NEET પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ વચ્ચે CJP (કોકરોચ જનતા પાર્ટી)ના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે શુક્રવારે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લગભગ 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી જે. પી.નડ્ડા અને જિતેન્દ્ર સિંઘ સાથે CJPના આશુતોષ રાકા અને સૌરવ દાસ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન CJP તરફથી સરકારને પોતાની ત્રણ મુખ્ય માગણીઓનું પત્ર સોંપવામાં આવ્યું હતું. બેઠક બાદ CJP નેતાઓએ જણાવ્યું કે તેમની ત્રણમાંથી બે માગણીઓ પર સરકાર વિચાર કરવા તૈયાર છે, જ્યારે અંતિમ નિર્ણય માટે સરકારે શનિવાર સુધીનો સમય માંગ્યો છે.
CJPએ કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માગણીઓ મૂકી છે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ના રાજીનામાની માંગ, NEET પેપર લીકથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયાનું વળતર અને વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ સામેલ છે.
CJP નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર શનિવાર સુધી યોગ્ય નિર્ણય નહીં લે તો દેશભરમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
આ બેઠક પહેલા CJPનું પ્રદર્શન દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહ્યું હતું, જે દરમિયાન સ્થિતિ તંગ બની હતી. પ્રદર્શન સમયે કેટલાક લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો અને કાચની બોટલો ફેંકવામાં આવી હતી, જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
હવે સૌની નજર સરકારના નિર્ણય પર છે કે શું CJPની માગણીઓમાંથી કેટલી બાબતો સ્વીકારવામાં આવે છે.