નાગાલેન્ડના ચુમૌકેદિમા જિલ્લામાં આવેલા સુખોવી વિસ્તાર નજીક અસમ રાઇફલ્સના સૈન્ય વાહનને નિશાન બનાવી શંકાસ્પદ IED (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ભયાનક હુમલામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે અન્ય ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
પેટ્રોલિંગ દરમિયાન થયો ઘાતકી હુમલો
પૂર્વોત્તર ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોને નિશાન બનાવવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. દીમાપુર જિલ્લાના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સુખોવી વિસ્તાર પાસે અસમ રાઇફલ્સનું પેટ્રોલિંગ વાહન પસાર થઈ રહ્યું હતું, ત્યારે રસ્તા કિનારે ગોઠવાયેલા શંકાસ્પદ IEDમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટથી સૈન્ય વાહનને ભારે નુકસાન
પ્રાથમિક માહિતી મુજબ, ઉગ્રવાદીઓએ માર્ગ કિનારે વિસ્ફોટક ગોઠવ્યું હતું. ધડાકો એટલો પ્રચંડ હતો કે સૈન્ય વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના તરત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને નજીકની સૈન્ય ચોકીઓમાંથી વધારાની ટુકડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઘાયલ ચારેય જવાનોને તાત્કાલિક નજીકની મિલિટરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.
હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી
આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ ઉગ્રવાદી કે આતંકવાદી સંગઠને સ્વીકારી નથી. જોકે સ્થાનિક ગુપ્તચર એજન્સીઓ આ વિસ્તારમાં સક્રિય પ્રતિબંધિત સંગઠનોની સંડોવણીની આશંકા વ્યક્ત કરી રહી છે.
ડ્રોન અને સ્નિફર ડોગ્સથી સર્ચ ઓપરેશન શરૂ
હુમલાખોરોને ઝડપી પાડવા માટે સેના અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે સુખોવી તથા આસપાસના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આધુનિક ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદથી વિસ્તારમાં સઘન તપાસ ચાલી રહી છે, જેથી હુમલાખોરો સરહદ પાર ન કરી શકે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ સમગ્ર ચુમૌકેદિમા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને તમામ પ્રવેશ માર્ગો પર નાકાબંધી મજબૂત કરવામાં આવી છે.
એક સપ્તાહમાં સુરક્ષા દળો પર બીજો હુમલો
ઉલ્લેખનીય છે કે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં માત્ર એક સપ્તાહની અંદર અસમ રાઇફલ્સના કાફલા પર હુમલાની આ બીજી મોટી ઘટના છે. આ પહેલાં 6 જુલાઈએ મણિપુરના ઉખરુલ જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓએ ઘાતકી હુમલો કર્યો હતો. તે હુમલામાં અસમ રાઇફલ્સની 40મી બટાલિયનના બે બહાદુર જવાનો વોરંટ ઓફિસર બલવંત સિંહ અને રાઇફલમેન સીએમ સિહ શહીદ થયા હતા. મણિપુરની ઘટના બાદ હવે નાગાલેન્ડમાં થયેલા આ હુમલાએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધુ વધારી છે.
સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા થઈ શકે
વારંવાર થતા આવા હુમલાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી શકે છે. સરહદી વિસ્તારોમાં ઇન્ટેલિજન્સ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની સાથે IED શોધી કાઢવાની આધુનિક ટેક્નોલોજી વધારવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યમાં સુરક્ષા દળો પર આવા હુમલાઓ અટકાવી શકાય.