Monday, Aug 10, 2026

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે શ્રાવણ, જાણો 4 સોમવારની તારીખો અને મહત્વના તહેવારો

2 Min Read

મહાદેવના ભક્તો માટે સૌથી પવિત્ર સમય નજીક આવી રહ્યો છે.શ્રાવણ એટલે ભક્તિ, ઉપવાસ અને શિવ આરાધનાનો મહિનો. મંદિરોમાં ગુંજતો ‘હર હર મહાદેવ’નો નાદ અને શિવલિંગ પર થતો જળાભિષેક આ પવિત્ર માસની આગવી ઓળખ છે. જો તમે પણ શ્રાવણના વ્રત, સોમવાર અને મહત્વના તહેવારોની તૈયારી કરી રહ્યા છો, તો 2026ની આ તારીખો ખાસ સાચવી રાખજો.

ગુજરાતમાં અમાવસ્યાંત પંચાંગની પરંપરા હોવાથી 13 ઓગષ્ટ 2026, ગુરુવારથી શ્રાવણ માસ શરૂ થશે અને 10 સપ્ટેમ્બર 2026, ગુરુવારના રોજ પૂર્ણ થશે.

2026માં ગુજરાતમાં શ્રાવણ દરમિયાન કુલ ચાર સોમવાર આવશે:
પ્રથમ
સોમવાર: 17 ઓગષ્ટ
બીજો સોમવાર: 24 ઓગષ્ટ
ત્રીજો સોમવાર: 31 ઓગષ્ટ
ચોથો સોમવાર: 7 સપ્ટેમ્બર

શ્રાવણ સોમવારે ભગવાન શિવની વિશેષ પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે.

આ પવિત્ર માસ દરમિયાન અનેક ધાર્મિક પર્વો પણ આવશે. નાગ પંચમી 19 ઓગષ્ટ, રક્ષાબંધન 28 ઓગષ્ટ અને જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર 2026ના રોજ મનાવવામાં આવશે.

શ્રાવણ માસનું મહત્વ માત્ર પરંપરા કે વ્રત સુધી સીમિત નથી. પૌરાણિક કથાઓમાં પણ આ માસને ભગવાન શિવ સાથે વિશેષ રીતે જોડવામાં આવ્યો છે. ખાસ કરીને સમુદ્રમંથનની કથા શ્રાવણની મહત્તા સમજવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સમુદ્રમંથન અને મહાદેવનું હળાહળ વિષપાન

પુરાણોમાં વર્ણવાયેલી કથા અનુસાર દેવો અને અસુરોએ અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું સમુદ્રમંથન કર્યું હતું. આ દરમિયાન અમૃત સહિત અનેક દિવ્ય વસ્તુઓ બહાર આવી, પરંતુ સૌપ્રથમ અત્યંત ભયંકર હળાહળ વિષ પ્રગટ થયું. તેની તીવ્રતા એવી હતી કે સમગ્ર સૃષ્ટિ પર સંકટ ઊભું થઈ શકે તેમ હતું.

દેવો અને અસુરો કોઈ ઉપાય ન શોધી શકતાં ભગવાન શિવની શરણમાં ગયા. લોકકલ્યાણ માટે મહાદેવે આ વિષનું પાન કર્યું અને તેને પોતાના કંઠમાં રોકી રાખ્યું. જેના કારણે તેમનું કંઠ નીલવર્ણ થયું અને તેઓ ‘નીલકંઠ’ તરીકે પ્રસિદ્ધ થયા. શિવના કંઠમાં રહેલા વિષની ગરમી શાંત કરવા દેવો દ્વારા જળ અર્પણ કરવાની પરંપરા સાથે પણ આ કથાને જોડવામાં આવે છે.

Share This Article