Friday, Aug 14, 2026

લાલ કિલ્લા ખાતે 80મો સ્વતંત્રતા દિવસ બનશે ઐતિહાસિક,જાણો આ વર્ષની ઉજવણીમાં શું હશે ખાસ?

2 Min Read

15 ઓગસ્ટ 2026ના રોજ દેશ જ્યારે સ્વતંત્રતાના 80 વર્ષ પૂર્ણ થવાનો ગૌરવપૂર્ણ અવસર ઉજવશે. આ વર્ષની ઉજવણીમાં ખાસ આકર્ષણ ‘વંદે માતરમ’ના 150 વર્ષના ઐતિહાસિક વારસાને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 7 નવેમ્બર 2025થી 7 નવેમ્બર 2026 સુધી ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠનું વર્ષભરનું રાષ્ટ્રીય સ્મરણોત્સવ પણ શરૂ કર્યું છે.

લાલ કિલ્લા ખાતે પ્રધાનમંત્રીના આગમન બાદ ઇન્ટર-સર્વિસિસ અને દિલ્હી પોલીસનો સંયુક્ત ગાર્ડ તેમને જનરલ સેલ્યુટ આપશે અને ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસની પરંપરા મુજબ સશસ્ત્ર દળોની સંયુક્ત હાજરી વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને 21 તોપોની ઔપચારિક સલામી આપવામાં આવશે. અગાઉના સત્તાવાર કાર્યક્રમોમાં 1721 ફિલ્ડ બેટરી દ્વારા સ્વદેશી 105 મિમી લાઇટ ફિલ્ડ ગન્સથી આ સલામી આપવામાં આવી હતી.

ધ્વજવંદન બાદ ભારતીય વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટર દ્વારા ફૂલવર્ષા પણ કાર્યક્રમનો આકર્ષક ભાગ બનશે. ત્યારબાદ પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરશે. ઉજવણીમાં યુવાનોની ભાગીદારીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને ‘માય ભારત’ તથા NCCના કેડેટ્સ દ્વારા રાષ્ટ્રીય ગીત તથા દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવાની યોજના છે.

આ અવસર પર દેશભરના વિવિધ વર્ગોમાંથી આશરે 5,000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવાની પરંપરા પણ ચાલુ રહેશે. ખેડૂત, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ, સ્વચ્છતા કર્મચારીઓ, કારીગરો, યુવાનો અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને આવા કાર્યક્રમોમાં સ્થાન આપવામાં આવે છે.

આ વર્ષની ઉજવણીનો સંદેશ માત્ર સ્વતંત્રતાની ઉજવણી પૂરતો નહીં, પરંતુ 2047 સુધી ‘વિકસિત ભારત’ના લક્ષ્યમાં યુવા શક્તિ અને નાગરિક ભાગીદારીની ભૂમિકાને ઉજાગર કરવાનો પણ રહેશે. ‘વંદે માતરમ’ની 150 વર્ષની ગાથા સાથે જોડાયેલી આ ઉજવણી સ્વતંત્રતા, રાષ્ટ્રભાવના અને નવા ભારતના સંકલ્પને એક જ મંચ પર રજૂ કરશે.

Share This Article