Thursday, Aug 6, 2026

કાગળ નહીં, હવે પોલિમરની બનશે ₹10 અને ₹20ની નોટ, આ નાણાકીય વર્ષથી ચલણમાં આવશે

2 Min Read

ભારતમાં ચલણી નોટોમાં મોટો બદલાવ થવાનો છે. જો બધું આયોજન મુજબ આગળ વધશે તો નાણાકીય વર્ષ 2028ની શરૂઆતથી દેશવાસીઓને પ્રથમ વખત પ્લાસ્ટિક (પોલિમર)ની ₹10 અને ₹20ની નોટો જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આ નવી નોટોનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે, જેનો મુખ્ય હેતુ વધુ ટકાઉ, સુરક્ષિત અને લાંબા સમય સુધી ઉપયોગમાં રહી શકે તેવી ચલણી નોટો ઉપલબ્ધ કરાવવાનો છે.

RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી બેઠક બાદ જણાવ્યું હતું કે નીચી કિંમતની નોટો સૌથી વધુ વપરાતી હોવાથી તે ઝડપથી ઘસાઈ જાય છે. પોલિમર નોટો સામાન્ય કાગળની નોટોની સરખામણીએ બે થી ચાર ગણો વધુ સમય ટકી શકે છે. ઉપરાંત, આ નોટોમાં આધુનિક સુરક્ષા સુવિધાઓ ઉમેરવી સરળ હોવાથી નકલી નોટો બનાવવી વધુ મુશ્કેલ બનશે.

કેન્દ્ર સરકારે પાયલોટ તબક્કા માટે કુલ 200 કરોડ પોલિમર નોટો (₹10 અને ₹20ની 100-100 કરોડ નોટો) છાપવાની મંજૂરી આપી છે. દેશભરમાં વિવિધ હવામાન અને ઉપયોગની પરિસ્થિતિઓમાં આ નોટોની કામગીરીનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ સફળ રહેશે તો જ તેનો વ્યાપક અમલ કરવામાં આવશે. હાલની કાગળની નોટો બંધ કરવાની કોઈ યોજના નથી અને બંને પ્રકારની નોટો સાથેસાથે ચલણમાં રહેશે.

ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટન સહિત અનેક દેશોમાં પોલિમર ચલણી નોટો પહેલેથી સફળતાપૂર્વક ઉપયોગમાં છે. હવે ભારત પણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે, જેનાથી ચલણી નોટોની ગુણવત્તા, આયુષ્ય અને સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થવાની આશા છે.

Share This Article