માનવ જીવનમાં સંબંધો જેટલા મહત્વના છે, તેટલા જ નાજુક પણ છે. ઘણી વખત સંબંધો કોઈ મોટી ભૂલથી નહિ પરંતુ નાની વાતોને લાંબા સમય સુધી મનમાં રાખવાથી તૂટે છે. એક શબ્દ, એક ગેર સમજ કે અહંકારની એક ક્ષણ સંબંધોમાં મોટુ અંતર ઉભુ કરી શકે છે.
પર્યુષણમાં ક્ષમાભાવનું વિશેષ મહત્વ છે. જૈન દર્શન આપણને શીખવે છે કે, ક્ષમા માત્ર સામેવાળાને આપવાની ભેટ નથી, પરંતુ પોતાની જાતને પણ દ્વેષના ભારથી મુક્ત કરવાની પ્રક્રિયા છે.
કોઈએ આપણને દુ:ખ આપ્યું હોય ત્યારે મન કહે છે પહેલા એ માફી માંગે પરંતુ ક્ષમા માટે હંમેશા સામેવાળાની શરૂઆતની રાહ જોવી જરૂરી નથી. મૈત્રી ભાવ માટે પોતાનો અહંકાર મુકવો પડે છે. આજના પરિવારોમાં બે પેઢીઓ વચ્ચેના મતભેદ, સ્નેહી સબંધી વચ્ચેના મન દુ:ખ અને મિત્રતામાં આવેલ તિરાડો ઘણી વાર એક સરળ ક્ષમાથી દૂર થઈ શકે છે. પરંતુ ક્ષમાની શરૂઆત બીજા પાસેથી નહિ પણ પોતાની ભૂલ સ્વીકારવાથી થાય છે.
પર્યુષણ આપણને કહે છે કે સર્વ જીવો સાથેના મૈત્રીભાવ કરતા પોતાના અહંકારને મોટો ન બનાવવો અને મનની શાંતિ અને પ્રસન્નતા કરતા મતભેદો અને મનભેદોને વધુ કિમતી ન માનો. ક્યારેક, “મને માફ કરજો” વાક્ય સબંધને બચાવી લે છે અને “હું તમને માફ કરું છુ.” વાક્ય મનને મુક્ત કરી દે છે.
“સામો થાય આગ તો તમે થજો પાણી, આ છે પ્રભુ મહાવીરની વાણી.” પર્યુષણનો આ જ સંદેશ છે.
માત્ર ક્ષમાભાવના અહંકાર અને દ્વેષ ભાવથી મુક્ત કરવાની અકસીર ભાવના છે.





