ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવા માટે ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મોટી સફળતા મળી છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં બદ્રીનાથ અને કેદારનાથ નેશનલ હાઇવેને જોડતી 900 મીટર લાંબી સુરંગનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. આ સુરંગ શરૂ થયા બાદ યાત્રાળુઓને લાંબા ટ્રાફિક જામ અને મુશ્કેલ પહાડી રસ્તાઓથી મોટી રાહત મળશે.
ચારધામ યાત્રા દેશની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રાઓમાં સામેલ છે, જેમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ પહોંચે છે. જોકે, પહાડી વિસ્તારોમાં સાંકડા રસ્તા, ભૂસ્ખલન અને ટ્રાફિકની સમસ્યાને કારણે યાત્રા ઘણી વખત પડકારજનક બની રહે છે.
નવી તૈયાર થયેલી સુરંગ ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઇવે અને કેદારનાથ નેશનલ હાઇવે વચ્ચે સીધી કનેક્ટિવિટી ઉભી કરશે. આ પ્રોજેક્ટમાં અલકનંદા નદી પર 200 મીટર લાંબા બે લેનના પુલનું નિર્માણ પણ સામેલ છે, જેનું કામ અંતિમ તબક્કામાં છે.
હાલમાં રુદ્રપ્રયાગના બજાર વિસ્તારમાંથી પસાર થતો માર્ગ ભારે વાહન વ્યવહારને કારણે વારંવાર જામની સ્થિતિ સર્જે છે. નવી સુરંગ અને પુલ શરૂ થયા બાદ વાહનોને વૈકલ્પિક માર્ગ મળશે અને યાત્રાનો સમય પણ ઘટશે.જોકે આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં અંદાજે અઢી વર્ષ મોડો પૂર્ણ થયો છે. પહાડી વિસ્તારની જટિલ ભૌગોલિક સ્થિતિ, હવામાન અને બાંધકામ સંબંધિત પડકારોના કારણે કામમાં વિલંબ થયો હતો.
આ પ્રોજેક્ટ ચારધામ ઓલ વેધર રોડ કનેક્ટિવિટી યોજનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. સરકારનો ઉદ્દેશ્ય યાત્રાળુઓને વધુ સુરક્ષિત, ઝડપી અને આરામદાયક મુસાફરીની સુવિધા આપવાનો છે.