Tuesday, Aug 18, 2026

રેલવે સ્ટેશનનું પાણી પીવું ભારે પડી શકે? CAG ઓડિટમાં સામે આવી મોટી બેદરકારી

2 Min Read

રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા એક ગ્લાસ પાણી પીવું સામાન્ય વાત છે, પરંતુ હવે આ જ પાણી અંગે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. CAGના પરફોર્મન્સ ઓડિટમાં કેટલાક રેલવે સ્ટેશનોના પીવાના પાણીમાં E. coli સહિત કોલિફોર્મ બેક્ટેરિયા મળ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ 512 સ્ટેશનોની તપાસમાં માત્ર 54 સ્ટેશનો એટલે કે 11 ટકા પર જ તમામ ન્યૂનતમ જરૂરી સુવિધાઓમાં કોઈ ખામી મળી નહોતી.

CAGએ 2019-20થી 2023-24 દરમિયાન નોન-સબર્બન રેલવે સ્ટેશનો પર પેસેન્જર એમેનિટીઝ અને સેનિટેશનની સ્થિતિનું ઓડિટ કર્યું હતું. 512 પસંદ કરાયેલા સ્ટેશનોમાં પીવાનું પાણી, વેઇટિંગ હોલ, બેઠકો, યુરિનલ, ટોયલેટ, પ્લેટફોર્મ શેલ્ટર, વોટર કૂલર સહિતની Minimum Essential Amenitiesની તપાસ કરવામાં આવી હતી. માત્ર 54 સ્ટેશનો જ નિર્ધારિત ધોરણ મુજબ તમામ સુવિધાઓ પૂરી કરતા જોવા મળ્યા.

ઓડિટમાં જાણવા મળ્યું કે 143 સ્ટેશનોમાં પીવાના પાણીના નળમાં ઘટાડો, 111 સ્ટેશનોમાં યુરિનલની અછત, 59 સ્ટેશનોમાં ટોયલેટના ધોરણમાં ખામી અને 128 સ્ટેશનોમાં વોટર કૂલરની અછત જોવા મળી હતી. પ્લેટફોર્મ શેલ્ટરમાં પણ 62 સ્ટેશનો પર ધોરણથી ઓછું કવરેજ નોંધાયું હતું.

પાણીની ગુણવત્તા મુદ્દે પણ ગંભીર ખામીઓ સામે આવી. CAGના તારણ મુજબ પાણીની તપાસ નિર્ધારિત સમયગાળા પ્રમાણે થઈ નહોતી અને બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટ, કેમિકલ એનાલિસિસ તથા રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટમાં પણ ખામીઓ રહી હતી. ઓડિટમાં પીવાના પાણીમાં Total Coliforms, જેમાં E. coliનો પણ સમાવેશ થાય છે, મળ્યાનું નોંધાયું છે.

દિવ્યાંગ મુસાફરો માટેની સુવિધાઓ પણ અપૂરતું હોવાનું જાણવા મળ્યું હતું. 5,920 સ્ટેશનોના ઉપલબ્ધ ડેટા મુજબ 1,959 સ્ટેશનોમાં રેમ્પ, 4,639 સ્ટેશનોમાં દિવ્યાંગજનો માટે પાણીના નળ અને 1,759 સ્ટેશનોમાં દિવ્યાંગ-અનુકૂળ ટોયલેટની અછત નોંધાઈ હતી. પસંદ કરાયેલા 512 સ્ટેશનોમાંથી 441 પર ઇમરજન્સી મેડિકલ રૂમ અથવા AIIMS મુજબની મેડિકલ બોક્સ વ્યવસ્થા બંને ઉપલબ્ધ નહોતી.

ફંડના ઉપયોગ અંગે પણ CAGએ સવાલ ઉઠાવ્યો. 2019-20થી 2023-24 દરમિયાન પેસેન્જર એમેનિટીઝ માટે ફાળવાયેલા Plan Head-53ના બજેટમાંથી કુલ ₹5,956 કરોડનો ઉપયોગ થયો નહોતો. CAGએ રેલવેને સલામત પીવાનું પાણી, સ્વચ્છતા અને મુસાફરોની સુવિધાઓની મજબૂત મોનિટરિંગ સુનિશ્ચિત કરવાની ભલામણ કરી છે.

Share This Article