Friday, Jul 24, 2026

Video: નવસારીમાં પૂરનો કહેર: કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી 30 લોકોનું રેસ્ક્યુ, NDRFએ 67 લોકોને બચાવ્યા

1 Min Read

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાતા બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. મેંધર ગામમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા આશરે 30 લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ દિલધડક એર રેસ્ક્યુ ઓપરેશનમાં અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

ગણદેવી તાલુકાના સરીખુર્દ ગામમાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા અને કેટલાક લોકોને છત તથા ઊંચા સ્થળોએ આશરો લેવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NDRFની ટીમોને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી.

NDRF જવાનોએ ભારે પાણી વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સરીખુર્દ ગામમાંથી કુલ 67 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જેમાં 25 મહિલાઓ, 20 પુરુષો અને 22 બાળકોનો સમાવેશ થાય છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

નવસારી જિલ્લા વહીવટીતંત્ર, કોસ્ટ ગાર્ડ અને NDRFની સંકલિત કામગીરીથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Share This Article