Thursday, Jul 30, 2026

વંદે માતરમ’ના અપમાન પર હવે જેલની સજા? રાજ્યસભાએ પાસ કર્યું મહત્વપૂર્ણ બિલ, જાણો શું બદલાશે

2 Min Read

રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને હવે રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ જેટલું જ કાનૂની રક્ષણ મજબૂત બન્યું છે. રાજ્યસભાએ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર (સંશોધન) બિલ, 2026ને મંજૂરી આપી છે. આ બિલ અમલમાં આવ્યા બાદ વંદે માતરમનું ઇરાદાપૂર્વક અપમાન કરવું, તેના ગાનમાં અવરોધ ઉભો કરવો અથવા તેના ગાન દરમિયાન સભામાં વિક્ષેપ પાડવો કાયદેસર ગુનો ગણાશે અને તેના માટે ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ રહેશે.

હાલમાં અમલમાં રહેલો પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 રાષ્ટ્રીય ધ્વજ, ભારતીય સંવિધાન અને રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ને કાનૂની સુરક્ષા આપે છે. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ગાનમાં ઇરાદાપૂર્વક વિક્ષેપ કરવો અથવા તેનું ગાન અટકાવવું દંડનીય ગુનો છે. નવા સંશોધન દ્વારા આ જ સુરક્ષા હવે ‘વંદે માતરમ’ સુધી વિસ્તૃત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે આ માત્ર કાયદાકીય ફેરફાર નથી, પરંતુ દેશની સાંસ્કૃતિક ધરોહર, સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો અને રાષ્ટ્રીય ચેતના પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

‘વંદે માતરમ’ની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી અને ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં આ ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 24 જાન્યુઆરી, 1950ના રોજ સંવિધાન સભામાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ‘વંદે માતરમ’ને ‘જન ગણ મન’ જેટલું જ સન્માન આપવામાં આવશે. જોકે, તેને અત્યાર સુધી સમાન કાનૂની રક્ષણ મળતું નહોતું. સરકારનું કહેવું છે કે આ સંશોધન દ્વારા તે તફાવત દૂર કરવામાં આવશે.

રાજ્યસભામાં બિલ પસાર થઈ ગયું છે, પરંતુ કાયદો બનવા માટે બાકી રહેલી બંધારણીય પ્રક્રિયા પૂર્ણ થવી અને રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જરૂરી રહેશે.

Share This Article