પાકિસ્તાનમાં બેઠેલા કુખ્યાત ગેંગસ્ટર શહજાદ ભટ્ટીના નેટવર્કને લઈને મહારાષ્ટ્ર ATSએ તપાસ વધુ તેજ બનાવી છે. સોમવારે ATSએ પુણે જિલ્લામાં મોટું ઓપરેશન હાથ ધરી શહજાદ ભટ્ટીના સંપર્કમાં આવેલા 66 લોકોની પૂછપરછ શરૂ કરી છે. આ કાર્યવાહી પુણે શહેર પોલીસ, પુણે ગ્રામ્ય પોલીસ અને પિમ્પરી-ચિંચવડ પોલીસના સહયોગથી જિલ્લાના અનેક વિસ્તારોમાં એકસાથે કરવામાં આવી રહી છે.
ATSના સત્તાવાર નિવેદન મુજબ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ લોકો સોશિયલ મીડિયા મારફતે શહજાદ ભટ્ટીના સંપર્કમાં આવ્યા હતા. હવે તેમના સંપર્કો અને પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
ATS શું તપાસી રહી છે?
તપાસ દરમિયાન સંબંધિત લોકોના મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ, ચેટ, કોલ ડિટેલ્સ અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે ક્યાંક આ લોકોનો ઉપયોગ કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર કરવા, દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવા અથવા કોઈ સંગઠિત નેટવર્ક સાથે જોડવા માટે તો કરવામાં આવ્યો નથી ને? સાથે જ એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર નેટવર્ક કેટલું મોટું છે અને તેની પાછળ અન્ય કયા લોકો સક્રિય છે.
શહજાદ ભટ્ટી એકલો નથી, અન્ય શંકાસ્પદ નામો પણ સામે આવ્યા
આ કાર્યવાહી ATSના ગયા અઠવાડિયે શરૂ કરાયેલા રાજ્યવ્યાપી અભિયાનનો જ એક ભાગ છે. ગયા શુક્રવારે ATSની 14 યુનિટની 58 ટીમોએ રાજ્યભરના 102 સ્થળોએ દરોડા પાડી શહજાદ ભટ્ટીના સંપર્કમાં આવેલા લોકોની પૂછપરછ કરી હતી. તે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શહજાદ ભટ્ટી એકલો કાર્યરત નથી. તેની સાથે આબિદ જાટ ઉર્ફે આબિદ છલ, અજમલ ગુજર, હમ્માદ મેમણ, રાણા હુનૈન અને અશરફ બશીર આલમ જેવા અનેક શંકાસ્પદ લોકો પણ સક્રિય છે.
ATSનું માનવું છે કે આ ગેંગ સોશિયલ મીડિયા દ્વારા ભારતીય યુવાનો સુધી પહોંચીને તેમને ગેરમાર્ગે દોરવા, આર્થિક લાલચ આપવા અને પોતાના નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. પુણેમાં હાલ ચાલી રહેલી પૂછપરછ પણ આ જ તપાસમાં મળેલા નવા પુરાવાના આધારે કરવામાં આવી રહી છે.
યુવાનો માટે ATSની ખાસ અપીલ
ATSએ નાગરિકો, ખાસ કરીને યુવાનોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક કરતા પહેલાં સાવચેતી રાખે.
એજન્સીએ લોકોને અપીલ કરી છે કે લાલચ આપતા સંદેશાઓ, નોકરી કે પૈસાની ઓફરો અને શંકાસ્પદ ઓનલાઈન સંપર્કો પર વિશ્વાસ ન કરે તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી તાત્કાલિક પોલીસ અથવા સુરક્ષા એજન્સીઓને આપે. ATSનું કહેવું છે કે યુવાનોને નિશાન બનાવી દેશવિરોધી નેટવર્ક ઉભું કરવાની કોશિશોને સમયસર નિષ્ફળ બનાવવી દેશની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.