આજે સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (SVNIT) ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે વન ડે વન યુનિવર્સિટી કાર્યક્રમ હેઠળ દેશની યુવા શક્તિ સાથે સંવાદ કર્યો હતો. એસવીએનઆઈટી ખાતે યુવા વિદ્યાર્થીઓ સાથે સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર જલ, હર ઘર સ્વચ્છતા’ના સંકલ્પ અને ‘જલ સંચય જન ભાગીદારી’ના માધ્યમથી જળ સંરક્ષણને જન આંદોલન બનાવવાના વિઝનની ચર્ચા કરી હતી. એસવીએનઆઈટીના વિદ્યાર્થીઓના જળ અને સ્વચ્છતા સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે કરેલા શોધ સંશોધનો અને નવા વિચારો જાણ્યા હતા. નવી પેઢીના વિચારો જાણીને કેન્દ્રીય મંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આપણી યુનિવર્સિટી અને કોલેજો સંશોધન અને વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રો છે. આ સંસ્થાઓની દેશની સમસ્યાઓના વ્યવહારિક તથા ઓછા ખર્ચાળ ઉકેલ શોધવા માટે સક્રિય ભાગીદારી ખૂબ જ મહત્વની છે. મને વિશ્વાસ છે કે યુવા શક્તિ, વિજ્ઞાન, સંશોધન અને જનભાગીદારીથી આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળ સુરક્ષા અને સ્વચ્છ ભારતના સંકલ્પને ઝડપથી આગળ વધારીશું.