિપમેન્ટ ન્યૂયોર્ક પહોંચાડવામાં આવ્યું હતું.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ લાઠિયાને સારી રીતે જાણ હતી કે તેના દ્વારા સપ્લાય કરવામાં આવતા કેમિકલનો ઉપયોગ ફેન્ટેનિલ જેવા સિન્થેટિક ડ્રગના ઉત્પાદન માટે થઈ શકે છે. લાઠિયાએ એપ્રિલ 2026માં પોતાનો ગુનો કબૂલ્યો હતો. કેસમાં અમેરિકી તપાસ એજન્સીઓએ ભારત સ્થિત પ્રીકર્સર કેમિકલ સપ્લાયર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.

નેપાળ પૂરમાં ગુજરાતના ગુમ થયેલા લોકોના પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા; હવે કેવી રીતે થશે ઓળખ?

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત માટે ચિંતા હજુ યથાવત છે. રાજ્યના 30 લોકો, જેમાં NRI ગુજરાતીનો પણ સમાવેશ થાય છે, હજુ ગુમ અથવા સંપર્કવિહોણા છે. હવે તેમના પરિવારજનોને સ્વજનોની ઓળખ અંગે ચોક્કસ માહિતી મળી શકે તે માટે ગુજરાત સરકારે 29 ગુમ વ્યક્તિઓના નજીકના સગાંઓના DNA સેમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

નેપાળ-તિબેટ સરહદ અને ભોટે કોશી નદી વિસ્તારમાં આવેલા પૂર બાદ અનેક લોકોનો સંપર્ક તૂટી ગયો હતો. ગુજરાતમાંથી પણ અનેક લોકો કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચ્યા હતા. ગુમ થયેલા લોકોમાં અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર, સુરત, વલસાડ અને રાજકોટ સહિતના જિલ્લાઓના લોકોનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારનું Non-Resident Gujaratis Foundation (NRGF), સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અને જિલ્લા વહીવટીતંત્ર પરિવારજનો સાથે સતત સંપર્કમાં રહીને ઓળખ અને શોધ કામગીરીમાં સંકલન કરી રહ્યા છે. ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જુનાગઢ અને રાજકોટની છ નિર્ધારિત લેબોરેટરીમાં DNA સેમ્પલિંગ અને પ્રોફાઇલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) પણ આ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. NFSUની 10 સભ્યોની ફોરેન્સિક ટીમ નેપાળમાં ઓળખ પ્રક્રિયામાં સહાય કરી રહી છે.

પૂરમાં મળેલા કેટલાક મૃતદેહો અને માનવ અવશેષોની સ્થિતિ ગંભીર હોવાથી પરંપરાગત ઓળખ મુશ્કેલ બની રહી છે. આવી સ્થિતિમાં DNA મેચિંગ ગુજરાતના પરિવારોને તેમના ગુમ થયેલા સ્વજનો અંગે ચોક્કસ માહિતી મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

0

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં વાલીઓ અને શાળા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની DPS સ્કૂલ અને થલતેજની ઉદગમ સ્કૂલને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હોવાનું સામે આવતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને બોમ્બ સ્ક્વોડે શાળાઓમાં તપાસ શરૂ કરી છે.

માહિતી મળતાની સાથે જ સંબંધિત પોલીસ ટીમો શાળાઓ પર પહોંચી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને શાળા પરિસરો ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢીને તપાસ માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો.

વેજલપુરની ઝાયડસ સ્કૂલના મેનેજમેન્ટે સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરી છે. વાલીઓને મેસેજ કરીને પોતાના બાળકોને શાળાએથી ઘરે લઈ જવા માટે જાણ કરવામાં આવી હતી. જેના પગલે અનેક વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ફાયર વિભાગની બે ગાડીઓ સહિત પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત અમદાવાદ ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમને પણ ધમકી અંગેનો સંદેશ મળતાં પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ટીમોને તૈનાત કરવામાં આવી હતી.

