8 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના મીરા રોડ પર રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ માત્ર થોડા જ દિવસોમાં મીરા રોડ પર વર્ષોથી ચાલતા જમીન વિવાદમાં ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ વિવાદિત જમીનનો કબજો છોડવાની સાથે પ્લોટ માટે મળેલી બાંધકામ પરવાનગી પણ સરેન્ડર કરવાની જાહેરાત કરવા સાથે જ વોહરા વિરુદ્ધ અગાઉ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની વાત પણ તેમણે કરી છે.
આ સમગ્ર મામલો ભાયંદર ઈસ્ટના નવઘર વિસ્તારમાં આવેલી 2,810 ચોરસ મીટર જમીનને લઈને છે. વોહરાના જણાવ્યા અનુસાર તેમણે આ જમીન 1989માં ખરીદી હતી. તેમનો આરોપ છે કે 2011માં સ્વયમ બિલ્ડર્સ અને સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ દ્વારા જમીન પર કબજો કરવામાં આવ્યો હતો. વોહરાએ આ કંપનીઓને નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી હોવાનું જણાવ્યું હતું.
વોહરાનો વધુ આરોપ છે કે તેમની જાણ બહાર કથિત રીતે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને જમીનને બે કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવી હતી. તેઓ છેલ્લા લગભગ 15 વર્ષથી અલગ-અલગ સરકારી વિભાગો સમક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા. 2015માં આ કેસને લઈને FIR પણ નોંધાઈ હતી.
8 સેપ્ટેમ્બરે વોહરા વડનગરની BN સ્કૂલમાં પીએમ મોદી સાથે અભ્યાસ કર્યાની વાત કરી હતી અને તેમના સાથે મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન તેમણે જમીન વિવાદમાં હસ્તક્ષેપ અને CBI તપાસની માંગ કરી હતી.
ત્યારબાદ મંગળવારે મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રીકર પરદેશીની અધ્યક્ષતામાં મંત્રાલયમાં બેઠક યોજાઈ હતી. તેમાં વોહરા, નરેન્દ્ર મહેતા, મહાનગરપાલિકા કમિશનર રાધા વિનોદ શર્મા અને ટાઉન પ્લાનર પુરુષોત્તમ શિંદે હાજર રહ્યા હતા. બેઠકમાં મહેતાએ જમીન અને બાંધકામ પરવાનગી અંગેનો નિર્ણય રજૂ કર્યો.
બીજી તરફ, સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે 13 જૂન 2019ના રજિસ્ટર્ડ ડીડથી જમીન ખરીદ્યાનો દાવો કર્યો હતો. કંપનીને 17 એપ્રિલ 2026ના રોજ બાંધકામની મંજૂરી મળી હતી. હવે કંપનીએ વિવાદનો ઉલ્લેખ કરીને બાંધકામ પ્રમાણપત્ર સરેન્ડર કર્યું છે અને પરવાનગી રદ કરવાની સાથે અગાઉ ભરેલી ફી પરત કરવાની માંગ કરી છે.
નરેન્દ્ર મહેતાએ પણ પોલીસ કમિશનરને પત્ર લખીને વોહરા વિરુદ્ધની અગાઉની ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી છે. આ દરમિયાન 16 સપ્ટેમ્બરે મહાનગરપાલિકામાં બંને કંપનીઓને જમીન વિવાદ અંગે સ્પષ્ટતા માટે બોલાવવામાં આવી છે.







