આજે રાત્રિના સમયે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારો જેવા કે થલતેજ, શીલજ, એસજી હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઇટ અને સરખેજમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સંભાવના વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પલટો, યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર, આજે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, અમરેલી, ગીર, દાહોદ, અરવલ્લી અને મહીસાગરના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટ, બોટાદ અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા બદલાઈ પવનની દિશા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં રાજ્યની આસપાસ ત્રણ જેટલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમને કારણે પવનની દિશામાં ફેરફાર થયો છે અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પવનની દિશા બદલાતા ગરમીની તીવ્રતામાં થોડો ઘટાડો થયો છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉકળાટ અને બફારો યથાવત રહેવાની શક્યતા છે.
તુલસીશ્યામ અને ગીર પંથકમાં વરસાદથી પાકને નુકસાનની ભીતિ
ગીરના જંગલ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન તુલસીશ્યામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. આ અચાનક આવેલા વરસાદને કારણે ગીર પંથકમાં કેરીના પાક તેમજ ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.