DEO રોહિત ચૌધરીએ અન્ય શાળાઓને પણ પોતાના ઈ-મેઈલ આઈડી તપાસવા સૂચના આપી છે. કોઈ શાળાને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને તપાસમાં સહકાર આપવા જણાવાયું છે.

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક જગતમાં નવી ચર્ચા શરૂ થઈ છે, પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે સેમસંગના કટાક્ષે. એપલના નવા ફોલ્ડેબલ ફોનના લોંચ બાદ Samsung Mobile USએ સોશિયલ મીડિયા પર એક પછી એક પોસ્ટ કરીને કંપનીના નવા ડિવાઇસની મજાક ઉડાવી અને સંકેત આપ્યો કે ફોલ્ડેબલ ટેક્નોલોજી દુનિયામાં તે પહેલેથી ઘણું આગળ છે.

9 સપ્ટેમ્બર 2026ના Appleના લોન્ચ ઇવેન્ટમાં iPhone Duo રજૂ કરવામાં આવ્યો. Apple અનુસાર આ તેનો પહેલો ફોલ્ડેબલ iPhone છે, જેમાં 5.4 ઇંચની બહારની અને 7.6 ઇંચની અંદરની ડિસ્પ્લે છે.

આ દરમિયાન Samsung Mobile USએ X પર “So far, so same” લખીને Appleના નવા iPhone પર ટિપ્પણી કરી. ફોલ્ડેબલ ફોન અંગે Appleની જાહેરાત પહેલાં સેમસંગે પોતાના Galaxy Z TriFoldનો સંદર્ભ આપતાં “folding 3 ways” અંગે પોસ્ટ કરી હતી. iPhone Duo લોન્ચ થયા બાદ સેમસંગે સૌથી ચોંકાવનારી ટિપ્પણી કરી—“Let us know when you’re done reheating our leftovers.”

સેમસંગનો આ કટાક્ષ તેના લાંબા અનુભવ તરફ પણ ઈશારો કરે છે. કંપનીએ 2019માં Galaxy Fold લોન્ચ કરીને ફોલ્ડેબલ સ્માર્ટફોન કેટેગરીમાં પ્રવેશ કર્યો હતો. હવે Appleની એન્ટ્રી બાદ બંને દિગ્ગજ વચ્ચેની સ્પર્ધા માત્ર ફોનના ફીચર્સ પૂરતી નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ રસપ્રદ બની છે.

આ નોકઝોકમાં ભાષા શીખવતી એપ Duolingo પણ જોડાઈ હતી, કારણ કે Appleના ફોલ્ડેબલ ફોનનું નામ ‘Duo’ છે.

ક્રૂડ ઓઈલ મોંઘું થયું તો ભારત પર શું અસર? શેરબજાર માટે પણ વધ્યો ખતરો

ક્રૂડ ઓઈલ ફરી એકવાર વૈશ્વિક બજારો માટે સૌથી મોટું ટેન્શન બની ગયું છે. અમેરિકા-ઈરાન વચ્ચે વધેલા સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજો પર હુમલાના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય પર દબાણ વધ્યું છે. 9 સપ્ટેમ્બર 2026ના રોજ Brent ક્રૂડ થોડા સમય માટે $100ની ઉપર ગયું હતું અને દિવસના અંતે $101.21 પ્રતિ બેરલ પર સ્થિર થયું, જ્યારે WTI પણ લગભગ $96 સુધી પહોંચ્યું હતું.

આ સ્થિતિ વચ્ચે અમેરિકાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક Goldman Sachsએ ચેતવણી આપી છે કે મધ્યપૂર્વમાં જહાજો પર હુમલા અને ઓઈલ સપ્લાયમાં લાંબા સમય સુધી વિક્ષેપ ચાલુ રહે તો Brent ક્રૂડની કિંમત $120 પ્રતિ બેરલથી પણ ઉપર જઈ શકે છે. Goldman Sachsના કોમોડિટીઝ રિસર્ચ હેડ ડાન સ્ટ્રુયવેનના જણાવ્યા મુજબ આ ખાસ કરીને ગંભીર સપ્લાય વિક્ષેપની સ્થિતિમાં શક્ય છે. બેન્કે 2026ના અંત માટે પણ પોતાનું Brent અનુમાન વધારીને આશરે $90 કર્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વના ઓઈલ ટ્રાન્ઝિટ રૂટ્સમાંથી એક છે. 2025ના પ્રથમ અર્ધમાં અહીંથી દરરોજ સરેરાશ 20.9 મિલિયન બેરલ, એટલે કે વૈશ્વિક પેટ્રોલિયમ વપરાશના આશરે 20% જેટલો પ્રવાહ પસાર થતો હતો.

ક્રૂડ મોંઘું બનવાથી ભારતનું આયાત બિલ, પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધી શકે છે. પરિણામે મોંઘવારી પર દબાણ વધે તો કંપનીઓના નફા અને શેરબજારની સેન્ટિમેન્ટ પર પણ અસર પડી શકે છે. જોકે મોટો કડાકો નિશ્ચિત છે એવું કહેવું વહેલું છે.

નોંધ: રોકાણ પહેલાં નાણાકીય સલાહકારની સલાહ લો.

અહંકારની એકક્ષણ સંબંધોનો વિનાશ વેરવા માટે પુરતી-શ્રેણિક વિદાણી

માનવ જીવનમાં સંબંધો જેટલા મહત્વના છે, તેટલા જ નાજુક પણ છે. ઘણી વખત સંબંધો કોઈ મોટી ભૂલથી નહિ પરંતુ નાની વાતોને લાંબા સમય સુધી મનમાં રાખવાથી તૂટે છે. એક શબ્દ, એક ગેર સમજ કે અહંકારની એક ક્ષણ સંબંધોમાં મોટુ અંતર ઉભુ કરી શકે છે.

પર્યુષણમાં ક્ષમાભાવનું વિશેષ મહત્વ છે. જૈન દર્શન આપણને શીખવે છે કે, ક્ષમા માત્ર સામેવાળાને આપવાની ભેટ નથી, પરંતુ પોતાની જાતને પણ દ્વેષના ભારથી મુક્ત કરવાની પ્રક્રિયા છે.

કોઈએ આપણને દુ:ખ આપ્યું હોય ત્યારે મન કહે છે પહેલા એ માફી માંગે પરંતુ ક્ષમા માટે હંમેશા સામેવાળાની શરૂઆતની રાહ જોવી જરૂરી નથી. મૈત્રી ભાવ માટે પોતાનો અહંકાર મુકવો પડે છે. આજના પરિવારોમાં બે પેઢીઓ વચ્ચેના મતભેદ, સ્નેહી સબંધી વચ્ચેના મન દુ:ખ અને મિત્રતામાં આવેલ તિરાડો ઘણી વાર એક સરળ ક્ષમાથી દૂર થઈ શકે છે. પરંતુ ક્ષમાની શરૂઆત બીજા પાસેથી નહિ પણ પોતાની ભૂલ સ્વીકારવાથી થાય છે.

પર્યુષણ આપણને કહે છે કે સર્વ જીવો સાથેના મૈત્રીભાવ કરતા પોતાના અહંકારને મોટો ન બનાવવો અને મનની શાંતિ અને પ્રસન્નતા કરતા મતભેદો અને મનભેદોને વધુ કિમતી ન માનો. ક્યારેક, “મને માફ કરજો” વાક્ય સબંધને બચાવી લે છે અને “હું તમને માફ કરું છુ.” વાક્ય મનને મુક્ત કરી દે છે.

“સામો થાય આગ તો તમે થજો પાણી, આ છે પ્રભુ મહાવીરની વાણી.” પર્યુષણનો આ જ સંદેશ છે.

માત્ર ક્ષમાભાવના અહંકાર અને દ્વેષ ભાવથી મુક્ત કરવાની અકસીર ભાવના છે.

તમારા ઘરની વાતો કેટલી સુરક્ષિત? Smart TV અંગે સામે આવ્યો મોટો પ્રાઇવસીનો સવાલ

દીવાલોને કાન હોય છે સાંભળવામાં આવ્યું છે પણ હવે તોહ ટીવી પણ સાંભળી શકે છે એ દાવો સામે આવી રહ્યો છે. સ્માર્ટ ટીવીને આપણે મનોરંજનનું સાધન માનીએ છીએ, પરંતુ તાજેતરની એક તપાસે તેની પ્રાઇવસી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્વતંત્ર સુરક્ષા સંશોધકોએ કરેલી તપાસમાં કેટલાક LG OLED ટીવીમાં સ્ક્રીન બંધ અથવા સ્ટેન્ડબાય સ્થિતિમાં પણ માઇક્રોફોન ઓડિયો કેપ્ચર થતો હોવાનો દાવો કર્યો છે.

તપાસ દરમિયાન નેટવર્ક ટ્રાફિકનું વિશ્લેષણ કરતા સંશોધકો દ્વારા નેટવર્ક ટ્રાફિકનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા મુજબ, LGના કેટલાક ટીવી લોકલ નેટવર્કને સ્કેન કરીને ફોન, સ્માર્ટવોચ અને અન્ય ડિવાઇસની માહિતી શોધી શકતા હતા. નજીકના Wi-Fi નેટવર્કના નામ અને સિગ્નલની તાકાત પણ એકત્ર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સૌથી ગંભીર દાવો ઓડિયો રેકોર્ડિંગને લઈને છે. રિપોર્ટ મુજબ, ઇન્ટરનેટ કનેક્શન ન હોવા છતાં પરીક્ષણ દરમિયાન ટીવીએ ઓડિયો સ્થાનિક રીતે સ્ટોર કર્યો અને ફરી ઓનલાઈન થયા બાદ તેને મોકલવાની ક્ષમતા દર્શાવી હતી.

જોકે LGએ આ આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીનું કહેવું છે કે વૉઇસ ડેટા ત્યારે જ પ્રોસેસ થાય છે જ્યારે રિમોટનું વૉઇસ બટન દબાવવામાં આવે અથવા અગાઉથી સક્રિય કરાયેલા ફાર-ફિલ્ડ ફીચરમાં “Hi LG” જેવા વેક-વર્ડથી ફંક્શન સક્રિય થાય. કંપનીએ ACR ફીચર પણ ઑપ્ટ-ઇન હોવાનો દાવો કર્યો છે.

થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સુરતમાં રક્તદાન કેમ્પનું આયોજન

સુરત શહેર પોલીસ ઝોન-4 અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગણેશોત્સવ નિમિત્તે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન કેમ્પ 11 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. કેમ્પનું સ્થળ ઉદ્યોગ ભારતી વિદ્યાલય, રૂપા મિલની પાસે, GIDC કોલોની, ભાટલી બોય કંપની સામે, પાંડેસરા GIDC, સુરત રહેશે.

આ કેમ્પનો હેતુ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જરૂરી રક્ત મળી રહે તે માટે લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાનો છે. આયોજકો દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કરી જીવન બચાવવાની સેવાકીય પહેલમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

“રક્તદાન… એ જ જીવનદાન… સેવા… સુરક્ષા… સહયોગ…”ના સંદેશ સાથે યોજાનાર આ કેમ્પમાં લોકોની હાજરીને ગૌરવની વાત ગણાવવામાં આવી છે.

સુરતની પાઠશાળાના પાર્થ ભટ્ટ એ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યસ્તરીય સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો

શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વડનગરમાં આયોજિત શ્રાવણોત્સવ રાજ્યસ્તરીય સ્પર્ધા અંતર્ગત શ્રી શિવ મહિમ્ન સ્તોત્રની સ્પર્ધામાં સુરતની જાણીતી શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળા ના વિદ્યાર્થી પાર્થ નિલેશભાઈ ભટ્ટ એ પ્રથમ ક્રમાંક મેળવી પાઠશાળા તથા સુરત શહેરનું ગૌરવ વધારેલ છે. આજ રોજ વડનગર ખાતે સન્માન કરી પુરસ્કૃત કરવામાં આવેલ છે.