Monday, Jul 6, 2026

Bhavnagar: પાલિતાણામાં માલધારી પર સિંહનો જીવલેણ હુમલો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત..

2 Min Read

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં વન્ય પ્રાણીના હુમલાની ઘટના સામે આવી છે. ગામના માલધારી કાળુભાઈ બોઘાભાઈ ગમારા પર સિંહે હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

સિંહે તેમને થોડા ઘાયલ કર્યા હતા અને એ પછી તેમના પગ સિંહે દબાવી રાખ્યા હતા. બાદમાં થોડી વાર કાળુભાઈ પોતાને છોડાવવા માટે મથ્યાં હતા. કાળુભાઈની બીજી જિંદગી હશે એટલે તેઓ બચી ગયા અને સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. જો સિંહે તેમનું મારણ કરી નાંખ્યું હોય તો આજે તેઓ મોતને ભેટ્યા હોત.

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર, ગરજીયા ગામની સીમ વિસ્તારમાં આવેલા માલધારીના રહેઠાણ નજીક અચાનક સિંહ આવી ગયો હતો. આ દરમિયાન માલધારી કાળુભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેમને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને તેમને સારવાર માટે પાલિતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને માહિતી આપી હતી. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

ખેડૂતોમાં ચિંતા વ્યાપી
સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ગામની આસપાસ વન્ય પ્રાણીઓની અવરજવર વધી રહી છે, જેના કારણે માલધારીઓ અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ગ્રામજનોએ વન વિભાગને અસરકારક પગલાં ભરવા અને ગામની સુરક્ષા વધારવાની માંગ કરી છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને કોઈ પણ વન્ય પ્રાણી દેખાય તો તરત જ વિભાગને જાણ કરવાની અપીલ કરી છે. ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ છે.

Share This Article