ઝારખંડના પલામૂ જિલ્લામાં આવેલા રાજહરા રેલવે સ્ટેશન નજીક ગુરુવારે એક મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. કોલસાથી ભરેલી એક માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી જતા અપ લાઇન પર રેલવે ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો.
રાહત અને બચાવ કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવેના હાજીપુર ઝોનને પણ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે.
અનેક ટ્રેનો રદ અને રૂટ ડાયવર્ટ થવાની શક્યતા
અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ટ્રેનોને ડાયવર્ટ કરવા કે કેટલીક ટ્રેનો રદ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
ટોરીથી મુગલસરાય જઈ રહી હતી માલગાડી
મળતી માહિતી મુજબ, કોલસાથી ભરેલી માલગાડી ટોરીથી મુગલસરાય તરફ જઈ રહી હતી. તે દરમિયાન રાજહરા રેલવે સ્ટેશન નજીક માલગાડીના આઠથી દસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાના કારણે સમગ્ર રેલવે વ્યવહાર પર ગંભીર અસર પડી છે. માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરતા અનેક ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે. અનેક માલગાડીઓ અને મુસાફર ટ્રેનોને અલગ-અલગ રેલવે સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે.
મહત્વના ઔદ્યોગિક રેલવે રૂટ પર અસર
રાજહરા રેલવે સ્ટેશન ધનબાદ રેલવે ડિવિઝન હેઠળ આવે છે અને આ વિસ્તાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. માલગાડી અકસ્માતને કારણે આ રૂટ પર ટ્રેનોની અવરજવર અટકી ગઈ છે. રાજહરા રેલવે સ્ટેશન પરથી દરરોજ આશરે 100થી 110 મુસાફર અને માલગાડીઓ પસાર થાય છે, જેમાં લગભગ ત્રણ ડઝન જેટલી પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે. આ અકસ્માતના કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.