Sunday, Jun 7, 2026

સુરતમાં ETP ટેન્કમાં સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના: ઝેરી ગેસના કારણે 4 શ્રમિકોના મોત

2 Min Read

સુરતના ખાંડ બજાર વિસ્તારમાં રવિવારે સવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ (રતિ જ્વેલર્સ) ખાતે અંડરગ્રાઉન્ડ ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ટેન્ક ચેમ્બરની સફાઈ માટે ઉતરેલા ચાર શ્રમિકોના ઝેરી ગેસની અસરથી મોત થયા હતા.

મળતી માહિતી મુજબ, વહેલી સવારે શ્રમિકો ટેન્કમાં જમા થયેલા સ્લજ (કાદવ અને કચરો)ની સફાઈ માટે ચેમ્બરમાં ઉતર્યા હતા. દરમિયાન ચેમ્બરમાં ભરાયેલી કોઈ અજ્ઞાત ઝેરી ગેસની અસર થતા ચારેય શ્રમિકો બેભાન થઈ ગયા અને અંદર જ ફસાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં સવારે 10:22 કલાકે ફાયર કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓક્સિજન કીટની મદદથી ચારેય શ્રમિકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા.

ઘટના અંગે માહિતી આપતા ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવેએ જણાવ્યું હતું કે શરૂઆતમાં એક વ્યક્તિ ચેમ્બરમાં ફસાયો હોવાની માહિતી મળી હતી, પરંતુ સ્થળ પર પહોંચતા ચાર લોકો અંદર ફસાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ભારે જહેમત બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

પ્રાથમિક તપાસમાં સુરક્ષા સાધનોના અભાવ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તાર ઔદ્યોગિક મિલકત હેઠળ આવે છે અને તેમાં ફેક્ટરી એક્ટના નિયમો લાગુ પડે છે. શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં તે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવશે.

ETP (Effluent Treatment Plant) એ ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધ કરવાની વ્યવસ્થા છે, જેમાંથી નીકળતા રસાયણો અને ઝેરી તત્વોને દૂર કરીને પાણીને પર્યાવરણ માટે સુરક્ષિત બનાવવામાં આવે છે.હાલ પોલીસે અને સંબંધિત વિભાગોએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.

Share This Article