Wednesday, Jul 15, 2026

ભક્તોના ચઢાવામાં ₹550 કરોડનું કૌભાંડ! વૈષ્ણોદેવી કેસમાં કોર્ટનો કડક આદેશ

4 Min Read

જમ્મુ-કાશ્મીરના વિશ્વવિખ્યાત શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી ચાંદીમાં અંદાજે ₹550 કરોડથી વધુના નકલી ચાંદી અને મિલાવટના કૌભાંડ મામલે જમ્મુ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) મુનીશ કુમાર મન્હાસની અદાલતે ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારીને કેસના તમામ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડ સાથે આગામી સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી 29 જુલાઈ, 2026ના રોજ થશે.

શું છે ₹550 કરોડનું નકલી ચાંદી કૌભાંડ?
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રાઈન બોર્ડમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી અંદાજે 20 ટન ચાંદીને શુદ્ધતા તપાસ, ઓગાળવાની અને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવી હતી. લેબ ટેસ્ટના અહેવાલોમાં ચોંકાવનારો ખુલાસો થયો કે સમગ્ર જથ્થામાંથી માત્ર 5થી 6 ટકા ચાંદી જ અસલી હતી, જ્યારે બાકીની અંદાજે 94 ટકા ચાંદી નકલી અથવા અત્યંત હલકી ગુણવત્તાની હોવાનું બહાર આવ્યું.

તપાસમાં જાણવા મળ્યું કે ચાંદીમાં કેડમિયમ, લોખંડ અને અન્ય સસ્તા ધાતુઓની મોટા પાયે મિલાવટ કરવામાં આવી હતી. આ નકલી ચાંદીનું અંદાજિત મૂલ્ય ₹550 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે.

વરિષ્ઠ વકીલ દીપક શર્માએ નોંધાવી ફરિયાદ
આ મામલે વરિષ્ઠ વકીલ દીપક શર્માએ સૌપ્રથમ 9 મે, 2026ના રોજ IGP (ક્રાઈમ બ્રાન્ચ, જમ્મુ) અને SSP (આર્થિક ગુના શાખા) સમક્ષ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, સરકારી રેકોર્ડમાં હેરફેર અને કેડમિયમ યુક્ત સામગ્રીના ગેરકાયદે ઉપયોગ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા FIR નોંધવામાં ન આવતા અરજદારે આખરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતનો સહારો લીધો.

ક્રાઈમ બ્રાન્ચ જવાબદારીમાંથી બચી શકે નહીં
કોર્ટના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ફરિયાદને વહીવટી મંજૂરી માટે શ્રીનગર હેડક્વાર્ટર મોકલવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવતા વકીલ દીપક શર્માએ દલીલ કરી હતી કે માત્ર ફરિયાદને એક કચેરીથી બીજી કચેરી મોકલવી કાયદેસરની કાર્યવાહી ગણાવી શકાય નહીં. તેમણે જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચ (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) પોતે નોટિફાઇડ પોલીસ સ્ટેશન છે અને તેના એસપી સ્ટેશન હાઉસ ઓફિસર તરીકે કાર્ય કરે છે.

તેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 મુજબ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક FIR નોંધી તપાસ શરૂ કરવી ફરજિયાત છે અને પોતાની જવાબદારી અન્ય વિભાગ પર ઢોળી શકતી નથી.

મહત્વના પુરાવા નષ્ટ થવાનો ભય
કોર્ટમાં રજૂ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે ક્રાઈમ બ્રાન્ચના સ્ટેટસ રિપોર્ટમાં મહત્વના પુરાવાઓ સુરક્ષિત રાખવા માટે કોઈ અસરકારક પગલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આ કેસમાં ઇન્વેન્ટરી રજિસ્ટર, સ્ટોક રેકોર્ડ, CCTV ફૂટેજ, ટ્રાન્સપોર્ટેશન દસ્તાવેજો, શુદ્ધતા તપાસ રિપોર્ટ, ટંકશાળ સાથેનો પત્રવ્યવહાર તેમજ ચાંદી ઓગાળવાની પ્રક્રિયા સંબંધિત તમામ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ જપ્ત કરવાનું અત્યંત જરૂરી હોવાનું અરજદારે જણાવ્યું છે.

સપ્લાય ચેન અને અધિકારીઓની ભૂમિકાની તપાસની માંગ
ફરિયાદમાં કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે કે તપાસ દરમિયાન એ સ્પષ્ટ કરવામાં આવે કે નકલી ચાંદી ઝવેરીઓ અને વેપારીઓએ ભક્તોને વેચી હતી કે પછી મંદિરની અંદર સ્ટોરેજ, વજન, પરિવહન અથવા ઓગાળવાની પ્રક્રિયા દરમિયાન અસલી ચાંદીની ચોરી કરીને તેની જગ્યાએ નકલી ધાતુ મૂકવામાં આવી હતી.

આ ઉપરાંત કેડમિયમ યુક્ત સામગ્રી ક્યાંથી આવી, તેનું ઉત્પાદન, ખરીદી અને સપ્લાય ચેન, તેમજ શ્રાઈન બોર્ડના જવાબદાર અધિકારીઓ, કસ્ટોડિયન, ટ્રાન્સપોર્ટર્સ અને સપ્લાયર્સની ભૂમિકાની પણ વિગતવાર તપાસ કરીને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોર્ટે આ મુદ્દાની ગંભીરતા ધ્યાનમાં લઈને તપાસને વધુ તેજ કરવાની સૂચના આપી છે.

Share This Article