નવસારીની અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે બોગસ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવનાર મહિલાને ત્રણ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. વર્ષ 2009માં નોંધાયેલા આ કેસમાં અદાલતે આરોપી રાજીબેન પરબતભાઈ બોરખતરીયાને દોષિત ઠેરવી અંતિમ ચુકાદો આપ્યો છે.
કેસ મુજબ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રેવદ્રા ગામની રહેવાસી રાજીબેન બોરખતરીયાએ વર્ષ 2007માં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં વિદ્યાસહાયક તરીકે ભરતી માટે અરજી કરી હતી. તેણે બૃહદ ગુજરાત સંગીત સમિતિનું ‘સંગીત વિશારદ’ (બી.એ. સમકક્ષ)નું વર્ષ 2006માં પાસ કર્યું હોવાના બનાવટી ગુણપત્રક અને પ્રમાણપત્ર રજૂ કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે તેને વિદ્યાસહાયક તરીકે નોકરી મળી ગઈ હતી.
પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ દસ્તાવેજો શંકાસ્પદ લાગતાં તેની ખરાઈ માટે બૃહદ ગુજરાત સંગીત સમિતિનો સંપર્ક કર્યો હતો. તપાસમાં ખુલ્યું કે રજૂ કરેલા તમામ પ્રમાણપત્રો સંપૂર્ણપણે ખોટા અને બનાવટી હતા. આ કૌભાંડ બહાર આવતા નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને પોલીસે તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સરકારી મદદનીશ વકીલ ડો. સ્મિતા પ્રજાપતિએ પુરાવાઓ સાથે મજબૂત દલીલો કરી હતી. ન્યાયાધીશ એસ.એચ. ચાવડાએ સરકારી પક્ષની દલીલોને માન્ય રાખીને આરોપીને વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યા અને ત્રણ વર્ષની સખત કેદ સાથે રૂ. 5,000નો દંડ ફટકાર્યો.
આ કેસમાં સહ-આરોપી મનીષકુમાર શંભુભાઈ રાછડિયાનું ટ્રાયલ દરમિયાન અવસાન થઈ જતાં તેમના વિરુદ્ધનો કેસ બંધ કરવામાં આવ્યો હતો.