તમારા નામે કેટલા મોબાઇલ નંબર ચાલી રહ્યા છે? કદાચ તમે ભૂલી ગયા હો, પરંતુ હવે આ માહિતી તમારી માટે મહત્વની બની શકે છે. 24 ઓગસ્ટ 2026થી ટેલિકોમ કંપનીઓ મંજૂર મર્યાદા પૂર્ણ કરી ચૂકેલા ગ્રાહકોને વધારાનું નવું SIM કનેક્શન નહીં આપે. એટલે દરેક વ્યક્તિ માટે SIM બંધ થવાના નથી, પરંતુ મર્યાદા પહોંચી ગયેલા ગ્રાહકો પર હવે કડક ચકાસણી થશે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)એ આ અંગે નિર્દેશમાં સામાન્ય વિસ્તારોમાં એક વ્યક્તિના નામે તમામ ટેલિકોમ કંપનીઓ મળીને વધુમાં વધુ 9 મોબાઇલ કનેક્શન રાખી શકાય છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આ મર્યાદા 6 કનેક્શન છે.
નવા નિયમ હેઠળ 23 ઓગસ્ટથી મર્યાદા સુધી પહોંચી ગયેલા ગ્રાહકોની તસવીર આધારિત માહિતી Digital Intelligence Platform (DIP) પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. 24 ઓગસ્ટથી ટેલિકોમ કંપનીઓ નવી SIM અરજી વખતે આ માહિતી સાથે ચકાસણી કરશે. મર્યાદા પૂર્ણ થઈ હોય તો વધારાનું કનેક્શન આપવામાં નહીં આવે. શરૂઆતમાં ચકાસણી પછીના દિવસે થઈ શકે છે, જ્યારે 30 નવેમ્બર સુધીમાં રિયલ-ટાઇમ ચકાસણીની વ્યવસ્થા ઊભી કરવાની છે.
મર્યાદા કરતાં વધુ કનેક્શન પહેલેથી હોય તો પાછળથી લીધેલા વધારાના નંબરને બંધ કરવામાં આવી શકે છે. આ પગલાનો હેતુ ફર્જી SIM, સાયબર ફ્રોડ અને ખાસ કરીને ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી છેતરપિંડીમાં મોબાઇલ કનેક્શનના દુરુપયોગને રોકવાનો છે.
તમારા નામે કેટલા SIM નોંધાયેલા છે તે સંચાર સાથી પોર્ટલ પરથી તપાસી શકાય છે અને અજાણ્યો નંબર હોય તો તેની જાણ પણ કરી શકાય છે.