દેખાવ અને સ્વાદમાં લગભગ અસલી જેવું લાગતું આ કૃત્રિમ ઉત્પાદન ગ્રાહકોને સરળતાથી ભ્રમિત કરી શકે છે. બજારમાં અસલી પનીરની આડમાં એનાલોગ પનીરનો ઉપયોગ વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય નિષ્ણાતોના મુજબ લાંબા સમય સુધી આવા ઉત્પાદનોનું સેવન કરવાથી હૃદય અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
ગઈ કાલે મહરાષ્ટ્ર સરકાર ના નિર્ણય બાદગુજરાત સરકારે આજે 6 ઓગસ્ટ, 2026થી રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. એનાલોગ પનીર દૂધની કુદરતી ચરબીના બદલે પામ ઓઈલ, વનસ્પતિ ચરબી, સ્ટાર્ચ અને અન્ય ઘટકો વડે તૈયાર કરવામાં આવે છે. ઓછી કિંમતને કારણે તેનો ઉપયોગ ખાસ કરીને હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ ક્ષેત્રમાં વધુ થતો હોવાનું માનવામાં આવે છે.
ઘરે પનીર અસલી છે કે નહીં તેની પ્રાથમિક ચકાસણી માટે આ સરળ રીતો અપનાવી શકાય છે. આયોડિન ટેસ્ટમાં પનીર પર આયોડિનના ટીપાં નાખતા જો તેનો રંગ વાદળી કે કાળો થઈ જાય તો તેમાં સ્ટાર્ચ હોવાની શક્યતા રહે છે. પનીરને હાથથી મસળતાં અસલી પનીર સરળતાથી તૂટી જાય છે, જ્યારે એનાલોગ પનીર વધુ ચીકણું અને રબર જેવું અનુભવાય છે. ઉપરાંત, અસલી પનીરમાં દૂધની હળવી સુગંધ હોય છે, જ્યારે કૃત્રિમ પનીરમાં એવી કુદરતી સુગંધ જોવા મળતી નથી.
જોકે આ ઘરેલુ પરીક્ષણો માત્ર પ્રાથમિક ઓળખ માટે ઉપયોગી છે, અંતિમ અને વૈજ્ઞાનિક પુષ્ટિ માટે માન્ય પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવવું જરૂરી છે. ગ્રાહકોએ વિશ્વસનીય બ્રાન્ડ અથવા વિશ્વાસપાત્ર વેચાણકાર પાસેથી જ ડેરી ઉત્પાદનો ખરીદવા અને શંકા જણાય તો સંબંધિત ફૂડ સેફ્ટી સત્તાધિકારીઓને જાણ કરવાની સલાહ આપવામાં આવે છે.