બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ચેક બાઉન્સ કેસમાં કોર્ટે તેમની ત્રણ મહિનાની જેલની સજા યથાવત રાખી છે. શુક્રવારે ચુકાદો આપતાં કોર્ટે અભિનેતા પર દંડ પણ ફટકાર્યો અને તેમનું વર્તન ‘શંકાસ્પદ’ હોવાનું જણાવતાં તેમને ફરી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે કેસ દરમિયાન રાજપાલ યાદવનું વર્તન સંતોષજનક રહ્યું નથી. આથી અગાઉ આપવામાં આવેલી સજાને યથાવત રાખવામાં આવી છે અને તેમને ફરી જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
2010માં ફિલ્મ બનાવવા માટે લીધું હતું 5 કરોડનું લોન
આ સમગ્ર મામલો વર્ષ 2010નો છે. રાજપાલ યાદવે પોતાની પ્રથમ નિર્દેશિત ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ. 5 કરોડનું લોન લીધું હતું. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી, જેના કારણે તેઓ સમયસર લોનની ચુકવણી કરી શક્યા નહોતા અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.
2018માં છ મહિનાની જેલની સજા થઈ હતી
એપ્રિલ 2018માં મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધા યાદવને દોષિત ઠેરવી છ મહિનાની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ 2019માં સેશન કોર્ટે પણ આ ચુકાદાને યથાવત રાખ્યો હતો. ત્યાર પછી અભિનેતાએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
કોર્ટે કહ્યું- વારંવાર વચન તોડ્યા
જૂન 2024માં દિલ્હી હાઈકોર્ટે તેમની સજા પર તાત્કાલિક રોક લગાવી હતી અને બાકી રહેલા આશરે રૂ. 9 કરોડની રકમ ચૂકવવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાની તક આપી હતી. જોકે કોર્ટના જણાવ્યા મુજબ, રાજપાલ યાદવ વારંવાર પોતાના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ કારણે આ વર્ષે 2 ફેબ્રુઆરીએ કોર્ટે તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. હવે હાઈકોર્ટે તેમની સજા યથાવત રાખતાં ફરી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે.